સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તમે સાંભળો અને એનો અર્થ સમજો’

‘તમે સાંભળો અને એનો અર્થ સમજો’

“તમે સહુ મારું સાંભળો તથા સમજો.”માર્ક ૭:૧૪.

૧, ૨. ઘણા લોકો શા માટે ઈસુની વાત સમજી ન શક્યા?

કોઈ વ્યક્તિ આપણને કંઈક કહી રહી હોય, ત્યારે તેના અવાજને સાંભળવાની સાથે સાથે કદાચ તેની ભાવના પણ પારખી શકીએ છીએ. જોકે, એ વ્યક્તિની વાત સમજવા, તેના શબ્દોનો અર્થ સમજવો ખૂબ જરૂરી છે. (૧ કોરીં. ૧૪:૯) ઈસુએ હજારો લોકો સાથે વાત કરી. તેઓ સમજી શકે એ રીતે વાત કરી. પરંતુ, બધાં જ તેમની વાત સમજી ન શક્યા. તેથી જ ઈસુએ કહ્યું: “તમે સહુ મારું સાંભળો તથા સમજો.”—માર્ક ૭:૧૪.

ઘણા લોકો શા માટે ઈસુની વાત સમજી ન શક્યા? કારણ કે, તેઓમાંના અમુક પોતાની ધારણાને પકડી રાખવા માંગતા હતા. બીજા અમુક ખોટા ઇરાદાથી ઈસુની વાત સાંભળવા આવતા હતા. ઈસુએ તેઓ વિશે કહ્યું: “તમે તમારા સંપ્રદાય પાળવા માટે ઈશ્વરની આજ્ઞા ઠીક [ચાલાકીથી, NW] રદ કરો છો.” (માર્ક ૭:૯) તેઓએ ઈસુના શબ્દોને સમજવાનો પ્રયત્ન ન કર્યો. તેઓ પોતાનાં રીતરિવાજો અને વિચારો બદલવાં માંગતા ન હતા. તેઓ સાંભળતા તો હતા પણ મનમાં ઉતારતા ન હતા. (માથ્થી ૧૩:૧૩-૧૫ વાંચો.) આપણે તેઓના જેવા ન થઈએ. ચાલો જોઈએ કે ઈસુના શિક્ષણમાંથી શીખવા આપણે કઈ રીતે તૈયાર રહી શકીએ?

ઈસુએ આપેલા શિક્ષણમાંથી ફાયદો મેળવવા શું કરવું

૩. શિષ્યો શા માટે ઈસુની વાતો સમજી શક્યા?

આપણે ઈસુના શિષ્યોની જેમ નમ્ર બનવું જોઈએ. ઈસુએ તેઓને કહ્યું હતું: ‘તમારી આંખોને ધન્ય છે, કેમ કે એ જુએ છે અને તમારા કાનોને ધન્ય છે, કેમ કે એ સાંભળે છે.’ (માથ. ૧૩:૧૬) શા માટે શિષ્યો ઈસુની વાતો સમજી શક્યા, જ્યારે કે બીજા લોકો એને સમજી શક્યા નહિ? આ ત્રણ કારણોને લીધે શિષ્યો એ વાતો સમજી શક્યા: પહેલું, તેઓ પ્રશ્નો પૂછતા અને ઈસુ જે કહેવા માંગતા હતા એને સમજવાનો પ્રયત્ન કરતા. (માથ. ૧૩:૩૬; માર્ક ૭:૧૭) બીજું, અમુક વિષયોનું જ્ઞાન પહેલાંથી હોવા છતાં, તેઓ ઈસુ પાસેથી નવી વાતો શીખવા તૈયાર હતા. (માથ્થી ૧૩:૧૧, ૧૨ વાંચો.) ત્રીજું, તેઓ જે શીખતા એને પોતે લાગુ પાડતા અને બીજાઓને પણ એ શીખવામાં મદદ આપતા.—માથ. ૧૩:૫૧, ૫૨.

૪. ઈસુના દૃષ્ટાંતોને સમજવાં આપણે શું કરવું જોઈએ?

