સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ ક્યાંથી આવ્યા?

ઈસુ ક્યાંથી આવ્યા?

‘પીલાતે ફરીથી દરબારમાં જઈને ઈસુને પૂછ્યું કે તું ક્યાંનો છે? પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો નહિ.’—યોહાન ૧૯:૯.

ઈસુનો મુકદમો ચાલતો હતો ત્યારે રૂમી સૂબેદાર પોંતિયસ પીલાતે એ સવાલ કર્યો હતો. * તે જાણતો હતો કે ઈસુ ઈસ્રાએલના કયા ભાગમાંથી આવે છે. (લુક ૨૩:૬, ૭) તેને એ પણ ખબર હતી કે ઈસુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પણ શું તેને એવું લાગતું હતું કે ઈસુ બીજે ક્યાંક પહેલાં જીવી ગયા હતા? શું તે ઈસુએ જણાવેલું સત્ય સ્વીકારવા અને એ પ્રમાણે ચાલવા ઇચ્છતો હતો? પૂછવાનું કારણ ગમે તે હોય, ઈસુએ તેને જવાબ આપ્યો નહિ. પીલાત જે રીતે વર્ત્યો એનાથી સાબિત થઈ ગયું કે તેને પોતાની જ પડી હતી. તેને ન્યાય કરવામાં કે સત્ય જાણવામાં કોઈ રસ ન હતો.—માત્થી ૨૭:૧૧-૨૬.

જેઓ ખરેખર ઈસુ વિષે જાણવા માગે છે, તેઓ સહેલાઈથી એ બાઇબલમાંથી જાણી શકે છે. ચાલો જોઈએ કે ઈસુ ક્યાંથી આવ્યા.

ઈસુનો જન્મ ક્યાં થયો?

ઈસુનો જન્મ યહુદાહના નાના ગામ બેથલેહેમમાં થયો હતો. રાજા ઑગસ્તસે હુકમ બહાર પાડ્યો હતો કે દરેક પોતાના ગામમાં જઈને નામ નોંધાવે. એ કારણને લીધે મરિયમ “ગર્ભવતી” હતી છતાં તેણે પતિ યુસફ સાથે બેથલેહેમની મુસાફરી કરવી પડી. બેથલેહેમ એ યુસફના બાપ-દાદાઓનું ગામ હતું. ઘણા લોકો ત્યાં નામ નોંધાવવા આવ્યા હોવાથી યુસફ અને મરિયમને રહેવા કોઈ જગ્યા મળી નહિ. તેઓને એક તબેલામાં રહેવું પડ્યું અને ત્યાં ઈસુનો જન્મ થયો. તેમને ગભાણમાં રાખવા પડ્યા.—લુક ૨:૧-૭.

સદીઓ પહેલાં બાઇબલની એક ભવિષ્યવાણીમાં ઈસુના જન્મ વિષે કહ્યું હતું: “હે બેથલેહેમ એફ્રાથાહ, જોકે તું એટલું નાનું છે કે યહુદાહનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઈસ્રાએલમાં અધિકારી થવાનો છે.” * (મીખાહ ૫:૨) બેથલેહેમ એટલું નાનું હતું કે યહુદાહના શહેરોમાં એની ગણતરી થતી ન હતી. તેમ છતાં આ નાના ગામડાને એક મોટો લહાવો મળવાનો હતો. વચન પ્રમાણેના મસીહ એટલે કે ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવવાના હતા.—માત્થી ૨:૩-૬; યોહાન ૭:૪૦-૪૨.

ઈસુનો ઉછેર ક્યાં થયો?

