સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ઇનામ પર નજર રાખો છો?

શું તમે ઇનામ પર નજર રાખો છો?

શું તમે ઇનામ પર નજર રાખો છો?

એક રોગ એવો છે કે જેનાથી આંખોનું તેજ ધીમે ધીમે ઝાંખું થતું જાય છે. જો આ રોગનો ઇલાજ કરવામાં ન આવે, તો અંધાપો આવી શકે. આ રોગનું નામ છે, ઝામર. જેનાથી દુનિયાના ઘણા લોકોના જીવનમાં અંધકાર છવાઈ ગયો છે.

આપણા જીવનમાં આંખોની રોશની કરતાં પણ વધારે જરૂરી અને મૂલ્યવાન પ્રકાશ છે, યહોવાહની ભક્તિ! જો આપણે આપણી તેજ નજર એના પર ન રાખીએ, તો ધીમે ધીમે એને ગુમાવી બેસી શકીએ. એવું ન થાય એ માટે ચાલો આપણે યહોવાહની ભક્તિને જીવનમાં પ્રથમ રાખીએ, પછી બીજું બધું.

ઇનામ પર જ નજર રાખો

યહોવાહે પોતાના ભક્તો માટે “અદૃશ્ય” ઇનામ રાખ્યું છે. એ છે સુંદર બગીચા જેવી પૃથ્વી પર હંમેશ માટેનું જીવન. (૨ કોરીંથી ૪:૧૮) ખરું કે આપણે યહોવાહને પૂરા દિલથી પ્રેમ કરીએ છીએ એટલે તેમની ભક્તિ કરીએ છીએ. (માત્થી ૨૨:૩૭) પરંતુ, યહોવાહ પોતે ચાહે છે કે આપણે આપણા ઇનામ પર પણ નજર રાખીએ. યહોવાહ ચાહે છે કે આપણે તેમને પ્રેમાળ પિતા તરીકે ઓળખીએ જે ‘તેમને ખંતથી શોધનારાને ફળ આપે છે.’ (હેબ્રી ૧૧:૬) તેથી, યહોવાહના ભક્તો પોતાને મળનાર આશીર્વાદોની કાગના ડોળે વાટ જુએ છે.—રૂમી ૮:૧૯, ૨૪, ૨૫.

ચોકીબુરજ અને સજાગ બનો! વાંચનારા ઘણાને એમાંના નવી દુનિયાનાં ચિત્રો બહુ જ ગમે છે. જોકે આપણે જાણતા નથી કે આવનાર નવી દુનિયા કેવી હશે. આ મૅગેઝિનોમાં આપવામાં આવેલાં ચિત્રો તો યશાયાહ ૧૧:૬-૯ જેવાં વચનો પરથી ચિત્રકારે કરેલી કલ્પના છે. તેમ છતાં, આપણી એક બહેને લખ્યું: ‘જ્યારે હું ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનોમાં નવી દુનિયાનાં સુંદર ચિત્રો જોઉં છું, ત્યારે હું એને પૅકેજ ટુરનાં મૅગેઝિનોમાં આવતા સુંદર ચિત્રોની માફક જોઉં છું. હું પોતે એ દૃશ્યોમાં હોઉં એવી કલ્પના કરું છું, કેમ કે એ જ મારી આશા છે, જે યહોવાહના સમયે જરૂર પૂરી થશે.’

પ્રેષિત પાઊલે પણ પોતાના ‘સ્વર્ગીય આમંત્રણ’ વિષે એમ જ કર્યું. તે એવી કલ્પના કરતા ન હતા કે પોતે ત્યાં પહોંચી ગયા છે, કેમ કે તેમણે છેલ્લા શ્વાસ સુધી વફાદાર રહેવાનું હતું. પરંતુ, તેમણે ‘જે આગળ હતું તે તરફ પહોંચવાને બનતું બધું જ કર્યું.’ (ફિલિપી ૩:૧૩, ૧૪, પ્રેમસંદેશ) વળી, ઈસુએ પણ “પોતાની આગળ મૂકેલા આનંદને લીધે” મરણ પામતા સુધી સ્તંભ પરની પીડા સહન કરી.—હેબ્રી ૧૨:૨.

