સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૪૨

કુંવારા રહેવા અને લગ્‍ન કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

કુંવારા રહેવા અને લગ્‍ન કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

અમુક સમાજમાં લોકો માને છે કે જો તમે લગ્‍ન નહિ કરો, તો ખુશ નહિ રહો. પણ જરૂરી નથી કે જેઓ પરણેલા છે, તેઓ બધા જ ખુશ હોય અને જેઓ કુંવારા છે, તેઓ બધા જ દુઃખી હોય. બાઇબલમાં જણાવ્યું છે, કુંવારા રહેવું કે લગ્‍ન કરવું, એ બંને ઈશ્વર તરફથી આશીર્વાદ છે.

૧. કુંવારા રહેવાના અમુક ફાયદા કયા છે?

બાઇબલમાં લખ્યું છે, “જે પરણે છે તે સારું કરે છે, પણ જે પરણતો નથી તે વધારે સારું કરે છે.” (૧ કોરીંથીઓ ૭:૩૨, ૩૩, ૩૮ વાંચો.) કુંવારાઓ કઈ રીતે “વધારે સારું” કરે છે? જેઓ લગ્‍ન કરે છે, તેઓએ પોતાના લગ્‍નસાથીનું પણ જોવું પડે છે. કુંવારાઓને એવી ચિંતા હોતી નથી, એટલે તેઓ પાસે અમુક રીતે વધારે આઝાદી હોય છે. દાખલા તરીકે, અમુક કુંવારાં ભાઈ-બહેનો યહોવાની સેવામાં વધારે કરવા નવી નવી રીતો અજમાવે છે. જેમ કે, તેઓ એવી જગ્યાઓએ જઈને પ્રચાર કરે છે, જ્યાં વધારે જરૂર છે. કુંવારા રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા તેઓ પાસે વધારે સમય હોય છે.

૨. કાયદેસર કે વિધિસર લગ્‍ન કરવાના અમુક ફાયદાઓ કયા છે?

જેમ કુંવારા રહેવાના ઘણા ફાયદા છે, તેમ લગ્‍ન કરવાના પણ ઘણા ફાયદા છે. બાઇબલમાં લખ્યું છે, “એક કરતાં બે ભલા.” (સભાશિક્ષક ૪:૯) એ વાત ખાસ કરીને એવાં પતિ-પત્ની માટે સાચી છે, જેઓ લગ્‍ન વિશે બાઇબલના સિદ્ધાંતો પાળે છે. જે યુગલો કાયદેસર કે વિધિસર લગ્‍ન કરે છે, તેઓ વચન આપે છે કે હંમેશાં એકબીજાને પ્રેમ કરશે અને માન આપશે તેમજ દિલથી એકબીજાની સંભાળ રાખશે. પરિણામે, તેઓ એવાં યુગલો કરતાં વધારે સલામતી અનુભવે છે, જેઓ લગ્‍ન કર્યા વગર સાથે રહે છે. એટલું જ નહિ, લગ્‍નબંધનમાં જોડાયેલાં યુગલોનાં બાળકો પણ સલામતી અનુભવે છે.

૩. લગ્‍ન વિશે યહોવાના વિચારો કેવા છે?

જ્યારે યહોવાએ પહેલાં પુરુષ અને સ્ત્રીને લગ્‍નબંધનમાં જોડ્યાં, ત્યારે તેમણે કહ્યું, “માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે.” (ઉત્પત્તિ ૨:૨૪) યહોવા ચાહે છે કે પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરે અને જીવનભર એકબીજાની સાથે રહે. જ્યારે પતિ કે પત્નીમાંથી કોઈ એક વ્યભિચાર કરે, ફ્કત ત્યારે જ યહોવા છૂટાછેડા લેવાની પરવાનગી આપે છે. એવા કિસ્સામાં છૂટાછેડા લેવા કે નહિ એ નક્કી કરવાનો અધિકાર યહોવા નિર્દોષ સાથીને આપે છે. a (માથ્થી ૧૯:૯) યહોવા પોતાના સેવકોને એકથી વધારે પતિ કે પત્ની રાખવાની પરવાનગી આપતા નથી.​—૧ તિમોથી ૩:૨.

