સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૩૪

ખાલી કબર—ઈસુ જીવતા છે!

ખાલી કબર—ઈસુ જીવતા છે!

માથ્થી ૨૮:૩-૧૫ માર્ક ૧૬:૫-૮ લુક ૨૪:૪-૧૨ યોહાન ૨૦:૨-૧૮

  • ઈસુને સજીવન કરવામાં આવે છે

  • ઈસુની કબરે બનેલા પ્રસંગો

  • અલગ અલગ સ્ત્રીઓને તે દેખાય છે

કબર ખાલી જોઈને સ્ત્રીઓને કેટલો મોટો આંચકો લાગ્યો હશે! મરિયમ માગદાલેણ દોડતી દોડતી ‘સિમોન પીતર અને બીજા એક શિષ્ય પાસે આવી, જે ઈસુને વહાલા હતા.’ એ પ્રેરિત યોહાન હતા. (યોહાન ૨૦:૨) પણ, કબર પાસે ઊભેલી બીજી સ્ત્રીઓને એક દૂત દેખાયો. કબરમાં બીજો એક દૂત પણ હતો, જેણે “સફેદ ઝભ્ભો” પહેરેલો હતો.—માર્ક ૧૬:૫.

એક દૂતે તેઓને કહ્યું: “ગભરાશો નહિ, કેમ કે હું જાણું છું કે તમે ઈસુને શોધો છો, જેમને વધસ્તંભે ચડાવવામાં આવ્યા હતા. તે અહીં નથી, કેમ કે તેમણે કહ્યું હતું એમ, તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે. આવો, તેમનું શબ જ્યાં હતું એ જગ્યા જુઓ. જલદી જાઓ અને તેમના શિષ્યોને કહો કે તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે; જુઓ! તે તમારી આગળ ગાલીલમાં જાય છે.” (માથ્થી ૨૮:૫-૭) એટલે, “ડરથી ધ્રૂજતી અને દંગ રહી ગયેલી” સ્ત્રીઓ એ વિશે શિષ્યોને કહેવા દોડી ગઈ.—માર્ક ૧૬:૮.

મરિયમ ત્યાં સુધીમાં પીતર અને યોહાન પાસે પહોંચી ગઈ હતી. હાંફતાં હાંફતાં તેણે કહ્યું: “તેઓ પ્રભુને કબરમાંથી લઈ ગયા છે અને અમને ખબર નથી કે તેઓએ તેમને ક્યાં મૂક્યા છે.” (યોહાન ૨૦:૨) એ સાંભળીને પીતર અને યોહાને દોટ મૂકી. યોહાનની ઝડપ વધારે હોવાથી, તે કબરે પહેલા પહોંચ્યા. તેમણે અંદર જોયું તો, શણની પટ્ટીઓ પડી હતી. પણ, તે બહાર જ ઊભા રહ્યા.

પીતર આવ્યા ત્યારે તે સીધા અંદર ધસી ગયા. તેમણે શણનાં કપડાં અને ઈસુના માથા પર વીંટાળ્યું હતું, એ કપડું જોયું. પછી, યોહાન પણ અંદર ગયા અને તેમને મરિયમની વાત પર ભરોસો બેઠો. ઈસુએ તેઓને અગાઉ કહ્યું હતું, છતાં એ બંનેને ખ્યાલ ન આવ્યો કે ઈસુ સજીવન થયા છે. (માથ્થી ૧૬:૨૧) તેઓ મૂંઝાઈ ગયા અને ઘરે ગયા. પણ, કબર પાસે પાછી આવેલી મરિયમ ત્યાં જ ઊભી રહી.

ઈસુ સજીવન થયા છે, એ સમાચાર શિષ્યોને આપવા નીકળેલી બીજી સ્ત્રીઓ હજી રસ્તામાં હતી. તેઓ દોડી રહી હતી ત્યારે, ઈસુ તેઓને મળ્યા અને કહ્યું: “સલામ!” તેઓ તેમના પગે પડી અને “તેમને પ્રણામ કર્યા.” એટલે, ઈસુએ તેઓને કહ્યું: “ડરો નહિ! જાઓ, મારા ભાઈઓને ખબર આપો, જેથી તેઓ ગાલીલ જાય અને ત્યાં તેઓ મને જોશે.”—માથ્થી ૨૮:૯, ૧૦.

