સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની શક્તિથી દોરવાયેલા—એનો શો અર્થ થાય?

ઈશ્વરની શક્તિથી દોરવાયેલા—એનો શો અર્થ થાય?

“ઈશ્વર તમને બધાને ખ્રિસ્ત ઈસુ જેવું મન રાખવા મદદ કરે.”—રોમ. ૧૫:૫.

ગીતો: ૨૫,

૧, ૨. (ક) ઈશ્વરની શક્તિથી દોરવાયેલા રહેવા વિશે ઘણાં ભાઈ-બહેનોને કેવું લાગે છે? (ખ) આ લેખમાં આપણે કયા મહત્ત્વના સવાલોના જવાબ જોઈશું?

કેનેડાનાં એક બહેને જણાવ્યું કે, ઈશ્વરની શક્તિથી દોરવાયેલા રહેવાથી તે ખુશ રહે છે અને એનાથી રોજબરોજની મુશ્કેલીઓ સહેવા તેમને મદદ મળે છે. બ્રાઝિલના એક ભાઈના લગ્નને ૨૩ વર્ષ થયા છે. તે જણાવે છે કે ઈશ્વર જેવા વિચારો કેળવવાથી તેમનું લગ્નજીવન સુખી રહી શક્યું છે. ફિલિપાઇન્સના એક ભાઈ કહે છે કે, ઈશ્વર જેવા વિચારો કેળવવાથી તેમને મનની શાંતિ મળે છે અને અલગ અલગ સમાજમાંથી આવતાં ભાઈ-બહેનો સાથે હળીમળીને રહેવા પણ મદદ મળે છે.

એ તો સ્પષ્ટ છે કે, ઈશ્વર જેવા વિચારો કેળવવાથી આપણને ઘણી રીતોએ મદદ મળી શકે છે. ઈશ્વર જેવા વિચારો કેળવવા અને એનાથી લાભ મેળવવા આપણે શું કરવું જોઈએ? એનો જવાબ મેળવતા પહેલાં, આપણે જાણવાની જરૂર છે કે, જેઓ ઈશ્વરની શક્તિથી દોરવાય છે અને યહોવા જેવા વિચારો કેળવે છે, તેઓ વિશે બાઇબલ શું કહે છે. આ લેખમાં આપણને ત્રણ સવાલોના જવાબ મળશે: (૧) ઈશ્વરની શક્તિથી દોરવાયેલા હોવાનો શો અર્થ થાય? (૨) ઈશ્વર જેવા વિચારો કેળવવા આપણને કયા દાખલાઓ મદદ કરશે? (૩) ‘ખ્રિસ્ત જેવું મન’ રાખવા આપણે જે પ્રયત્નો કરીએ છીએ, એનાથી ઈશ્વર જેવા વિચારો કેળવવા કઈ રીતે મદદ મળે છે?

ઈશ્વરની શક્તિથી દોરવાયેલા હોવાનો શો અર્થ થાય?

૩. બાઇબલ મુજબ, દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ અને ઈશ્વરની શક્તિથી દોરવાયેલા માણસ વચ્ચે શો ફરક છે?

પ્રેરિત પાઊલે ‘દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ’ અને ‘ઈશ્વરની શક્તિથી દોરવાયેલા માણસ’ વચ્ચેનો ફરક સ્પષ્ટ રીતે બતાવ્યો હતો. (૧ કોરીંથીઓ ૨:૧૪-૧૬ વાંચો.) દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ, “ઈશ્વરની શક્તિ દ્વારા આવતી વાતોનો સ્વીકાર કરતો નથી, કેમ કે એ તેના માટે મૂર્ખતા છે; અને એ વાતોને તે સમજી શકતો નથી.” એનાથી વિરુદ્ધ, ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ ‘બધું પારખે છે’ અને તે ‘ખ્રિસ્ત ઈસુનું મન’ રાખવા એટલે કે, ખ્રિસ્ત જેવા વિચારો કેળવવા મહેનત કરે છે. પાઊલે આપણને ઈશ્વરની શક્તિથી દોરવાયેલી વ્યક્તિ બનવા ઉત્તેજન આપ્યું. દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ અને ઈશ્વરની શક્તિથી દોરવાયેલા માણસ વચ્ચે બીજો શો ફરક છે?

