પાઠ ૨
અમે શા માટે યહોવાના સાક્ષીઓ તરીકે ઓળખાઈએ છીએ?
આજે ઘણા લોકો માને છે કે યહોવાના સાક્ષીઓ એ નવો ધર્મ છે. જોકે, ૨,૭૦૦થી પણ વધારે વર્ષો પહેલાં ઈશ્વરે પોતાના ભક્તોને તેમના “સાક્ષી” કહ્યા હતા. (યશાયા ૪૩:૧૦-૧૨) અમે ૧૯૩૧ સુધી બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા હતા. તો પછી, અમે યહોવાના સાક્ષીઓ નામ કેમ અપનાવ્યું?
એનાથી અમારા ઈશ્વરનું નામ જાહેર થાય છે. બાઇબલનાં જૂનાં લખાણોમાં ઈશ્વરનું નામ “યહોવા” સાત હજારથી વધારે વાર જોવા મળતું હતું. જોકે, બાઇબલના ઘણા અનુવાદકોએ “યહોવા” કે “યાહવે” નામ કાઢીને “પ્રભુ,” “ઈશ્વર” જેવા ખિતાબો મૂકી દીધાં છે. જ્યારે કે ખુદ ઈશ્વરે પોતાના ભક્ત મુસાને “યહોવા” નામ જણાવ્યું હતું અને કહ્યું હતું કે “મારું નામ સદા એ જ છે.” (નિર્ગમન ૩:૧૫) આ કલમ બતાવે છે કે માણસોએ બનાવેલા દેવ-દેવીઓથી યહોવા પોતાને અલગ પાડે છે. એટલે, અમે “યહોવાના સાક્ષીઓ” નામ અપનાવ્યું છે અને એનો અમને ગર્વ છે.
એ નામ અમારું કાર્ય બતાવે છે. સદીઓથી યહોવા ઈશ્વરના ભક્તોએ તેમનામાં શ્રદ્ધા બતાવી છે. એમાં સૌ પ્રથમ હાબેલ હતા. તેમના પછી અનેક ઈશ્વરભક્તો થઈ ગયા. જેમ કે નુહ, ઈબ્રાહીમ, સારાહ, મુસા, દાઊદ અને બીજા અનેક. એ ભક્તો જાણે કે “વાદળારૂપ ભીડ” જેવા છે. (હિબ્રૂ ૧૧:૪–૧૨:૧) જેમ અદાલતમાં નિર્દોષ વ્યક્તિ માટે કોઈ સાક્ષી આપે, તેમ અમે સાચા ઈશ્વર યહોવા વિશે બધાને સત્ય જણાવીને સાક્ષી આપીએ છીએ.
અમે ઈસુને પગલે ચાલીએ છીએ. બાઇબલ ઈસુને ‘વિશ્વાસુ તથા ખરા સાક્ષી’ કહે છે. (પ્રકટીકરણ ૩:૧૪) ઈસુએ કહ્યું હતું કે તેમણે ‘ઈશ્વરનું નામ લોકોને જણાવ્યું છે અને એ સત્ય જણાવતા રહેશે.’ (યોહાન ૧૭:૨૬; ૧૮:૩૭) એ કારણે ઈસુને પગલે ચાલતા ખ્રિસ્તીઓએ યહોવાના નામથી ઓળખાવું જ જોઈએ અને તેમના વિશે સત્ય જણાવવું જ જોઈએ. આજે યહોવાના સાક્ષીઓ એ કાર્યમાં મંડ્યા રહે છે.
-
બાઇબલ વિદ્યાર્થીઓએ ‘યહોવાના સાક્ષીઓ’ નામ કેમ અપનાવ્યું?
-
ક્યારથી પૃથ્વી પર યહોવાના સાક્ષીઓ છે?
-
યહોવાના સૌથી મહાન સાક્ષી કોણ છે?