સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે પૈસાના માલિક કે પૈસો તમારો માલિક!

તમે પૈસાના માલિક કે પૈસો તમારો માલિક!

તમે પૈસાના માલિક કે પૈસો તમારો માલિક!

આજે ચારે બાજુ પૈસા પૈસા ને પૈસાનો પ્રેમ જોવા મળે છે. શું તમને પણ પૈસાનો રોગ ચોંટ્યો છે? અહેવાલ પ્રમાણે દુનિયાના મોટાભાગના લોકોને પૈસાની બીમારી છે.

યુકેના ડૉ. રૉઝર હેન્ડરસન માનસિક રોગ વિષે સંશોધન કરે છે. તેમણે સૌથી પહેલા ‘પૈસાનો રોગ’ શબ્દ વાપરવાનું શરૂ કર્યું. પૈસાની ચિંતા કરતા હોય તેઓના તન-મન પર કેવી અસર પડે છે એ સમજાવવા તેમણે ‘રોગ’ શબ્દ વાપર્યો. તેમના કહેવા પ્રમાણે, પૈસાના રોગીઓને પૈસાની જ પડી હોય. એના લીધે તેઓનું માથું દુઃખે, ઊલટી થાય ક્યાં તો ગુમડાં થાય છે. તેમ જ, તેઓની ભૂખ મરી જાય. અરે, પૈસાના રોગીઓને તો ‘વગર ફોકટનો’ ગુસ્સો આવે. ગભરાઈ જાય કે ખોટા વિચારો આવે.

હાલમાં વધારે ને વધારે લોકોને પૈસાનો રોગ લાગ્યો છે. ઘણા દેશમાં પૈસાની કિંમત ઓછી થવાથી આખી દુનિયાને અસર થઈ છે. ઘણા લોકોએ પોતાનું ઘર ગુમાવ્યું છે. નોકરી ગુમાવી છે. બેંકમાં તેઓના પૈસાની કિંમત પણ ઓછી થઈ ગઈ છે. અરે, મોટી મોટી બેંક પણ ભાગી પડી છે. અમીર દેશોએ પણ ગરીબ ન થાય એ માટે અમુક પગલાં ભર્યાં છે. ગરીબ દેશોમાં પણ જીવન જરૂરી વસ્તુઓ અને ખોરાકના ભાવ વધી ગયા છે.

ઘણું હોય તોપણ પૈસાની તકલીફ ઊભી થાય છે. હાલમાં વધારે પૈસા હોય તેઓને પણ પૈસાનો રોગ લાગ્યો છે. દાખલા તરીકે, સાઉથ આફ્રિકાનું એક છાપું જણાવે છે, ‘આફ્રિકામાં ધન-દોલત વધી રહ્યા છે. તોપણ પૈસાનો રોગ ફાટી નીકળ્યો છે. લોકોને વધારે ને વધારે સંપત્તિ મેળવવી છે.’ છાપામાં એ પણ જણાવ્યું છે કે આ રોગને લીધે લોકો ‘સ્ટ્રેસમાં’ હોય છે. દેવામાં ડૂબી જાય છે. વધારે કામની ચક્કીમાં પીસાય છે. મોંઘી મોંઘી વસ્તુઓ ખરીદીને, થોડા દિવસમાં ફેંકી દે છે. કંજૂસ બને છે.’ આફ્રિકામાં પૈસાને કારણે લોકોના જીવનમાં સુખ-શાંતિ નથી રહ્યાં.

પૈસાની કિંમત ઓછી થઈ ગઈ એ પહેલાં ભારતમાં નોકરી-ધંધો વધી રહ્યો હતો. ઇન્ડિયા ટુડે ઈન્ટરનેશનલ રિપૉર્ટ જણાવે છે કે ૨૦૦૭ના વર્ષમાં ‘લોકો જાણે રાતો-રાત અમીર થઈ ગયા.’ અધિકારીઓને ડર હતો કે એ કારણે હિંસા વધી શકે છે ને લોકોની ઊંઘ હરામ થઈ શકે છે.