૪, ૫. દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસને આપણે કઈ રીતે ઓળખી શકીએ?

દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ કેવો હોય છે? એવો માણસ દુનિયાનું વલણ અપનાવે છે. દુનિયાના વલણનો મુખ્ય ભાગ તો સ્વાર્થી ઇચ્છાઓ છે. પાઊલે જણાવ્યું કે, “આજ્ઞા ન માનનારાઓમાં આ વલણની અસર દેખાઈ આવે છે.” (એફે. ૨:૨) આવા વલણને લીધે લોકો પોતાની આસપાસના લોકોને અનુસરવા લાગે છે. તેઓને ઈશ્વરનાં ધોરણોની જરાય પડી નથી, તેઓમાંના ઘણા તો બસ પોતાના મનનું કહ્યું કરે છે. દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ ફક્ત દુનિયાની વાતો પર ધ્યાન આપે છે. તેને લાગે છે કે બીજા કશાય કરતાં પોતાનો હોદ્દો, પૈસા કે પોતાનો હક સૌથી વધારે મહત્ત્વનો છે.

દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ એવાં કામો કરે છે, જેને બાઇબલ “શરીરનાં કામો” કહે છે. (ગલા. ૫:૧૯-૨૧) કોરીંથના પહેલા પત્રમાં પાઊલે એવી બીજી બાબતો પણ જણાવી છે, જે દુનિયાના લોકોમાં જોવા મળે છે. મતભેદો ઊભા થાય ત્યારે તેઓ કોઈ એકનો પક્ષ લે છે, લોકોમાં ભાગલા પાડે છે, લોકોને બંડ પોકારવા ઉશ્કેરે છે, એકબીજાને અદાલતમાં ઘસડી જાય છે, કુટુંબના શિરને માન આપતા નથી અને ખાવા-પીવાને વધારે પડતું મહત્ત્વ આપે છે. એવી વ્યક્તિ કોઈ લાલચ આવે ત્યારે એ ટાળી શકતી નથી. (નીતિ. ૭:૨૧, ૨૨) યહુદાએ જણાવ્યું હતું કે, એવા લોકો પર દુનિયાનું વલણ પકડ જમાવી દેશે. પરિણામે, તેઓ ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલશે નહિ.—યહુ. ૧૮, ૧૯.

૬. ઈશ્વરની શક્તિથી દોરવાયેલા માણસને આપણે કઈ રીતે ઓળખી શકીએ?

એનાથી તદ્દન વિરુદ્ધ, ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ ઈશ્વર સાથેની પોતાની મિત્રતાને મહત્ત્વની ગણે છે. તે ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલે છે. ઉપરાંત, તે યહોવાનું અનુકરણ કરે છે. (એફે. ૫:૧) યહોવાની જેમ વિચારવાની અને બાબતોને યહોવાની નજરે જોવાની તે કોશિશ કરે છે. તે ઈશ્વર સાથે પાકી મિત્રતા કેળવે છે. ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ જીવનના દરેક પાસામાં યહોવાનાં ધોરણો લાગુ પાડવાની કોશિશ કરે છે. (ગીત. ૧૧૯:૩૩; ૧૪૩:૧૦) તે “શરીરનાં કામો” કરતો નથી, પણ તે “પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ” કેળવવાનો પ્રયાસ કરે છે. (ગલા. ૫:૨૨, ૨૩) ઈશ્વરની બાબતો પર ધ્યાન આપનાર ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ ગણાય છે.

૭. ઈશ્વરની શક્તિથી દોરવાયેલા માણસ વિશે બાઇબલ શું કહે છે?

ઈસુએ જણાવ્યું હતું કે ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ સુખી હોય છે. માથ્થી ૫:૩ કહે છે, “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.” યહોવા જેવા વિચારો કેળવવાથી આપણને મદદ મળે છે એ વિશે રોમનો ૮:૬ જણાવે છે, “શરીરની ઇચ્છાઓ પર મન લગાડવાનો અર્થ થાય મરણ, પણ પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ થાય જીવન અને શાંતિ.” તેથી, જો આપણે હમણાં ઈશ્વરની શક્તિથી દોરવાયેલા હોઈશું, તો આપણે ઈશ્વર સાથેના સંબંધનો આનંદ માણી શકીશું, મનની શાંતિ મેળવી શકીશું અને હંમેશ માટેના જીવનની આશા રાખી શકીશું.

