સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ઈશ્વરને ઓળખ્યા’ પછી શું કરવું જોઈએ?

‘ઈશ્વરને ઓળખ્યા’ પછી શું કરવું જોઈએ?

‘હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે.’—ગલા. ૪:૯.

૧. શા માટે વિમાન ઉડાવતા પહેલાં પાઇલટને યાદી જોવી પડે છે?

 વિમાન ઉડાવતા પહેલાં એને ચલાવનાર પાઇલટને અમુક બાબતોની તપાસ કરવી પડે છે. એ માટે તેને એક યાદી ધ્યાનથી જોવી પડે છે, જેમાં ૩૦થી વધારે બાબતો નોંધેલી હોય છે. જો તે વિમાન ઉડાવતા પહેલાં એ બાબતોને ધ્યાનથી તપાસી ન લે, તો મોટા અકસ્માતનું જોખમ રહે છે. શું તમને ખબર છે કે દર વખતે એ યાદી તપાસવા ખાસ કેવા પાઇલટને કહેવામાં આવે છે? સૌથી વધારે અનુભવી પાઇલટને. અનુભવી હોવા છતાં, પાઇલટ એમ માનીને કે પોતાને બધું ખબર છે, કદાચ યાદીની અમુક બાબતોની તપાસ કરવાનું ચૂકી જઈ શકે.

૨. આપણને શું તપાસવા ઉત્તેજન આપવામાં આવે છે?

સાવચેત પાઇલટની જેમ તમે પણ એક પ્રકારની યાદી રાખી શકો. એ યાદીની મદદથી તમે પોતાની શ્રદ્ધાને મુશ્કેલ સમયમાં પણ મક્કમ રાખી શકશો. ભલે તમે હાલમાં બાપ્તિસ્મા લીધું હોય કે પછી વર્ષોથી ઈશ્વરની સેવા કરતા હો, આ યાદી ખૂબ કામની છે. એના દ્વારા તમે તપાસી શકશો કે, યહોવા ઈશ્વરમાં તમને કેટલી શ્રદ્ધા છે અને તેમની સાથે તમારો સંબંધ કેવો છે. નિયમિત રીતે અને પૂરા ખંતથી જો આ યાદી નહિ તપાસો, તો યહોવા સાથેનો સંબંધ તૂટી જઈ શકે. બાઇબલ આપણને ચેતવે છે: “જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.”—૧ કોરીં. ૧૦:૧૨.

૩. ગલાતીઆનાં ભાઈ-બહેનોએ શું કરવાની જરૂર હતી?

ચાલો, ગલાતીઆનાં ભાઈ-બહેનોનો વિચાર કરીએ. ઈસુએ આપેલા બલિદાનમાં વિશ્વાસ મૂકવાથી ઈશ્વરને ઓળખવાનો નવો માર્ગ ખુલ્યો. એના દ્વારા વ્યક્તિ હવે, ઈશ્વરની સંતાન બની શકે. તેથી, ગલાતીઆમાંનાં ભાઈ-બહેનોએ પોતાની શ્રદ્ધા કેટલી મજબૂત છે એ તપાસવાની જરૂર હતી. (ગલા. ૪:૯) ઈશ્વર સાથેના સંબંધને જાળવી રાખવા તેઓએ એવાં યહુદી શિક્ષણનો નકાર કરવાનો હતો, જેમાં મુસાના નિયમો પાળવા પર ભાર મૂકાતો. કારણ, ઈશ્વરે એ નિયમોને હવે નાબૂદ કર્યા હતા. વધુમાં, મંડળમાં બિનયહુદીઓ એ નિયમ નીચે કદીએ ન હતા! યહુદીઓ અને બિનયહુદીઓ, બંનેને સત્યમાં પ્રગતિ કરવાની જરૂર હતી. એટલે, તેઓએ સમજવાની જરૂર હતી કે ઈશ્વર હવે લોકોને મુસાનો નિયમ પાળવા ફરજ પાડતા ન હતા.

