સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાચી ઉપાસના લોકોને એકતામાં લાવે છે

સાચી ઉપાસના લોકોને એકતામાં લાવે છે

સાચી ઉપાસના લોકોને એકતામાં લાવે છે

ધર્મએ માનવોમાં ભાગલા પાડ્યા હોવા છતાં, ફક્ત સાચા પરમેશ્વરની ઉપાસના જ લોકોને એકતામાં લાવી શકે છે. ઈસ્રાએલ પરમેશ્વરે પસંદ કરેલું રાષ્ટ્ર હતું એ સમયે, ઘણા વિદેશીઓ સાચી ઉપાસના તરફ આકર્ષાયા હતા. દાખલા તરીકે, રૂથે પોતાના વતન મોઆબના દેવોને છોડ્યા અને નાઓમીને કહ્યું: “તારા લોક તે મારા લોક, ને તારો દેવ તે મારો દેવ થશે.” (રૂથ ૧:૧૬) પ્રથમ સદી સી.ઈ. દરમિયાન, ઘણા વિદેશીઓ સાચા પરમેશ્વરના ઉપાસક બન્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮; ૧૭:૪) પછી ઈસુના પ્રેષિતોએ દૂર દૂર મુસાફરી કરીને લોકોને પ્રચાર કર્યો ત્યારે, બીજા ઘણા લોકો સાચા પરમેશ્વરની ઉપાસના કરવા એકતામાં જોડાયા. પ્રેષિત પાઊલે લખ્યું: ‘તમે મૂર્તિઓ તરફથી દેવની ભણી ફર્યા.’ (૧ થેસ્સાલોનીકી ૧:૧૦) શું સાચા પરમેશ્વરની ઉપાસના આજે પણ લોકોને એકતામાં લાવે છે?

નાસ્તિકો માને છે કે “ખરા ભજનારા” અથવા “ખરા દેવ” વિષે વાત કરવી ખોટું છે. તેઓ સત્યના કોઈ પણ માર્ગને જાણતા ન હોવાથી એમ માનતા હોય શકે. પરંતુ, જુદી જુદી પાર્શ્વભૂમિકામાંથી આવતા સત્યને શોધનારા લોકોને સમજાયું છે કે ઉપાસના એ વ્યક્તિગત પસંદગી પર આધારિત નથી. સર્વ સૃષ્ટિના ઉત્પન્‍નકર્તા યહોવાહ જ આપણી ઉપાસનાને યોગ્ય છે. (પ્રકટીકરણ ૪:૧૧) તે જ સાચા પરમેશ્વર છે અને આપણે તેમની ઉપાસના કઈ રીતે કરવી જોઈએ એનો નિર્ણય કરવાનો હક્ક તેમની પાસે જ છે.

યહોવાહ, આપણે તેમની જરૂરિયાતો જાણી શકીએ માટે તેમના શબ્દ, બાઇબલ દ્વારા માર્ગદર્શન આપીને મદદ કરે છે. આજે પૃથ્વી પર લગભગ દરેક વ્યક્તિ પાસે આખું બાઇબલ કે એના અમુક ભાગો છે. વધુમાં, પરમેશ્વરના પુત્રએ કહ્યું: “તમે મારા વચનમાં રહો, તો . . . તમે સત્યને જાણશો.” (યોહાન ૮:૩૧, ૩૨) આમ, આપણે સત્યને જાણી શકીએ છીએ. તેથી, જુદા જુદા ધર્મના લાખો નમ્ર હૃદયના લોકોએ સત્યને સ્વીકાર્યું છે અને સાચી ઉપાસનામાં એક થયા છે.—માત્થી ૨૮:૧૯, ૨૦; પ્રકટીકરણ ૭:૯, ૧૦.

આપણા સમયમાં જગતવ્યાપી એકતા!

બાઇબલમાં સફાન્યાહનું પુસ્તક ભવિષ્યવાણીમાં ભાખે છે કે જુદી જુદી પાર્શ્વભૂમિકાના લોકો એકતામાં આવશે. એ જણાવે છે: “તે વખતે હું [યહોવાહ પરમેશ્વર] પ્રજાઓને શુદ્ધ હોઠો [“ભાષા” NW] આપીશ, જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતે તેની સેવા કરે.” (સફાન્યાહ ૩:૯) પરમેશ્વરની એકતામાં સેવા કરવા બદલાયેલા લોકોનું આ કેવું સુંદર ચિત્ર છે!

આમ ક્યારે બન્યું? સફાન્યાહ ૩:૮ કહે છે: “યહોવાહ કહે છે, કે હું નાશ કરવાને ઊભો થાઉં તે દિવસ સુધી તમે મારી વાટ જુઓ; કેમકે પ્રજાઓને એકઠી કરવાનો મેં નિર્ણય કર્યો છે, જેથી હું રાજ્યોને ભેગાં કરીને મારો સર્વ ક્રોધ, હા, મારો સર્વ સખત કોપ તેમના પર રેડું; કેમકે આખી પૃથ્વી મારા આવેશના અગ્‍નિથી ભસ્મ થશે.” હા, યહોવાહ પ્રજાઓને એકઠી કરી રહ્યા છે, પરંતુ તેઓ પર પોતાનો કોપ રેડે એ પહેલાં તે પૃથ્વી પરના નમ્ર લોકોને શુદ્ધ ભાષા આપે છે. એ સમય હમણાં છે, કેમ કે સર્વશક્તિમાન પરમેશ્વરના મહાન દિવસ, આર્માગેદોન માટે સર્વ પ્રજાઓને એકઠી કરવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે.—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.