૮. ઈશ્વર જેવા વિચારો કેળવીને ઈશ્વરભક્તિમાં દૃઢ રહેવું શા માટે અઘરું છે?

આપણે દુષ્ટ દુનિયામાં જીવી રહ્યા છીએ. એટલે, આપણે એવા લોકોથી ઘેરાયેલા છીએ, જેઓ ઈશ્વર જેવા વિચારો કેળવતા નથી. તેથી, આપણે પોતાના મનનું રક્ષણ કરવા વધારે પ્રયત્નો કરવાની જરૂર છે. જો આપણે યહોવા જેવા વિચારો નહિ કેળવીએ, તો દુનિયાનું વલણ અને વિચારો આપણા મનમાં ઘર કરી જશે. એવું ન થાય માટે શું કરી શકીએ? ઈશ્વરભક્તિમાં વધુ દૃઢ થવા આપણે શું કરી શકીએ?

સારા દાખલાઓમાંથી શીખો

૯. (ક) ઈશ્વર જેવા વિચારો કેળવવાનું આપણે ક્યાંથી શીખી શકીએ? (ખ) આપણે કયા સારા દાખલાઓ પર વિચાર કરીશું?

બાળકે હંમેશાં પોતાના માબાપને જોઈને શીખવું જોઈએ અને તેઓનાં સારા દાખલાને અનુસરવું જોઈએ. એવી જ રીતે, આપણે પણ ઈશ્વરભક્તોના દાખલામાંથી શીખવું જોઈએ અને તેઓને અનુસરવું જોઈએ. એનાથી ઈશ્વર જેવા વિચારો કેળવવા આપણને મદદ મળશે. બીજી બાજુ, એ પણ શીખવાની જરૂર છે કે, દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસોના ખોટા દાખલાને ન અનુસરીએ. (૧ કોરીં. ૩:૧-૪) એ વિશે બાઇબલમાં સારા અને ખરાબ દાખલા આપેલા છે. ચાલો યાકૂબ, મરિયમ અને ઈસુના સારા દાખલા પર ધ્યાન આપીએ અને એમાંથી શીખીએ.

યાકૂબના દાખલા પરથી આપણે શું શીખી શકીએ? (ફકરા ૧૦ જુઓ)

૧૦. યાકૂબે કઈ રીતે બતાવી આપ્યું કે, તે ઈશ્વરની શક્તિથી દોરવાયેલા હતા?

૧૦ યાકૂબનું જીવન સહેલું ન હતું. આપણામાંથી ઘણાનું જીવન એવું જ છે. તેમનો સગો ભાઈ, એસાવ તેમને મારી નાખવા ચાહતો હતો. તેમના સસરા વારંવાર તેમને છેતરતા હતા. પણ, યહોવાએ ઈબ્રાહીમને આપેલા વચન પર યાકૂબને પૂરી ખાતરી હતી. તે જાણતા હતા કે, એ વચન પૂરું કરવામાં તેમના કુટુંબની ખાસ ભૂમિકા હશે, તેથી તેમણે પોતાના કુટુંબની સાર-સંભાળ રાખી. (ઉત. ૨૮:૧૦-૧૫) આસપાસના લોકોનાં ખોટાં વલણની અસર હેઠળ આવીને તે યહોવાનું વચન ભૂલી ગયા નહિ. દાખલા તરીકે, જ્યારે યાકૂબને ખબર પડી કે તેમના ભાઈ તરફથી તેમના જીવનને જોખમ છે, ત્યારે તેમણે યહોવાને કાલાવાલા કર્યા, ‘તમે તો કહ્યું હતું કે, ખચીત હું તારું ભલું કરીશ, ને સમુદ્રના કાંઠાની રેતી જે અતિ ઘણી હોવાથી ગણાય નહિ, તેના જેટલો હું તારો વંશ કરીશ.’ (ઉત. ૩૨:૬-૧૨) યાકૂબને યહોવાના વચન પર પાકી ખાતરી હતી અને તેમણે પોતાના જીવનથી એ બતાવી પણ આપ્યું.

