સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૪૦

ઈશ્વરની નજરે સાફ અને શુદ્ધ રહીએ

ઈશ્વરની નજરે સાફ અને શુદ્ધ રહીએ

એક મા તેના બાળકને સ્કૂલે જવા તૈયાર કરે છે. તે તેને નવડાવી-ધોવડાવીને ચોખ્ખાં કપડાં પહેરાવે છે. તે જાણે છે કે બાળકને જેટલું ચોખ્ખું રાખશે, એટલું તે તંદુરસ્ત રહેશે. એનાથી લોકો પણ જોઈ શકશે કે તેનાં પ્રેમાળ માતા-પિતા તેની કેટલી કાળજી રાખે છે. એવી જ રીતે, આપણા પ્રેમાળ પિતા યહોવા ચાહે છે કે આપણે ચોખ્ખા રહીએ તેમજ આપણાં વિચારો અને વાણી-વર્તન શુદ્ધ રાખીએ. સાફ અને શુદ્ધ રહેવાથી આપણું ભલું થાય છે અને યહોવાને મહિમા મળે છે.

૧. ચોખ્ખા રહેવા આપણે શું કરવું જોઈએ?

યહોવા આપણને કહે છે: “તમે પવિત્ર થાઓ.” (૧ પિતર ૧:૧૬) પવિત્ર રહેવા ફક્ત નહાવું-ધોવું જ પૂરતું નથી, મનના વિચારો શુદ્ધ રાખવા પણ જરૂરી છે. પોતાને સાફ રાખવા આપણે નાહીએ છીએ અને ચોખ્ખાં કપડાં પહેરીએ છીએ. આપણાં ઘર અને ગાડીને પણ ચોખ્ખાં અને સારી હાલતમાં રાખીએ છીએ. તેમ જ, પ્રાર્થનાઘરની સાફ-સફાઈ કરવામાં પણ મદદ કરીએ છીએ. આમ ચોખ્ખા રહેવાથી યહોવાને મહિમા આપીએ છીએ.​—૨ કોરીંથીઓ ૬:૩, ૪.

૨. શુદ્ધ રહેવા આપણે કેવી આદતોથી દૂર રહેવું જોઈએ?

બાઇબલમાં લખ્યું છે, “આપણે તન-મનની દરેક પ્રકારની ગંદકી દૂર કરીને શુદ્ધ થઈએ.” (૨ કોરીંથીઓ ૭:૧) એટલે આપણે એવી દરેક વસ્તુથી દૂર રહેવું જોઈએ, જે આપણાં તન-મનને નુકસાન પહોંચાડે છે. આપણા વિચારો ઈશ્વરને પસંદ હોય એવા હોવા જોઈએ. એટલે જો આપણા મનમાં ખરાબ વિચારો આવે, તો એને તરત કાઢી નાખવા જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૦૪:૩૪) એટલું જ નહિ, આપણે વાણી શુદ્ધ રાખવા પણ મહેનત કરવી જોઈએ.​—કોલોસીઓ ૩:૮ વાંચો.

બીજી કઈ બાબતો આપણાં તન-મનને અશુદ્ધ કરે છે? તમાકુ, સોપારી, માવા-મસાલા અને બીજાં નશીલાં દ્રવ્યો કે ડ્રગ્સ શરીરને નુકસાન પહોંચાડે છે. એટલે આપણે એવી દરેક વસ્તુથી દૂર રહેવું જોઈએ. એમ કરવાથી આપણી તંદુરસ્તી સારી રહે છે અને જીવનની ભેટ માટે કદર બતાવીએ છીએ. આપણે ગંદાં કામોથી પણ દૂર રહેવું જોઈએ. જેમ કે, હસ્તમૈથુન a કરવું (માસ્ટરબેશન) અને ગંદાં ચિત્રો કે વીડિયો જોવા (પોર્નોગ્રાફી). (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭; એફેસીઓ ૫:૫) એવી આદતો છોડવી કદાચ અઘરું લાગે, પણ યહોવાની મદદથી આપણે ચોક્કસ છોડી શકીએ છીએ.​—યશાયા ૪૧:૧૩ વાંચો.

