સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૧૬

મસીહ આવે છે!

મસીહ આવે છે!

યહોવા કહે છે કે લોકો જે મસીહની રાહ જોતા હતા એ નાઝરેથના ઈસુ છે

શું યહોવાએ તેમના ભક્તોને મસીહની ઓળખ આપી? હા જરૂર. હિબ્રૂ શાસ્ત્રવચનો લખાયાને ચારેક સદીઓ પછી એક બનાવ બન્યો. ગાલીલની ઉત્તરે, નાઝરેથ શહેરમાં મરિયમ નામની યુવતી રહેતી હતી. એક દિવસ ગાબ્રીએલ નામના સ્વર્ગદૂતે પ્રગટ થઈને તેને કહ્યું: ‘હું જાણું છું કે તું કુંવારી છે. તોપણ ઈશ્વરના ચમત્કારથી તને દીકરો થશે. એ ઈશ્વરનો દીકરો છે. તેનું જીવન સ્વર્ગમાંથી તારી કૂખમાં મૂકવામાં આવશે. લોકો સદીઓથી જેની રાહ જુએ છે, એ જ આ મસીહ છે. તે રાજા બનશે ને સદાકાળ રાજ કરશે.’

સ્વર્ગદૂતે જે કહ્યું એને મરિયમે આશીર્વાદ ગણ્યો. હવે આ બનાવ પહેલાં મરિયમની યૂસફ નામના સુથાર સાથે સગાઈ થઈ હતી. એટલે સ્વર્ગદૂતે યૂસફને પણ મરિયમના આ આશીર્વાદ વિષે જણાવ્યું. મરિયમ સાથે યૂસફ લગ્ન કરે છે. શાસ્ત્રમાં અગાઉથી જણાવ્યું હતું કે મસીહનો જન્મ બેથલેહેમમાં થશે. (મીખાહ ૫:૨) એ નાનું ગામડું તો મરિયમના ઘરથી લગભગ ૧૪૦ કિલોમીટર દૂર હતું. તો શું એ વચન સાચું પડ્યું? ચાલો જોઈએ.

એ સમયે રૂમી રાજાએ વસ્તી ગણતરી કરવાનો હુકમ બહાર પાડ્યો. બધાએ પોતાનો જન્મ થયો હતો એ ગામમાં જઈને નામની નોંધણી કરાવવાની હતી. એવું લાગે છે કે યુસફ અને મરિયમ બેથલેહેમના હતા. એટલે તેઓ લાંબી મુસાફરી કરીને ત્યાં ગયા. (લૂક ૨:૩) બેથલેહેમમાં એક રાતે મરિયમે ગભાણમાં ઈસુને જન્મ આપ્યો. ખેતરમાં ઘેટાં સાચવતા ભરવાડો પાસે ઈશ્વરે એક સ્વર્ગદૂતને મોકલ્યો. તેણે જઈને ખુશખબરી આપી કે મસીહનો જન્મ થયો છે.

થોડાં વર્ષો પછી બીજા અમુક લોકોએ પણ જાહેર કર્યું કે ઈસુ જ મસીહ છે. એમાંના એક યોહાન બાપ્તિસ્મા આપનાર હતા. યશાયાએ સદીઓ પહેલાં કહેલા આ શબ્દો યોહાનમાં પૂરા થયા: એક માણસ આવનાર મસીહ માટે લોકોને તૈયાર કરશે. (યશાયા ૪૦:૩) યોહાને એમ જ કર્યું. ઈસુને જોઈને તે બોલી ઊઠ્યા કે આ જ મસીહ છે ‘જે જગતનું પાપ દૂર કરશે.’ યોહાનના અમુક શિષ્યો તરત જ ઈસુના પગલે ચાલવા માંડ્યા. તેઓમાંના એકે કહ્યું, ‘અમને મસીહ મળ્યા છે!’—યોહાન ૧:૨૯, ૩૬, ૪૧.

ઈસુ જ મસીહ છે એની બીજી સાબિતી પણ ઈશ્વરે આપી. યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું ત્યારે શું થયું એનો વિચાર કરો. ઈસુ પર યહોવાએ પોતાનો આશીર્વાદ રેડીને તેમને મસીહ બનાવ્યા. પછી તેમણે સ્વર્ગમાંથી કહ્યું: ‘આ મારો વહાલો દીકરો છે, તેનાથી હું ખુશ છું.’ (માથ્થી ૩:૧૬, ૧૭) હજારો વર્ષોથી રાહ જોવાતી હતી એ મસીહ આખરે આવ્યા!

આ બધું કઈ સાલમાં થયું? ઈસવીસન ૨૯માં. એ જ સાલમાં ૪૮૩ વર્ષ પૂરા થયા, જેનું દાનિયેલને દર્શન થયું હતું. આવા તો બીજા ઘણા પુરાવા છે કે ઈસુ જ મસીહ કે ખ્રિસ્ત છે. ઈસુએ મસીહ બન્યા પછી કયો સંદેશો જાહેર કર્યો?

—આ માહિતી માથ્થી ૧-૩ અધ્યાય; માર્ક ૧ અધ્યાય; લૂક ૨ અધ્યાય; યોહાન ૧ અધ્યાયમાંથી છે.