શું તમને કદી પણ શંકા થઈ છે કે તમે નવી દુનિયામાં પહોંચશો કે કેમ? એ ખરું છે કે આપણે અંત સુધી ટકીશું તો જ ઇનામ મેળવીશું. એટલે આપણે હમણાં કહી શકતા નથી કે ‘હું તો ચોક્કસ નવી દુનિયામાં હોઈશ જ.’ (માત્થી ૨૪:૧૩) તેમ છતાં, જો આપણે પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરતા હોઈએ, તો આપણે ચોક્કસ ઇનામ મેળવવાની આશા રાખી શકીએ છીએ. આપણને ખબર છે કે યહોવાહ ચાહે છે કે “કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે.” (૨ પીતર ૩:૯) જો આપણે પૂરા દિલથી યહોવાહમાં ભરોસો રાખીશું, તો તે આપણને જરૂર મદદ કરશે. હકીકત તો એ છે કે યહોવાહ એવા નથી કે પોતાના ભક્તોનો વાંક શોધ્યા કરે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૧; ૧૩૦:૩, ૪; હઝકીએલ ૧૮:૩૨.

યહોવાહનો આવો પ્રેમ જાણીને આપણી આશા હજુ વધે છે. આશા પણ વિશ્વાસ જેટલો જ મહત્ત્વનો ગુણ છે. (૧ કોરીંથી ૧૩:૧૩) બાઇબલમાં “આશા” ભાષાંતર થયેલા મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય કે “કંઈક સારું થાય એની રાહ જોવી.” એવી જ આશા વિષે ઈશ્વર ભક્ત પાઊલે લખ્યું: “અમારી મહાન આશા તો એ છે કે તમે બધા તમારી આતુરતા અંત સુધી ટકાવી રાખો, કે જેથી જે બાબતોની આશા તમે રાખો છો તે સત્યમાં પરિણમે. તમે આળસુ બનો એમ અમે ઇચ્છતા નથી, પરંતુ જેઓ વિશ્વાસ કરે છે અને ધીરજ રાખે છે તેઓના જેવા થાઓ.” (હિબ્રૂ ૬:૧૧, ૧૨, પ્રેમસંદેશ) તમે નોંધ કરી કે જો આપણે યહોવાહની ભક્તિ પૂરા દિલથી કરતા રહીએ, તો આપણી આશા હકીકતમાં બદલાય એની ખાતરી રાખી શકીએ. મનુષ્યોનાં વચનોની જેમ, “એ આશા આપણને નિરાશ કરતી નથી.” (રોમ ૫:૫, સંપૂર્ણ બાઇબલ) તો પછી, આપણે કઈ રીતે આપણી આશાનો દીવો ઝળહળતો રાખી શકીએ?

કઈ રીતે ઇનામ પર નજર રાખી શકાય?

આપણે એકસાથે બે બાજુ જોઈ શકતા નથી. એ જ રીતે, આપણે આ દુનિયાની ચીજ-વસ્તુઓ પર નજર રાખીશું તો, યહોવાહ જે નવી દુનિયા લાવશે એના પર પણ નજર રાખી નહિ શકીએ. પછી ધીમે ધીમે નવી દુનિયાની આશા ઝાંખી થઈને, આપણી નજર સામેથી એકદમ અદૃશ્ય થઈ જશે. એવું આપણામાંથી કોને ગમશે! (લુક ૨૧:૩૪) તેથી, આપણે આપણું ધ્યાન યહોવાહના રાજ અને હંમેશ માટેના જીવનની આશા પર જ રાખીએ.—માત્થી ૬:૨૨.

આપણા ઇનામ પર હંમેશાં નજર રાખવી, એ સહેલું નથી. આપણા જીવનમાં દરરોજ કેટલાય બનાવો બને છે, જેને ધ્યાન આપવું પડે છે. અરે ઘણી બાબતો આપણને લલચાવે પણ ખરી. આવા સંજોગોમાં આપણે કઈ રીતે જીવન જરૂરી બાબતો કરીને, યહોવાહના રાજ્ય અને નવી દુનિયા પર નજર રાખી શકીએ? ચાલો આપણે ત્રણ રીતોનો વિચાર કરીએ.

બાઇબલનો દરરોજ અભ્યાસ કરો. દરરોજ બાઇબલ વાંચવાથી મળતું જ્ઞાન આપણને યહોવાહની ભક્તિ પર જ ધ્યાન આપવા મદદ કરશે. જીવવા માટે નિયમિત ખોરાક લેવો જરૂરી છે, એવી જ રીતે નિયમિત બાઇબલ વાંચન પણ બહુ જ જરૂરી છે. પછી ભલેને આપણે વર્ષોથી બાઇબલ કેમ ન વાંચતા હોઈએ! આપણે એવું નથી વિચારતા કે ‘અત્યાર સુધીમાં તો મેં હજારો વખત ખાધું છે, તો હવે નથી ખાવું!’ એવી જ રીતે ભલેને આપણે બાઇબલ સારી રીતે જાણતા હોઈએ, તેમ છતાં આપણે એ નિયમિત વાંચવું જ જોઈએ. આમ, આપણી આશાનું તેજ વધતું જશે અને આપણો વિશ્વાસ અને પ્રેમ વહેતી નદી જેવા થશે.—ગીતશાસ્ત્ર ૧:૧-૩.