વધારે જાણો

ચોખ્ખાઈ રાખવાથી કઈ રીતે યહોવાને મહિમા મળે છે? આપણે કઈ રીતે ખરાબ આદતો છોડી શકીએ? ચાલો જોઈએ.

૩. ચોખ્ખાઈ રાખવાથી યહોવાને મહિમા મળે છે

યહોવાએ ઇઝરાયેલી લોકોને સાફ-સફાઈના નિયમો આપ્યા હતા. એનાથી જોવા મળે છે કે તેમના લોકો શુદ્ધ હોય એ યહોવા માટે બહુ જરૂરી છે. નિર્ગમન ૧૯:૧૦ અને ૩૦:૧૭-૧૯ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • સાફ-સફાઈ વિશે યહોવા શું વિચારે છે?

  • પોતાને સ્વચ્છ રાખવા તમે શું કરી શકો?

ચોખ્ખાઈ રાખવા સમય અને મહેનતની જરૂર પડે છે. ભલે આપણે કોઈ પણ જગ્યાએ રહેતા હોઈએ, આપણી પાસે વધારે પૈસા હોય કે ઓછા, આપણે બધા ચોખ્ખા રહી શકીએ છીએ. વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.

  • પ્રચારમાં આપણી વસ્તુઓ સાફ અને વ્યવસ્થિત જોઈને લોકો કઈ રીતે યહોવાને મહિમા આપે છે?

૪. ખરાબ આદત છોડવી શક્ય છે

યહોવાની મદદથી આપણે કોઈ પણ ખરાબ આદત છોડી શકીએ છીએ

જો તમને બીડી-સિગારેટ, પાન-પડીકી કે એવાં નશીલાં ડ્રગ્સની લત હોય, તો તમને ખબર હશે કે એ આદત છોડવી કેટલી અઘરી છે! પણ એ આદત છોડવા શું કરી શકાય? સૌથી પહેલા વિચારો કે એ આદતની તમારા જીવન પર કેવી અસર થાય છે. માથ્થી ૨૨:૩૭-૩૯ વાંચો. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો:

  • તમાકુના સેવનથી કે બીજો કોઈ નશો કરવાથી યહોવા સાથેના સંબંધ પર કેવી અસર થાય છે?

  • એવી ખરાબ આદતના લીધે તમારા કુટુંબ કે આસપાસના લોકોને કેવું નુકસાન થાય છે?

ખરાબ આદતો છોડવા યોજના બનાવો. b વીડિયો જુઓ.

ફિલિપીઓ ૪:૧૩ વાંચો. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો:

  • પ્રાર્થના કરવી, બાઇબલનો અભ્યાસ કરવો અને સભાઓમાં જવું એ સારી આદતો છે. ખરાબ આદતો છોડવા આ સારી આદતો કઈ રીતે મદદ કરે છે?

૫. ખરાબ વિચારો અને ખરાબ કામો છોડવા બનતું બધું કરો

કોલોસીઓ ૩:૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • આપણે કઈ રીતે જાણી શકીએ કે પોર્નોગ્રાફી, સેક્સટીંગ c અને હસ્તમૈથુન જેવાં કામ યહોવાની નજરમાં અશુદ્ધ છે?

  • યહોવા ચાહે છે એમ શું આપણે શુદ્ધ રહી શકીએ? તમને એવું કેમ લાગે છે?

ખરાબ વિચારો સામે લડત આપવા આપણે શું કરી શકીએ? એ જાણવા વીડિયો જુઓ.

ઈસુએ દાખલો આપીને સમજાવ્યું કે શુદ્ધ રહેવા આપણે કડક પગલાં ભરવાં જોઈએ. માથ્થી ૫:૨૯, ૩૦ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • ઈસુ અહીં સાચે જ શરીરનાં અંગ કાપવાની વાત કરતા ન હતા. પણ તે અમુક કડક પગલાં ભરવાની વાત કરતા હતા. કોઈના મનમાં ખરાબ વિચારો આવે ત્યારે તેણે કયાં પગલાં ભરવાં જોઈએ? d

તમે મનમાંથી ખરાબ વિચારો કાઢવા પોતાનાથી બનતું બધું કરો છો ત્યારે, યહોવા તમારી મહેનતની ખૂબ જ કદર કરે છે. ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • જો તમે કોઈ ખરાબ આદત છોડવા મહેનત કરી રહ્યા હો, તો આ કલમ તમને હિંમત ન હારવા કઈ રીતે મદદ કરી શકે?

