પાઠ ૧૩
પાયોનિયર કોને કહેવાય?
અંગ્રેજીમાં “પાયોનિયર”નો અર્થ થાય કે નવા ક્ષેત્રમાં શોધખોળ કરનાર અને બીજાઓ માટે એ માર્ગ ખોલનાર. ઈસુ પણ એક રીતે પાયોનિયર હતા. જીવન આપનાર સંદેશો ફેલાવવા અને લોકો માટે તારણનો માર્ગ ખોલવા, તેમને પૃથ્વી પર મોકલવામાં આવ્યા હતા. (માથ્થી ૨૦:૨૮) આજે ‘શિષ્યો’ બનાવવાના કાર્યમાં યહોવાના સાક્ષીઓ શક્ય હોય એટલો વધારે સમય આપીને ઈસુને પગલે ચાલે છે. (માથ્થી ૨૮:૧૯, ૨૦) તેઓમાંથી કેટલાક પાયોનિયર સેવામાં જોડાય છે.
પાયોનિયર પૂરો સમય સંદેશો ફેલાવવાનું કાર્ય કરે છે. યહોવાના બધા સાક્ષીઓ ખુશખબર ફેલાવવાનું કામ કરે છે. નિયમિત પાયોનિયર તરીકે દર મહિને ૭૦ કલાક પ્રચારમાં આપવા, અમુકે પોતાના જીવનમાં ફેરફાર કર્યો છે. એ માટે ઘણા ફક્ત થોડો સમય નોકરી-ધંધામાં ગાળે છે. જે વિસ્તારમાં સંદેશો ફેલાવવાની વધારે જરૂર હોય, ત્યાં બીજા અમુકને ખાસ પાયોનિયર તરીકે સેવા આપવા પસંદ કરવામાં આવે છે. તેઓ દર મહિને ૧૩૦ કે એથી વધારે કલાકો પ્રચારમાં ગાળે છે. પાયોનિયર સાદા જીવનમાં સંતોષ માને છે. તેઓને પૂરો ભરોસો છે કે યહોવા જીવનની જરૂરિયાતો પૂરી પાડશે. (માથ્થી ૬:૩૧-૩૩; ૧ તીમોથી ૬:૬-૮) જેઓ પૂરા સમયના પાયોનિયર બની શકતા નથી, તેઓ સંજોગો પ્રમાણે દર મહિને ૩૦ કે ૫૦ કલાક પ્રચારમાં આપીને સહાયક પાયોનિયર બની શકે છે.
ઈશ્વર અને લોકો માટેના પ્રેમથી પ્રેરાઈને પાયોનિયર સેવા કરે છે. ઈસુની જેમ અમને પણ જોવા મળ્યું છે કે ઘણા લોકોએ ઈશ્વર અને તેમના હેતુઓ વિશે જાણવાની ખૂબ જરૂર છે. (માર્ક ૬:૩૪) અમે બાઇબલમાંથી જે શીખવીએ છીએ એ તેઓને હમણાં મદદ કરશે અને સુંદર ભાવિની પાક્કી આશા આપશે. લોકો માટે પ્રેમ હોવાથી પાયોનિયર પોતાનો સમય અને શક્તિ બીજાઓને ખુશખબર જણાવવામાં વાપરે છે. (માથ્થી ૨૨:૩૯; ૧ થેસ્સાલોનીકી ૨:૮) પરિણામે પાયોનિયરની શ્રદ્ધા મજબૂત થાય છે, ઈશ્વર સાથે તેનો સંબંધ પાકો થાય છે અને તે વધારે ખુશી મેળવે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
-
પાયોનિયર કોને કહેવાય?
-
કેટલીક વ્યક્તિઓ શા માટે પાયોનિયર તરીકે સેવા કરે છે?