સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નાહૂમ, હબાક્કૂક અને સફાન્યાહના મુખ્ય વિચારો

નાહૂમ, હબાક્કૂક અને સફાન્યાહના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

નાહૂમ, હબાક્કૂક અને સફાન્યાહના મુખ્ય વિચારો

આશ્શૂર જગત સત્તા હતી. તેઓએ ઈસ્રાએલના દસ કુળની રાજધાની એટલે સમરૂનને ક્યારનુંય લૂંટી લીધું હતું. તેઓ યહુદાહને પણ ધમકીઓ આપતા હતા. નાહૂમ પ્રબોધક પોતે યહુદાહના હતા. તેમની પાસે આશ્શૂરની રાજધાની નીનવેહ માટે સંદેશો હતો. નાહૂમના પુસ્તકમાં એ સંદેશો છે. એ ઈ.સ. પૂર્વે ૬૩૨ પહેલાં લખાયો હતો.

આશ્શૂર પછી બાબેલોન જગત સત્તા બન્યું. થોડો સમય ખાલદીઓના રાજાઓએ રાજ કર્યું. હબાક્કૂકનું પુસ્તક કદાચ ઈ.સ. પૂર્વે ૬૨૮માં પૂરું થયું હશે. એમાં કહે છે કે યહોવાહ ઈસ્રાએલીઓને સજા કરવા બાબેલોનનો ઉપયોગ કરશે. છેવટે બાબેલોન પર શું વીતશે એ પણ તેમણે જણાવ્યું.

સફાન્યાહ પ્રબોધક યહુદાહના હતા. તે નાહૂમ અને હબાક્કૂક પહેલાં થઈ ગયા. તેમણે યરૂશાલેમના નાશના ૪૦ વર્ષ પહેલાં ભાખ્યું હતું કે એનો નાશ થશે. ઈ.સ. પૂર્વે ૬૦૭માં એવું જ થયું. તેમણે એ પણ જણાવ્યું હતું કે યહુદાહના લોકો પોતાના વતનમાં પાછા ફરશે. બીજી પ્રજાઓ માટે પણ સફાન્યાહના પુસ્તકમાં યહોવાહનો ન્યાયચુકાદો છે.

“ખૂની નગરને અફસોસ!”

(નાહૂમ ૧:૧–૩:૧૯)

યહોવાહ તરફથી ‘નીનવેહને દેવવાણી’ મળે છે. ‘યહોવાહ કોપ કરવામાં ધીમા ને મહા પરાક્રમી છે.’ નીનવેહનો નાશ થશે. પણ રક્ષણ માટે યહોવાહને શોધે છે તેઓ માટે તે ‘સંકટસમયે ગઢરૂપ છે.’—નાહૂમ ૧:૧, ૩,.

‘યહોવાહ યાકૂબની જાહોજલાલી પુનઃસ્થાપિત કરશે.’ ‘સિંહ જાનવરોને ફાડી ખાય છે’ તેમ આશ્શૂરે પરમેશ્વરના લોકોને ફાડી નાખ્યા છે. યહોવાહ ‘નીનવેહના રથોને બાળીને ભસ્મ કરશે, ને તરવાર તેના જુવાન સિંહોનો ભક્ષ કરશે.’ (નાહૂમ ૨:૨, ૧૨, ૧૩) નીનવેહ “ખૂની નગરને અફસોસ!” ‘તેની ખબર સાંભળનારા સર્વ તેના હાલ જોઈને તાળીઓ પાડીને આનંદ કરશે.’—નાહૂમ ૩:૧, ૧૯.

સવાલ-જવાબ:

૧:૯—યહુદાહ માટે નીનવેહના ‘સંપૂર્ણ અંતનો’ શું અર્થ થતો હતો? એ કે હંમેશ માટે આશ્શૂરીઓથી રાહત. તેઓ “બીજી વાર વિપત્તિ ઊભી” કરશે નહિ. નીનવેહનું નામો-નિશાન મટી ગયું હોય એમ નાહૂમે લખ્યું: “જુઓ, વધામણી લાવનારનાં, શાંતિની જાહેર ખબર આપનારનાં પગલાં પર્વતો પર દેખાય છે! હે યહુદાહ, તારાં પર્વો પાળ.”—નાહૂમ ૧:૧૫.

