પાઠ ૦૪
ઈશ્વર કોણ છે?
સદીઓથી મનુષ્યો અનેક દેવ-દેવીઓને ભજતા આવ્યા છે. પણ બાઇબલમાં એક ઈશ્વર વિશે જણાવ્યું છે, જે ‘બીજા બધા દેવો કરતાં મહાન છે.’ (૨ કાળવૃત્તાંત ૨:૫) એ ઈશ્વર કોણ છે? એ કઈ રીતે બીજાં દેવ-દેવીઓ કરતાં મહાન છે? ચાલો જોઈએ કે એ ઈશ્વર તમને પોતાના વિશે શું જણાવવા ચાહે છે.
૧. ઈશ્વરનું નામ શું છે? આપણે તેમનું નામ જાણીએ એ માટે તેમણે શું કર્યું છે?
ઈશ્વરે બાઇબલમાં પોતાના વિશે લખાવ્યું છે, “હું યહોવા છું. એ જ મારું નામ છે.” (યશાયા ૪૨:૫, ૮ વાંચો.) “યહોવા” શબ્દ હિબ્રૂ ભાષામાંથી આવ્યો છે. એ ભાષામાં બાઇબલનાં ઘણાં પુસ્તકો લખાયાં છે. ઘણા વિદ્વાનો માને છે કે યહોવા શબ્દનો અર્થ થાય, “તે શક્ય બનાવે છે.” યહોવા ચાહે છે કે આપણે તેમનું નામ જાણીએ. (નિર્ગમન ૩:૧૫) એવું શાના આધારે કહી શકીએ? યહોવાએ ૭,૦૦૦ કરતાં વધારે વખત પોતાનું નામ બાઇબલમાં લખાવ્યું છે. a યહોવા જ ‘ઉપર સ્વર્ગમાં અને નીચે પૃથ્વી પર સાચા ઈશ્વર છે.’—પુનર્નિયમ ૪:૩૯.
૨. બાઇબલમાં યહોવા વિશે શું જણાવ્યું છે?
યહોવા બીજા બધા દેવો કરતાં સાવ અલગ છે. બાઇબલમાં જણાવ્યું છે કે ફક્ત યહોવા જ સાચા ઈશ્વર છે. એમ માનવાનાં ઘણાં કારણો છે. યહોવા જ ‘આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છે,’ એટલે કે બીજા કોઈ પાસે તેમના જેટલો અધિકાર નથી. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮ વાંચો.) તે “સર્વશક્તિમાન” છે, એટલે કે તેમની પાસે બધું જ કરવાની શક્તિ છે. તે સર્જનહાર છે. તેમણે જ આખું વિશ્વ બનાવ્યું છે. પૃથ્વી પરની “બધી વસ્તુઓ” પણ તેમણે જ બનાવી છે. (પ્રકટીકરણ ૪:૮, ૧૧) ફક્ત યહોવા જ એવા ઈશ્વર છે, જેમની કોઈ શરૂઆત નથી કે કોઈ અંત નથી.—ગીતશાસ્ત્ર ૯૦:૨.
વધારે જાણો
લોકો ઈશ્વરને ભગવાન, દેવ, ખુદા કે પ્રભુ કહીને બોલાવે છે. પણ એ ખિતાબો અને તેમના નામ યહોવા વચ્ચે શું ફરક છે? તેમણે પોતાનું નામ બધાને જણાવવા શું કર્યું છે? તે કેમ ચાહે છે કે તમે તેમનું નામ જાણો? ચાલો જોઈએ.
૩. ખિતાબો અનેક, પણ નામ એક
નામ અને ખિતાબ વચ્ચે શું ફરક છે એ જાણવા આ વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.
-
ઈશ્વરને ‘પ્રભુ’ કે ‘ભગવાન’ કહીને બોલાવીએ અને તેમને તેમના નામ “યહોવા”થી બોલાવીએ, એમાં શું ફરક છે?
બાઇબલમાં લખ્યું છે કે લોકો ઘણા દેવોની ભક્તિ કરે છે. ગીતશાસ્ત્ર ૧૩૬:૧-૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
-
‘ઈશ્વરોના ઈશ્વર’ અને ‘પ્રભુઓના પ્રભુ’ કોણ છે?