મરિયમના દાખલા પરથી આપણે શું શીખી શકીએ? (ફકરા ૧૧ જુઓ)

૧૧. મરિયમ ઈશ્વર જેવા વિચારો રાખતાં હતાં, એમ શા પરથી કહી શકાય?

૧૧ હવે મરિયમનો વિચાર કરો. યહોવાએ તેમને ઈસુના માતા તરીકે પસંદ કર્યાં, કારણ કે તે ઈશ્વર જેવા વિચારો ધરાવતાં હતાં. એ આપણે શા પરથી કહી શકીએ? મરિયમે પોતાનાં સગાં ઝખાર્યા અને એલિસાબેતને જે કહ્યું, એમાં એ જોવા મળે છે. (લુક ૧:૪૬-૫૫ વાંચો.) તેમનાં શબ્દો પરથી આપણે જોઈ શકીએ છીએ કે, મરિયમને શાસ્ત્રવચનો ગમતાં હતાં અને તે સારી રીતે હિબ્રૂ શાસ્ત્રવચનો જાણતાં હતાં. (ઉત. ૩૦:૧૩; ૧ શમૂ. ૨:૧-૧૦; માલા. ૩:૧૨) મરિયમ અને યુસફે લગ્ન પછી ઈસુના જન્મ સુધી શારીરિક સંબંધ બાંધ્યો ન હતો. પોતાની ઇચ્છાઓ કરતાં ઈશ્વરે સોંપેલું કામ તેઓ માટે વધારે મહત્ત્વનું હતું. (માથ. ૧:૨૫) ઉપરાંત, ઈસુ મોટા થતા ગયા, તેમ મરિયમે બધા બનાવો અને ઈસુએ કહેલી ડહાપણભરી વાતો ધ્યાનમાં લીધી. વધુમાં, તેમણે “બધી વાતો પોતાના દિલમાં સંઘરી રાખી.” (લુક ૨:૫૧) એ તો સ્પષ્ટ છે કે મસીહ વિશેનાં ઈશ્વરનાં વચનોમાં તેમને ઘણો રસ હતો. શું આપણે મરિયમને અનુસરી શકીએ અને ઈશ્વર ચાહે છે, એવી બાબતો કરવાનો હંમેશાં પ્રયત્ન કરી શકીએ?

૧૨. (ક) ઈસુએ કઈ રીતે પોતાના પિતાનું અનુકરણ કર્યું? (ખ) આપણે કઈ રીતે ઈસુને અનુસરી શકીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૨ ઈશ્વરની શક્તિથી દોરવાયેલા લોકોમાં સૌથી ઉત્તમ ઉદાહરણ કોનું છે? ચોક્કસ, ઈસુનું. પૃથ્વી પરના જીવન અને સેવાકાર્ય દરમિયાન, તેમણે સાબિત કર્યું કે તે પોતાના પિતાનું અનુકરણ કરવા ચાહે છે. યહોવાની જેમ તે વિચારતા, અનુભવતા અને કાર્યો કરતા. તેમણે ઈશ્વરની ઇચ્છા પૂરી કરી અને તેમનાં ધોરણોને માન આપ્યું. (યોહા. ૮:૨૯; ૧૪:૯; ૧૫:૧૦) દાખલા તરીકે, યહોવાની દયા વિશે યશાયાએ વર્ણન કર્યું છે. માર્કે ઈસુની લાગણીઓનું વર્ણન કર્યું છે. તમે એ બંને અહેવાલોની સરખામણી કરો. (યશાયા ૬૩:૯; માર્ક ૬:૩૪ વાંચો.) ઈસુની જેમ, શું આપણે હંમેશાં બીજાઓ પર દયા બતાવવા તૈયાર રહીએ છીએ? ઈસુની જેમ, શું આપણે ખુશખબર ફેલાવવા અને શીખવવા પર આપણું પૂરું ધ્યાન લગાડીએ છીએ? (લુક ૪:૪૩) ઈશ્વરની શક્તિથી દોરવાયેલા લોકો દયાળુ હોય છે અને બીજાઓને મદદ કરવાનો પ્રયત્ન કરે છે.

