સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સોળ

એકલા ખરા ઈશ્વરની ભક્તિ કરો

એકલા ખરા ઈશ્વરની ભક્તિ કરો
  • મૂર્તિપૂજા વિશે બાઇબલ શું શીખવે છે?

  • તહેવારો વિશે બાઇબલ શું જણાવે છે?

  • તમે કઈ રીતે સાચી માન્યતા બીજાઓને શાંતિથી સમજાવી શકો?

૧, ૨. શેતાનથી આવેલો ધર્મ છોડ્યા પછી પણ કયા સવાલ પર વિચાર કરવો જોઈએ? એ કેમ મહત્ત્વનું છે?

માનો કે તમારા પીવાના પાણીમાં કોઈએ છૂપી રીતે ઝેર નાખ્યું છે. તમને એની ખબર પડે તો શું કરશો? શું એ પીશો? ના. તમે ચોખ્ખું પાણી શોધશો, ખરું ને? તોપણ, તમારા મનમાં એ શંકા તો થવાની જ કે ‘મને ઝેર તો નથી ચઢ્યું ને?’

શેતાનથી આવેલા સર્વ જૂઠા ધર્મો પણ ઝેરી પાણી જેવાં છે. બાઇબલ જણાવે છે કે એમાં માણસોનું શિક્ષણ અને રીત-રિવાજોનું ઝેર ભરેલું છે. (૨ કરિંથી ૬:૧૭) તમે ‘મહાન બાબેલોન,’ એટલે કે સર્વ જૂઠા ધર્મોમાંથી નીકળી આવો. એનાથી એકદમ દૂર જ રહો. (પ્રકટીકરણ ૧૮:૨, ૪) જો તમે એમ કર્યું હોય, તો બહુ જ સારું કહેવાય. પરંતુ વાત એટલેથી જ પતી જતી નથી. એ પણ વિચારો કે ‘હજુ હું કોઈ ખોટા રીત-રિવાજ કે માન્યતામાં માનું છું?’ ચાલો અમુક ઉદાહરણ લઈએ.

મૂર્તિપૂજા અને શ્રાદ્ધ

૩. (ક) મૂર્તિપૂજા વિશે બાઇબલ શું જણાવે છે? અમુકને એ કેમ મુશ્કેલ લાગી શકે? (ખ) તમારી પાસે નકલી ધર્મને લગતી કોઈ ચીજ-વસ્તુ હોય તો શું કરવું જોઈએ?

કદાચ તમારા ઘરમાં નાનું મંદિર હશે, જ્યાં તમે વર્ષોથી મૂર્તિઓની પૂજા કરતા હશો. તમને એ મૂર્તિઓ વહાલી હશે. એમ પણ લાગે કે એ મૂર્તિઓ કે કોઈ ફોટા વગર ભગવાનને કઈ રીતે પ્રાર્થના કરી શકાય? પરંતુ ઈશ્વર પોતે જ જણાવે છે કે આપણે તેમની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ. ઈશ્વરે બાઇબલમાં સાફ સાફ જણાવ્યું છે કે તેમની ભક્તિ કરવા કોઈ મૂર્તિ કે ફોટા ન રાખવા અને એને ન નમવું. (નિર્ગમન ૨૦:૪, ૫; ગીતશાસ્ત્ર ૧૧૫:૪-૮; યશાયા ૪૨:૮; ૧ યોહાન ૫:૨૧) યહોવાને મૂર્તિથી સખત નફરત છે. આપણે પણ એમ જ કરીએ. (પુનર્નિયમ ૨૭:૧૫) જો તમારે ઈશ્વરના કહેવા પ્રમાણે ભક્તિ કરવી હોય, તો મૂર્તિ જેવી નકલી ધર્મને લગતી કોઈ પણ ચીજ-વસ્તુ ઘરમાંથી કાઢી નાખો.