૪. યહોવા ચાહે છે કે તમે તેમનું નામ જાણો અને એ નામથી તેમને બોલાવો
આપણે યહોવાનું નામ જાણી શકીએ એ માટે તેમણે શું કર્યું છે? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
-
શું યહોવા ચાહે છે કે બધા લોકો તેમનું નામ જાણે? એવું કઈ રીતે કહી શકાય?
યહોવા ચાહે છે કે લોકો તેમને નામથી બોલાવે. રોમનો ૧૦:૧૩ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
યહોવા ઈશ્વરને કેમ તેમના નામથી બોલાવવા જોઈએ?
-
જો કોઈ તમારું નામ યાદ રાખે અને તમને નામથી બોલાવે, તો તમને કેવું લાગશે?
-
તમે યહોવાને તેમના નામથી બોલાવો છો ત્યારે તેમને કેવું લાગે છે?
૫. યહોવા ચાહે છે કે આપણે તેમને સારી રીતે ઓળખીએ
કંબોડિયા દેશમાં રહેતાં સોટેન નામનાં બહેને ઈશ્વરનું નામ જાણ્યું ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો. એવી ખુશી તેમને કદી મળી ન હતી. વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.
-
ઈશ્વરનું નામ જાણીને બહેનનું જીવન કઈ રીતે બદલાઈ ગયું?
જો કોઈની સાથે દોસ્તી કરવી હોય, તો આપણે સૌથી પહેલા તેનું નામ પૂછીશું. યાકૂબ ૪:૮ક વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
યહોવા તમને શું કરવાનું કહે છે?
-
ઈશ્વરની પાસે જવા, એટલે કે તેમને સારી રીતે ઓળખવા શું તેમનું નામ જાણવું અને તેમને એ નામથી બોલાવવા જરૂરી છે? તમને કેમ એવું લાગે છે?
અમુક લોકો કહે છે: “ભગવાન તો એક જ છે, તેમને કોઈ પણ નામથી બોલાવો, શું ફરક પડે છે?”
-
શું હવે તમને ખાતરી થઈ કે ઈશ્વરનું નામ યહોવા છે?
-
યહોવા ચાહે છે કે તમે તેમને નામથી બોલાવો, એ વાત તમે કઈ રીતે સમજાવશો?
આપણે શીખી ગયા
ફક્ત એક જ સાચા ઈશ્વર છે અને તેમનું નામ યહોવા છે. તે ચાહે છે કે આપણે તેમનું નામ જાણીએ અને એ નામથી તેમને બોલાવીએ, જેથી આપણે તેમને સારી રીતે ઓળખી શકીએ.
તમે શું કહેશો?
-
યહોવા કઈ રીતે બીજા દેવો કરતાં અલગ છે?
-
આપણે કેમ યહોવાને તેમના નામથી બોલાવવા જોઈએ?
-
યહોવા ચાહે છે કે આપણે તેમની પાસે જઈએ, એટલે કે તેમને સારી રીતે ઓળખીએ, એવું શાના આધારે કહી શકીએ?
વધારે માહિતી
ઈશ્વર ખરેખર છે એ સાબિત કરતા પાંચ પુરાવા પર ધ્યાન આપો.
આપણે કેમ માની શકીએ કે ઈશ્વરની કોઈ શરૂઆત નથી? એનો જવાબ જાણવા આ લેખ વાંચો.
આપણે નથી જાણતા કે પ્રાચીન સમયમાં ઈશ્વરનું નામ કેવી રીતે બોલાતું હતું. તોપણ આપણે કેમ ઈશ્વરને તેમના નામથી બોલાવવા જોઈએ? એ વિશે જાણો.
લોકો ઈશ્વરને અલગ અલગ નામે બોલાવે છે. પણ શા માટે કહી શકીએ કે ઈશ્વરનું ફક્ત એક જ નામ છે? એ વિશે જાણો.
a પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલની વધારે માહિતી ક-૪માં ઈશ્વરના નામના અર્થ વિશે વધારે જાણકારી આપી છે. એમાં એ પણ જણાવ્યું છે કે અમુક બાઇબલમાંથી એ નામ કેમ કાઢી નાખવામાં આવ્યું છે.