ઈશ્વરને ઓળખવાનું પહેલું પગલું

૪, ૫. પાઊલે ગલાતીઆનાં ભાઈ-બહેનોને શું સલાહ આપી અને એ આપણા માટે કઈ રીતે મહત્ત્વની છે?

પ્રેરિત પાઊલે ગલાતીઆનાં ભાઈ-બહેનોને આપેલી સલાહ ખાસ કારણને લીધે શાસ્ત્રમાં નોંધવામાં આવી. યહોવાના ભક્તોને એ શીખવે છે કે સત્યથી કદી દૂર ન જવું અને જૂની બાબતો તરફ પાછા ન ફરવું. એ સલાહ લખવા યહોવાએ પ્રેરણા આપી, જેથી પાઊલ સાથી ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકે. તેમ જ, યહોવાના બધા ભક્તોને એના દ્વારા શ્રદ્ધામાં મક્કમ રહેવા ઉત્તેજન મળે.

એ સમયને યાદ કરવો જોઈએ જ્યારે આપણને જૂઠા ધર્મોના બંધનથી આઝાદ કરવામાં આવ્યા અને આપણે યહોવાના ભક્ત બન્યા. એમ કરવા, આ બે સવાલો પર વિચાર કરી શકીએ: બાપ્તિસ્મા પામવા લીધેલાં પગલાં શું મને યાદ છે? ઈશ્વરને હું કઈ રીતે ઓળખતો થયો અને જૂઠા ધર્મોથી છૂટીને મને કેવું લાગ્યું?

૬. આપણે કઈ યાદીની ચર્ચા કરીશું?

સત્યમાં આવ્યા ત્યારે, આપણે નવ બાબતો કરી હતી. એ બાબતો જાણે એક યાદી છે. એ યાદી જોવા  “બાપ્તિસ્માનાં પગલાં પ્રગતિમાં મદદ કરે છે” બૉક્સ જુઓ. નિયમિત રીતે આ નવ બાબતો પર વિચાર કરવાથી આપણી શ્રદ્ધા મક્કમ થશે. તેમ જ, દુન્યવી બાબતોમાં પાછા ફરવાની ઇચ્છાનો સામનો કરી શકીશું. જેમ અનુભવી પાઇલટ દર વખતે યાદી તપાસે છે, તેમ નવ બાબતોની આ યાદી તપાસવાથી યહોવાની ભક્તિ કરતા રહેવા મદદ મળે છે.

ઈશ્વર જેઓને ઓળખે છે તેઓ સત્યમાં પ્રગતિ કરતા રહે છે

૭. આપણે કઈ રૂપરેખા પ્રમાણે કરવું જોઈએ અને શા માટે?

વિમાન ઉડાવતા પહેલાં દરેક વાર પાઇલટને યાદી ધ્યાનથી જોવી પડે છે. આપણે પણ નિયમિત રીતે તપાસવું જોઈએ કે સત્યમાં કેટલી પ્રગતિ કરી છે. પાઊલે તીમોથીને લખ્યું: ‘જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યાં એનું ખરું સ્વરૂપ ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ.’ (૨ તીમો. ૧:૧૩) એ “સત્ય વચનો” બાઇબલમાં જોવાં મળે છે. (૧ તીમો. ૬:૩) એક ચિત્રકારે દોરેલી રૂપરેખા પરથી પારખી શકાય કે ચિત્ર શાનું છે. એવી જ રીતે, “સત્ય વચનો” દ્વારા પારખી શકાય કે યહોવા આપણી પાસે શું ચાહે છે. અને આમ, તેમની ઇચ્છા પ્રમાણે કરી શકાય છે.

૮, ૯. (ક) જ્ઞાન અને વિશ્વાસ વિશે આપણે શું કરવાની જરૂર છે? (ખ) સત્યમાં વધવું અને પ્રગતિ કરતા રહેવાનું મહત્ત્વ, દાખલો આપી સમજાવો.