૨:૬—કઈ “નદીઓના દરવાજા” ખુલી ગયા? તાઈગ્રસ નદીના પાણીથી નીનવેહની દીવાલોમાં બાકોરાં પડ્યાં હતાં. એને અહીં ‘નદીઓના ઉઘાડા દરવાજા’ કહે છે. ઈ.સ. પૂર્વે ૬૩૨માં બાબેલોન અને માદીઓ નીનવેહને લૂંટવા આવ્યાં ત્યારે, તેને કોઈનો ડર ન હતો. કેમ કે શહેરમાં ઊંચા કોટ બાંધવામાં આવ્યા હતા. પણ ભારે વરસાદને લીધે તાઈગ્રસ નદી છલકાઈ ગઈ. ઇતિહાસકાર ડાયોડોરસના કહેવા પ્રમાણે, વરસાદને લીધે “શહેરમાં પાણી-પાણી થઈ ગયું ને દીવાલો પડી ભાંગી.” આમ તાઈગ્રસ નદીના દરવાજા ખુલી ગયા. સૂકા કચરાને આગ ભરખી જાય એમ નીનવેહનો નાશ થયો.—નાહૂમ ૧:૮-૧૦.

૩:૪—નીનવેહ કઈ રીતે વેશ્યા જેવું હતું? નીનવેહ આજુબાજુના દેશો કે પ્રજાઓને મદદ કરવાનું અને દોસ્તીનું વચન આપતું. હકીકતમાં એ લોકો પર જુલમ ગુજારતું. દાખલા તરીકે, સીરિયા અને ઈસ્રાએલે ભેગા મળીને યહુદાહ પર ચઢાઈ કરી ત્યારે આશ્શૂરે આહાઝ રાજાને થોડી મદદ કરી. છેવટે ‘આશ્શૂરના રાજાએ આહાઝ પર ચઢી આવીને તેને હેરાન કર્યો.’—૨ કાળવૃત્તાંત ૨૮:૨૦.

આપણે શું શીખી શકીએ?

૧:૨-૬. યહોવાહની તન-મન-ધનથી ભક્તિ કરવાની ના પાડે છે તેઓને તે સજા કરશે. એ શું બતાવે છે? એ જ કે યહોવાહ પોતાના ભક્તો પાસેથી સાચા દિલની ભક્તિ ચાહે છે.—નિર્ગમન ૨૦:૫.

૧:૧૦. નીનવેહની તોતિંગ દીવાલો પણ યહોવાહનું વચન અટકાવી ન શકી. આજે પણ યહોવાહના લોકોના દુશ્મનો ઈશ્વરના હાથમાંથી છટકી શકશે નહિ.—નીતિવચનો ૨:૨૨; દાનીયેલ ૨:૪૪.

‘ન્યાયી જીવશે’

(હબાક્કૂક ૧:૧–૩:૧૯)

હબાક્કૂકના પહેલા બે અધ્યાયમાં તેમણે યહોવાહ સાથે કરેલી વાતચીત જોવા મળે છે. યહુદાહમાં જે થઈ રહ્યું હતું એનાથી હબાક્કૂક દુઃખી હતા. તેમણે યહોવાહને પૂછ્યું: “શા માટે તું અન્યાય મારી નજરે પાડે છે, ને ભ્રષ્ટાચાર બતાવે છે?” યહોવાહે કહ્યું: “ખાલદીઓ જે કરડી તથા ઉતાવળી પ્રજા છે, તેમને હું ઊભા કરૂં છું.” યહોવાહ યહુદાહને શિક્ષા કરવા ‘કપટી માણસો’ વાપરવાના હતા. એનાથી હબાક્કૂકને નવાઈ લાગી. (હબાક્કૂક ૧:૩, ૬, ૧૩) પણ યહોવાહે તેમને ખાતરી આપી કે ન્યાયીઓ જીવશે. દુશ્મનોને સજા થશે. હબાક્કૂકે લખ્યું કે ખાલદીઓ પર પાંચ આફતો આવશે.—હબાક્કૂક ૨:૪.

