સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો

શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો

“યહોવા જેઓને પ્રેમ કરે છે, તેઓને તે શિસ્ત આપે છે.”—હિબ્રૂ. ૧૨:૬.

ગીતો: ૪૩, ૨૦

૧. બાઇબલમાં અમુક વાર શિસ્તનું કઈ રીતે વર્ણન થયું છે?

“શિસ્ત” વિશે સાંભળો છો ત્યારે, તમારા મનમાં કયો વિચાર આવે છે? ઘણા લોકોના મનમાં શિક્ષાનો વિચાર આવે, પરંતુ શિસ્તમાં એનાથી પણ વધારે સમાયેલું છે. બાઇબલ જણાવે છે કે શિસ્ત આપણા ભલા માટે છે. અમુક વાર બાઇબલમાં જ્ઞાન, ડહાપણ, પ્રેમ અને જીવનની સાથે સાથે શિસ્તનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (નીતિ. ૧:૨-૭; ૪:૧૧-૧૩) ઈશ્વર શિસ્ત આપે છે ત્યારે, સાબિતી મળે છે કે તે આપણને પ્રેમ કરે છે અને તે ચાહે છે કે આપણે હંમેશ માટે જીવીએ. (હિબ્રૂ. ૧૨:૬) જોકે, ઈશ્વરની શિસ્તમાં અમુક વાર શિક્ષાનો પણ સમાવેશ થાય છે. પરંતુ, એ શિક્ષા ક્યારેય આકરી કે હાનિકારક હોતી નથી. માતા-પિતા પોતાનાં વહાલા બાળકને શિક્ષણ આપે છે. એવા શિક્ષણમાં “શિસ્ત” આપવાનો પણ સમાવેશ થાય છે.

૨, ૩. શિસ્તમાં કઈ રીતે શિક્ષણ અને શિક્ષાનો સમાવેશ થઈ શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

આ દાખલાનો વિચાર કરો. જોની નામનો એક છોકરો ઘરમાં બોલ રમી રહ્યો હતો. તેની મમ્મીએ કહ્યું: ‘જોની, ઘરમાં રમીશ નહિ, કંઈક તૂટી જશે.’ પણ તે મમ્મીનું સાંભળતો નથી અને રમ્યા જ કરે છે. બોલ જઈને ફૂલદાનીને વાગે છે અને એ તૂટી જાય છે. મમ્મીએ જોનીને શિસ્ત આપવા શું કર્યું? તેમણે જોનીને પ્રેમથી સમજાવ્યું કે તેણે જે કર્યું એ ખોટું છે. તે ચાહતાં હતાં કે જોનીને ખબર પડે કે, શા માટે મમ્મી-પપ્પાનું માનવું તેના ભલા માટે છે, તેમજ તેઓનાં નિયમો યોગ્ય અને વાજબી છે. જોનીને એ સમજાય માટે, મમ્મીએ તેને થોડા સમય માટે બોલથી રમવાની મનાઈ કરી. જોનીને એ ગમ્યું નહિ. જોકે, એનાથી તેને એ યાદ રાખવા મદદ મળી કે મમ્મી-પપ્પાનું કહ્યું નહિ માને તો, તેણે શિક્ષા ભોગવવી પડશે.

ઈશ્વરભક્તો તરીકે, આપણે ઈશ્વરના ઘરના સભ્યો છીએ. (૧ તિમો. ૩:૧૫) એટલે જ, ખરું-ખોટું નક્કી કરવાનો અને આપણે તેમની આજ્ઞાઓ ન પાળીએ ત્યારે, પ્રેમથી શિસ્ત આપવાનો પિતા યહોવાને હક છે. ઘણી વાર આપણાં કાર્યોનાં ફળ આપણે ભોગવવા પડે છે. પણ યહોવાની શિસ્તથી એ યાદ રાખવા મદદ મળે છે કે તેમની આજ્ઞાઓ પાળવી કેટલી મહત્ત્વની છે. (ગલા. ૬:૭) યહોવા આપણને ખૂબ પ્રેમ કરતા હોવાથી તે ચાહતા નથી કે આપણે સહન કરીએ.—૧ પીત. ૫:૬, ૭.