૪. (ક) ગુજરી ગયેલાં સગાં-વહાલાં પાછળ શ્રાદ્ધ વગેરે વિધિ કરવી કેમ નકામી છે? (ખ) યહોવાએ શા માટે પોતાની પ્રજાને કોઈ પણ જાતની મેલીવિદ્યામાં ભાગ લેવાની મનાઈ કરી?

ઘણા ધર્મોમાં લોકો શ્રાદ્ધ કરે છે. તેઓ માને છે કે ગુજરી ગયેલાંનો આત્મા ક્યાંક ભટકે છે. એ તેઓને મદદ કરશે અથવા શાપ આપશે. એ આત્માને ખુશ રાખવા તેઓ જાત-જાતની વિધિઓ કરે છે. પણ આપણે છઠ્ઠા પ્રકરણમાં બાઇબલનું સનાતન સત્ય શીખ્યા. તમે જોયું કે આપણામાં આત્મા જેવું કંઈ જ નથી. ગુજરી ગયેલી વ્યક્તિમાં કંઈ જ બચતું નથી. જો તમને કોઈ કહે કે ગુજરી ગયેલી વ્યક્તિ પાસેથી સંદેશો મળે છે, તો એ તેની પાસેથી આવ્યો નથી. એ તો શેતાનના દૂતો તરફથી આવ્યો છે. એટલે જ યહોવાએ પોતાની ઇઝરાયલી પ્રજાને એવું કંઈ પણ કરવાની સખત મનાઈ કરી હતી. યહોવાની નજરે એ તો મેલીવિદ્યા હતી.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨.

૫. તમે મૂર્તિપૂજા કે શ્રાદ્ધની માન્યતા છોડવા શું કરશો?

તમે કદાચ હમણાં સુધી શ્રાદ્ધ કે મૂર્તિની પૂજા કરતા હશો. હવે તમે શું કરશો? સૌથી પહેલા વિચારો કે યહોવા એના વિશે શું કહે છે. એના પર ઘણી બાઇબલ કલમો છે. એ વાંચો. વિચાર કરો. યહોવાને વારંવાર પ્રાર્થના કરો કે તમે તેમની જ ભક્તિ કરવા ચાહો છો. તેમની પાસે હિંમત માંગો, મદદ માંગો. તેમને વિનંતી કરો કે આ વિશે તમે પણ તેમની જેમ જ વિચારી શકો.—યશાયા ૫૫:૯.

ઈસુના શિષ્યો નાતાલ ઊજવતા ન હતા

૬, ૭. (ક) લોકો શા માટે નાતાલ ઊજવે છે? શું ઈસુના શિષ્યોએ નાતાલ ઊજવી હતી? (ખ) જન્મદિવસ ઊજવવાનો રિવાજ ક્યાંથી આવ્યો?

માણસોએ બનાવેલા જૂઠા તહેવારો પણ તમારી ભક્તિને ઝેરી બનાવી દેશે. જેમ કે ક્રિસમસ અથવા નાતાલ. બધા ચર્ચના ખ્રિસ્તીઓ નાતાલને ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ માને છે. પણ પહેલી સદીમાં ઈસુના શિષ્યોએ નાતાલ ઊજવી હોય, એવું ક્યાંય જોવા મળતું નથી. ઊંડી ઊંડી માન્યતાઓ ક્યાંથી આવી વિષય પરનું અંગ્રેજી પુસ્તક કહે છે: ‘ખ્રિસ્તના જન્મ પછી લગભગ બસો વર્ષ સુધી કોઈ જાણતું ન હતું કે ઈસુનો જન્મ ક્યારે થયો હતો. અરે, એ જાણવામાં કોઈને રસ પણ ન હતો.’