હબાક્કૂકે યહોવાહને દયા માટે પ્રાર્થના કરી. તેમણે શોકગીતમાં ગાયું કે યહોવાહે ચમત્કારથી પોતાના લોકોને લાલ સમુદ્ર પાસે, અરણ્યમાં અને યરેખોમાં કેવી રીતે બચાવ્યા હતા. હબાક્કૂકે એ પણ જણાવ્યું કે યહોવાહ આર્માગેદનમાં કઈ રીતે પોતાના દુશ્મનનો નાશ કરશે. તેમણે પ્રાર્થનાને અંતે કહ્યું: “પ્રભુ યહોવાહ મારૂં બળ છે, તે મારા પગને હરણના પગ જેવા ચપળ કરે છે, ને મને મારાં ઉચ્ચસ્થાનો પર ચલાવશે.”—હબાક્કૂક ૩:૧, ૧૯.

સવાલ-જવાબ:

૧:૫, ૬—યહુદીઓને કેમ માનવામાં ન આવ્યું કે યરૂશાલેમ વિરુદ્ધ ખાલદીઓને ઊભા કરવામાં આવ્યા છે? હબાક્કૂક પ્રબોધ કરવા લાગ્યા ત્યારે યહુદાહ ઇજિપ્તના હાથમાં હતું. (૨ રાજાઓ ૨૩:૨૯, ૩૦, ૩૪) ખરું કે બાબેલોન શક્તિશાળી હતું તોપણ તેણે હજુ ફારૂન નકોને હરાવ્યો ન હતો. (યિર્મેયાહ ૪૬:૨) એ ઉપરાંત યહોવાહનું મંદિર યરૂશાલેમમાં હતું. હજી સુધી દાઊદના રાજવંશમાંથી જ આવતા રાજાઓ યરૂશાલેમ પર રાજ કરતા હતા. તેથી, યહુદીઓને માનવામાં ન આવ્યું કે યહોવાહ યરૂશાલેમનો નાશ કરવા ખાલદીઓનો ઉપયોગ કરશે. ભલે તેઓને હબાક્કૂકના શબ્દો માનવામાં ન આવ્યા તોપણ યરૂશાલેમના નાશ વિષે તેમને આવેલું સંદર્શન ઈ.સ. પૂર્વે ૬૦૭માં પૂરું થયું.—હબાક્કૂક ૨:૩.

આપણે શું શીખી શકીએ?

૧:૧-૪; ૧:૧૨–૨:૧. હબાક્કૂકે દિલથી સવાલો પૂછ્યા અને યહોવાહે તેને જવાબ આપ્યો. યહોવાહ સાચે જ પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે.

૨:૧. હબાક્કૂકની જેમ આપણે પણ યહોવાહની ભક્તિમાં ઉત્સાહી રહેવું જોઈએ. તેમ જ, આપણને સુધારવા માટે જે કંઈ સલાહ આપવામાં આવે એને સ્વીકારવી જોઈએ.

૨:૩; ૩:૧૬. આપણને પૂરો ભરોસો છે કે યહોવાહનો મહાન દિવસ આવશે. એની રાહ જોવામાં કદીયે ઢીલા ન પડવું જોઈએ.

૨:૪. યહોવાહનો ન્યાયનો દિવસ આવે ત્યાં સુધી તેમને વફાદાર રહેવું જોઈએ. તો જ બચીશું.—હેબ્રી ૧૦:૩૬-૩૮.

૨:૬, ૭, ૯, ૧૨, ૧૫, ૧૯. બેઇમાનીથી પૈસા પડાવવા જેઓ હિંસા, વ્યભિચાર કે મૂર્તિપૂજામાં ડૂબેલા છે તેઓને અફસોસ છે. આપણે એવાં કામોથી દૂર રહેવું જોઈએ.