આપણી યાદીમાં સૌથી પહેલી બાબત છે, જ્ઞાન. એ લેતાં રહેવાથી આપણો વિશ્વાસ કેળવાય છે. જોકે, આપણે એ બંનેમાં પ્રગતિ કરવાની છે. (૨ થેસ્સા. ૧:૩) પ્રગતિ કરવામાં સુધારા કરવાનો પણ સમાવેશ થાય છે. ‘વધતા જવાનો’ અર્થ થાય ‘મોટું થવું’ કે ‘વિસ્તાર પામવું.’ તેથી, બાપ્તિસ્મા લીધા પછી આપણે ભક્તિમાં સતત વધતા રહેવું જોઈએ, જેથી આપણી પ્રગતિ અટકી ન જાય.

જેમ એક ઝાડ વધ્યા કરે છે, તેમ આપણે પણ પ્રગતિ કરતા રહેવું જોઈએ

ભક્તિમાં વધારો કરવાને એક ઝાડની વૃદ્ધિ સાથે સરખાવી શકાય. એક ઝાડ કદાચ વધીને ઘણું વિશાળ બને, ખાસ કરી જ્યારે એનાં મૂળ ઊંડાં ઊતરે. દાખલા તરીકે, લબાનોન વિસ્તારમાં આવેલાં અમુક એરેજવૃક્ષોની ઊંચાઈ ૧૨ માળની ઇમારત જેટલી હોય છે. એનાં મૂળ ઘણાં મજબૂત અને જમીનમાં ઊંડાં ઊતરેલાં હોય છે. એના થડનો ઘેરાવો માપીએ તો ૧૨ મીટર જેટલું થાય. (ગી.ગી. ૫:૧૫) શરૂઆતમાં, ઝાડની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થાય છે. પણ, પછી એની વૃદ્ધિ નજરે દેખાતી નથી. પરંતુ, વર્ષો પસાર થાય તેમ તેનું થડ વિસ્તાર પામે છે. તેનાં મૂળ ઊંડાં ઊતરે છે અને દૂર સુધી ફેલાય છે. એનાથી ઝાડ મક્કમ બને છે. આવું જ કંઈક, સત્યની પ્રગતિમાં આપણી સાથે બને છે. શરૂઆતમાં આપણે બાઇબલ અભ્યાસ કર્યો અને પછી બાપ્તિસ્મા લીધું, ત્યારે આપણી પ્રગતિ મંડળના ધ્યાનમાં આવી હતી. એ પછી, કદાચ આપણને પાયોનિયર બનવાનો અથવા મંડળમાં બીજી જવાબદારી લેવાનો લહાવો મળ્યો હશે. એ પછીનાં અમુક વર્ષોમાં આપણી પ્રગતિ કદાચ એટલી દેખીતી નહિ હોય. છતાં, આપણે વિશ્વાસમાં અને જ્ઞાનમાં વધતા રહેવાની જરૂર છે. આપણે “પ્રૌઢ પુરુષત્વમાં, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ.” (એફે. ૪:૧૩) જેમ એક નાનકડું બીજ વધીને મોટું ઝાડ બને છે, તેમ આપણે પણ સત્યમાં પ્રગતિ કરી મક્કમ બનીએ.

૧૦. ઘણાં વર્ષોથી સત્યમાં હોય તે વ્યક્તિએ પણ કેમ પ્રગતિ કરવી જોઈએ?

૧૦ પરંતુ, આપણી પ્રગતિ ત્યાં અટકવા દેવી ન જોઈએ. આપણું જ્ઞાન વધવું જોઈએ અને વિશ્વાસ ઊંડો ઊતરવો જોઈએ. એનાથી આપણી શ્રદ્ધા વધુ મક્કમ થાય છે. (નીતિ. ૧૨:૩) આજે, ઘણાં ભાઈ-બહેનો એ રીતે પ્રગતિ કરી રહ્યાં છે. એક ભાઈ ૩૦ કરતાં વધારે વર્ષોથી વડીલ છે. તે હજી પણ સત્યમાં પ્રગતિ કરી રહ્યા છે. તે જણાવે છે, ‘બાઇબલ માટે મારી કદર ઘણી જ વધી છે. એના સિદ્ધાંતો અને નિયમોને લાગુ પાડવા, હું નવી નવી તક શોધ્યા કરું છું. પ્રચારકાર્ય માટે પણ મારી કદર વધ્યા જ કરે છે.’