ઈસુના શિષ્યોને તેમનો જન્મદિવસ ખબર હોત તોપણ, તેઓએ એ ઊજવ્યો ન હોત. કેમ નહિ? અંગ્રેજી વિશ્વ જ્ઞાનકોશ કહે છે: ઈસુના શિષ્યો માનતા હતા કે ‘કોઈનો પણ જન્મદિવસ ઊજવવો ખોટું છે. એ રિવાજ નકલી ધર્મોમાંથી આવ્યો છે.’ બાઇબલ ફક્ત બે રાજાઓના જન્મદિવસ વિશે જણાવે છે. એ બંને જૂઠા ધર્મોમાં માનતા હતા. (ઉત્પત્તિ ૪૦:૨૦; માર્ક ૬:૨૧) જૂના જમાનામાં લોકો અનેક દેવ-દેવીઓમાં માનતા. તેઓના જન્મદિવસ પણ ઊજવતા. જેમ કે મે, ૨૪ના દિવસે રોમન લોકો ડાયેના નામની દેવીનો જન્મદિવસ ઊજવતા. મે ૨૫ના દિવસે અપોલો નામના સૂર્યદેવનો જન્મદિવસ ઊજવતા. આમ, જન્મદિવસ ઊજવવાનો રિવાજ ઈશ્વરે નહિ, પણ માણસોએ શરૂ કર્યો છે.

૮. જન્મદિવસની ઉજવણી અને મેલીવિદ્યાને શું સંબંધ છે?

ઈસુના શિષ્યોએ તેમનો જન્મદિવસ ન ઊજવ્યો, એનું બીજું કારણ પણ છે. તેમના શિષ્યો ચોક્કસ એ જાણતા હશે કે જન્મદિનની ઉજવણી મેલીવિદ્યા અને અંધશ્રદ્ધાને લીધે પણ કરવામાં આવે છે. દાખલા તરીકે, એ જમાનામાં ગ્રીક અને રોમનો માનતા કે દરેક બાળકના જન્મદિવસે એક આત્મા ત્યાં આવતો. પછી એ જિંદગીભર બાળકનું રક્ષણ કરતો. આના વિશે જન્મદિવસના રિવાજો વિષય પર અંગ્રેજી પુસ્તક કહે છે: ‘દેવ-દેવીના જન્મદિવસ મુજબ બાળકને આત્મા મળતો. એ આત્મા કોઈ જાદુથી દેવ-દેવીઓ સાથે જોડાયેલો રહેતો.’ મેલીવિદ્યાથી યહોવાને સખત નફરત છે, એટલે ઈસુ સાથે એને કોઈ સંબંધ હોઈ જ કેમ શકે! (યશાયા ૬૫:૧૧, ૧૨) તો સવાલ થાય કે શા માટે આટલા બધા લોકો નાતાલ ઊજવે છે?

નાતાલની શરૂઆત ક્યાંથી થઈ?

૯. ઈસુના જન્મદિવસ માટે ૨૫ ડિસેમ્બરની તારીખ કઈ રીતે નક્કી થઈ?

લોકો પચ્ચીસમી ડિસેમ્બરે ઈસુનો જન્મદિવસ ક્યારથી ઊજવવા લાગ્યા? ઈસુ ધરતી પર આવ્યા એના ત્રણસો જેટલાં વર્ષો પછી. તોપણ, હકીકતમાં ઈસુનો જન્મ ૨૫ ડિસેમ્બરે થયો જ ન હતો! * પણ લાગે છે કે તેમનો જન્મ ઑક્ટોબરમાં થયો હતો. તો પછી કેમ લોકો એ તારીખે તેમનો જન્મદિવસ ઊજવવા લાગ્યા? એ જમાનામાં અમુક લોકો ખ્રિસ્તી હોવાનો દાવો કરતા, પણ ઈસુને પગલે ચાલતા ન હતા. તેઓ ‘૨૫મી ડિસેમ્બરે “સૂર્યનો જન્મદિવસ” ઊજવતા. રોમન ધર્મની એ ઉજવણી સાથે સાથે નાતાલની પણ ઉજવણી થાય એવું તેઓ ચાહતા હતા.’ (ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા) યુરોપ અને ઇઝરાયલ જેવા દેશોમાં શિયાળામાં સૂરજની ગરમી અને પ્રકાશ એકદમ ઓછા થઈ જતા. એટલે જાણે દૂર મુસાફરીએ ગયેલા સૂરજને પાછો બોલાવવા એ લોકો જાત-જાતની વિધિઓ કરતા. એમ માનવામાં આવતું કે ૨૫મી ડિસેમ્બરે સૂર્ય પાછો આવવા માટે મુસાફરી શરૂ કરતો. ખ્રિસ્તી ધર્મગુરુઓએ એ તહેવારને મારી-મચકોડીને ‘ખ્રિસ્તી તહેવાર’ બનાવી દીધો, જેથી બીજા ધર્મના લોકો પણ ખ્રિસ્તી બને. *