૧૩, ૧૪. (ક) ઈશ્વરની શક્તિથી દોરવાયેલા લોકો પાસેથી આપણે શું શીખી શકીએ? (ખ) દાખલો આપો.

૧૩ આજે ઘણાં ભાઈ-બહેનો ઈશ્વરની શક્તિથી દોરવાયેલા છે, જેઓ ઈસુને અનુસરવા તનતોડ મહેનત કરે છે. તમે નોંધ લીધી હશે કે તેઓ પ્રચારમાં ઉત્સાહી છે, મહેમાનગતિ બતાવે છે અને દયાળુ છે. અપૂર્ણ હોવા છતાં, તેઓ સારા ગુણો કેળવવા અને યહોવાની ઇચ્છા પ્રમાણે કરવા ઘણી મહેનત કરે છે. બ્રાઝિલનાં બહેન રેચલ જણાવે છે: ‘મને દુનિયાની ફેશન પ્રમાણે જીવવું ગમતું હતું. એટલે, હું ગમે તેવા કપડાં પહેરતી હતી. પણ સત્ય શીખ્યા પછી, ઈશ્વરની શક્તિથી દોરવાયેલી વ્યક્તિ બનવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો. આવા ફેરફારો કરવા કંઈ સહેલું ન હતું. પણ, હું સુખી થઈ શકી અને જીવનનો ખરો હેતુ મેળવી શકી.’

૧૪ ફિલિપાઇન્સમાં રહેતાં બહેન રેલિનને અલગ જ મુશ્કેલી હતી. સત્યમાં હોવા છતાં, તેમનું પૂરું ધ્યાન ઉચ્ચ ભણતર અને સારી નોકરી મેળવવા પર હતું. સમય જતાં, ઈશ્વરભક્તિના ધ્યેયો પ્રત્યે તેમનું ધ્યાન હટવા લાગ્યું. તે કહે છે: ‘મને અહેસાસ થવા લાગ્યો કે મારા જીવનમાં કંઈક ખૂટી રહ્યું છે, જે મારી નોકરી કરતાં પણ વધારે મહત્ત્વનું છે.’ રેલિને પોતાના જીવનમાં ફેરફાર કર્યો અને યહોવાની ભક્તિને પ્રથમ સ્થાન આપ્યું. હવે તેમને માથ્થી ૬:૩૩, ૩૪માં યહોવાએ આપેલા વચનમાં પૂરો ભરોસો છે. તે જણાવે છે: ‘મને પાકી ખાતરી છે કે યહોવા મારી કાળજી રાખશે!’ તમારા મંડળમાં પણ રેલિન જેવા અમુક ભાઈ-બહેનો હશે. એ વફાદાર ભાઈ-બહેનોને ઈસુનું અનુકરણ કરતા જોઈને આપણને પણ તેઓના દાખલાને અનુસરવાનું મન થાય છે.—૧ કોરીં. ૧૧:૧; ૨ થેસ્સા. ૩:૭.

“ખ્રિસ્તનું મન” રાખો

૧૫, ૧૬. (ક) ખ્રિસ્તને અનુસરવા આપણે શું કરવું જોઈએ? (ખ) “ખ્રિસ્તનું મન” રાખવા આપણે શું કરી શકીએ?

૧૫ આપણે કઈ રીતે ખ્રિસ્તને અનુસરી શકીએ? ૧ કોરીંથીઓ ૨:૧૬ જણાવે છે કે આપણે “ખ્રિસ્તનું મન” રાખવું જોઈએ. રોમનો ૧૫:૫માં આપણને બધાને “ખ્રિસ્ત ઈસુ જેવું મન” કેળવવાનું યાદ અપાવવામાં આવ્યું છે. ઈસુ જેવા બનવા આપણે તેમની જેમ વિચારવાનું, અનુભવવાનું અને વર્તવાનું શીખવું જોઈએ. ઈસુએ યહોવા સાથેના પોતાના સંબંધને સૌથી મહત્ત્વનો ગણ્યો. તેથી, ઈસુનું અનુકરણ કરીને આપણે યહોવાને અનુસરી શકીએ છીએ. એટલા જ માટે, ઈસુના વિચારો કેળવવાનું શીખીએ, એ ઘણું જ મહત્ત્વનું છે.