યહોવાહ પોતાના લોકોને એકતામાં લાવવા તેઓને શુદ્ધ ભાષા આપે છે. આ નવી ભાષામાં પરમેશ્વર અને તેમના હેતુ વિષે બાઇબલની યોગ્ય સમજણ આપવામાં આવે છે. શુદ્ધ ભાષા બોલવામાં પરમેશ્વરનું જ્ઞાન સ્વીકારવાનો, બીજાઓને એ શીખવવાનો અને પરમેશ્વરના નિયમો તથા સિદ્ધાંતોના સુમેળમાં જીવવાનો સમાવેશ થાય છે. વધુમાં, એ રાજકારણથી દૂર રહેવાનું તેમ જ જાતિ ભેદભાવ તથા રાષ્ટ્રવાદ જેવા સ્વાર્થી વલણોને હૃદયમાંથી સમૂળગા દૂર કરવાનું પણ કહે છે. (યોહાન ૧૭:૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) સત્યને ચાહનારા સર્વ નમ્ર લોકો આ ભાષા શીખી શકે છે. અગાઉના લેખમાં ઉલ્લેખવામાં આવેલા પાંચ લોકોનો વિચાર કરો, જેઓ પહેલાં અલગ અલગ ધર્મ પાળતા હતા પરંતુ હવે તેઓ એક થઈને સાચા પરમેશ્વર યહોવાહની ઉપાસના કરે છે.

તેઓ સાચી ઉપાસનામાં એક છે

રોમન કૅથલિક ચર્ચની ઉપાસક ફીડૅલા, શાળામાં જતી પોતાની પુત્રી માટે બાઇબલ લાવી ત્યારે, તેણે તેના પાદરીને પોતાના મરી ગયેલા પાંચ બાળકોનું શું થયું એ બાઇબલમાંથી સમજાવવા કહ્યું. તે કહે છે: “કેવું નિરાશાજનક!” તેથી, યહોવાહના સાક્ષીઓ ફીડૅલાના ઘરે ગયા ત્યારે તેણે તેઓને એ જ પ્રશ્ન પૂછ્યો. પોતાના જ બાઇબલમાંથી મૂએલાઓની સ્થિતિ વિષે વાંચ્યા પછી, તેને સમજાયું કે ચર્ચના શિક્ષણથી તે કેવી છેતરાઈ હતી. તેને જાણવા મળ્યું કે મૂએલા કંઈ જાણતા નથી અને તેથી તેઓ લીમ્બો જેવી કોઈ જગ્યાએ યાતના ભોગવતા નથી. (ગીતશાસ્ત્ર ૧૪૬:૪; સભાશિક્ષક ૯:૫) ફીડૅલાએ તેના ધર્મની સર્વ મૂર્તિઓનો નાશ કર્યો અને ચર્ચ છોડીને બાઇબલનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. (૧ યોહાન ૫:૨૧) છેલ્લા દસ વર્ષથી તે બીજાઓને પરમેશ્વરનું જ્ઞાન શીખવવાનો આનંદ માણે છે.

કાઠમંડુની તારા બીજા એક દેશમાં રહેવા ગઈ કે જ્યાં હિંદુઓના થોડાં જ મંદિરો હતાં. તેથી, તેણે પોતાની આત્મિક જરૂરિયાતને સંતોષવા એક મેથોડિસ્ટ ચર્ચની મુલાકાત લીધી. પરંતુ, તેને માણસજાતની દુઃખ-તકલીફોને લગતા પ્રશ્નોના જવાબ ક્યાંય મળ્યા નહિ. પછી યહોવાહના સાક્ષીઓ તેને મળ્યા અને બાઇબલ અભ્યાસની ઑફર કરી. તારા કહે છે: “મને સમજાયું કે આ જગતની સર્વ દુઃખ-તકલીફો માટે પ્રેમના પરમેશ્વર જવાબદાર નથી. . . . નવી દુનિયામાં શાંતિ અને એકતાના ભાવિ વિષે જાણીને હું ખુશ થઈ ગઈ.” (પ્રકટીકરણ ૨૧:૩, ૪) તારાએ હિંદુ ધર્મની મૂર્તિઓ કાઢી નાખી અને પોતાના દેશના ધાર્મિક રિવાજોને અનુસરવાનું બંધ કર્યું. હવે તે યહોવાહના સાક્ષી તરીકે, બીજાઓને તેઓની આત્મિક જરૂરિયાતો સંતોષવામાં મદદ કરીને સાચા સુખનો આનંદ માણે છે.