૧૦. અમુક સમય સુધી લોકો શા માટે નાતાલ ઊજવતા ન હતા?

૧૦ નાતાલનાં મૂળ શેતાનના ધર્મોમાં છે, એ હકીકત ઘણા લોકો જાણતા હતા. એટલે જ ૧૭મી સદીમાં ઇંગ્લૅંડમાં અને અમેરિકાની અમુક જગ્યાઓમાં નાતાલ ઊજવવાની સખત મનાઈ હતી. એ દિવસે કોઈ નોકરી-ધંધા પર ન જાય તો દંડ ભરવો પડતો. પણ થોડા સમયમાં લોકો ફરી જૂના રિવાજો પાળવા લાગ્યા. નવા રિવાજો સાથે ભેળસેળ કરી. ફરીથી નાતાલ એક મોટો તહેવાર બની ગયો અને ઘણા દેશો આજે પણ એને ધામધૂમથી ઊજવે છે. પરંતુ જેઓ યહોવાની રીતે તેમની ભક્તિ કરવા માંગે છે, તેઓ નાતાલ મનાવતા નથી. એના જેવા બીજા કોઈ તહેવારો પણ ઊજવતા નથી, જેનાં મૂળ માણસોના ધર્મોમાંથી છે. *

તહેવારોનાં મૂળ જાણવા જરૂરી છે?

૧૧. અમુક લોકો શા માટે તહેવારો ઊજવે છે? પણ આપણે સૌથી પહેલા કોનો વિચાર કરવો જોઈએ?

૧૧ અમુક જાણે છે અને માને પણ છે કે નાતાલ જેવા તહેવારો જૂઠા ધર્મોમાંથી આવે છે. એ માણસોએ જ બનાવ્યા છે. તોપણ તેઓ કહેશે કે ‘એમાં શું ખોટું છે? તહેવાર ઊજવતી વખતે, એવું કોણ વિચારવા બેસે કે એ ક્યાંથી ઊતરી આવ્યો છે? આ તો એ બહાને બધા ભેગા થાય, હળે-મળે ને મજા કરે.’ કદાચ તમને પણ એવું લાગે. ખરું કે તમારે માણસોએ બનાવેલો ધર્મ છોડવો છે. પણ પરિવારને એમ ન કરવું હોય તો તમને બહુ અઘરું લાગી શકે. ખબર ન પડે કે શું કરવું અને શું ન કરવું. પણ મૂંઝાઈ ન જાવ. યહોવાએ પોતે કુટુંબની ગોઠવણ કરી છે. તે ચાહે છે કે તમે તમારાં સગાં સાથે, મિત્રો સાથે હળો-મળો. (એફેસી ૩:૧૪, ૧૫) માણસોએ બનાવેલા આવા તહેવાર ઊજવીને કુટુંબને ખુશ કરવાને બદલે, એવી બીજી ઘણી રીતો છે જેનાથી આપણે તેઓને ખુશ કરી શકીએ. એનાથી યહોવા પણ ખુશ થાય છે. આપણે સૌથી પહેલા કોનો વિચાર કરવો જોઈએ? ઈશ્વરભક્ત પાઉલે કહ્યું: ‘પ્રભુ શાનાથી પ્રસન્ન થાય છે એ જાણો.’ ધ્યાન રાખો કે તમે હંમેશાં એમ કરતા રહો.—એફેસી ૫:૧૦.