આપણે પણ જો ઈસુનાં દૃષ્ટાંતોને સમજવાં હોય, તો શિષ્યોની જેમ આ ત્રણ પગલાં લઈએ: પહેલું, ઈસુની વાતો પર અભ્યાસ અને મનન કરવા સમય આપીએ. તેમ જ, સાહિત્યમાંથી સંશોધન કરીએ અને એ વિષયને લગતા યોગ્ય સવાલો પૂછીએ. એમ કરવાથી જે જાણવા મળે છે, એને જ્ઞાન કહેવાય. (નીતિ. ૨:૪, ૫) બીજું, આપણી પાસે એ વિષયની અમુક માહિતી પહેલાંથી હશે. હવે, જે જ્ઞાન મળ્યું છે એ અગાઉની માહિતી સાથે સરખાવીએ. એને સમજણ કહેવાય. ત્રીજું, આપણને જે સમજણ મળી એનો ઉપયોગ કરીએ અને એને જીવનમાં લાગુ પાડીએ. એને વિવેકબુદ્ધિ કે ડહાપણ કહેવાય.—નીતિ. ૨:૨, ૩, ૬, ૭.

૫. જ્ઞાન, સમજણ અને ડહાપણમાં ફરક જણાવવા ઉદાહરણ આપો.

જ્ઞાન, સમજણ અને ડહાપણમાં શો ફરક છે? એ ફરક જાણવા ચાલો એક ઉદાહરણ લઈએ. વિચાર કરો કે તમે રસ્તાની વચ્ચે ઊભા છો અને એક બસ ઝડપથી તમારી તરફ આવી રહી છે. સૌથી પહેલાં તમે જોઈને પારખો છો કે એ એક બસ છે. એને જ્ઞાન કહેવાય. પછી, તમને ખ્યાલ આવે છે કે જો તમે રસ્તા પર જ ઊભા રહેશો તો તમને ઈજા થશે. એને સમજણ કહેવાય. હવે, તમે બચવા માટે રસ્તા પરથી ખસી જાઓ છો, જેને ડહાપણ કહેવાય. એ કેટલું યોગ્ય છે કે બાઇબલ ‘વિવેકબુદ્ધિને પકડી’ રાખવાની સલાહ આપે છે. એમ કરવાથી તમારું જીવન બચી શકે છે.—નીતિ. ૩:૨૧, ૨૨; ૧ તીમો. ૪:૧૬.

૬. ઈસુએ આપેલાં દૃષ્ટાંતોની ચર્ચા દરમિયાન આપણે કયા ચાર સવાલો પર વિચાર કરીશું? ( બૉક્સ જુઓ.)

આ અને આવતા લેખમાં આપણે ઈસુએ આપેલાં સાત દૃષ્ટાંતોની ચર્ચા કરીશું. આપણે આ સવાલો પર વિચાર કરીશું: આ દૃષ્ટાંતનો અર્થ શો થાય? (એનાથી આપણને જ્ઞાન મળશે.) ઈસુએ શા માટે એ દૃષ્ટાંત આપ્યું? (એનાથી આપણને સમજણ મળશે.) આપણે પોતાને અને બીજાઓને મદદ આપવા એ સમજણનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ? (એનાથી આપણને ડહાપણ મળશે.) ઉપરાંત, આપણે વિચાર કરીશું કે એ દૃષ્ટાંતો આપણને યહોવા અને ઈસુ વિશે શું શીખવે છે?

રાઈનો દાણો

૭. રાઈના દાણાના દૃષ્ટાંતનો અર્થ શો થાય છે?

માથ્થી ૧૩:૩૧, ૩૨ વાંચો. રાઈના દાણાના દૃષ્ટાંતનો અર્થ શો થાય છે? રાઈનો દાણો રાજ્યના સંદેશાને અને ખ્રિસ્તી મંડળને રજૂ કરે છે. રાઈનો દાણો ‘સઘળાં દાણા કરતાં નાનો’ હોય છે. સાલ ૩૩માં જ્યારે ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ ત્યારે એ પણ ખૂબ જ નાનું હતું. જોકે, સાક્ષીકાર્યને લીધે થોડા જ સમયમાં એ ઝડપથી વધવા લાગ્યું. એ એટલી ઝડપે વધશે એવું મોટા ભાગના લોકોએ ધાર્યું ન હતું. (કોલો. ૧:૨૩) ઈસુએ દૃષ્ટાંતમાં કહ્યું હતું કે “આકાશનાં પક્ષીઓ આવીને એની ડાળીઓ પર વાસો કરે છે.” તે કહેવા માંગતા હતા કે મંડળ વધતું જશે તેમ નમ્ર દિલના લોકો એના લીધે ભક્તિમાં મજબૂત થશે. તેમ જ, એના દ્વારા તેઓને તાજગી અને રક્ષણ મળી રહેશે.—વધુ માહિતી: હઝકીએલ ૧૭:૨૩.