૪. (ક) યહોવા કેવા પ્રકારની તાલીમ પર આશીર્વાદ આપે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

બાઇબલનાં ધોરણો પ્રમાણે શિસ્ત આપીને આપણે બાળકોને કે બાઇબલ વિદ્યાર્થીઓને ખ્રિસ્તના પગલે ચાલવાનો ધ્યેય પૂરો કરવા મદદ કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓને ખરું શું છે એ શીખવવા તેમજ ‘જે આજ્ઞાઓ ઈસુએ આપી છે એ પાળવા’ અને સમજવા આપણે બાઇબલનો ઉપયોગ કરીએ છીએ. (૨ તિમો. ૩:૧૬; માથ. ૨૮:૧૯, ૨૦) ખ્રિસ્તને પગલે ચાલવા વિદ્યાર્થીઓને મદદ મળે એવી તાલીમ આપીએ છીએ ત્યારે, યહોવા એના પર આશીર્વાદ આપે છે. (તિતસ ૨:૧૧-૧૪ વાંચો.) ચાલો, હવે આ ત્રણ મહત્ત્વના સવાલોની ચર્ચા કરીએ: (૧) યહોવાની શિસ્તથી કઈ રીતે સાબિત થાય છે કે તે આપણને પ્રેમ કરે છે? (૨) જેઓને ઈશ્વર તરફથી શિસ્ત મળી હતી, તેઓના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? (૩) યહોવા અને તેમના દીકરા ઈસુ, જે રીતે શિસ્ત આપે છે એને આપણે કઈ રીતે અનુસરી શકીએ?

ઈશ્વર પ્રેમથી શિસ્ત આપે છે

૫. યહોવા તરફથી મળતી શિસ્તથી કઈ રીતે સાબિત થાય છે કે તે આપણને પ્રેમ કરે છે?

યહોવા આપણને પ્રેમ કરતા હોવાથી આપણને સુધારે છે તેમજ શિક્ષણ અને તાલીમ આપે છે. તે ચાહે છે કે આપણે તેમની નજીક રહીએ અને હંમેશ માટે જીવીએ. (૧ યોહા. ૪:૧૬) તે કદી પણ આપણું અપમાન કરતા નથી કે પછી આપણે નકામા છીએ એવો અહેસાસ થવા દેતા નથી. (નીતિ. ૧૨:૧૮) એને બદલે, યહોવા તો આપણા સારા ગુણો પર ધ્યાન આપે છે અને આપણને પસંદગી કરવાની છૂટ આપે છે. બાઇબલ, આપણાં સાહિત્ય, માબાપ અને વડીલો દ્વારા યહોવા આપણને શિસ્ત આપે છે. શું એ જોઈને તમને યહોવાના પ્રેમનો પુરાવો મળતો નથી? અરે, અજાણતા આપણે કંઈક ખોટું કરી બેસીએ ત્યારે પણ, વડીલો નમ્રતાથી અને પ્રેમથી શિસ્ત આપે છે. એમ કરીને, ખરેખર તેઓ યહોવાના પ્રેમનું અનુકરણ કરે છે.—ગલા. ૬:૧.

૬. યહોવાની શિસ્તથી કોઈ પોતાની સોંપણી ગુમાવે તોપણ, કઈ રીતે એમાં યહોવાનો પ્રેમ દેખાઈ આવે છે?

અમુક વાર, શિસ્તમાં સલાહ કરતાં બીજું કંઈક વધારે સમાયેલું હોય છે. જો કોઈએ ગંભીર પાપ કર્યું હોય, તો તે મંડળમાં સોંપણીઓ હાથ ધરવાને લાયક રહેતા નથી. તેમ છતાં, તેમને જે શિસ્ત મળે છે એમાં યહોવાનો તેમના માટેનો પ્રેમ દેખાય છે. દાખલા તરીકે, એનાથી તેમને એ જોવા મદદ મળી શકે કે બાઇબલનો અભ્યાસ કરવા, એના પર મનન કરવા અને પ્રાર્થના કરવા સમય કાઢવો કેટલું મહત્ત્વનું છે. એમ કરવાથી તેમનો યહોવા સાથેનો સંબંધ મજબૂત બની શકે છે. (ગીત. ૧૯:૭) સમય જતાં, તેમણે ગુમાવેલી જવાબદારી કે સોંપણી કદાચ તેમને પાછી મળી શકે છે. અરે, કોઈને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે પણ યહોવાનો પ્રેમ દેખાઈ આવે છે, કેમ કે એનાથી મંડળનું ખરાબ અસરોથી રક્ષણ થાય છે. (૧ કોરીં. ૫:૬, ૭, ૧૧) યહોવાની શિસ્ત હંમેશાં યોગ્ય હોય છે, કારણ કે એનાથી બહિષ્કૃત થયેલી વ્યક્તિને સમજાય છે કે તેનું પાપ કેટલું ગંભીર છે. એનાથી વ્યક્તિ પસ્તાવો કરવા પ્રેરાય શકે છે.—પ્રે.કા. ૩:૧૯.

યહોવાની શિસ્તથી આપણને ફાયદો થાય છે

૭. શેબ્ના કોણ હતા અને તેમનામાં કયો ખરાબ ગુણ આવી ગયો હતો?

