સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

શું યહોવાહને લાગણીઓ છે?

શું યહોવાહને લાગણીઓ છે?

જો એનો જવાબ ‘હા’ હોય તો આ સવાલ થાય કે ‘શું આપણું વાણી-વર્તન તેમને ખુશ કરે છે કે દુઃખી કરે છે?’ જ્યારે કે પ્રાચીન સમયના અમુક ફિલસૂફો કહેતા કે ઈશ્વરને લાગણી નથી. તેઓની દલીલ હતી કે મનુષ્યના વર્તનથી ઈશ્વરને કંઈ અસર થતી નથી. પરંતુ બાઇબલ શીખવે છે કે યહોવાહ ઈશ્વરને કોમળ લાગણીઓ છે. તેમની ભક્તિમાં આપણે જે કંઈ કરીએ એની તે ખૂબ કદર કરે છે. ચાલો, ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧ના શબ્દોનો વિચાર કરીએ.

એ અધ્યાય ટૂંકમાં જણાવે છે કે ઈસ્રાએલીઓ સાથે શું થયું, અને યહોવાહ તેઓ સાથે કેવી રીતે વર્ત્યા. યહોવાહે તેઓને મિસરમાંથી છોડાવ્યા પછી પોતાની સાથે ખાસ સંબંધ બાંધવાનો મોકો આપ્યો. તેઓને વચન આપ્યું કે તમે મારા નિયમો પાળશો તો મારું “ખાસ ધન થશો.” આમ, તેઓ યહોવાહનો હેતુ પૂરો કરવામાં એક ખાસ ભાગ ભજવવાના હતા. એમ કરવા ઈસ્રાએલી લોકોએ યહોવાહ સાથે કરાર કર્યો. પણ શું તેઓ એ પ્રમાણે જીવ્યા?—નિર્ગમન ૧૯:૩-૮.

ગીતશાસ્ત્ર ૭૮ના લેખકે એ લોકોના બંડખોર વલણ વિષે કહ્યું: “તેઓએ કેટલી વાર અરણ્યમાં તેની સામે ફિતૂર ઉઠાવ્યું.” (કલમ ૪૦) પછીની કલમ કહે છે કે વારંવાર ‘તેઓએ ઈશ્વરની પરીક્ષા કરી.’ (કલમ ૪૧) ચાલો જોઈએ કે બંડખોર વલણ કઈ રીતે જોવા મળ્યું: મિસરની ગુલામીમાંથી ઈસ્રાએલીઓ આઝાદ થયા, એના થોડા સમય પછી અરણ્યમાં યહોવાહની સામે કચકચ કરવા લાગ્યા. શંકા ઉઠાવવા લાગ્યા કે શું ઈશ્વર ખરેખર તેઓની સંભાળ રાખવા ચાહે છે? (ગણના ૧૪:૧-૪) “તેની સામે ફિતૂર ઉઠાવ્યું,” વિષે બાઇબલ અનુવાદોના એક પુસ્તકે કહ્યું, ‘તેઓએ પોતાનું દિલ કઠણ કર્યું’ અથવા ‘તેઓએ ઈશ્વરનું સાંભળવાની “ના” પાડી.’ તેમ છતાં, ઈસ્રાએલીઓ જ્યારે પણ પસ્તાવો કરીને પાછા ફરતા ત્યારે યહોવાહને દયા આવતી અને માફ કરતા. એ પછી પણ તેઓનો અસલી રંગ દેખાતો રહ્યો.—ગીતશાસ્ત્ર ૭૮:૧૦-૧૯, ૩૮.

ઈસ્રાએલીઓ બંડખોર બનતા ત્યારે યહોવાહને કેવું લાગતું? ૪૦મી કલમ કહે છે: ‘તેઓએ તેમને દુઃખી કર્યા.’ બાઇબલનો બીજો એક અનુવાદ કહે છે: ‘તેઓને લીધે ઈશ્વરને દુઃખ થયું.’ બાઇબલનો જ્ઞાનકોષ સમજાવે છે કે ‘બંડખોર બાળકના વર્તનથી માબાપને દુઃખ થાય તેમ, હિબ્રૂ લોકોના વર્તનથી ઈશ્વરને દુઃખ થતું.’ બંડખોર ઈસ્રાએલીઓએ પોતાના વર્તનથી ‘પવિત્ર ઈશ્વરને માઠું લગાડ્યું.’—કલમ ૪૧.

ગીતશાસ્ત્ર ૭૮માંથી આપણને શું શીખવા મળે છે? યહોવાહને પોતાના ભક્તો માટે ઊંડી લાગણી છે. એ જાણીને કેટલું ઉત્તેજન મળે છે કે યહોવાહ કદી આપણને મદદ કરવાનું બંધ કરતા નથી. તેમ જ, આપણું વર્તન તેમને ખુશ કરી શકે કે દુઃખ પહોંચાડી શકે. શું એ જાણીને તમને યહોવાહના માર્ગમાં ચાલવાની પ્રેરણા મળતી નથી!

પાપી માર્ગમાં ચાલતા રહીને યહોવાહને દુઃખ આપવાને બદલે તેમના ન્યાયી માર્ગમાં ચાલીએ. આમ કરીને આપણે તેમના હૃદયને આનંદ પમાડીશું. યહોવાહ પોતાના ભક્તો પાસેથી એ જ ચાહે છે. તે કહે છે, “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ.” (નીતિવચનો ૨૭:૧૧) યહોવાહને ખુશ કરવા ચાલો તેમના માર્ગમાં ચાલતા રહીએ! (w11-E 07/01)

યહોવાહને ખુશ કરવા ચાલો તેમના માર્ગમાં ચાલતા રહીએ!