૮. એ દૃષ્ટાંતથી ઈસુ શું સમજાવવા માંગતા હતા?

ઈસુ એ દૃષ્ટાંતથી શું સમજાવવા માંગતા હતા? રાઈનો દાણો વાવ્યા પછી એ છોડની વૃદ્ધિ ખૂબ ઝડપથી થાય છે. છોડની વૃદ્ધિ વિશે વાત કરીને ઈસુ સમજાવવા માંગતા હતા કે ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ થશે. તેમ જ, બતાવવા માંગતા હતા કે કઈ રીતે એ રાજ્ય દરેક અડચણને પાર કરે છે અને એની પ્રજાને રક્ષણ પૂરું પાડે છે. વર્ષ ૧૯૧૪થી મંડળોમાં જબરદસ્ત વધારો થયો છે. (યશા. ૬૦:૨૨) એ મંડળોના સભ્યોને યહોવા સાથે નજીકનો સંબંધ કેળવવા મદદ મળી છે. (નીતિ. ૨:૭; યશા. ૩૨:૧, ૨) કોઈ પણ વિરોધ આપણાં મંડળોની વૃદ્ધિને રોકી શકતો નથી.—યશા. ૫૪:૧૭.

૯. (ક) રાઈના દાણાનું દૃષ્ટાંત આપણને શું શીખવે છે? (ખ) એ દૃષ્ટાંત આપણને યહોવા અને ઈસુ વિશે શું શીખવે છે?

રાઈના દાણાનું દૃષ્ટાંત આપણને શું શીખવે છે? આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં કદાચ સાક્ષીઓ ઓછા હશે અને વૃદ્ધિ કદાચ ધીમી હશે. છતાં, હંમેશાં યાદ રાખીએ કે ઈશ્વરનું રાજ્ય કોઈ પણ અડચણને પાર કરીને આગળ વધી શકે છે. એ યાદ રાખવાથી આપણે મુશ્કેલીઓ હોવા છતાં ટકી રહીશું. દાખલા તરીકે, ભાઈ એડવીન સ્કીનર ૧૯૨૬માં ભારત ગયા ત્યારે ત્યાં ખૂબ ઓછા સાક્ષીઓ હતા. પ્રગતિ સાવ ઓછી હોવાથી સાક્ષી કામ કરવું અઘરું હતું. પરંતુ, તે સાક્ષીકાર્યમાં લાગુ રહ્યા અને જોઈ શક્યા કે ઘણી અડચણો હોવા છતાં રાજ્યનું કામ આગળ વધ્યું છે. આજે, ભારતમાં ૪૦,૦૦૦થી વધુ યહોવાના સાક્ષીઓ છે. વર્ષ ૨૦૧૩ના સ્મરણપ્રસંગમાં ૧,૦૮,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. આશરે ૧૯૨૬માં ઝામ્બિયા દેશમાં પણ રાજ્યનું કામ શરૂ થયું હતું. આજે, ત્યાં ૧,૭૦,૦૦૦થી વધુ યહોવાના સાક્ષીઓ છે અને ૨૦૧૩ના સ્મરણપ્રસંગમાં ૭,૬૩,૯૧૫ લોકોએ હાજરી આપી હતી. એનો અર્થ થાય કે ઝામ્બિયાની દર ૧૮માંથી ૧ વ્યક્તિએ સ્મરણપ્રસંગમાં હાજરી આપી. સાચે જ એ કેટલી અદ્ભુત વૃદ્ધિ છે!

ખમીર

૧૦. ખમીરના દૃષ્ટાંતનો અર્થ શો થાય છે?