શું તમે ગટરમાં પડેલી લોલીપોપ મોંમાં નાખશો?

૧૨. ઉદાહરણ આપીને સમજાવો કે જૂઠા ધર્મોમાંથી આવતા તહેવારો અને રિવાજો કેમ ન પાળવા જોઈએ?

૧૨ કદાચ તમને થાય કે ભલે તહેવાર ગમે ત્યાંથી શરૂ થયો હોય, એનું આજે શું? આજે એની ઉજવણી અને તહેવારના મૂળ સાથે કોઈ જ લેવા-દેવા નથી. શું તમારે એ જાણવાની જરૂર છે કે તહેવાર ક્યાંથી શરૂ થયો? હા, ચોક્કસ! એક ઉદાહરણ લો: તમને લોલીપોપ બહુ જ ભાવે છે. ગંદા પાણીની ગટરમાં તમે એક લોલીપોપ પડેલી જુઓ છો. શું તમે એ ઉપાડીને મોંમાં મૂકી દેશો? ના રે ના, એ તો ગંદી છે! એ જ રીતે, કોઈ તહેવાર તમારો મનગમતો હોઈ શકે. પણ મૂળ તો એ જૂઠા ધર્મોના કીચડમાંથી આવ્યો. એટલે આપણે ઈશ્વર રાજી થાય એ રીતે ભજવા શું કરવું જોઈએ? ઈશ્વરભક્ત યશાયાએ કહ્યું: ‘કોઈ પણ અશુદ્ધ વસ્તુને અડકો નહિ.’—યશાયા ૫૨:૧૧.

સમજી-વિચારીને વર્તો

૧૩. તમે કોઈ તહેવારો નહિ ઊજવો ત્યારે કેવી તકલીફો થઈ શકે?

૧૩ તમે કોઈ તહેવાર ન ઊજવો ત્યારે મુશ્કેલીઓ ઊભી થઈ શકે. દાખલા તરીકે, નોકરી-ધંધા પર લોકો એ ન પણ સમજે કે તમે કેમ અમુક તહેવારો ઊજવતા નથી, કેમ અમુક રીત-રિવાજો માનતા નથી. જો કોઈ તમને નાતાલ વખતે ભેટ આપે તો શું કરશો? એ લેવામાં કંઈ ખોટું છે? તમારા જીવનસાથી યહોવામાં ન માનતા હોય ત્યારે શું કરવું? કોઈ તહેવાર ન ઊજવો તો તમારા બાળકોને કેવું લાગશે? તેઓ માટે શું કરી શકો જેથી તેઓ રિસાઈ ન જાય?

૧૪, ૧૫. તમને કોઈ તહેવાર પર શુભેચ્છા પાઠવે કે ભેટ આપે તો શું કરશો?

૧૪ દરેક સંજોગમાં સમજી-વિચારીને વર્તો. જો તહેવારને લીધે કોઈ તમને શુભેચ્છા પાઠવે તો તમે શું કરશો? તમે તેમનો આભાર માની શકો. જો નોકરી-ધંધા પર કે વારંવાર મળતી કોઈ વ્યક્તિ તહેવારની શુભેચ્છા પાઠવે તો શું? તમે તમારી માન્યતા વિશે થોડું-ઘણું સમજાવી શકો. હંમેશાં સમજી-વિચારીને બોલો, જેથી તેઓને ખોટું ન લાગે. બાઇબલ આવી સલાહ આપે છે: ‘તમારી વાણી હંમેશાં મધુર હોય, જેથી દરેકને યોગ્ય જવાબ આપી શકો.’ (કલોસી ૪:૬) કોઈનું અપમાન ન કરો. તમારી માન્યતા શાંતિથી સામેવાળાને સમજાવો. જણાવો કે ભેટ આપવામાં કે સગાં અને મિત્રો સાથે ભેગા મળવામાં તમને કંઈ વાંધો નથી. પણ તમે આ તહેવારમાં નથી માનતા, એટલે આ બધું તમે બીજા કોઈ સમયે કરશો.