પૈસાની કિંમત ઓછી થઈ ગઈ એ પહેલાં અમેરિકાના યુવાનિયાઓને મોંઘી મોંઘી વસ્તુઓ ખરીદવાની ટેવ પડી ગઈ. પણ એનાથી આનંદ મળતો ન હતો. સંશોધન પ્રમાણે ઘણા પૈસાદાર લોકો દારૂડિયા થઈ ગયા. વધુ ને વધુ ઉદાસ થઈ ગયા. આપઘાત કરવાની સંખ્યા પણ વધી ગઈ. એક સ્ટડીએ બતાવ્યું કે અમેરિકામાં બધા જ ધનવાનો સુખી નથી. ખાલી ૩૫ ટકા ધનવાનો ‘ખરેખર સુખી છે.’

સિક્કાની બીજી બાજું

બીજી બાજું જોઈએ તો ગમે એવો સમય હોય પણ અમુક ગરીબ અને પૈસાદાર લોકો પૈસાની હાયહાય કરતા નથી. આવું કેમ?

ધ મિનીંગ ઑફ મની જણાવે છે કે અમુક લોકો માટે ‘પૈસો જ પરમેશ્વર છે. એ કારણે તેઓને માનસિક બીમારી થાય છે. પણ જેઓ જેમતેમ પૈસા ઉડાવતા નથી તેઓને શાંતિ હોય છે. અમને જોવા મળ્યું છે કે સમજી-વિચારીને ખર્ચ કરે છે તેઓને કોઈ જાતની ચિંતા નથી હોતી.’

તમારા વિષે શું? હમણાં પૈસાની બાબતે જે અસલામતી છે એની તમારા પર કેવી અસર છે? શું તમે પૈસાના માલિક છો કે પૈસો તમારો માલિક છે? કદાચ તમને પૈસાનો રોગ ન હોય. પણ તમે ગરીબ હોવ કે ધનવાન, દરેકને અમુક હદે પૈસાની થોડી ઘણી ચિંતા તો હશે જ. હવે પછીના લેખમાં જોઈશું કે પૈસાને કેવી રીતે વાપરીએ તો શાંતિથી જીવી શકાય. (g09 03)

[પાન ૪ પર બોક્સ/ચિત્ર]

તમે પૈસાના દાસ બનશો જો . . .

તમે ચિંતાને કારણે પૈસા વિષે કોઈ ચર્ચા જ ન કરો

પૈસાને લીધે કુટુંબમાં ઝઘડા થતા હોય

વગર વિચાર્યે પૈસા વેડફી નાખો

દેવા વિષે સતત ચિંતા કરતા હોય

કેટલું કમાવ છો એ જાણતા ન હોય

કેટલું ખર્ચો છો એની પણ જાણ ન હોય

દેવું કેટલું છે એ જાણતા ન હોવ

ધાર્યા કરતાં વધારે બીલ આવ્યું હોય

બીલ મોડા મોડા ચૂકવતા હોય

ક્રેડિટ કાર્ડ પર લીધેલા માલ માટે વધારે ઈન્ટરેસ્ટ ભરતા હોય

બીજી વસ્તુ માટે રાખેલા પૈસાથી તમે બીલ ચૂકવતા હોય

બીલ ચૂકવવા માટે વધારે પડતું કામ કરતા હોય

એક લોનનું દેવું ચૂકવવા બીજી લોન લો

રોજબરોજના બીલ ચૂકવવા બચત વાપરી નાખતા હોવ

મહિનાના અંતે બધા જ પૈસા ખલાસ થઈ ગયા

પૈસા ભેગા કર્યે જ રાખો અને વાપરો નહિ

પૈસાની તાણને લીધે કોઈ બીમારી થાય

[ક્રેડીટ લાઈન]

Source: Money Sickness Syndrome, by Dr. Roger Henderson