ઈશ્વર સાથે મિત્રતા વધારો

૧૧. યહોવાને સારી રીતે ઓળખવા શું કરી શકીએ?

૧૧ ‘વધતા જવામાં,’ ઈશ્વરને એક પિતા અને મિત્ર તરીકે ઓળખવાનો સમાવેશ થાય છે. ઈશ્વર ચાહે છે કે તેમના તરફથી મળતાં પ્રેમ અને સલામતીને આપણે અનુભવીએ. એક બાળક પોતાના પિતાની બાથમાં અથવા કોઈ પોતાના વફાદાર દોસ્તની સંગતમાં જેમ અનુભવે, તેમ આપણે અનુભવીએ એવું ઈશ્વર ચાહે છે. જોકે, યહોવા સાથે આવો ગાઢ સંબંધ રાતોરાત બંધાઈ જતો નથી. તેમને ઓળખવા અને પ્રેમ બતાવવા સમય લાગે છે. તેથી, યહોવાને સારી રીતે ઓળખવા, દરરોજ અમુક સમય ફાળવવાનું નક્કી કરો. એ માટે નિયમિત બાઇબલ વાંચન કરો. તેમ જ, ચોકીબુરજ અને સજાગ બનો!નાં દરેક અંક અને આપણાં બીજાં સાહિત્ય પણ વાંચો.

૧૨. ઈશ્વર સાથે ગાઢ મિત્રતા બનાવી રાખવા શું કરવાની જરૂર છે?

૧૨ ઈશ્વરના મિત્ર બની રહેવા ખંતથી પ્રાર્થના કરવી અને સારી સંગતમાં રહેવું જરૂરી છે. (માલાખી ૩:૧૬ વાંચો.) ભક્તોની “પ્રાર્થનાઓ” યહોવાના “કાને પડે છે.” (૧ પીત. ૩:૧૨) આપણે પ્રાર્થનામાં મદદ માંગીએ ત્યારે, એક પ્રેમાળ પિતાની જેમ યહોવા સાંભળે છે. તેથી, આપણે “પ્રાર્થનામાં લાગુ” રહેવું જોઈએ. (રોમ. ૧૨:૧૨) ઈશ્વરની મદદ વગર આપણે સત્યમાં પ્રગતિ કરી શકતા નથી. આ જગતમાં આપણા પર ઘણું દબાણ આવે છે, જેનું આપણે પોતાની શક્તિથી સામનો કરી શકતા નથી. ઈશ્વર આપણને શક્તિ આપવા ચાહે છે. પણ, જો આપણે પ્રાર્થના કરવાનું બંધ કરી દઈએ તો જાણે આપણે એ શક્તિ મેળવતા પોતાને અટકાવીએ છીએ. શું તમને લાગે છે કે તમે દિલ ખોલીને ઈશ્વરને પ્રાર્થના કરો છો? કે પછી પ્રાર્થના કરવાની અમુક બાબતોમાં સુધારાની જરૂર છે?—યિર્મે. ૧૬:૧૯.

૧૩. સત્યમાં પ્રગતિ કરવા ભાઈ-બહેનોની સંગત માણવી કેમ મહત્ત્વની છે?

