યશાયા ૫૭:૧-૨૧
૫૭ નેક માણસ ખતમ થઈ જાય છે,પણ કોઈને એની પડી નથી.
વફાદાર માણસનું મરણ થાય છે,+પણ કોઈને સમજણ પડતી નથી કે આફતને લીધે*નેક માણસનું મરણ થયું છે.
૨ સતના પંથે ચાલનારાઓ શાંતિથી ઊંઘી જાય છે.
તેઓ પોતાની પથારીમાં* આરામ કરે છે.
૩ “ઓ જાદુટોણાં કરનારી સ્ત્રીના દીકરાઓ,ઓ વ્યભિચાર કરનારી સ્ત્રીનાં સંતાનો,ઓ વેશ્યાનાં બાળકો, મારી પાસે આવો.
૪ તમે કોની મશ્કરી કરો છો?
તમે કોની સામે મોં પહોળું કરો છો? તમે કોની સામે જીભ કાઢીને ચાળા પાડો છો?
શું તમે પાપીઓનાં બાળકો નથી?
શું તમે કપટીઓનાં બાળકો નથી?+
૫ શું તમે દરેક ઘટાદાર ઝાડ નીચે,+મોટાં વૃક્ષો નીચે+ કામવાસનામાં ડૂબેલા લોકો નથી?
શું તમે ખીણોમાં અને ખડકોની ફાટોમાંબાળકોની કતલ કરનારા લોકો નથી?+
૬ તમારા ભાગે ખીણના સુંવાળા પથ્થરો જ આવશે.+
હા, એ જ તમારો હિસ્સો છે.
અરે, તમે તો તેઓને પણ ભેટો ચઢાવો છો અને દ્રાક્ષદારૂ-અર્પણો* રેડો છો.+
શું આ બધું જોઈને મને ખુશી થશે?*
૭ તમે ઊંચા ને મોટા પર્વત પર તમારો પલંગ ઢાળ્યો+અને ત્યાં ઉપર બલિદાન ચઢાવવા ગયા.+
૮ દરવાજા અને બારસાખો પાછળ તમે મૂર્તિઓ બેસાડી.
તમે મને છોડી દીધો અને તમારાં કપડાં ઉતારી નાખ્યાં.
તમે પર્વત પર ગયા અને મોટી પથારી બિછાવી.
તમે તેઓની સાથે કરાર કર્યો.
તેઓ સાથે સૂવાનું તમને પસંદ પડ્યું.+
તમે તેઓનાં જાતીય અંગો જોયાં.*
૯ તેલ અને પુષ્કળ અત્તર લઈનેતમે મેલેખ* પાસે ગયા.
સંદેશો લઈ જનારાઓને તમે એટલા દૂર દૂર મોકલ્યા કેતમે કબરમાં* ઊતરી ગયા.
૧૦ તમે અલગ અલગ માર્ગે ચાલી ચાલીને થાકી ગયા,પણ એમ કહેતા નથી કે ‘એ બધું નકામું છે!’
તમને નવું બળ મળ્યું છે,એટલે તમે પડતું મૂકતા* નથી.
૧૧ તમને કોની બીક લાગી કેતમે જૂઠું બોલવા લાગ્યા?+
તમે મને ભૂલી ગયા.+
તમે કોઈ પણ વાત ધ્યાનમાં લીધી નહિ.+
હું લાંબા સમય સુધી ચૂપ રહ્યો,*+એટલે તમે મારો જરાય ડર રાખ્યો નહિ.
૧૨ હું તમારી ‘સચ્ચાઈ’+ અને તમારાં કરતૂતો ખુલ્લાં પાડીશ.+
એ બધું તમને કંઈ કામમાં નહિ આવે.+
૧૩ તમે મદદનો પોકાર કરો ત્યારે,તમારી જાતજાતની મૂર્તિઓ તમને છોડાવવા નહિ આવે.+
પવન તેઓને ઉડાવી લઈ જશે,ફક્ત એક ફૂંક તેઓને ઉડાવી જશે.
પણ મારામાં આશરો લેનાર પૃથ્વીનો વારસો મેળવશેઅને તે મારા પવિત્ર પર્વતનો વારસો લેશે.+
૧૪ એવું કહેવામાં આવશે કે ‘સડક બાંધો, સડક બાંધો! રસ્તો તૈયાર કરો!+
મારા લોકોના માર્ગમાં આવતી બધી નડતરો ખસેડી નાખો.’”
૧૫ જે ઈશ્વર ઊંચાણમાં રહે છે, જે સદા જીવતા રહે છે+અને જેમનું નામ પવિત્ર છે,+ તે કહે છે:
“હું ઊંચાણમાં અને પવિત્ર જગ્યામાં રહું છું.+
હું કચડાયેલા અને નિરાશ* લોકો સાથે પણ રહું છું.
હું નિરાશ લોકોને ઉત્તેજન આપું છુંઅને કચડાયેલા લોકોનાં દિલ તાજગીથી ભરી દઉં છું.+
૧૬ હું કાયમ માટે તેઓનો વિરોધ કરતો રહીશ નહિઅથવા સદાને માટે રોષે ભરાયેલો રહીશ નહિ,+જેથી મેં જેઓને ઉત્પન્ન કર્યા છે,તેઓ બધા મારા લીધે કમજોર ન થઈ જાય.+
૧૭ ઇઝરાયેલીઓના પાપી માર્ગ અને તેઓની બેઈમાનીને લીધે હું રોષે ભરાયો હતો.+
મેં તેઓને માર્યા, તેઓથી મોં ફેરવી લીધું અને તેઓ પર ગુસ્સે ભરાયો.
પણ તેઓએ મનમાની કરી, તેઓ બંડખોરની જેમ ચાલતા રહ્યા.+
૧૮ મેં તેઓના માર્ગો જોયા છે,તોપણ હું તેઓને સાજા કરીશ+ અને દોરવણી આપીશ.+
હું તેઓને અને વિલાપ કરનારાઓને ફરીથી દિલાસો આપીશ.”+
૧૯ યહોવા કહે છે: “હું લોકોની જીભે સ્તુતિના બોલ* રચું છું.
દૂરના અને નજીકના લોકોને હંમેશાં શાંતિ આપવામાં આવશે.+
હું તેઓને સાજા કરીશ.”
૨૦ “પણ દુષ્ટ લોકો તોફાની સાગર જેવા છે, જે શાંત રહી શકતો નથી.
એના પાણી દરિયાઈ વનસ્પતિ અને કાદવ ઉછાળતાં રહે છે.
૨૧ દુષ્ટોને જરાય શાંતિ નથી,”+ એવું મારા ઈશ્વર કહે છે.
ફૂટનોટ
^ અથવા કદાચ, “કે આફતમાંથી બચી જવા માટે.”
^ એટલે કે, કબર.
^ અથવા, “દિલાસો મળશે?”
^ કદાચ આ મૂર્તિઓની ઉપાસનાની વાત કરે છે.
^ અથવા કદાચ, “રાજા.”
^ મૂળ, “કમજોર થતા.”
^ અથવા, “મેં તમારાં કામો ચલાવી લીધાં.”
^ અથવા, “નમ્ર.”
^ મૂળ, “હોઠોના ફળ.”