બાઇબલ વાંચી ને એના પર મનન કરો. શા માટે એમ કરવું જોઈએ? એનાં બે કારણો છે. સૌ પ્રથમ તો આપણે જે વાંચીએ છીએ એના પર મનન કરવાથી એ પચાવી શકાય છે. તેમ જ, એનાથી આપણા દિલમાં એની કદર વધે છે. બીજું કે કોઈ વ્યક્તિને વારંવાર યાદ કરવાથી આપણે તેમને ભૂલી જતા નથી, એવી જ રીતે મનન કરીને આપણે યહોવાહને, તેમણે જે કર્યું છે અને જે આશા આપી છે એને કદી ભૂલીશું નહિ. દાખલા તરીકે, મુસા સાથે ઈસ્રાએલી લોકોએ ઇજિપ્ત છોડ્યું અને યહોવાહની અદ્‍ભુત શક્તિ જોઈ. તેઓ પોતાનો વારસો મેળવે માટે યહોવાહ તેઓને લઈ ગયા તેમ, તેમનું રક્ષણ તેઓએ અનુભવ્યું. તોપણ, ઈસ્રાએલીઓ વચનના દેશમાં જવા અરણ્યમાં પહોંચ્યા ત્યારે, તેઓ કચકચ કરવા લાગ્યા. યહોવાહ જે રીતે અહીં સુધી તેઓને લઈ આવ્યા હતા, એ તેઓ સાવ જ ભૂલી ગયા. (ગીતશાસ્ત્ર ૭૮:૧૧-૧૭) શા માટે?

એ લોકોએ યહોવાહ અને તેમણે આપેલાં વચનો પરથી નજર ખસેડી લીધી. તેઓ એશ-આરામ અને ખાવા-પીવાની વધારે ચિંતા કરવા લાગ્યા. તેઓ પોતાની નજરે જોયેલા ચમત્કારો ભૂલી ગયા અને રાત-દિવસ કચકચ કરવા લાગ્યા. “તેઓ જલદી [યહોવાહનાં] કૃત્યો વિસરી ગયા.” (ગીતશાસ્ત્ર ૧૦૬:૧૩) એ કારણે એ પેઢીના લોકો વચનનાં દેશનો વારસો પામ્યા નહિ.

તેથી, શાસ્ત્ર વાંચતી વખતે કે આપણાં પુસ્તકો કે મૅગેઝિનો વાંચતી વખતે એના પર મનન પણ કરો. આમ કરવાથી આપણે યહોવાહની ભક્તિમાં તલ્લીન થઈ શકીશું. કલ્પના કરો કે તમે ગીતશાસ્ત્રનો અધ્યાય ૧૦૬ વાંચો છો. એમાં બતાવેલા યહોવાહના અનમોલ ગુણો વિચારો. યહોવાહે ઈસ્રાએલીઓ પ્રત્યે કેટલી ધીરજ અને દયા બતાવી. તેઓને વચનનાં દેશમાં લઈ જવા તેમણે શું કર્યું એના પર વિચાર કરો. તેઓ કેટલી વાર યહોવાહની સામા થયા, એ જુઓ. યહોવાહ કેટલા દુઃખી થયા, કેવી ચિંતા કરી હશે, જ્યારે તેમણે બતાવેલી દયા અને ધીરજની લોકોએ કોઈ કદર ન કરી. હવે, ૩૦ અને ૩૧ કલમો પર મનન કરો. જે બતાવે છે કે ફિનહાસ કેવો હિંમતવાળો હતો અને તેને યહોવાહના નામ માટે કેટલો પ્રેમ હતો! આપણને ખાતરી છે કે યહોવાહ એવા ભક્તોને ભૂલી જતા નથી, પણ તેઓને ભરપૂર આશીર્વાદો આપે છે.