૧૩ યહોવા ‘તેમના શરણે આવતા’ લોકોથી ખુશ થાય છે. (નાહૂમ ૧:૭, ઈઝી-ટુ-રીડ વર્ઝન) તેથી, આપણે નિયમિત રીતે મંડળમાં જવું જોઈએ. તેમ જ, ઈશ્વરને ઓળખતા લોકોની સંગત માણવી જોઈએ. આ દુનિયા દુઃખ-તકલીફોથી ભરેલી છે. એટલે, સારું રહેશે કે ઉત્તેજન આપતાં ભાઈ-બહેનોની સંગત માણીએ. એમ કરવાથી શું ફાયદો થશે? મંડળમાં એવા વ્યક્તિઓ મળશે જેઓ તમને “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાં” ઉત્તેજન આપશે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) પાઊલે હિબ્રૂ ભાઈ-બહેનોને સલાહ આપી કે એકબીજાને પ્રેમ બતાવે. મંડળમાં ભાઈ-બહેનોની સંગત રાખીશું તો જ પ્રેમ બતાવી શકીશું. એ માટે, નિયમિત સભામાં જઈએ અને ઉત્તેજન આપતા જવાબો આપીએ.

૧૪. સતત પસ્તાવો કરવા અને ખરાબ બાબતોથી પાછા ફરવા આપણે કેમ તૈયાર રહેવું જોઈએ?

૧૪ આપણે યહોવાના ભક્ત બન્યા ત્યારે, પસ્તાવો કર્યો હતો અને ખરાબ બાબતોથી પાછા ફર્યા હતા. જોકે, પસ્તાવો કરતા રહેવું પડે છે. કારણ, આપણે અપૂર્ણ છીએ અને હજુય આપણામાં પાપ રહેલું છે. એ એક નાગ જેવું છે જે ડંખવા તૈયાર છે. (રોમ. ૩:૯, ૧૦; ૬:૧૨-૧૪) તેથી, ચાલો આપણે સાવચેત બનીએ અને પોતાની ખામીઓ વિશે બેદરકાર ન રહીએ. આપણે કેટલા ખુશ છીએ કે યહોવા આપણી સાથે ધીરજથી વર્તે છે. તે જોઈ શકે છે કે આપણે ખામીઓ દૂર કરવા અને જરૂરી ફેરફાર કરવા ખંતથી પ્રયત્નો કરીએ છીએ. (ફિલિ. ૨:૧૨; ૨ પીત. ૩:૯) સમય અને શક્તિનો ઉપયોગ સ્વાર્થ માટે નહિ પણ, યહોવાની ભક્તિ માટે કરીએ. આપણાં એક બહેન લખે છે, ‘મારો ઉછેર સત્યમાં થયો હતો. પરંતુ, યહોવા માટે મારા વિચારો જુદા હતા. હું તેમનાથી ઘણી ડરતી. મને લાગતું કે હું તેમને કદી ખુશ નહિ કરી શકું.’ સમય જતા, આ બહેને ઘણી ભૂલો કરી. બહેન આગળ જણાવે છે, ‘એવું નહોતું કે મને યહોવા માટે પ્રેમ ન હતો. પરંતુ, હું તેમને ખરા અર્થમાં જાણતી નહોતી. જોકે, દિલથી કરેલી ઘણી પ્રાર્થનાઓ પછી, હું ખરાબ કામોથી પાછી ફરી શકી. હું જોઈ શકી કે યહોવા મને એક બાળકની જેમ દોરે છે. એક પછી એક નડતરો દૂર કરવાં, તે મને પ્રેમથી મદદ કરતા અને બતાવતા કે મારે શું કરવાની જરૂર છે.’

૧૫. ઈસુ અને તેમના પિતા શાની નોંધ લે છે?

૧૫ ખુશખબર “લોકોને કહી સંભળાવો.” પીતર અને બીજા પ્રેરિતોને ચમત્કારિક રીતે જેલમાંથી છોડાવ્યા પછી, એક સ્વર્ગદૂતે એ શબ્દો કહ્યા હતા. (પ્રે.કૃ. ૫:૧૯-૨૧) હા, દર અઠવાડિયે પ્રચારની ગોઠવણમાં ભાગ લેવો, એ પણ આપણી યાદીમાં એક બાબત છે. ઈસુ અને તેમના પિતા યહોવા, આપણાં વિશ્વાસ અને પ્રચાર કામની નોંધ લે છે. (પ્રકટી. ૨:૧૯) અગાઉ આપણે જે વડીલની વાત કરી તે જણાવે છે કે ‘પ્રચાર કામ આપણા જીવનમાં સૌથી મહત્ત્વનું હોવું જોઈએ.’