વધારે જાણો

ભલે તમે કુંવારા હો કે પરણેલા, તમે કઈ રીતે ખુશ રહી શકો અને યહોવાના દિલને કઈ રીતે ખુશ કરી શકો? ચાલો જોઈએ.

૪. કુંવારા હોવું એક આશીર્વાદ છે, એનો સારી રીતે ઉપયોગ કરો

ઈસુએ કુંવારા રહેવાને આશીર્વાદ ગણ્યો. (માથ્થી ૧૯:૧૧, ૧૨) માથ્થી ૪:૨૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • ઈસુ કુંવારા હતા. પિતા યહોવાની સેવા કરવા અને બીજાઓને મદદ કરવા તેમણે એનો કઈ રીતે ઉપયોગ કર્યો?

કુંવારાં ભાઈ-બહેનો ઈસુના પગલે ચાલીને ખુશ રહી શકે છે. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • કુંવારાં ભાઈ-બહેનો પાસે યહોવાની સેવામાં વધારે કરવા કઈ તકો રહેલી છે?

જાણવા જેવું

બાઇબલમાં એ નથી જણાવ્યું કે લગ્‍ન કરવા વ્યક્તિ કેટલા વર્ષની હોવી જોઈએ. પણ એમાં જણાવ્યું છે કે ‘યુવાનીનો જોશ પસાર થઈ જાય’ ત્યાં સુધી લગ્‍ન માટે રાહ જુએ તો સારું. (૧ કોરીંથીઓ ૭:૩૬, ફૂટનોટ) એ યુવાનીનાં શરૂઆતનાં વર્ષોમાં જાતીય ઇચ્છાઓ ઘણી પ્રબળ હોય છે, એટલે વ્યક્તિ કદાચ સારો નિર્ણય ન લઈ શકે.

૫. સમજી-વિચારીને જીવનસાથી પસંદ કરો

જીવનના સૌથી મહત્ત્વના નિર્ણયોમાંનો એક છે: જીવનસાથીની પસંદગી. માથ્થી ૧૯:૪-૬,  વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય કેમ ઉતાવળે ન લેવો જોઈએ?

બાઇબલમાં જણાવ્યું છે કે જીવનસાથીમાં કેવા ગુણો હોવા જોઈએ. તે યહોવાને પ્રેમ કરે એ સૌથી મહત્ત્વનું હોવું જોઈએ. b ૧ કોરીંથીઓ ૭:૩૯ અને ૨ કોરીંથીઓ ૬:​૧૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • આપણે કેમ ફક્ત યહોવાના સેવક સાથે જ લગ્‍ન કરવું જોઈએ?

  • યહોવાને પ્રેમ કરતી ન હોય એવી વ્યક્તિ સાથે લગ્‍ન કરીએ તો, યહોવાને કેવું લાગશે?

જો બે અલગ અલગ પ્રાણીઓને એક જ ઝૂંસરીએ બાંધવામાં આવે, તો તેઓને તકલીફ થશે. એવી જ રીતે, યહોવાને ભજતી નથી એવી વ્યક્તિ સાથે લગ્‍ન કરવાથી યહોવાના ભક્તે ઘણી તકલીફો સહેવી પડશે

૬. યહોવા લગ્‍નને માન આપે છે, તમે પણ આપો

પહેલાંના સમયમાં અમુક ઇઝરાયેલી પુરુષો પોતાના સ્વાર્થ માટે પત્નીને છૂટાછેડા આપી દેતા હતા. માલાખી ૨:૧૩, ૧૪, ૧૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે લગ્‍નસાથીને છૂટાછેડા આપે, તો એવા છૂટાછેડાને યહોવા કેમ ધિક્કારે છે?

વ્યભિચાર અને છૂટાછેડાને લીધે નિર્દોષ સાથી અને બાળકોને બહુ દુઃખ થાય છે

વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • જો તમારા પતિ કે પત્ની યહોવાના ભક્ત ન હોય, તો તમારા લગ્‍નજીવનને સુખી બનાવવા તમે શું કરી શકો?

૭. લગ્‍ન માટે યહોવાએ આપેલાં ધોરણો પાળો

લગ્‍ન માટે યહોવાએ આપેલાં ધોરણો પાળવા એક વ્યક્તિએ કદાચ ઘણી બધી મહેનત કરવી પડે. c પણ જો તે એમ કરશે, તો યહોવા ચોક્કસ તેને આશીર્વાદ આપશે. વીડિયો જુઓ.

