યુગલો માટે
૧: વફાદાર રહો
એનો શું અર્થ થાય?
જે પતિ-પત્ની લગ્નને જીવનભરનો સાથ માને છે અને લગ્નનું વચન નિભાવે છે, તેઓમાં પરસ્પર સલામતીની ભાવના રહે છે. તેઓને ભરોસો હોય છે કે પોતાનું સાથી ક્યારેય દગો દેશે નહિ, અરે અઘરા સંજોગોમાં પણ નહિ.
અમુક યુગલો સમાજ કે કુટુંબના દબાણને લીધે પડ્યું પાનું નિભાવી લે છે. જોકે, પરસ્પર પ્રેમ અને આદર હશે તો, લગ્નબંધન નિભાવવું વધારે સહેલું થઈ પડશે.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “પતિએ પોતાની પત્નીને છોડી દેવી નહિ.”—૧ કોરીંથીઓ ૭:૧૧.
‘જો તમે લગ્નબંધન નિભાવવા ચાહતા હશો, તો નાની નાની વાતે ખોટું નહિ લગાડો. તમે માફી આપવા અને માફી માંગવા તત્પર રહેશો. મુશ્કેલીને તમે એક નાની તકરાર તરીકે જોશો, એને મોટા ઝઘડાનું સ્વરૂપ નહિ આપો, જે છૂટાછેડા તરફ દોરી જાય છે.’—માયકા.
એ કેમ મહત્ત્વનું છે?
મુશ્કેલીઓ આવે ત્યારે, જે યુગલો લગ્ન પ્રત્યે ગંભીર નથી તેઓ મોટા ભાગે આવા તારણ પર આવે છે, ‘અમને એકબીજા સાથે ફાવતું નથી!’ અને પછી તેઓ છૂટાછેડા માટેના બહાના શોધે છે.
‘મોટા ભાગના લોકો એ ઇરાદાથી લગ્નબંધનમાં જોડાય છે કે, માફક નહિ આવે તો છૂટાછેડા લઈ લેશે. એવું વિચારતા લોકો શરૂઆતથી જ લગ્નબંધન નિભાવવા વિશે ગંભીર હોતા નથી.’—જીન.
તમે શું કરી શકો?
પોતાની તપાસ કરો
ઝઘડો થાય ત્યારે . . .
-
તમારા સાથી જોડે લગ્ન કર્યાનો શું તમને અફસોસ થાય છે?
-
શું તમે બીજા કોઈ સાથે રહેવાનાં સપનાં જુઓ છો?
-
શું તમે આવું કહો છો કે, ‘હું તને છોડીને ચાલ્યો જઈશ’ કે પછી ‘જોજે ને, મારી કદર કરે એવા કોઈકને હું શોધી કાઢીશ’?
જો આમાંનાં એક પણ સવાલનો જવાબ તમે હામાં આપો, તો તમારા લગ્નબંધનને મજબૂત કરવાનો સમય પાકી ગયો છે.
તમારા સાથી જોડે વાત કરો
-
શું આપણું લગ્નબંધન નબળું પડી રહ્યું છે? જો હા, તો શા માટે?
-
લગ્નબંધન મજબૂત બનાવવા આપણે કયા પગલાં લઈ શકીએ?
સૂચનો
-
કેટલીક વાર તમારા લગ્નસાથીને પ્રેમપત્ર લખો
-
કામના સ્થળે તમારા લગ્નસાથીનો ફોટો રાખો
-
નોકરી પર હો કે એકબીજાથી દૂર હો ત્યારે દરરોજ તમારા સાથીને ફોન કે મૅસેજ કરો
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.”—માથ્થી ૧૯:૬.