૧૫ કોઈ તમને ભેટ આપે તો શું કરશો? તમારે જોવું પડશે કે સંજોગો કેવા છે. ભેટ આપનાર કદાચ કહે, ‘મને ખબર છે કે તમે આ તહેવારમાં માનતા નથી. પણ મારે તમને આ ભેટ આપવી જ છે.’ એવા સમયે તમે ભેટ લેશો તો, એવું નહિ લાગે કે તમે તહેવારમાં માનો છો. જો ભેટ આપનાર તમારી માન્યતાથી અજાણ હોય, તો પહેલા સમજાવી શકો કે શા માટે તમે એ તહેવારમાં માનતા નથી. એટલે સામેવાળી વ્યક્તિ સમજી શકશે કે તમે આવા તહેવારે ભેટ સ્વીકારો છો, પણ સામે કેમ આપતા નથી. પણ જો કોઈ જાણીજોઈને તમને ભેટ આપે, જેથી એવું લાગે કે તમે પણ એ તહેવારમાં માનો છો ત્યારે શું? અથવા તમને એવા ઇરાદાથી મોંઘી ભેટ આપે જેથી તમે ધર્મને એક બાજુ મૂકી દેવા તૈયાર થઈ જાવ, તો શું? એવા સંજોગોમાં તમે ભેટ ન લો તો સારું થશે.

પરિવારમાં તહેવાર ઊજવાય તો શું?

૧૬. તહેવારોની ઉજવણી વખતે તમે કેવી રીતે પરિવાર સાથે સમજી-વિચારીને વર્તી શકો?

૧૬ કદાચ પરિવારમાં ફક્ત તમે જ યહોવાને ભજો છો. તમારાં સગાં-વહાલાં ઘરમાં કોઈ રિવાજ કે તહેવાર ઊજવે, ત્યારે પણ સમજી-વિચારીને વર્તો. એમાં વાંધો ન ઉઠાવો. જેમ તમારી પોતાની ચુસ્ત માન્યતા છે, એમ તેઓની પણ પોતાની મરજી છે. જેમ તમે ચાહો છો કે તેઓ તમારી માન્યતાનું માન રાખે, તેમ તમે પણ તેઓની માન્યતાનું માન રાખો. (માથ્થી ૭:૧૨) છતાં પણ ધ્યાન રાખો કે તમે એવા કોઈ તહેવારમાં ફસાઈ ન જાઓ. ઘણી નાની નાની બાબતો તહેવાર સાથે જોડાયેલી નથી હોતી. એમાં કુટુંબને સાથ આપો. પણ જે કંઈ કરો એ બહુ સમજી-વિચારીને કરો, એટલે પાછળથી તમારું મન ડંખે નહિ.—૧ તિમોથી ૧:૧૮, ૧૯.

૧૭. ભલે આપણે તહેવારો ઊજવતા નથી, બાળકો માટે બીજું શું કરી શકીએ?

૧૭ તમે તહેવારો ન ઊજવો, ત્યારે બાળકોને કેવું લાગે છે? શું તેઓને લાગે છે કે હવે તેઓ ક્યારે મોજ-મજા કરશે? તેઓ માટે તમે શું કરી શકો? સંજોગ મુજબ બીજા સમયે બાળકોને ભેટ આપી શકો. સગાં અને મિત્રો સાથે ભેગા મળવાનો કે પિકનિકનો પ્લાન બનાવી શકો. પણ તમારાં બાળકોને સૌથી વધારે શાની જરૂર છે? મોંઘી મોંઘી ભેટની નહિ, પણ તમારી વધારે જરૂર છે. તેઓ સાથે રમો, વાતો કરો, દરેક રીતે તેઓ પર પ્રેમ વરસાવો.

એકલા સાચા ઈશ્વરને ભજતા રહો

ઈશ્વરને ગમે છે એવી ભક્તિ કરીશું તો, આપણું જીવન ખુશીઓથી ભરાઈ જશે

૧૮. યહોવાના સાક્ષીઓ સાથે ભેગા મળવાથી તમને કેવી મદદ મળશે?