બૌદ્ધ પેન્યાને બૅંગકોકમાં પહેલી વાર યહોવાહના સાક્ષીઓ મળ્યા ત્યારે, તે ભવિષ્ય ભાખતો હતો. તેથી, બાઇબલની ભવિષ્યવાણીઓ જોઈને તે ખૂબ આકર્ષિત થયો. પેન્યા જણાવે છે: “શા માટે હાલની પરિસ્થિતિ ઉત્પન્‍નકર્તાના મૂળ હેતુથી જુદી છે અને તેમનો તથા તેમની સર્વોપરિતાનો નકાર કરનારાઓએ કરેલા નુકસાનને પહોંચી વળવા તેમણે કઈ ગોઠવણ કરી છે એ જાણ્યું ત્યારે, મારી આંખો પરથી જાણે કોઈએ પડદો ઉઠાવી લીધો હોય એમ લાગ્યું. બાઇબલ સંદેશા વિષેની દરેક બાબત એકબીજાના સુમેળમાં લાગતી હતી. હું યહોવાહને એક વ્યક્તિ તરીકે પ્રેમ કરવા લાગ્યો; મને ખબર પડી કે હું જે જાણું છું એ સાચું છે અને એનાથી મને એ પ્રમાણે જીવવાનું ઉત્તેજન મળ્યું. હું બીજાઓને માનવોના અને પરમેશ્વરના ડહાપણ વચ્ચેનો તફાવત બતાવવા આતુર હતો. સાચા જ્ઞાને ખરેખર મારું જીવન બદલી નાખ્યું.”

સમય જતા, વર્જિલને પોતાની ધાર્મિક માન્યતાઓ વિષે શંકા થવા લાગી. તેથી, તેણે કાળા લોકો અને ગોરા લોકો પ્રત્યે ધિક્કાર ઉત્પન્‍ન કરતા તેનાં સંગઠનને મદદ કરવા પ્રાર્થના કરવાને બદલે, ગમે તે રીતે પોતાને સત્યનો માર્ગ જણાવવા પરમેશ્વરને પ્રાર્થના કરી. વર્જિલ યાદ કરે છે, “પરમેશ્વરને વારંવાર પ્રાર્થના કર્યા પછી, બીજા દિવસે સવારે હું ઊઠ્યો ત્યારે, મેં મારા ઘરમાં ચોકીબુરજ જોયું. . . . કોઈએ એને બારણા નીચેથી અંદર સરકાવ્યું હતું.” જલદી જ તેણે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તે આગળ કહે છે: “મારા જીવનમાં મેં પ્રથમ વાર સંતોષ અનુભવ્યો. . . . મને આશાનું કિરણ દેખાવા લાગ્યું.” થોડા જ સમયમાં, પરમેશ્વરનો શબ્દ, બાઇબલમાંથી સાચી આશા બતાવનારાઓ સાથે વર્જિલ એકતામાં રહેવા લાગ્યો.

લૅટિન અમેરિકાની ચારોને પોતાના નાનાં બાળકો સાથે જવામાં મુશ્કેલી અનુભવતા જોઈને, ગ્લેડિશ નામની યહોવાહની સાક્ષીએ તેને બજાર સુધી લઈ જવામાં મદદ કરી, એનાથી ચારો પ્રભાવિત થઈ. એ દરમિયાન ગ્લેડિશે તેને ગૃહ બાઇબલ અભ્યાસની ઑફર કરી, જે તેણે સ્વીકારી લીધી. ચારોને પોતાના જ બાઇબલમાંથી એ જાણીને ખૂબ નવાઈ લાગી કે સર્વ સારા લોકો કંઈ સ્વર્ગમાં જવાના નથી, પરંતુ યહોવાહે માણસજાત માટે પૃથ્વી પર અનંતજીવનની આશા રાખી છે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯) ચારો છેલ્લા ૧૫ વર્ષથી બીજાઓને આ આશા વિષે જણાવે છે.

કલ્પના કરો કે આખી પૃથ્વી પર પ્રામાણિક લોકો એક માત્ર સાચા પરમેશ્વર યહોવાહની એકતામાં ઉપાસના કરે છે! આ કંઈ ઉપજાવી કાઢેલી વાર્તા નથી. યહોવાહે પોતે એનું વચન આપ્યું છે. પોતાના પ્રબોધક સફાન્યાહ દ્વારા યહોવાહે જાહેર કર્યું: “હું તારામાં દુઃખી તથા ગરીબ લોકને રહેવા દઈશ, ને તેઓ યહોવાહના નામ પર વિશ્વાસ રાખશે. . . . લોકો અન્યાય કરશે નહિ, તેમ જૂઠું બોલશે નહિ; અને તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ; . . . કોઈ તેમને બીવડાવશે નહિ.” (સફાન્યાહ ૩:૧૨, ૧૩) આ વચનથી તમે આકર્ષાયા હોવ તો, બાઇબલની આ સલાહને ધ્યાનમાં લો: “હે પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાહના હુકમોનો અમલ કર્યો છે, માટે તમે તેને શોધો; નેકીનો માર્ગ શોધો, નમ્રતા શોધો: કદાચિત યહોવાહના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.”—સફાન્યાહ ૨:૩.