સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૦૨

ઈશ્વર સારા ભાવિનું વચન આપે છે

ઈશ્વર સારા ભાવિનું વચન આપે છે

આજે બધાના જીવનમાં કોઈ ને કોઈ મુશ્કેલી છે. કોઈ નિરાશામાં ડૂબેલું છે, તો કોઈ બીમારીને લીધે હેરાન-પરેશાન છે. નજીકનું કોઈ ગુજરી જાય ત્યારે મરણનો ડંખ સહેવો આકરો થઈ પડે છે. શું તમારા પર આવું કંઈક વીત્યું છે? તમને થતું હશે, ‘આવું ક્યાં સુધી ચાલશે? શું કદી સુખનો સૂરજ ઊગશે?’ હા, લાખો નિરાશાઓમાં આશાનું એક કિરણ છે. ચાલો બાઇબલમાંથી એ જોઈએ.

૧. ઈશ્વરે કેવી આશા આપી છે?

ઈશ્વરે બાઇબલમાં જણાવ્યું છે કે આપણા પર આટલાં દુઃખો કેમ આવે છે. તેમણે એ પણ જણાવ્યું છે કે તે જલદી જ આપણી બધી તકલીફો દૂર કરશે. હા, તેમણે આપણને ‘ઉજ્જવળ ભાવિનું’ વચન આપ્યું છે. એ આપણા મનમાં એક “આશા” જગાડે છે. (યર્મિયા ૨૯:​૧૧, ૧૨ વાંચો.) એ આશાનું કિરણ આપણને મુશ્કેલીઓ સામે લડવા હિંમત આપે છે. એવી ખાતરી પણ આપે છે કે આપણાં બધાં દુઃખ દૂર થઈ જશે અને આપણે હંમેશાં ખુશ રહીશું.

૨. ભાવિમાં આપણું જીવન કેવું હશે?

બાઇબલમાં જણાવ્યું છે કે ભાવિમાં “શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!” (પ્રકટીકરણ ૨૧:૪ વાંચો.) ગરીબી, ભેદભાવ અને બીમારી નહિ હોય. કોઈ મરશે પણ નહિ. એવી કોઈ જ તકલીફ નહિ હોય, જે આપણને નિરાશ કરી દે છે. ઈશ્વરે વચન આપ્યું છે કે તે ધરતીને સુંદર બનાવી દેશે. ત્યાં બધા સુખચેનથી જીવશે, યુગોના યુગો સુધી!

૩. તમે કેમ ભરોસો કરી શકો કે ઈશ્વરનાં વચનો જરૂર પૂરાં થશે?

આજે લોકો અનેક વચનો આપે છે અને મનમાં આશા જગાડે છે. પણ એ વચનો પૂરાં થતાં નથી અને નિરાશા જ હાથ લાગે છે. પણ આપણે પૂરો ભરોસો કરી શકીએ કે ઈશ્વરનાં વચનો જરૂર પૂરાં થશે. તમને થશે, ‘એ વચનો પૂરાં થશે એની શું ખાતરી?’ તમે પોતે બાઇબલ કે “શાસ્ત્રવચનો” વાંચો અને ‘ધ્યાનથી એની તપાસ કરો.’ (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૧) બાઇબલમાંથી શીખતા રહો અને પોતે નક્કી કરો કે એ વચનો પર ભરોસો કરવો કે નહિ.

વધારે જાણો

ઈશ્વરે ભાવિ વિશે કેવાં વચનો આપ્યાં છે? એ જાણીને લોકોને કઈ રીતે મનની શાંતિ મળી છે? તેઓ કઈ રીતે મુશ્કેલીઓમાં પણ ખુશ રહી શકે છે? ચાલો એ વિશે જોઈએ.

૪. આપણે દુઃખ-તકલીફ વગર હંમેશાં જીવી શકીશું

ઈશ્વરે ઘણાં વચનો આપ્યાં છે. એમાંનાં અમુક નીચે જણાવ્યાં છે. તમને કયાં વચનો સૌથી વધારે ગમ્યાં? શા માટે?

તમને જે વચનો ગમ્યાં, એની સાથે આપેલી કલમો વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • શું આ વચનોથી તમને દિલાસો અને હિંમત મળે છે? શું એનાથી તમારાં કુટુંબ અને મિત્રોને પણ હિંમત મળશે? તમને શું લાગે છે?