૧૬ આપણે એ કઈ રીતે શીખી શકીએ? શિષ્યોએ ઈસુને ચમત્કારો કરતા અને મોટાં ટોળાને શીખવતા જોયા હતા. ઉપરાંત, તે કઈ રીતે દરેક જાતના લોકો સાથે વર્ત્યા, એ પણ જોયું હતું. તેઓએ ઈસુને યહોવાના સિદ્ધાંતો લાગુ પાડતા જોયા હતા. તેઓએ કહ્યું: “તેમણે જે સર્વ કામો કર્યાં, એના અમે સાક્ષીઓ છીએ.” (પ્રે.કા. ૧૦:૩૯) આજે આપણે ઈસુને જોઈ શકતા નથી. પરંતુ, આપણી પાસે ખુશખબરનાં પુસ્તકો છે, જેનાથી ઈસુને સારી રીતે ઓળખવા આપણને મદદ મળે છે. જ્યારે આપણે માથ્થી, માર્ક, લુક અને યોહાનનાં પુસ્તકો વાંચીએ છીએ અને એના પર મનન કરીએ છીએ, ત્યારે આપણે ઈસુના વિચારો વિશે શીખી શકીએ છીએ. એ આપણને ‘તેમના પગલે ચાલવા’ મદદ કરે છે. એમ કરીશું ત્યારે આપણે પણ ‘તેમના જેવું મન’ રાખી શકીશું.—૧ પીત. ૨:૨૧; ૪:૧.

૧૭. ઈસુની જેમ વિચારવાથી આપણને કેવા ફાયદા થશે?

૧૭ ઈસુની જેમ વિચારવાથી આપણને કેવા ફાયદા થશે? પૌષ્ટિક ખોરાક ખાવાથી આપણું શરીર મજબૂત થાય છે. એવી જ રીતે, ઈસુ જેવા વિચારો કેળવીશું તો, આપણે ભક્તિમાં મજબૂત થઈશું. સમય જતાં, આપણે શીખીશું કે જો ઈસુ આપણી જગ્યાએ હોત, તો તેમણે શું કર્યું હોત. આમ, યહોવા ખુશ થાય એવા સારા નિર્ણયો લઈ શકીશું અને એનાથી આપણું દિલ પણ સાફ રહેશે. આવા ફાયદા થતા હોવાથી, આપણે “પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગુણો પ્રમાણે” જીવવું જોઈએ, ખરુંને!—રોમ. ૧૩:૧૪.

૧૮. ઈશ્વરની શક્તિથી દોરવાયેલી વ્યક્તિ બનવા વિશે તમે શું શીખ્યા?

૧૮ આ લેખમાંથી આપણને એ સમજવા મદદ મળી કે ઈશ્વરની શક્તિથી દોરવાયેલા હોવાનો શો અર્થ થાય. આપણે એવી વ્યક્તિઓના દાખલાઓ જોયા, જેઓ ઈશ્વરની શક્તિ દ્વારા દોરવાયેલા હતા. એ પણ શીખ્યા કે “ખ્રિસ્તનું મન” રાખવાથી યહોવાની જેમ વિચારવા અને તેમની સાથે મજબૂત સંબંધ કેળવવા આપણને મદદ મળે છે. ઉપરાંત, આપણે ભક્તિના બીજાં પાસાઓનો પણ વિચાર કરવો જોઈએ. દાખલા તરીકે, આપણે યહોવાની ભક્તિમાં મજબૂત છીએ કે નહિ, એ કઈ રીતે જાણી શકીએ? યહોવાની ભક્તિમાં મજબૂત બનવા આપણે શું કરી શકીએ? ભક્તિમાં મજબૂત રહેવાથી આપણા રોજબરોજના જીવન પર કેવી અસર પડે છે? એ સવાલોના જવાબ આપણને આવતા લેખમાં જોવા મળશે.