૧૦ માથ્થી ૧૩:૩૩ વાંચો. ખમીરના દૃષ્ટાંતનો અર્થ શો થાય છે? એ દૃષ્ટાંત રાજ્યના સંદેશાને અને એ સંદેશો જે રીતે લોકોનું જીવન બદલે છે, એને રજૂ કરે છે. દૃષ્ટાંતમાં જણાવેલો ‘બધો લોટ’ સઘળાં રાષ્ટ્રોને રજૂ કરે છે. લોટમાં ખમીર એટલે કે મેળવણથી આથો આવવો શાને બતાવે છે? આથો આવવો તો સાક્ષીકાર્યને લીધે રાજ્યનો સંદેશો જે રીતે ફેલાય છે, એને રજૂ કરે. અગાઉના દૃષ્ટાંતમાં જોયું કે રાઈના દાણામાંથી જે વૃદ્ધિ થાય છે એ તરત નજરે પડે છે. જ્યારે કે, ખમીરથી લોટમાં આથો આવવો તરત જોઈ શકાતો નથી. પરંતુ, એનું પરિણામ થોડી વાર પછી જોઈ શકાય છે.

૧૧. ખમીરના દૃષ્ટાંતથી ઈસુ શું સમજાવવા માંગતા હતા?

૧૧ ઈસુ, એ દૃષ્ટાંતથી શું સમજાવવા માંગતા હતા? ઈસુ જણાવવા માંગતા હતા કે રાજ્યના સંદેશામાં ઘણી શક્તિ છે. એ “પૃથ્વીના છેડા સુધી” ફેલાઈ શકે છે અને લોકોના દિલ પર ઊંડી અસર કરી શકે છે. (પ્રે.કૃ. ૧:૮) કદાચ, એ બદલાણ તરત નજરે ન પડે પરંતુ, એ થઈ રહ્યું છે. ઘણા લોકો આજે રાજ્યના સંદેશાને સ્વીકારી રહ્યા છે. એ અસરકારક સંદેશાને લીધે લોકોના જીવનમાં બદલાણ આવી રહ્યું છે.—રોમ. ૧૨:૨; એફે. ૪:૨૨, ૨૩.

૧૨, ૧૩. સાક્ષીકાર્યથી થયેલી વૃદ્ધિના દાખલા આપો.

૧૨ કેટલીક વાર રાજ્યના સંદેશાની અસર લોકો પર વર્ષો પછી જોવા મળે છે. ફ્રાન્ઝ અને માર્ગરેટનો દાખલો લઈએ. એ યુગલ બ્રાઝિલના બેથેલમાં સેવા આપી રહ્યું છે. વર્ષ ૧૯૮૨માં સાક્ષીકાર્ય માટે તેઓ એક નાના શહેરમાં ગયાં. ત્યાં તેઓએ કેટલાક બાઇબલ અભ્યાસો શરૂ કર્યા. તેઓએ એક સ્ત્રી અને તેનાં ચાર બાળકો જોડે પણ અભ્યાસ શરૂ કર્યો. એ બાળકોમાં સૌથી મોટો છોકરો ૧૨ વર્ષનો હતો. તે ખૂબ જ શરમાળ હતો. અભ્યાસ લેવા એ યુગલ જાય ત્યારે કેટલીક વાર તે શરમાઈને સંતાઈ જતો. ફ્રાન્ઝ અને માર્ગરેટની સોંપણી બદલાઈ અને તેઓ એ અભ્યાસ ચાલુ ન રાખી શક્યાં. તેઓ ૨૫ વર્ષ પછી એ શહેરની મુલાકાતે ગયાં ત્યારે તેઓની ખુશીનો કોઈ પાર ન રહ્યો. શા માટે? કારણ કે, તેઓએ જોયું કે ત્યાં ૬૯ પ્રકાશકોનું એક મંડળ છે, જેમાં ૧૩ નિયમિત પાયોનિયરો છે. એ મંડળ એક નવા રાજ્યગૃહમાં ભેગું થાય છે. અરે, નવાઈની વાત છે કે, વર્ષો પહેલાં તેઓ જે શરમાળ છોકરાનો અભ્યાસ ચલાવતા હતાં તે હવે મંડળમાં વડીલોના સેવક તરીકે સેવા આપે છે! આપણે દૃષ્ટાંતમાંથી શીખી ગયા કે લોટમાં આથો ફેલાઈને એમાં બદલાણ લાવે છે. એ જ રીતે, આજે રાજ્યના સંદેશાના ફેલાવવાથી ઘણા લોકોના જીવનો બદલાયાં છે.

