સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુનો જન્મ

ઈસુનો જન્મ

ઈસુનો જન્મ

“અરે, તમે કેવી વાત કરો છો!” ઈસુની જન્મ કહાણી સાંભળીને લોકો મોટે ભાગે એમ જ કહેશે. તેઓ માની જ શકતા નથી કે કોઈ કુંવારીને બાળક થઈ શકે. વિજ્ઞાન અને કુદરત પ્રમાણે, સ્ત્રી-પુરુષ સંબંધ ન બાંધે તો બાળક કઈ રીતે જન્મી શકે? શું તમને પણ એમ જ લાગે છે?

આ વિષે ૧૯૮૪માં લંડનના ધ ટાઈમ્સ ન્યૂઝ પેપરમાં પત્ર છાપવામાં આવ્યો, જેના પર બ્રિટીશ યુનિવર્સિટીના ૧૪ પ્રોફેસરોએ સહી કરી હતી. એમાં કહેવામાં આવ્યું કે “વિજ્ઞાનથી દરેક ચમત્કાર સાબિત થઈ ન શકે. એનો અર્થ એમ થતો નથી કે ચમત્કાર થઈ જ ન શકે. અમુક લોકો પરમેશ્વરમાં શ્રદ્ધા મૂકે છે અને બીજાઓ વિજ્ઞાનમાં ભરોસો મૂકે છે. તો પછી કોણ સાચું અને કોણ ખોટું?” એ પ્રોફેસરોએ કહ્યું: “અમે માનીએ છીએ કે એક કુંવારીએ ઈસુને જન્મ આપ્યો. વળી, ઈસુએ કરેલા ચમત્કારોમાં અને તે સજીવન થયા એમાં પણ અમે માનીએ છીએ.”

લોકો ઈસુની જન્મ કહાણી સાંભળીને મૂંઝાઈ જાય, એમાં નવાઈ નથી. પરમેશ્વરના એક સ્વર્ગ દૂતે મરિયમને સંદેશો આપ્યો: “તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે.” એ સાંભળીને મરિયમે મૂંઝાઈને પૂછ્યું: “હું તો કુંવારી છું, તો પછી એમ કેવી રીતે બને?” તમે પણ એમ જ વિચારતા હશો કે ‘એ બની જ ન શકે.’ તેથી, એ દૂત મરિયમને સમજાવે છે કે આ એક ચમત્કાર છે અને “ઈશ્વરને કશું જ અશક્ય નથી!” (લૂક ૧:​૩૧, ૩૪-૩૭, પ્રેમસંદેશ) વિચાર કરો: પરમેશ્વર યહોવાહે વિશ્વ બનાવ્યું છે. તે આપણા સર્જનહાર પણ છે. વળી, તેમણે સ્ત્રીઓને એવી રીતે બનાવી છે કે તેઓ બાળકને જન્મ આપી શકે છે. તેથી, પરમેશ્વર માટે કંઈ મોટી વાત ન કહેવાય કે તે એક કુંવારીને મા બનાવે. વળી એ બાળક પાપ વગરનું હોય, એમ કરવું પણ પરમેશ્વર માટે મોટી વાત નથી.

ઈસુ પૃથ્વી પર શા માટે આવ્યા?

દૂતે સંદેશો આપ્યો ત્યારે, મરિયમ અને યુસફની ફક્ત સગાઈ થયેલી હતી. યુસફ યહોવાહનો સાચો ભક્ત હતો. પરંતુ વિચાર કરો, જો મરિયમે યુસફને કહ્યું હોત કે તે મા બનવાની છે, તો યુસફને કેવું લાગ્યું હોત? તેથી, પરમેશ્વરનો દૂત યુસફને સપનામાં સમજાવે છે કે મરિયમ શા માટે મા બનવાની છે. દૂતે કહ્યું કે “મરિયમને તારી પત્ની તરીકે સ્વીકારવામાં અચકાઈશ નહિ, કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. તેને પુત્ર જનમશે અને તું તેનું નામ ઈસુ એટલે તારનાર પાડશે, કારણ કે તે પોતાના લોકોને તેઓનાં પાપમાંથી તારશે.” (માથ્થી ૧:​૨૦, ૨૧, IBSI) શા માટે આ બાળકનું નામ “ઈસુ” રાખવાનું હતું? હેબ્રી ભાષામાં એનો અર્થ થાય કે “યહોવાહ તારણહાર છે.” આ રીતે યહોવાહ જણાવવા ચાહતા હતા કે ફક્ત તેમના દીકરા ઈસુ દ્વારા જ, પાપ અને મરણમાંથી આપણું તારણ થઈ શકે છે.