૧૬. યહોવાને તમે જે સમર્પણ કર્યું એના પર વિચાર કરવો કેમ સારું છે?

૧૬ ઈશ્વરને તમે સમર્પણ કર્યું, એના પર વિચાર કરો. યહોવા સાથેનો આપણો સંબંધ સૌથી કીમતી છે. તે પોતાના લોકોને ઓળખે છે. (યશાયા ૪૪:૫ વાંચો.) તેથી, યહોવા સાથે તમારો સંબંધ કેવો છે, એની તપાસ કરો અને એને મક્કમ બનાવવા પ્રાર્થના કરો. ઉપરાંત, તમારા બાપ્તિસ્માનો વિચાર કરો, એ મહત્ત્વના દિવસને કદી ભૂલશો નહિ! યહોવાને સમર્પિત છો, એ તમે બાપ્તિસ્મા દ્વારા બતાવ્યું. તમારા જીવનના બધા નિર્ણયમાંથી, એ સૌથી મહત્ત્વનો નિર્ણય છે.

યહોવાને વળગી રહેવામાં થાકીએ નહિ

૧૭. યહોવાને વળગી રહેવામાં આપણે કેમ થાકવું ન જોઈએ?

૧૭ ગલાતીઆને લખેલા પત્રોમાં પાઊલે, થાકી ન જવા પર ભાર મૂક્યો. (ગલા. ૬:૯) આજે, આપણા માટે પણ એ પ્રમાણે કરવું જરૂરી છે. આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, પણ યહોવા આપણને મદદ કરે છે. તેથી, પ્રાર્થનામાં તેમની શક્તિ માંગતા રહીએ. યહોવા જ્યારે આપણાં દુઃખોને આનંદમાં અને ચિંતાઓને શાંતિમાં ફેરવે છે, ત્યારે આપણે ઘણી રાહત અનુભવીએ છીએ. (માથ. ૭:૭-૧૧) આનો વિચાર કરો: યહોવા ચકલીની પણ કાળજી રાખે છે. તમે તો ચકલી કરતાં ઘણા મહત્ત્વના છો, કેમ કે તમે યહોવાને પ્રેમ કરો છો અને જીવન તેમને સોંપ્યું છે. એટલે, યહોવા ચોક્કસ તમારી કાળજી રાખશે. (માથ. ૧૦:૨૯-૩૧) ભલે ગમે એટલી મુસીબતો આવે, કદી પાછા હટશો નહિ, કદી હાર માની લેશો નહિ! યહોવા આપણને ઓળખે છે. તેથી, આપણને ઘણા આશીર્વાદો મળ્યા છે અને મળશે.

૧૮. ‘ઈશ્વરને ઓળખ્યા’ પછી, આગળ શું કરશો?

૧૮ તમે હાલમાં જ ઈશ્વરને ઓળખીને બાપ્તિસ્મા લીધું હોય તો, આગળ શું કરશો? યહોવાને વધારે સારી રીતે ઓળખતા રહો અને તેમની ભક્તિમાં પ્રગતિ કરો. અને જો તમે ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરી રહ્યા છો, તો શું કરી શકો? યહોવામાં તમારો વિશ્વાસ વધુ ઊંડો બનાવો અને તેમના જ્ઞાનમાં વધતા રહો. યહોવા સાથે તમારા સંબંધને વધુને વધુ મક્કમ બનાવતા રહો. બધાએ ભક્તિની એ યાદી સમયે સમયે તપાસવી જોઈએ. અને યહોવાનો આપણી સાથે એક પિતા, મિત્ર અને ઈશ્વર તરીકેનો જે પ્રેમાળ સંબંધ છે, એને દૃઢ બનાવતા રહેવું જોઈએ.—૨ કોરીંથી ૧૩:૫, ૬ વાંચો.