૧૩ આપણા કામ પર રોક હોય એવા દેશોમાં પણ રાજ્યના સંદેશાએ ઘણા લોકોના જીવનો બદલ્યાં છે. એવા દેશોમાં પણ ખુશખબર જે હદે પહોંચી છે એ જાણીને કેટલીક વાર આપણને નવાઈ લાગે છે. જેમ કે, ક્યુબામાં રાજ્યનો સંદેશો વર્ષ ૧૯૧૦માં પહોંચ્યો હતો. એ પછી ૧૯૧૩માં ભાઈ રસેલે એ ટાપુની મુલાકાત લીધી હતી. શરૂઆતમાં ત્યાં વૃદ્ધિ સાવ ઓછી હતી. પરંતુ, આજે ત્યાં ઘણી વૃદ્ધિ થઈ રહી છે. ત્યાં ૯૬,૦૦૦ પ્રકાશકો રાજ્યનો સંદેશો ફેલાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૩ના સ્મરણપ્રસંગે ૨,૨૯,૭૨૬ લોકોએ હાજરી આપી. એટલે કે, ક્યુબાના દર ૪૮ લોકોમાંથી ૧ વ્યક્તિ હાજર રહી હતી. આપણા કામ પર રોક ન હોય એ દેશોમાં પણ ઘણી વૃદ્ધિ થઈ રહી છે. રાજ્યનો સંદેશો એવા વિસ્તારો સુધી પહોંચ્યો છે, જેના વિશે ત્યાંના સાક્ષીઓએ ધાર્યું પણ નહિ હોય. *સભા. ૮:૭; ૧૧:૫.

૧૪, ૧૫. (ક) ખમીરનું દૃષ્ટાંત આપણને શું શીખવે છે? (ખ) એ દૃષ્ટાંત આપણને યહોવા અને ઈસુ વિશે શું શીખવે છે?

૧૪ ખમીરનું દૃષ્ટાંત આપણને શું શીખવે છે? ઈસુએ આપેલા એ દૃષ્ટાંત પર મનન કરવાથી આપણને ફાયદો થશે. આપણે પારખી શકીશું કે રાજ્યનો સંદેશો લાખો અને કરોડો લોકો સુધી કઈ રીતે પહોંચશે એની ચિંતા કરવાની જરૂર નથી. દરેક વસ્તુ પર યહોવાનું નિયંત્રણ છે. તો સવાલ થાય કે આપણી જવાબદારી કઈ છે? બાઇબલ જવાબ આપે છે: ‘સવારમાં બી વાવ અને સાંજ સુધી તારો હાથ પાછો ન ખેંચ. કેમ કે આ સફળ થશે કે એ સફળ થશે અથવા બંને સરખી રીતે સફળ થશે એ તું જાણતો નથી.’ (સભા. ૧૧:૬) આપણે યહોવાને હંમેશાં પ્રાર્થના કરવી જોઈએ કે આપણા સાક્ષીકાર્યને આશીર્વાદ આપે. ખાસ તો એવા દેશો માટે પ્રાર્થના કરીએ, જ્યાં આપણાં કામ પર રોક છે.—એફે. ૬:૧૮-૨૦.

૧૫ ઉપરાંત, આપણા સાક્ષીકાર્યના સારાં પરિણામો તરત ન દેખાય તો નિરાશ ન થઈએ. આપણે “આરંભમાં નાનાં દેખાતાં કામો”ની અવગણના ન કરીએ. (ઝખા. ૪:૧૦) કારણ કે સમય જતાં, એનાં ભવ્ય અને આશ્ચર્યકારક પરિણામો દેખાઈ આવશે.—ગીત. ૪૦:૫; ઝખા. ૪:૭.

મોતીની શોધમાં નીકળેલો વેપારી અને સંતાડેલો ખજાનો

૧૬. મોતીની શોધમાં નીકળેલા વેપારીના દૃષ્ટાંતનો અને સંતાડેલા ખજાનાના દૃષ્ટાંતનો અર્થ શો થાય છે?