પ્રથમ પુરુષ આદમ સંપૂર્ણ હતો. પરંતુ, તેણે યહોવાહની આજ્ઞાઓ જાણીજોઈને તોડી. એ સમયથી, તે અને તેનું કુટુંબ અપૂર્ણ અને પાપી બન્યા. આમ સર્વ માણસજાત અપૂર્ણ બન્યા, એટલે આપણે ઘડી ઘડી પરમેશ્વરની આજ્ઞાઓ તોડીએ છીએ. (રૂમીઓને પત્ર ૫:૧૨) આપણે કઈ રીતે એમાંથી છૂટકારો પામી શકીએ? હવે ન્યાયના ત્રાજવાના એક પલ્લામાં આદમ છે. પરંતુ, બીજી બાજુનું પલ્લું એની બરાબર કરવા, એક સંપૂર્ણ માણસની જરૂર હતી. એટલે જ યહોવાહે ચમત્કાર કર્યો! તેમણે પોતાના પ્રિય દીકરા ઈસુને, પૃથ્વી પર એક કુંવારીને પેટે સંપૂર્ણ બાળક તરીકે જન્મ લેવા દીધો, જેથી અપૂર્ણ આદમનું પાપ તેને ન લાગે. વળી, ન્યાયના ત્રાજવાનાં પલ્લાંને એકસરખા કરવા, ઈસુએ દુશ્મનોના હાથે મરણ પણ સહન કર્યું. (યોહાન ૧૦:૧૭, ૧૮; ૧ તીમોથી ૨:૫, ૬) પરંતુ, ઈસુની જીવન-દોરી ત્યાં જ કપાઈ ન ગઈ. તેમને સજીવન કરવામાં આવ્યા અને તે પાછા સ્વર્ગમાં ચડી ગયા. ઈસુએ પૂરા હક્કથી કહ્યું કે “હું મૂઓ પણ હતો, અને જુઓ, સદાકાળ જીવતો છું; અને મરણ તથા હાડેસની [અથવા કબરની] કૂચીઓ મારી પાસે છે.”​—⁠પ્રકટીકરણ ૧:⁠૧૮.

મરણ અને કબર એક એવું કેદખાનું છે, જેમાં સર્વ મનુષ્યો કેદ હતા. પરંતુ, ઈસુ પાસે હવે એની ચાવી છે. ઈસુ સર્વને એમાંથી છૂટા કરી શકે છે. વળી, તે મૂએલાઓને પણ સજીવન કરી શકે છે. એટલે જ ઈસુએ કહ્યું: “પુનરૂત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે; અને જે કોઇ જીવે છે, અને મારા પર વિશ્વાસ રાખે છે, તે કદી મરશે નહિ જ.” (યોહાન ૧૧:૨૫, ૨૬) આ કેટલું સુંદર વચન છે! પરંતુ, ઈસુ પૃથ્વી પર આવ્યા, એનું હજુ મોટું કારણ છે!

સૌથી મુખ્ય કારણ

ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં, શું તે જીવતા હતા? હા, ઈસુએ પોતે કહ્યું કે “હું સ્વર્ગમાંથી અહીં આવ્યો છું.” (યોહાન ૬:​૩૮, IBSI) તો પછી ઈસુ ક્યારે જન્મ્યા હતા? બાઇબલ કહે છે કે યહોવાહે સૌથી પહેલા ઈસુને બનાવ્યા હતા. (પ્રકટીકરણ ૩:૧૪) તેથી, ઈસુ પૃથ્વી પર આવ્યા પહેલાં, સ્વર્ગમાં યહોવાહ સાથે રહેતા હતા. ત્યાંથી ઈસુએ જોયું કે એક દુષ્ટ દૂત યહોવાહની વિરુદ્ધ ગયો. પછી, એ દુષ્ટ દૂત આદમને પણ યહોવાહની સત્તા વિરુદ્ધ લઈ ગયો. એના પરથી ઈસુએ સૌથી મહત્ત્વનું કારણ જોયું, જે માટે તેમણે દેવના સંપૂર્ણ દીકરા તરીકે પૃથ્વી પર જવું પડશે. એ મહત્ત્વનું કારણ કયું હતું?