ચાલો શિસ્તનું મહત્ત્વ સમજવા એવી બે વ્યક્તિઓના દાખલા તપાસીએ, જેઓને યહોવાએ શિસ્ત આપી હતી. એમાંના એક છે શેબ્ના, જે ઇઝરાયેલી હતા અને રાજા હિઝકિયાના સમયમાં જીવી ગયા. બીજા છે ગ્રેહામ, જે આપણા સમયના એક ભાઈ છે. શેબ્ના કદાચ રાજા હિઝકિયાના ‘રાજમહેલના કારભારી’ હતા અને તેમની પાસે ઘણા બધા અધિકાર હતા. (યશા. ૨૨:૧૫) પરંતુ, શેબ્ના ઘમંડી બન્યા અને પોતાનો જ મહિમા શોધવા લાગ્યા. તે “ભપકાદાર રથો” પર સવારી કરતા હતા. અરે, તેમણે પોતાના માટે જે કબર બનાવડાવી હતી, એ ખૂબ મોંઘી હતી!—યશા. ૨૨:૧૬-૧૮.

જો આપણે નમ્ર હોઈશું અને પોતાનો સ્વભાવ સુધારવા તૈયાર હોઈશું, તો ઈશ્વર આપણને આશીર્વાદ આપશે (ફકરા ૮-૧૦ જુઓ)

૮. યહોવાએ કઈ રીતે શેબ્નાને શિસ્ત આપી અને એનું શું પરિણામ આવ્યું?

શેબ્ના પોતાના માટે મહિમા શોધવા લાગ્યા એટલે, ઈશ્વરે ‘તેમને તેમની પદવી પરથી હડસેલી નાખ્યા’ અને તેમની પદવી એલ્યાકીમને આપી દીધી. (યશા. ૨૨:૧૯-૨૧) આશ્શૂરના રાજા સાન્હેરીબે યરૂશાલેમ પર હુમલો કરવાની યોજના ઘડી ત્યારે એ બનાવ બન્યો હતો. યહુદીઓને ડરાવવા અને રાજા હિઝકિયા હાર માની લે, એ માટે સાન્હેરીબે અધિકારીઓની એક ટુકડી અને મોટું સૈન્ય મોકલ્યાં. (૨ રાજા. ૧૮:૧૭-૨૫) હિઝકિયાએ એલ્યાકીમને અને બીજા બે માણસોને એ અધિકારીઓ સાથે વાત કરવા મોકલ્યા. એ બે માણસોમાં એક હતા શેબ્ના, જે હવે મદદનીશ હતા. આમ, જોઈ શકાય કે શેબ્નાએ નમ્રતા બતાવી, માઠું લગાડ્યું નહિ અને મનમાં કડવાશ ભરી રાખી નહિ. તે ઓછા મહત્ત્વની પદવી પણ સ્વીકારવા તૈયાર હતા. શેબ્ના પાસેથી આપણે ત્રણ બોધપાઠ શીખી શકીએ છીએ.

૯-૧૧. (ક) શેબ્ના પાસેથી આપણે કયાં મહત્ત્વનાં બોધપાઠ શીખી શકીએ? (ખ) યહોવા જે રીતે શેબ્ના સાથે વર્ત્યા, એ વિશે તમને કેવું લાગે છે?

પહેલું, શેબ્નાએ પોતાની પદવી ગુમાવી એનાથી એ યાદ રાખવા મદદ મળે છે કે, “અભિમાનનું પરિણામ નાશ છે.” (નીતિ. ૧૬:૧૮) મંડળમાં કદાચ આપણી પાસે ખાસ સોંપણીઓ હોય અને બીજાઓ આપણને મહત્ત્વના ગણવા લાગે ત્યારે, શું આપણે નમ્ર રહીશું? શું આપણને મળેલી આવડતો અને સફળતા માટે યહોવાને શ્રેય આપીશું? (૧ કોરીં. ૪:૭) પ્રેરિત પીતરે ચેતવણી આપી હતી કે, “હું તમને બધાને કહું છું કે પોતે કંઈક છો એમ ન વિચારો, પણ સમજુ બનો.”—રોમ. ૧૨:૩.

૧૦ બીજું, યહોવાએ શેબ્નાને શિસ્ત આપી, કારણ કે તે માનતા હતા કે શિસ્ત મળવાથી શેબ્નાનું વલણ બદલાઈ શકે છે. (નીતિ. ૩:૧૧, ૧૨) જેઓએ મંડળમાં ખાસ સોંપણી ગુમાવી હોય, તેઓ માટે કેટલો સુંદર બોધપાઠ! ગુસ્સો મનમાં ભરી રાખવાને બદલે કે માઠું લગાડવાને બદલે તેઓએ શું કરવું જોઈએ? યહોવા માટે તેઓએ પોતાનાથી બનતું બધું કરતા રહેવું જોઈએ. પોતાને મળેલી શિસ્તને તેઓએ યહોવાના પ્રેમના પુરાવા તરીકે જોવું જોઈએ. યાદ રાખીએ કે, નમ્ર રહેનારને યહોવા સમય જતાં બદલો આપશે. (૧ પીતર ૫:૬, ૭ વાંચો.) જો આપણે નમ્ર અને નરમ માટી જેવા હોઈશું, તો યહોવાની પ્રેમાળ શિસ્તથી આપણે ઘડાય શકીશું.