જ્યારે ધરતીકંપ થયો અને દૂતો દેખાયા, ત્યારે કબરે ચોકી કરતા સૈનિકો ‘ડરથી ધ્રૂજી ઊઠ્યા હતા અને મરણ પામ્યા હોય તેવા થઈ ગયા હતા.’ તેઓ હોશમાં આવ્યા ત્યારે, શહેરમાં ગયા અને “જે કંઈ બન્યું હતું એ બધું મુખ્ય યાજકોને જણાવ્યું.” યાજકોએ પછી યહુદીઓના વડીલો સાથે ચર્ચા કરી. છેવટે, આખી વાત છુપાવવા માટે અને આવું કહેવા માટે સૈનિકોને પૈસા આપવાનું નક્કી થયું: “રાતે તેના શિષ્યો આવ્યા અને અમે ઊંઘતા હતા ત્યારે તેનું શબ ચોરી ગયા.”—માથ્થી ૨૮:૪, ૧૧, ૧૩.

રોમન સૈનિકો ફરજ પર ઊંઘતા હોય તો, તેઓને મોતની સજા થઈ શકતી. એટલે, યાજકોએ વચન આપ્યું: “જો આ વાત [તેઓ ઊંઘતા હતા, એવી જૂઠી વાત] રાજ્યપાલને કાને પડશે, તો અમે તેને સમજાવી દઈશું અને તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી.” (માથ્થી ૨૮:૧૪) સૈનિકોએ પૈસા લઈને યાજકોના કહ્યા પ્રમાણે કર્યું. આમ, યહુદીઓમાં એવી ખોટી વાત ફેલાઈ ગઈ કે ઈસુનું શબ ચોરાઈ ગયું હતું.

મરિયમ માગદાલેણ હજી કબરે રડી રહી હતી. તેણે કબરમાં ડોકિયું કર્યું ત્યારે, સફેદ કપડાંમાં બે દૂતો દેખાયા! ઈસુનું શબ જે જગ્યાએ મૂક્યું હતું, ત્યાં તેઓ બેઠા હતા, એક દૂત માથા તરફ અને એક દૂત પગ તરફ. તેઓએ પૂછ્યું, “હે સ્ત્રી, તું કેમ રડે છે?” મરિયમે જવાબ આપ્યો: “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને મને ખબર નથી કે તેઓએ તેમને ક્યાં મૂક્યા છે.” એમ કહીને તે પાછળ ફરી તો તેણે કોઈકને ઊભેલા જોયા. દૂતોએ પૂછેલો સવાલ તેમણે પણ પૂછ્યો. પછી, તેમણે કહ્યું: “તું કોને શોધે છે?” મરિયમને થયું કે તે માળી હશે, એટલે તેણે કહ્યું: “ભાઈ, જો તમે તેમને લઈ ગયા હો, તો મને કહો કે તમે તેમને ક્યાં મૂક્યા છે અને હું તેમને લઈ જઈશ.”—યોહાન ૨૦:૧૩-૧૫.

મરિયમ વાત કરી રહી હતી, એ વ્યક્તિ સજીવન થયેલા ઈસુ હતા. પણ, એ સમયે તે તેમને ઓળખી ન શકી. જોકે, જ્યારે ઈસુએ કહ્યું, “મરિયમ!” ત્યારે તેમની બોલવાની છટાથી તેને ખ્યાલ આવ્યો કે તે ઈસુ છે. મરિયમ ખુશીથી પોકારી ઊઠી, “રાબ્બોની!” (જેનો અર્થ થાય, “ગુરુજી!”) તેને લાગ્યું કે ઈસુ સ્વર્ગમાં જતાં રહેશે, એટલે તેણે તેમને પકડી લીધા. પણ, ઈસુએ તેને વિનંતી કરી: “મને પકડી ન રાખ, કેમ કે હું હજુ પિતા પાસે ગયો નથી. પણ, મારા ભાઈઓ પાસે જા અને તેઓને કહે કે, ‘હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે જાઉં છું.’”—યોહાન ૨૦:૧૬, ૧૭.

મરિયમ દોડીને એ જગ્યાએ ગઈ, જ્યાં પ્રેરિતો અને બીજા શિષ્યો ભેગા થયા હતા. તેણે તેઓને કહ્યું: “મેં પ્રભુને જોયા છે!” આમ, બીજી સ્ત્રીઓ પાસેથી તેઓએ જે સાંભળ્યું હતું એમાં મરિયમની વાત પણ ઉમેરાઈ. (યોહાન ૨૦:૧૮) છતાં, એ વાતો “તેઓને નકામી લાગી.”—લુક ૨૪:૧૧.