પાઠ ૧
યહોવાના સાક્ષીઓ કેવા છે?
ડેનમાર્ક
તાઇવાન
વેનેઝુએલા
ભારત
તમે કેટલા યહોવાના સાક્ષીઓને ઓળખો છો? અમારામાંના અમુક કદાચ તમારા પાડોશી હશે, સાથે કામ કરતા હશે અથવા સાથે ભણતા હશે. અથવા કોઈએ તમારી સાથે બાઇબલ વિશે ચર્ચા કરી હશે. પણ તમને શું લાગે છે, અમે કોણ છીએ? કેમ અમારી માન્યતા વિશે બધાને જણાવીએ છીએ?
અમે સામાન્ય લોકો છીએ. અમે જુદા જુદા સમાજ અને વર્ગમાંથી આવેલા લોકો છીએ. અમુક તો યહોવાના સાક્ષી બન્યા પહેલાં બીજો ધર્મ પાળતા હતા. કેટલાક તો ઈશ્વરમાં માનતા પણ ન હતા. પરંતુ, અમે બધાએ બાઇબલમાંથી શીખવા સમય કાઢ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧) જે શીખ્યા એની સાથે સહમત થયા અને પોતે નક્કી કર્યું કે યહોવા ઈશ્વરની ભક્તિ કરીશું.
બાઇબલમાંથી શીખવાથી અમને લાભ થાય છે. બીજાઓની જેમ અમે પણ જીવનમાં તકલીફો વેઠીએ છીએ. અમારી પોતાની પણ અમુક નબળાઈઓ છે. પરંતુ, બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવાથી અમારા જીવનમાં ઘણો સુધારો થયો છે. (ગીતશાસ્ત્ર ૧૨૮:૧, ૨) આ પણ એક કારણ છે, જેના લીધે અમે બધાને બાઇબલની ખુશખબર જણાવીએ છીએ.
અમે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવીએ છીએ. બાઇબલમાં જણાવેલાં ઈશ્વરનાં ધોરણો લોકોને સારી રીતે જીવવા અને બીજાઓને માન આપવા મદદ કરે છે. દયાભાવ રાખવા અને ઈમાનદારીથી જીવવા પણ મદદ કરે છે. જેઓ એ જ્ઞાન લે છે, તેઓના કુટુંબમાં સારા સંસ્કાર જળવાઈ રહે છે અને સંપ વધે છે. એનાથી સમાજને પણ ફાયદો થાય છે. બાઇબલ જણાવે છે કે ‘ઈશ્વર ભેદભાવ રાખતા નથી.’ એટલે અમે પણ રાખતા નથી. અમે દુનિયાના ખૂણે-ખૂણેથી આવીએ છીએ, છતાં એક કુટુંબ જેવા છીએ. અમે નાત-જાત કે રાજનીતિમાં માનતા નથી. ખરું કે અમે સામાન્ય લોકો છીએ, છતાં ઈશ્વરના શિક્ષણને લીધે બીજાઓથી અલગ તરી આવીએ છીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩; ૧૦:૩૪, ૩૫.
-
યહોવાના સાક્ષીઓ અને બીજા લોકોમાં શું સરખાપણું છે?
-
બાઇબલનો અભ્યાસ કરવાથી યહોવાના સાક્ષીઓને શું લાભ થયો છે?