કલ્પના કરો કે ભવિષ્યમાં આપણું જીવન કેવું હશે.

ત્યારે આવું નહિ હોય

ત્યારે આવું હશે

  • કોઈની આંખોમાં આંસુ નહિ હોય, કોઈ ઘરડું નહિ થાય અને કોઈ મરશે પણ નહિ.—યશાયા ૨૫:૮.

  • ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે અને તેઓ સગાં-વહાલાં સાથે ખુશીથી જીવશે.—યોહાન ૫:૨૮, ૨૯.

૫. ઈશ્વરનાં વચનો જીવન બદલી શકે છે

દુનિયામાં મુશ્કેલીઓ જોઈને ઘણા લોકો નિરાશ થઈ જાય છે. અમુક તો ગુસ્સે થઈ જાય છે અને અન્યાય સામે અવાજ ઉઠાવે છે. પણ તેઓને નિરાશા સિવાય બીજું કંઈ મળતું નથી. ઈશ્વરે વચન આપ્યું છે કે તે બધું સારું કરી દેશે. જુઓ કે એ જાણીને આજે લોકોને કેવી રાહત મળી છે. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.

  • રફીકાબહેન કેમ પરેશાન હતાં?

  • ભલે તે ભેદભાવ દૂર કરી ન શક્યાં, પણ બાઇબલમાંથી તેમને કેવી મદદ મળી?

ઈશ્વરે જે વચનો આપ્યાં છે એ જાણીને આપણને નિરાશામાંથી બહાર આવવા મદદ મળે છે. આપણે મુશ્કેલીઓમાં પણ ખુશ રહી શકીએ છીએ. નીતિવચનો ૧૭:૨૨ અને રોમનો ૧૨:૧૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • ઈશ્વરનાં વચનો વિશે જાણીને તમને કેવું લાગે છે? મુશ્કેલીઓ જોઈને હવે તમને કેવું લાગે છે?

અમુક લોકો કહે છે: “આ બધું તો સાંભળવામાં સારું લાગે, પણ એ શક્ય નથી.”

  • ઈશ્વરનાં વચનો પૂરાં થશે એની ખાતરી કરવી કેમ જરૂરી છે? તમારું શું માનવું છે?

આપણે શીખી ગયા

ઈશ્વરે ભવિષ્ય વિશે અનેક વચનો આપ્યાં છે. એનાથી આપણને આશા મળે છે અને મુશ્કેલીઓમાં પણ ખુશ રહેવા હિંમત મળે છે.

તમે શું કહેશો?

  • લોકો ઈશ્વરનાં વચનો જાણે એ કેમ જરૂરી છે?

  • ભાવિમાં આપણું જીવન કેવું હશે?

  • ઈશ્વરનાં વચનો વિશે જાણીને આજે તમને કેવો ફાયદો થાય છે?

આટલું કરો

વધારે માહિતી

બધું સારું થઈ જશે એવી આશા કઈ રીતે મુશ્કેલીઓમાં હિંમત આપે છે, એ વિશે શીખો.

“શું આશા જીવન બદલી શકે?” (jw.org/hi પર આપેલો લેખ, હિંદી)

અમુક લોકો એવી બીમારીથી પીડાય છે, જેનો કોઈ ઇલાજ નથી. ભાવિની આશાથી તેઓને કઈ રીતે રાહત મળી શકે?

“લાંબા સમયની બીમારીનો સામનો કરવા શું બાઇબલ મદદ કરી શકે?” (jw.org/gu પર આપેલો લેખ)

આ ગીત જુઓ અને કલ્પના કરો કે ઈશ્વરે આ દુનિયાને સુંદર બનાવી દીધી છે. ત્યાં કોઈ તકલીફ નથી અને તમે તમારા કુટુંબ સાથે એકદમ ખુશ છો.

સપનાઓની દુનિયા (૩:૩૭)

એક ભાઈ દુનિયા બદલવા માંગતા હતા. વાંચો કે સુંદર ભાવિની આશા વિશે જાણીને તેમનું જીવન કઈ રીતે બદલાઈ ગયું.

“હવે મારે દુનિયા બદલવાની જરૂર નથી” (ચોકીબુરજનો લેખ)