હિબ્રૂઓને પત્ર ૩:૧-૧૯
૩ પવિત્ર ભાઈઓ, તમે સ્વર્ગના આમંત્રણના ભાગીદાર છો.+ તમે ઈસુનો વિચાર કરો, જેમને આપણે પ્રેરિત* અને પ્રમુખ યાજક* તરીકે સ્વીકારીએ છીએ.+
૨ ઈસુ એ જવાબદારી સોંપનાર ઈશ્વરને+ વફાદાર રહ્યા, જેમ ઈશ્વરના આખા ઘરમાં મૂસા વફાદાર હતા.+
૩ જેમ ઘર કરતાં ઘર બાંધનારને વધારે માન મળે છે, તેમ મૂસા કરતાં ઈસુને વધારે મહિમા મળે છે.+
૪ ખરું કે દરેક ઘર કોઈકે બનાવ્યું છે, પણ બધી વસ્તુઓ બનાવનાર તો ઈશ્વર છે.
૫ હવે ઈશ્વરના આખા ઘરમાં મૂસા એક સેવક તરીકે વફાદાર હતા. મૂસાની સેવા એ વાતોની સાક્ષી બની,* જે ઈશ્વર પછીથી કહેવાના હતા.
૬ પણ ખ્રિસ્ત* તો ઈશ્વરના આખા ઘર પર દીકરા તરીકે વફાદાર હતા.+ જો આપણે હિંમતથી બોલતા રહીએ અને જે આશા વિશે આપણને ગર્વ છે, એને અંત સુધી મજબૂત પકડી રાખીએ, તો સાચે જ આપણે ઈશ્વરનું ઘર છીએ.+
૭ એટલે જેમ પવિત્ર શક્તિ કહે છે,+ “આજે જો તમે તેમનું સાંભળો,
૮ તો તમારું દિલ કઠણ ન કરતા, જેમ તમારા બાપદાદાઓએ વેરાન પ્રદેશમાં કર્યું હતું અને કસોટીના દિવસે મને ખૂબ ગુસ્સે કર્યો હતો.+
૯ તમારા બાપદાદાઓએ ૪૦ વર્ષો સુધી મારા ચમત્કારો જોયા હતા, છતાં તેઓએ મારી કસોટી કરી.+
૧૦ એટલે મને એ પેઢીથી નફરત થઈ ગઈ અને મેં કહ્યું: ‘તેઓનાં દિલ હંમેશાં ભટકી જાય છે અને તેઓ મારા માર્ગો જાણતા નથી.’
૧૧ એટલે મેં ગુસ્સે ભરાઈને સોગંદ લીધા: ‘તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ.’”+
૧૨ ભાઈઓ, સાવધ રહો કે તમે જીવંત ઈશ્વરથી દૂર ન થઈ જાઓ, નહિતર તમારું દિલ દુષ્ટ બની જશે અને તમારી શ્રદ્ધા ઓછી થઈ જશે.+
૧૩ પણ જ્યાં સુધી દિવસને “આજ”+ કહેવામાં આવે છે, ત્યાં સુધી રોજ એકબીજાને ઉત્તેજન આપતા રહો, જેથી પાપની ભમાવનારી તાકાત તમારામાંથી કોઈનું દિલ કઠણ ન બનાવે.
૧૪ કેમ કે શરૂઆતમાં આપણને જે ભરોસો હતો એને જો અંત સુધી વળગી રહીશું, તો જ આપણે ખ્રિસ્તના ભાગીદાર બનીશું.*+
૧૫ જેમ લખેલું છે: “આજે જો તમે તેમનું સાંભળો, તો તમારું દિલ કઠણ ન કરતા, જેમ તમારા બાપદાદાઓએ કર્યું હતું અને મને ખૂબ ગુસ્સે કર્યો હતો.”+
૧૬ કોણે ઈશ્વરની વાત સાંભળી હતી છતાં તેમને ભારે ગુસ્સે કર્યા હતા? શું એ જ લોકો નહિ, જેઓ મૂસાની આગેવાની નીચે ઇજિપ્તમાંથી* બહાર આવ્યા હતા?+
૧૭ કોના પર ઈશ્વર ૪૦ વર્ષો સુધી ગુસ્સે રહ્યા હતા?+ શું એ લોકો પર નહિ, જેઓએ પાપ કર્યું અને વેરાન પ્રદેશમાં મરી ગયા?+
૧૮ કોના વિશે ઈશ્વરે સોગંદ લીધા હતા કે તેઓ તેમના આરામમાં પ્રવેશ કરશે નહિ? શું એ લોકો વિશે નહિ, જેઓએ આજ્ઞા માની ન હતી?
૧૯ આપણે જાણીએ છીએ કે શ્રદ્ધાની ખામીને લીધે તેઓ ઈશ્વરના આરામમાં પ્રવેશી શક્યા નહિ.+