હિંમત ન હારો, કોશિશ કરતા રહો!

આપણે નિષ્ફળ જઈએ ત્યારે કદાચ વિચાર આવે, ‘હવે કોશિશ કરવાનો શું ફાયદો?’ પણ આનો વિચાર કરો: જો એક દોડવીર પડી જાય, તો શું એનો અર્થ એવો થાય કે તે દોડમાં હારી ગયો અથવા તેણે દોડ ફરી શરૂ કરવી પડશે? ના, એવું નથી. એવી જ રીતે, જો તમે કોઈ ખરાબ આદત છોડવા બનતું બધું કરો અને અમુક વાર નિષ્ફળ જાઓ, તો એનો અર્થ એવો નથી કે તમે હારી ગયા અને તમારી બધી મહેનત પાણીમાં ગઈ. દોડતાં દોડતાં પડી પણ જવાય. પણ જો તમે કોશિશ કરતા રહેશો, તો એક દિવસ ચોક્કસ સફળ થશો. એટલે હિંમત ન હારો. યહોવાની મદદથી તમે ખરાબ આદત જરૂર છોડી શકશો.

અમુક લોકો કહે છે: “મેં બહુ કોશિશ કરી, પણ મારી લત છૂટતી જ નથી.”

  • તમે કઈ કલમ બતાવીને સમજાવશો કે યહોવાની મદદથી એક વ્યક્તિ લત છોડી શકે છે?

આપણે શીખી ગયા

જો આપણે ચોખ્ખા રહીશું, આપણાં વિચારો અને વાણી-વર્તન શુદ્ધ રાખીશું, તો યહોવાને ખુશ કરી શકીશું.

તમે શું કહેશો?

  • ચોખ્ખાઈ રાખવી કેમ જરૂરી છે?

  • પોતાને સ્વચ્છ રાખવા તમે શું કરી શકો?

  • વિચારો અને વાણી-વર્તન શુદ્ધ રાખવા તમે શું કરી શકો?

આટલું કરો

વધારે માહિતી

ભલે તમારી પાસે બહુ સુવિધાઓ ન હોય તોપણ તમે કઈ રીતે ચોખ્ખાઈ રાખી શકો?

તંદુરસ્તી અને સ્વચ્છતા: હાથ ધોવા (૩:૦૧)

આ લેખમાં અમુક રીતો બતાવી છે, જેની મદદથી એક વ્યક્તિ ધૂમ્રપાન છોડી શકે છે.

“ધૂમ્રપાન છોડવાના લાભ” (સજાગ બનો!, ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૦; સજાગ બનો!નો લેખ)

પોર્નોગ્રાફી જોવાથી કેવું નુકસાન થાય છે, એ વિશે જાણો.

“પોર્નોગ્રાફી​—મજા કે સજા?” (jw.org/gu પર આપેલો લેખ)

જાણો કે એક માણસ કઈ રીતે પોર્નોગ્રાફી જોવાની લત છોડી શક્યો.

“સફળતા પહેલાં સેંકડો નિષ્ફળતા” (ચોકીબુરજ નં. ૪ ૨૦૧૬)

a વ્યક્તિ પોતાનાં જાતીય અંગોને પંપાળીને જાતીય ચરમસુખ મેળવે એને હસ્તમૈથુન કહેવાય છે.

b ધૂમ્રપાન છોડવાની અમુક રીતો વિશે જાણવા આ પાઠના વધારે માહિતી ભાગમાં આ જુઓ: “ધૂમ્રપાન છોડવાના લાભ.

c સેક્સટીંગ એટલે કે કોમ્પ્યુટર અથવા ફોન દ્વારા કોઈને ખરાબ કે ગંદા મૅસેજ, ચિત્રો અથવા વીડિયો મોકલવા.

d હસ્તમૈથુનની ખરાબ આદત છોડવા ક્યાંથી મદદ મળી શકે? એ વિશે જાણવા “હસ્તમૈથુન છોડવા હું શું કરું?” નામનો લેખ વાંચો, જે jw.org/gu પર આપ્યો છે.