ઈસુ પૃથ્વી પર જન્મથી છેક મરણ સુધી યહોવાહને વળગી રહ્યા. તેમણે બધી રીતે યહોવાહનું કહ્યું માન્યું. આમ, ઈસુએ માણસ તરીકે જીવીને સાબિત કર્યું કે ફક્ત યહોવાહ જ વિશ્વના રાજા છે, અને તેમની જ સત્તા બરાબર છે. તેમણે એમ શા માટે કર્યું? યહોવાહના દુશ્મનોના હાથે મરતા પહેલાં, ઈસુએ એ મહત્ત્વનું કારણ જણાવતા કહ્યું કે, ‘જગત જાણે કે હું બાપ પર પ્રેમ રાખું છું, એ માટે આ થાય છે.’ (યોહાન ૧૪:૩૧) આ પ્રેમની ખરી નિશાની છે! જો આદમ અને હવાએ પરમેશ્વરને આવો પ્રેમ બતાવ્યો હોત, તો તેઓ કદી બેવફા બન્યા ન હોત.​—⁠ઉત્પત્તિ ૨:૧૫-૧૭.

આ રીતે ઈસુએ શેતાનનું જૂઠાણું પણ ખુલ્લું પાડ્યું. શેતાનનો દાવો હતો કે જાન બચાવવા દરેક માણસ પરમેશ્વરની વિરુદ્ધ થશે. તેણે સ્વર્ગમાં સર્વ દૂતો, અરે પરમેશ્વરની સામે કહ્યું હતું કે “માણસ કોઈ પણ ભોગે પોતાનું જીવન બચાવતો હોય છે.” (યોબ ૨:૧,, IBSI) પરંતુ, ઈસુએ પોતાના જીવનથી બતાવી આપ્યું કે શેતાનની વાતમાં કંઈ માલ ન હતો. તે સાવ જૂઠ્ઠો હતો.

શેતાને એવો પણ આરોપ મૂક્યો કે, યહોવાહ બરાબર રાજ ચલાવી શકતા નથી, અને તેમને એવો કોઈ હક્ક પણ નથી. શેતાનના એ આરોપોના ટૂકડેટૂકડા કરવા, ઈસુ પૃથ્વી પર આવ્યા હતા. ઈસુએ મરણ સુધી યહોવાહને વફાદાર રહીને શેતાનની બોલતી બંધ કરી દીધી.

તેથી, ઈસુએ જણાવ્યું: “એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું.” (યોહાન ૧૮:૩૭) ઈસુએ પોતાની વાણી અને વર્તનથી બતાવી આપ્યું કે યહોવાહનું રાજ સૌથી સારું છે. વળી, ઈસુએ એ પણ સાબિત કર્યું કે યહોવાહનો માર્ગ જ સુખી જીવન લાવી શકે. તેમણે એમ પણ કહ્યું કે તે ‘ઘણાંની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યા’ હતા. (માર્ક ૧૦:૪૫) હા, ઈસુની કુરબાનીથી આપણે પાપ અને મરણની જંજીરમાંથી છૂટા થઈ શકીએ છીએ. આમ, આપણા સુખ-શાંતિના સપના કાયમ માટે સાચા બની શકે છે. આ કેટલી સરસ ગોઠવણ છે! આ સત્ય સમજવા, આપણે ઈસુના જન્મ વિષેની બીજી વિગતો પણ તપાસવી જોઈએ. ચાલો હવે પછીના લેખમાં એ જોઈએ.

[પાન ૪ પર ચિત્રો]

આપણે કઈ રીતે મોતના પંજામાંથી બચી શકીએ?