૧૬ માથ્થી ૧૩:૪૪-૪૬ વાંચો. મોતીની શોધમાં નીકળેલા વેપારીના દૃષ્ટાંતનો અને સંતાડેલા ખજાનાના દૃષ્ટાંતનો અર્થ શો થાય છે? ઈસુના સમયમાં કેટલાક વેપારી સૌથી સારાં મોતી શોધવાં અને ખરીદવાં દૂર દૂર સુધી મુસાફરી કરતા. ઈસુના દૃષ્ટાંતમાં જણાવેલ “એક અતિ મૂલ્યવાન મોતી” રાજ્ય વિશેના અનમોલ સત્યને રજૂ કરે છે. મોતીની શોધમાં નીકળેલો વેપારી એવા લોકોને રજૂ કરે છે, જેઓ નમ્ર દિલના છે અને સત્યની શોધમાં છે. એ વેપારી કીમતી મોતીને ખરીદવા પોતાનું સર્વસ્વ તરત વેચી નાંખવા તૈયાર હતો. ઈસુએ બીજું પણ એક દૃષ્ટાંત આપ્યું જેમાં એક માણસને ખેતરમાં કામ કરતી વખતે ‘સંતાડેલો ખજાનો’ જડે છે. આ માણસ પેલા વેપારીની જેમ કોઈ શોધમાં ન હતો. છતાં, એ માણસને જ્યારે મૂલ્યવાન ખજાનો જડે છે ત્યારે એને મેળવવા તે પોતાનું “સર્વસ્વ” વેચી દે છે.

૧૭. ઈસુ, એ બંને દૃષ્ટાંતોથી શું સમજાવવા માંગતા હતા?

૧૭ ઈસુ, એ બંને દૃષ્ટાંતોથી શું સમજાવવા માંગતા હતા? ઈસુ જણાવવા ચાહતા હતા કે વ્યક્તિને સત્ય અલગ અલગ રીતે મળી શકે છે. અમુક લોકો સત્યની શોધમાં હોય છે અને એને મેળવવા ઘણા ભોગ આપે છે. જ્યારે કે, અમુક લોકો એની શોધમાં હોતા નથી પણ તેઓને આપણા સાક્ષીકાર્ય દ્વારા સત્ય મળે છે. દૃષ્ટાંતમાં જણાવેલી બંને વ્યક્તિઓ પારખી લે છે કે તેમને મૂલ્યવાન વસ્તુ હાથ લાગી છે. તેથી એને મેળવી લેવા તેઓ મોટો ભોગ આપવા પણ તૈયાર થાય છે.

૧૮. (ક) મોતીની શોધમાં નીકળેલા વેપારીના અને સંતાડેલા ખજાનાના દૃષ્ટાંતો આપણને શું શીખવે છે? (ખ) એ દૃષ્ટાંતો આપણને યહોવા અને ઈસુ વિશે શું શીખવે છે?

૧૮ એ બંને દૃષ્ટાંતો આપણને શું શીખવે છે? (માથ. ૬:૧૯-૨૧) એ જાણવા આ સવાલો પર વિચાર કરીએ: “સત્ય પ્રત્યે મારું વલણ કેવું છે? શું હું દૃષ્ટાંતમાં જણાવેલી બે વ્યક્તિઓ જેવું વલણ બતાવું છું? શું હું સત્યને મૂલ્યવાન ગણું છું? શું હું સત્ય માટે ભોગ આપવા તૈયાર છું? કે પછી, રોજબરોજની ચિંતામાં ડૂબેલો રહું છું?” (માથ. ૬:૨૨-૨૪, ૩૩; લુક ૫:૨૭, ૨૮; ફિલિ. ૩:૮) આપણે સત્યની દિલથી કદર કરતા હોઈશું તો એને જીવનમાં પ્રથમ રાખવા કોઈ પણ ભોગ આપવા તૈયાર રહીશું.

૧૯. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૯ ચાલો, આપણાં કાર્યોથી બતાવીએ કે આપણે રાજ્યને લગતા જે દૃષ્ટાંતોની ચર્ચા કરી એને ખરેખર સમજીએ છીએ. યાદ રાખીએ કે એ દૃષ્ટાંતોનો ફક્ત અર્થ જાણવો પૂરતો નથી. આપણે જે શીખીએ એને લાગુ પાડવું પણ જરૂરી છે. હવે પછીના લેખમાં આપણે ઈસુએ આપેલાં બીજા ત્રણ દૃષ્ટાંતોની ચર્ચા કરીશું અને એમાંથી શીખીશું.

^ ફકરો. 13 એવા બીજા અનુભવો તમે આમાં જોઈ શકો: આર્જેન્ટિના (૨૦૦૧ યરબુક, પાન ૧૮૬); પૂર્વ જર્મની (૧૯૯૯ યરબુક, પાન ૮૩); પાપુઆ ન્યૂ ગિની (૨૦૦૫ યરબુક, પાન ૬૩) અને રોબીનસન ક્રૂસો આયલૅન્ડ (જૂન ૧૫, ૨૦૦૦નું ચોકીબુરજ, પાન ૮).