થોડો સમય મિસરમાં (ઇજિપ્તમાં) રહ્યા પછી ઈસુનું કુટુંબ પાછું નાઝારેથમાં રહેવા ગયું. ત્યારે ઈસુ ત્રણ વર્ષના પણ ન હતા. નાઝારેથ શહેર ગાલીલના વિસ્તારોમાં આવેલું હતું. એ યરૂશાલેમ શહેરથી આશરે ૯૬ કિલોમીટર ઉત્તરે આવેલું હતું. આ સુંદર વિસ્તારમાં ખેડૂતો, ભરવાડો અને માછીમારો રહેતા હતા. ઈસુને બીજા ઘણા ભાઈ-બહેનો હતા. તેઓનું કુટુંબ સદ્ધર ન હતું.—માત્થી ૧૩:૫૫, ૫૬.

બાઇબલમાં ભાખવામાં આવ્યું હતું કે મસીહા “નાઝારી” કહેવાશે. સુવાર્તાના એક લેખક માત્થીએ જણાવ્યું હતું કે ઈસુ ‘નાઝારી કહેવાશે, એવું પ્રબોધકોનું કહેલું પૂરૂં થાય તે માટે તે નાઝારેથ નામના નગરમાં જઈને રહ્યા.’ (માત્થી ૨:૧૯-૨૩) એવું લાગે છે કે નાઝારી નામ, હેબ્રી શબ્દ “ફણગો” સાથે સંબંધ ધરાવે છે. યશાયાહે કરેલી ભવિષ્યવાણીનો કદાચ ઉલ્લેખ કરીને માત્થીએ લખ્યું હતું કે મસીહ યિશાઈનો “ફણગો” કહેવાશે. એટલે કે દાઊદ રાજાના પિતા યિશાઈના વંશમાંથી મસીહા આવશે. (યશાયાહ ૧૧:૧) ઈસુ સાચે જ યિશાઈ અને દાઊદના વંશમાં આવ્યા.—માત્થી ૧:૬, ૧૬; લુક ૩:૨૩, ૩૧, ૩૨.

ઈસુ ખરેખર ક્યાંથી આવ્યા?

બાઇબલ શીખવે છે કે બેથલેહેમમાં ઈસુનો જન્મ થયો એના પહેલાં તે સ્વર્ગમાં હતા. આગળ જણાવેલી મીખાહની ભવિષ્યવાણી આમ કહે છે: “જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.” (મીખાહ ૫:૨) ઈસુ તો ઈશ્વરના પ્રથમ દીકરા છે. એટલે તે પૃથ્વી પર આવ્યા ત્યારે પોતાના વિષે કહ્યું, હું “આકાશથી ઊતર્યો છું.” (યોહાન ૬:૩૮; ૮:૨૩) પણ એ કઈ રીતે શક્ય બન્યું?

યહોવાહે પોતાની શક્તિથી ઈસુના જીવનને કુંવારી મરિયમના ગર્ભમાં મૂક્યું. * આ રીતે એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે ઈસુનો જન્મ થયો. સર્વશક્તિમાન ઈશ્વર માટે આવો ચમત્કાર કરવો બહુ સહેલું છે. આ બાબતો વિષે મરિયમને સમજાવતા એક સ્વર્ગદૂતે કહ્યું: “દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહિ થશે.”—લુક ૧:૩૦-૩૫, ૩૭.

ઈસુ ક્યાંથી આવ્યા એ સિવાય પણ બાઇબલમાં તેમના વિષે બીજું ઘણું જણાવેલું છે. સુવાર્તાના ચાર પુસ્તકો માત્થી, માર્ક, લુક અને યોહાન ઈસુના જીવન વિષે વધારે જણાવે છે. (w11-E 04/01)

^ ઈસુની ધરપકડ અને તેમના પર ચાલેલા મુકદમા વિષે વધુ જાણવું હોય તો “કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ” પુસ્તકના પ્રકરણ ૧૧૮-૧૨૪ જુઓ.

^ બેથલેહેમનું પહેલાંનું નામ એફ્રાથાહ કે એફ્રાથ હતું.—ઉત્પત્તિ ૩૫:૧૯.

^ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે “યહોવાહ,” ઈશ્વરનું નામ છે.