બાઇબલના સિદ્ધાંતો જીવનમાં ઊતારો. બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવીએ તો, આપણે પોતાની નજરે જોઈશું કે યહોવાહની સલાહ આપણા ભલા માટે જ છે. નીતિવચનો ૩:૫, ૬ જણાવે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” જરા વિચારો કે લોકો લાજ-શરમ મૂકીને મન ફાવે તેમ વર્તે છે ત્યારે, તેઓ પર કેવી કેવી મુશ્કેલીઓ આવી પડે છે. ઘડી બે ઘડીની મજા માટે લોકોએ વર્ષો, અરે જિંદગીભર રડવું પડે છે. પરંતુ, જેઓ સાંકડા માર્ગે ચાલે છે, તેઓ હમણાં પણ નવી દુનિયાના આશીર્વાદોનો આનંદ માણે છે. જેથી, તેઓ જીવનના માર્ગે જીવનભર ચાલતા જ રહે.—માત્થી ૭:૧૩, ૧૪; ગીતશાસ્ત્ર ૩૪:૮.

જોકે, બાઇબલના સિદ્ધાંતો પાળવા કંઈ રમત વાત નથી. અમુક વાર બાઇબલના ન પાળીએ તો, તરત જ મુશ્કેલીનો અંત આવી જશે એમ લાગે. જેમ કે, પૈસાની ખેંચ હોય ત્યારે, યહોવાહની ભક્તિ બીજા નંબરે મૂકવાનું મન થઈ શકે. પરંતુ, યહોવાહમાં પૂરો ભરોસો રાખનારાઓ ઇનામ પર નજર રાખે છે, તેઓને જરૂર આશીર્વાદ મળશે. બાઇબલ કહે છે: “જેઓ દેવનો ડર રાખે છે તથા તેની સમક્ષ બીહે છે તેમનું ભલું થશેજ.” (સભાશિક્ષક ૮:૧૨) ઘણા ભાઈબહેનને અમુક વાર ઓવર-ટાઈમ પણ કરવો પડે. પરંતુ, આપણે કદી પણ એસાવ જેવા ન બનીએ, જેણે યહોવાહે આપેલા વારસાની કદર ન કરી અને એને નકામો ગણ્યો.—ઉત્પત્તિ ૨૫:૩૪; હેબ્રી ૧૨:૧૬.

ઈસુએ આપણને બતાવ્યું કે આપણે ‘પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધીએ.’ (માત્થી ૬:૩૩) આપણે એમ કરીશું તો, યહોવાહ પણ એક પ્રેમાળ, જવાબદાર પિતાની જેમ, આપણને જરૂરી બાબતો પૂરી પાડશે. જેમ કુટુંબનું ભરણપોષણ કરવાની જવાબદારી પિતાની છે, તેમ યહોવાહને એ જવાબદારી ઉપાડવા દઈએ. આપણે એ ચિંતા કરવાની જરૂર નથી. એવી નકામી સંસારી ચિંતાથી આપણું ધ્યાન યહોવાહની ભક્તિમાંથી ખસી જશે. જાણે ધીમે ધીમે આપણી આંખોનું તેજ ઓછું થતું જશે, અને આખરે અંધાપો આવી જશે. એમ થશે તો, યહોવાહનો ન્યાયનો દિવસ આપણી પર “ફાંદાની પેઠે” આવી પડશે. ખરેખર, એ કેટલી દુઃખની વાત થશે!—લુક ૨૧:૩૪-૩૬.

યહોશુઆ જેવા બનો

આપણી બીજી બધી જવાબદારી પર જરૂરી હોય એટલું જ ધ્યાન આપીએ, પણ યહોવાહની ભક્તિમાં પૂરેપૂરા તલ્લીન થઈ જઈએ. બાઇબલ વાંચીને એના પર મનન કરીએ. બાઇબલના સિદ્ધાંતોને જીવનમાં લાગુ પાડીએ. આમ, આપણે યહોશુઆની જેમ જ યહોવાહમાં પૂરો ભરોસો મૂકી શકીશું. યહોશુઆ ઈસ્રાએલીઓને વચનના દેશમાં લઈ ગયા, પછી કહ્યું: “તમારાં અંતઃકરણમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો, કે જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.”—યહોશુઆ ૨૩:૧૪.

તમે યહોવાહના રાજ્યની આશાનો દીવાનો ઝળહળતો રાખો. એનો પ્રકાશ તમારા જીવનમાં સદા અજવાળું પાથરે. જેથી, તમે તમારા વિચારોમાં, કાર્યોમાં ડગલે ને પગલે એ આશાના કિરણો ફેલાવતા રહો.—નીતિવચનો ૧૫:૧૫; રૂમી ૧૨:૧૨.

[પાન ૨૧ પર ચિત્ર]

શું તમને શંકા થઈ છે કે નવી દુનિયામાં પહોંચાશે કે કેમ?

[પાન ૨૨ પર ચિત્ર]

શાસ્ત્રનાં વચનો પચાવવા મનન જરૂરી

[પાન ૨૩ પર ચિત્ર]

યહોવાહના રાજ પર નજર રાખો