૨:૧૧. આપણે જો દુષ્ટતાને ખુલ્લી નહિ પાડીએ તો, ‘પથ્થરો’ અફસોસ પોકારશે. આપણે હિંમતથી પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવો જોઈએ. એ ખૂબ જ મહત્ત્વનું છે!

૩:૬. યહોવાહ ન્યાય કરશે ત્યારે કોઈ પણ તેમને રોકી શકશે નહિ. અરે, પર્વતો અને ડુંગરો જેવી સંસ્થાઓ પણ યહોવાહને રોકી શકશે નહિ.

૩:૧૩. યહોવાહે આપણને પૂરી ખાતરી આપી છે કે આર્માગેદોનમાં અન્યાયી સાથે ન્યાયી મરશે નહિ. યહોવાહ પોતાના ભક્તોને જરૂર બચાવશે.

૩:૧૭-૧૯. રાજી-ખુશીથી યહોવાહને ભજવાથી ભલેને આર્માગેદન પહેલાં કે પછી મુશ્કેલીઓ આવે, તોપણ યહોવાહ આપણને “બળ” આપશે!

“યહોવાહનો દિવસ પાસે છે”

(સફાન્યાહ ૧:૧–૩:૨૦)

યહુદાહમાં લોકો ચારેબાજુ બઆલને ભજતા હતા. યહોવાહે પ્રબોધક સફાન્યાહને કહ્યું: “હું મારો હાથ યહુદાહ પર તથા યરૂશાલેમના સર્વ રહેવાસીઓ પર લંબાવીશ.” સફન્યાહે ચેતવણી આપી: “યહોવાહનો દિવસ પાસે છે.” (સફાન્યાહ ૧:૪, ૭, ૧૪) જેઓ તેમના માર્ગે ચાલે છે તેઓ જ એ દિવસે “સંતાઈ” કે બચી શકશે.—સફાન્યાહ ૨:૩.

યહોવાહે કહ્યું: “જુલમી નગરીને [યરૂશાલેમને] અફસોસ!” ‘હું નાશ કરવાને ઊભો થાઉં તે દિવસ સુધી તમે મારી વાટ જુઓ; કેમ કે પ્રજાઓને એકઠી કરવાનો મેં નિર્ણય કર્યો છે, જેથી મારો સખત કોપ તેમના પર રેડું.’ યહોવાહે વચન આપ્યું: “હું તમારી નજર આગળ તમારી ગુલામગીરી ફેરવી નાખીશ, ત્યારે પૃથ્વીના સર્વ પ્રજાઓમાં હું તમોને પ્રશંસનીય તથા નામીચા કરીશ.”—સફાન્યાહ ૩:૧, ૮, ૨૦.

સવાલ-જવાબ:

૩:૯—“શુદ્ધ હોઠો” કે શુદ્ધ ભાષા શું છે? એ કઈ રીતે બોલવામાં આવે છે? બાઇબલમાં ઈશ્વરનું સત્ય શુદ્ધ ભાષા છે. એમાં બાઇબલનું બધું શિક્ષણ આવી જાય છે. એમાં માનવાથી, લોકોને શીખવવાથી અને એ પ્રમાણે જીવવાથી આપણે શુદ્ધ ભાષા બોલી શકીએ.

આપણે શું શીખી શકીએ?

૧:૮. સફાન્યાહના દિવસમાં અમુક યહુદીઓ તેઓની આજુબાજુના દેશોની સાથે હાથ મિલાવવા ચાહતા હતા. એટલે તેઓ “પરદેશી વસ્ત્ર” પહેરતાં હતાં. આપણે એમ ન કરવું જોઈએ. એમ કરવું મૂર્ખાઈ કહેવાય!

