સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૧૧

દિલાસો અને શિખામણ આપતાં ભજનો

દિલાસો અને શિખામણ આપતાં ભજનો

દાઉદ અને બીજા ભક્તો અનેક ભજનો રચે છે. ગીતશાસ્ત્રમાં ૧૫૦ ભજનો છે

બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક સૌથી મોટું છે. એનાં ભજનો આશરે હજાર વર્ષના ગાળામાં લખાયાં હતાં. એ ભજનોમાં ઈશ્વરભક્તોની શ્રદ્ધા જોવા મળે છે. દિલને હચમચાવી દેતી લાગણીઓ જોવા મળે છે. અમુક ભજનો ઈશ્વરના ગુણગાન ગાય છે, ઉપકાર માને છે. અમુક ભજનોમાં સુખ-દુઃખની લાગણી જોવા મળે છે. અમુકમાં પાપનો પસ્તાવો જોવા મળે છે. આ બધા ભજન રચનારાઓને ઈશ્વર પર પૂરી શ્રદ્ધા હતી. ચાલો આપણે આ ભજનોના અમુક મુખ્ય વિચારો જોઈએ.

યહોવાના રાજમાં જ માણસનું ભલું છે, તેમને જ ભજવું જોઈએ. ગીતશાસ્ત્ર ૮૩:૧૮ કહે છે, ‘જેમનું નામ યહોવા છે, તે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છે.’ અમુક ભજનો તારાઓ, સૃષ્ટિ અને માનવ શરીરની કરામત વિષે જણાવીને સરજનહારના ગુણગાન ગાય છે. (ગીતશાસ્ત્ર ૮, ૧૯, ૧૩૯, ૧૪૮) યહોવાએ પોતાના ભક્તોને જે રીતે બચાવ્યા કે રક્ષણ કર્યું એ માટે અમુક ભજનો તેમનો જયજયકાર કરે છે. (ગીતશાસ્ત્ર ૧૮, ૯૭, ૧૩૮) કેટલાંક ભજનો યહોવાના અદલ ઇન્સાફ પર ધ્યાન દોરે છે. એ બતાવે છે કે લાચાર લોકોને યહોવા મદદ કરે છે ને દુષ્ટોને સજા કરે છે.—ગીતશાસ્ત્ર ૧૧, ૬૮, ૧૪૬.

યહોવા તેમના ભક્તોને દિલાસો ને મદદ આપે છે. ગીતશાસ્ત્ર ૨૩માં દાઉદ કહે છે કે પાળક પોતાના ઘેટાંને જીવની જેમ સાચવે છે તેમ, યહોવા તેમના ભક્તોનું રક્ષણ કરે છે, બધી રીતે સંભાળ રાખે છે. ગીતશાસ્ત્ર ૬૫:૨ કહે છે કે યહોવા “પ્રાર્થનાના સાંભળનાર” છે. કોઈથી ઘોર પાપ કે ભૂલ થઈ ગઈ હોય તો, ગીતશાસ્ત્ર ૩૯ અને ૫૧માંથી ઘણો દિલાસો મળે છે. એ ભજનોમાં દાઉદ જણાવે છે કે પાપ કર્યા પછી તેમણે દિલથી પસ્તાવો કર્યો. દાઉદને પૂરી શ્રદ્ધા હતી કે યહોવા તેમની અરજ સાંભળશે. તેમને માફ કરશે. ગીતશાસ્ત્ર ૫૫:૨૨ ઉત્તેજન આપે છે કે આપણે હંમેશા યહોવામાં શ્રદ્ધા રાખીએ. ભરોસો રાખીએ કે તે આપણી ચિંતાઓ દૂર કરશે.

મસીહના રાજ દ્વારા યહોવા નવો યુગ લાવશે. ગીતશાસ્ત્રના અનેક ભજનો એ રાજા કે મસીહ વિષે વાત કરે છે, જેનું યહોવાએ વચન આપ્યું હતું. દાખલા તરીકે, એ રાજા યહોવાના દુશ્મનોનો નાશ કરશે. (ગીતશાસ્ત્ર ૨) એ રાજા ભૂખમરો, અન્યાય અને જુલમને મિટાવી દેશે. (ગીતશાસ્ત્ર ૭૨) મસીહના રાજમાં ઈશ્વર બધી જ લડાઈઓ બંધ કરી દેશે. લડાઈના હથિયારોનો પણ નાશ કરશે. (ગીતશાસ્ત્ર ૪૬:૯) થોડા સમયમાં યહોવા ઈશ્વર ધરતી પરથી સર્વ દુષ્ટોનું નામ-નિશાન મિટાવી દેશે. પણ તેમના ભક્તોને બચાવશે. તેઓ સુખ-ચેનમાં જીવશે. કદી મરશે નહિ, પણ અમર જીવશે. આખી ધરતી પર શાંતિનો પાર નહિ હોય.—ગીતશાસ્ત્ર ૩૭.

આ માહિતી ગીતશાસ્ત્રમાંથી છે.