હિબ્રૂઓ ૧૩:૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • શું તમને લાગે છે કે લગ્‍ન માટે યહોવાનાં ધોરણો પાળવાં શક્ય છે? તમને એવું કેમ લાગે છે?

યહોવા ચાહે છે કે તેમના સેવકો લગ્‍ન કરે કે છૂટાછેડા લે, પણ એ કાયદાની નજરે માન્ય હોવા જોઈએ. તિતસ ૩:૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • જો તમે લગ્‍ન કર્યા હોય, તો શું તમે ખાતરીથી કહી શકો કે તમારા લગ્‍નને કાયદો માન્ય ગણે છે?

જો કોઈ પૂછે: “લગ્‍ન શું કામ કરવા? શું કોઈ પુરુષ અને સ્ત્રી લગ્‍ન વગર સાથે ન રહી શકે?”

  • તમે કેવો જવાબ આપશો?

આપણે શીખી ગયા

કુંવારા રહેવું કે લગ્‍ન કરવું, એ બંને યહોવા તરફથી આશીર્વાદ છે. જો કુંવારા અને પરણેલા લોકો યહોવાની ઇચ્છા પ્રમાણે જીવશે, તો તેઓના જીવનમાં ખુશીઓ અને સંતોષ હશે.

તમે શું કહેશો?

  • કુંવારાં ભાઈ-બહેનો પાસે યહોવાની સેવામાં વધારે કરવા કઈ તકો રહેલી છે?

  • બાઇબલ કેમ એવું જણાવે છે કે ફક્ત યહોવાના સેવક સાથે જ લગ્‍ન કરવું જોઈએ?

  • બાઇબલ પ્રમાણે છૂટાછેડા લેવાનું એકમાત્ર કારણ કયું છે?

આટલું કરો

વધારે માહિતી

ફક્ત “પ્રભુમાં લગ્‍ન” કરવાનો અર્થ શું થાય?

“વાચકો તરફથી પ્રશ્નો” (ચોકીબુરજ, જુલાઈ ૧, ૨૦૦૪)

જીવનસાથી પસંદ કરવા વિશે અને લગ્‍ન કરવા વિશે તમે કઈ રીતે સારો નિર્ણય લઈ શકો? એ વિશે જાણવા આ બે નાના વીડિયો જુઓ.

લગ્‍ન માટે તૈયારી (૧૧:૫૩)

એક ભાઈ માને છે કે યહોવાના આશીર્વાદોની સરખામણીમાં તેમણે જે જતું કર્યું છે, એની કોઈ વિસાત નથી. તેમને એવું કેમ લાગે છે? ચાલો જોઈએ.

હું ચાહતો હતો કે તે પણ બાઇબલમાંથી શીખે (૧:૫૬)

એક વ્યક્તિએ પોતાના જીવનસાથીને છૂટાછેડા આપતા પહેલાં અથવા અલગ થતા પહેલાં શાનો વિચાર કરવો જોઈએ?

“‘ઈશ્વરે જેને જોડ્યું છે’ એને માન આપો” (ચોકીબુરજ, ડિસેમ્બર ૨૦૧૮)

a લગ્‍નસાથીએ વ્યભિચાર કર્યો ન હોય તોપણ શું તેઓ અલગ થઈ શકે? એ વિશે જાણવા નોંધ ૪ જુઓ.

b અમુક સમાજમાં માતા-પિતા પોતાના દીકરા કે દીકરી માટે જીવનસાથી પસંદ કરે છે. જો એમ હોય, તો પ્રેમાળ માતા-પિતા સૌથી પહેલા એ નહિ જુએ કે તેની પાસે કેટલા પૈસા છે કે સમાજમાં કેવો માનમોભો છે, પણ તેઓ એ જોશે કે તે યહોવાને પ્રેમ કરે છે કે નહિ.

c જો તમે લગ્‍ન વગર કોઈની સાથે પતિ-પત્નીની જેમ રહેતા હો, તો એ વ્યક્તિ સાથે લગ્‍ન કરવું કે અલગ થઈ જવું, એ તમારો પોતાનો નિર્ણય છે.