સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી

શું આપણામાં આત્મા જેવું કંઈ છે?

શું આપણામાં આત્મા જેવું કંઈ છે?

ઘણા લોકો માને છે કે આપણામાં આત્મા છે. માણસ મરી જાય ત્યારે એ શરીરમાંથી નીકળીને જીવતો રહે છે. આ માન્યતા દુનિયાના ચારે ખૂણે પહોંચી ગઈ છે. જ્યારે લોકોને ખબર પડે કે બાઇબલ એવું કંઈ શીખવતું નથી, ત્યારે તેઓ માની જ નથી શકતા. ચાલો જોઈએ કે બાઇબલ મુજબ, મરણ વખતે વ્યક્તિનું શું થાય છે.

બાઇબલ શું શીખવે છે?

ઘણા ગુજરાતી બાઇબલમાં તમને ‘આત્મા’ શબ્દ જોવા મળશે. એ શબ્દ બાઇબલના મૂળ હિબ્રૂ શબ્દ રુઆખ અને ગ્રીક શબ્દ નેફમાનો અનુવાદ છે. પણ ગુજરાતીમાં એ હિબ્રૂ ને ગ્રીક શબ્દોનો ખોટો અનુવાદ થયો છે. બાઇબલનાં મૂળ લખાણો બતાવે છે કે રુઆખ અને નેફમાનો એક અર્થ શ્વાસ કે જીવનનો શ્વાસ થાય છે. એ સર્વ મનુષ્ય અને પશુ-પંખીઓમાં હોય છે. પણ એ શ્વાસનો અર્થ એ નથી કે આપણામાં આત્મા જેવું કંઈ છે. દાખલા તરીકે, મોટા ભાગના ગુજરાતી બાઇબલમાં યાકૂબ ૨:૨૬ આમ કહે છે: “શરીર આત્મા [નેફમા] વગર નિર્જીવ છે.” લોકોને આ વાંચીને લાગે કે આપણામાં આત્મા છે. પણ મૂળ લખાણ પ્રમાણે, આ કલમનો ખરો અનુવાદ આમ હોવો જોઈએ: “શ્વાસ વગર શરીર એક લાશ જ છે.” ગુજરાતી બાઇબલના અનુવાદકોએ નેફમા અને રુઆખને માટે અમુક જગ્યાએ ‘જીવનનો શ્વાસ’ મૂકીને ખરો અનુવાદ કર્યો છે. દાખલા તરીકે, નૂહના જમાનામાં આવેલા જળપ્રલય પહેલાં ઈશ્વરે ઉત્પત્તિ ૬:૧૭માં કહ્યું: “સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ [રુઆખ] છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ.” (ઉત્પત્તિ ૭:૧૫, ૨૨) આ બતાવે છે કે રુઆખ અને નેફમા શ્વાસને રજૂ કરે છે, જે સર્વ મનુષ્ય અને પ્રાણીઓને જીવંત રાખે છે.

એ વધારે સમજવા એક નાના રેડિયોનો દાખલો લો. રેડિયોનો પ્લગ વીજળીના જોડાણમાં મૂકો ત્યારે, રેડિયોમાં જાણે જીવ આવી જાય છે. એ તરત કામ કરવા લાગે છે. પણ રેડિયોનો પ્લગ કાઢી નાખો તો એ તરત બંધ થઈ જશે. વીજળીની માફક જીવનનો શ્વાસ પણ એક એવું બળ છે, જે શરીરને જીવતું રાખે છે. બાઇબલના એક લેખકે કહ્યું કે આ શ્વાસ વગર આપણું શરીર ‘મરી જાય છે, અને પાછું ધૂળમાં મળી જાય છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૨૯) જેમ રેડિયોને ચલાવવા વીજળીની જરૂર પડે છે, તેમ શરીરને ચલાવવા, જીવંત રાખવા શ્વાસની જરૂર પડે છે. પણ એ શ્વાસ નથી વિચારી શકતો, નથી કંઈ અનુભવી શકતો.

માણસના મરણ વિશે ગુજરાતી બાઇબલ સભાશિક્ષક ૧૨:૭માં કહે છે: “[તેના શરીરની] જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા [રુઆખ] આપ્યો તે તેની પાસે પાછો જશે.” આપણે જોઈ ગયા કે આપણામાં આત્મા જેવું કંઈ નથી. આ કલમમાં અનુવાદકોએ હિબ્રૂ શબ્દ રુઆખનો ‘આત્મા’ તરીકે ખોટો અનુવાદ કર્યો છે. પણ એ આત્મા નહિ, જીવનનો શ્વાસ છે. તો શું આ કલમ એમ કહે છે કે જીવનનો શ્વાસ પાછો ઈશ્વર પાસે જતો રહે છે? ના, એ શ્વાસ સફર કરીને સ્વર્ગમાં ચાલ્યો જતો નથી. એનો અર્થ એમ થાય કે વ્યક્તિ ગુજરી જાય ત્યારે બધું ખતમ થઈ જાય છે. પણ જ્યારે યહોવા અબજો ગુજરી ગયેલાને જીવતા કરશે, ત્યારે એ વ્યક્તિને જીવતી કરશે કે નહિ, એ તેમના હાથમાં છે.—ગીતશાસ્ત્ર ૩૬:૯.

કેવું સારું કે ઈશ્વરે જેઓને યાદ રાખ્યા છે, એ સર્વ ગુજરી ગયેલાને તે બેઠા કરશે. તેઓને જીવનનું વરદાન આપશે! (યોહાન ૫:૨૮, ૨૯) એ સમયે યહોવા તેઓને માટે પહેલાં જેવું જ નવું શરીર બનાવશે. પણ એમાં ન તો કોઈ ખોટ હશે, ન કોઈ બીમારી! પછી યહોવા એ શરીરમાં જીવનનો શ્વાસ ફૂંકશે. એ વ્યક્તિ જીવતી થશે. એ કેવો મોટો ચમત્કાર હશે!