૧૮ ઈશ્વરની કૃપા પામવા, શેતાનના જૂઠા ધર્મો અને રીત-રિવાજોમાંથી નીકળી આવો. ફક્ત યહોવાને ગમે એવી ભક્તિ કરો. એ માટે તમને બીજે ક્યાંથી મદદ મળશે? બાઇબલ કહે છે: ‘આપણે એકબીજાની કાળજી રાખીએ, મદદ કરીએ અને પ્રેમ બતાવીએ તથા સારાં કાર્યો કરીએ. કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ. એને બદલે, પ્રભુના દિવસને નજીક આવતો જોઈએ, તેમ આપણે એકબીજાને વધુને વધુ ઉત્તેજન આપીએ.’ (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) યહોવાના સાક્ષીઓ સાથે ભેગા મળીને યહોવાની ભક્તિ કરો. ઈશ્વર પાસેથી શીખો. તેમની ભક્તિ કરવાની તમારી હોંશ હજુ વધશે. ઈશ્વર એનાથી ખુશ થશે. (ગીતશાસ્ત્ર ૨૨:૨૨; ૧૨૨:૧) યહોવાના ભક્તોમાં તમે એવા મિત્રો બનાવી શકશો, જેઓ સુખમાં અને દુઃખમાં તમને સાથ આપશે.—રોમન ૧:૧૨.

૧૯. તમે બાઇબલમાંથી જે શીખ્યા એ બીજાઓને શા માટે જણાવવું જોઈએ?

૧૯ હવે તમે બીજાને પણ ઈશ્વરની ભક્તિ કરવા મદદ કરી શકો. કઈ રીતે? યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલનું જે સત્ય શીખ્યા છો, એ બીજાઓને પણ જણાવો. આજે ઘણા દુનિયાની હાલત જોઈને ‘નિસાસા નાખે’ છે. (હઝકિયેલ ૯:૪) તમારા મિત્રો કે સગાં-સંબંધીઓ પણ દુઃખ-તકલીફોથી તોબા તોબા પોકારતા હશે. તેઓને બાઇબલમાંથી અનેક આશીર્વાદો વિશે જણાવો. લાખો નિરાશામાં આશાનું કિરણ બતાવો. આ રીતે ઈશ્વરની ભક્તિ કરવા તમે યહોવાના ભક્તો સાથે હળો-મળો અને મિત્રો બનાવો. બીજાઓને બાઇબલનું અમૂલ્ય સત્ય જણાવો. તમે જેમ જેમ આમ કરશો, તેમ તેમ તમારા દિલમાં માણસોએ બનાવેલા તહેવારો ઊજવવાની ઇચ્છા ઓછી થતી જશે. યહોવાની રીતે ભક્તિ કરવાથી તમને બેહદ ખુશી મળશે. એનાથી તમને આશીર્વાદો, આશીર્વાદો ને આશીર્વાદો જ મળશે!—માલાખી ૩:૧૦.

^ ફકરો. 9 વધારે માહિતી માટે પાન ૨૨૦-૨૨૨ જુઓ.

^ ફકરો. 9 રોમન લોકોનો ખેતી-વાડીનો દેવ પણ હતો. એનું નામ શનિ હતું. તેના માટે ડિસેમ્બર ૧૭થી ૨૪ સુધી એક તહેવાર ઊજવાતો, જે સેટર્નેલિયા કહેવાતો. એમાં બસ લોકો ખાતા-પીતા, મજા કરતા ને એકબીજાને ભેટ આપતા. એ તહેવારને કારણે પણ ડિસેમ્બર ૨૫નો દિવસ નક્કી થયો હોઈ શકે.

^ ફકરો. 10 યહોવાના ભક્તો બીજા જાણીતા તહેવારો વિશે શું માને છે, એના વિશે વધારે જાણવા પાન ૨૨૨-૨૨૩ જુઓ.