૧:૧૨; ૩:૫, ૧૬. યહોવાહ પોતાના લોકોને ચેતવવા અને ન્યાયચુકાદો જણાવવા વારંવાર પ્રબોધકો મોકલતા. ઘણા લોકો દ્રાક્ષારસના કુંડમાં ઠરી ગએલા રગડાની જેમ પોતાના જીવનમાં ડૂબી ગયા હતા. તેઓને યહોવાહના સંદેશામાં રસ ન હતો. તોપણ યહોવાહ પ્રબોધકો મોકલતા રહ્યા. યહોવાહનો મહાન દિવસ નજીક આવે છે તેમ, દુનિયાનું વલણ જોઈને આપણા ‘હાથ ઢીલા પડવા’ દેવા ન જોઈએ. એટલે કે યહોવાહના રાજ્યનો પ્રચાર કરવામાં ઠંડા ન પડવું જોઈએ.

૨:૩. યહોવાહ જ આપણને તેમના ન્યાયના દિવસે બચાવી શકશે. કૃપા પામવા આપણે ‘યહોવાહને શોધવા જોઈએ.’ બાઇબલ સમજવા પ્રાર્થનામાં તેમની મદદ માંગવી જોઈએ. જાતે બાઇબલ વાંચવું જોઈએ. તેમને ઓળખવા જોઈએ. ‘નેકીનો માર્ગ શોધવો’ જોઈએ. એટલે કે તેમના ધોરણ પ્રમાણે જીવવું જોઈએ. તેમ જ તેમને આધીન રહેવાનું અને ‘નમ્ર’ બનતા શીખવું જોઈએ.

૨:૪-૧૫; ૩:૧-૫. યહોવાહે યરૂશાલેમ અને એની આજુબાજુના દેશોનો ન્યાય કર્યો હતો. તેઓનો જે અંજામ આવ્યો એ જ કહેવાતા ખ્રિસ્તીઓ અને દુનિયાના લોકો પર આવશે, કેમ કે તેઓએ યહોવાહના લોકો પર જુલમ ગુજાર્યો છે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬; ૧૮:૪-૮) આપણે પરમેશ્વરના ન્યાયના દિવસ વિષે હિંમતથી લોકોને જણાવવું જોઈએ.

૩:૮, ૯. યહોવાહના મહાન દિવસની રાહ જોઈએ તેમ એમાંથી બચવા તૈયારી કરવી જોઈએ. કઈ રીતે? યહોવાહને ઓળખવા જોઈએ. યહોવાહને વચન આપવું જોઈએ કે આપણે તેમને ભજીશું. તેમના ‘નામે વિનંતી કરવી’ જોઈએ. આમ આપણે “શુદ્ધ હોઠો” કેળવીને શુદ્ધ ભાષા બોલતા શીખીશું. યહોવાહના ભક્તો સાથે “એકમતે” તેમની સેવા કરીશું. તેમ જ, તેમને “હોઠોના ફળનું અર્પણ” કરી શકીશું.—હેબ્રી ૧૩:૧૫.

‘તે બહુ ઝડપથી આવે છે’

એક ઈશ્વરભક્તે કહ્યું: “થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૦) નાહૂમના પુસ્તકમાં નીનવેહની ભવિષ્યવાણીનો વિચાર કરો. તેમ જ, હબાક્કૂકના પુસ્તકમાં, બાબેલોન અને ધર્મભ્રષ્ટ યહુદાહની ભવિષ્યવાણીનો વિચાર કરો. એમ કરવાથી આપણને ખાતરી થશે કે ગીતશાસ્ત્રના એ શબ્દો પણ જરૂર સાચા પડશે. તોપણ આપણે હજુ કેટલી રાહ જોવી જોઈએ?

સફાન્યાહ ૧:૧૪ કહે છે: “યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે.” સફાન્યાહનું પુસ્તક એ પણ જણાવે છે કે એ દિવસે આપણે કઈ રીતે સંતાઈ શકીએ. તેમ જ, એમાંથી બચવા આપણે હમણાં કેવી તૈયારી કરવી જોઈએ. સાચે જ, ‘ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ છે.’—હેબ્રી ૪:૧૨. (w07 11/15)

[Pictures on page 8]

નીનવેહની તોતિંગ દીવાલો પણ નાહૂમની ભવિષ્યવાણીને પૂરી થતા અટકાવી ન શકી

[Credit Line]

Randy Olson/National Geographic Image Collection