૧૧ ત્રીજું, યહોવાએ જે રીતે શેબ્નાને શિસ્ત આપી, એનાથી આપણને મહત્ત્વનો બોધપાઠ મળે છે. ખરું કે, યહોવા પાપને ધિક્કારે છે, પણ પાપ કરનાર વ્યક્તિને પ્રેમ કરે છે. લોકોના સારા ગુણો પર તે ધ્યાન આપે છે. જો તમે માબાપ કે વડીલ હો, તો શું શિસ્ત આપવાની યહોવાની રીતને તમે અનુસરશો?—યહુ. ૨૨, ૨૩.

૧૨-૧૪. (ક) યહોવા તરફથી શિસ્ત મળે ત્યારે, અમુક શું કરે છે? (ખ) એક ભાઈને બાઇબલ દ્વારા કઈ રીતે પોતાના સ્વભાવમાં સુધારો કરવા મદદ મળી અને એનું શું પરિણામ આવ્યું?

૧૨ જોકે, અમુક લોકોને શિસ્ત મળે ત્યારે, તેઓને એટલું ખોટું લાગે છે કે તેઓ ઈશ્વરથી અને મંડળથી દૂર જતા રહે છે. (હિબ્રૂ. ૩:૧૨, ૧૩) શું એનો અર્થ એવો થાય કે કોઈ પણ તેઓને મદદ નહિ કરી શકે? ના, એવું નથી! ચાલો, ગ્રેહામનો દાખલો જોઈએ. તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા અને પછીથી મંડળમાં પાછા લેવામાં આવ્યા. જોકે, એ પછી તેમણે પ્રચાર અને સભાઓમાં જવાનું છોડી દીધું. એક વડીલે તેમના મિત્ર બનવાનો પ્રયત્ન કર્યો. સમય જતાં, ગ્રેહામે તેમની આગળ બાઇબલ અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

૧૩ વડીલે યાદ કરતા કહ્યું: ‘ગ્રેહામ ઘમંડથી ફુલાઈ ગયા હતા. એટલે, તેમને બહિષ્કૃત કરનાર વડીલોના તે વાંક-ગુના શોધવા લાગ્યા. તેથી, અમુક સમય સુધી અમે અભ્યાસ દરમિયાન ઘમંડ અને એનાથી આવતાં પરિણામો વિશે કલમોમાંથી ચર્ચા કરી. ગ્રેહામે બાઇબલને એક અરીસા તરીકે જોવાનું શરૂ કર્યું. એમાં તેમણે પોતાના વિશે જે જોયું એ તેમને ગમ્યું નહિ. પણ, એનું પરિણામ જોરદાર આવ્યું! તેમણે કબૂલ કર્યું કે આંખમાં ઘમંડનો “ભારોટિયો” આવી ગયો હોવાથી તે બાબતોને સ્પષ્ટ રીતે જોઈ શકતા ન હતા. તેમ જ, બીજાઓમાં વાંક-ગુનો શોધ્યા કરવો એ તેમની મુખ્ય તકલીફ હતી. એ પછી, તરત જ તેમણે પોતાનામાં સુધારો કરવાનું શરૂ કરી દીધું. તે સભામાં નિયમિત આવવા લાગ્યા, ખંતથી બાઇબલનો અભ્યાસ કરવા લાગ્યા અને તેમણે પ્રાર્થના કરવાની આદત કેળવી. કુટુંબના શિર તરીકે ભક્તિને લગતી જવાબદારીઓ તે નિભાવવા લાગ્યા, જેનાથી તેમનાં પત્ની અને બાળકો ઘણાં ખુશ થયાં.’—લુક ૬:૪૧, ૪૨; યાકૂ. ૧:૨૩-૨૫.

૧૪ વડીલે આગળ કહ્યું: ‘એક દિવસ ગ્રેહામે મને એવું કંઈક કહ્યું, જે મારા દિલને સ્પર્શી ગયું. તેમણે કહ્યું, “હું ઘણાં વર્ષોથી સત્ય જાણું છું અને મેં પાયોનિયર તરીકે પણ સેવા આપી છે. પણ સાચું કહું તો, હવે ખરા અર્થમાં કહી શકું છું કે હું યહોવાને પ્રેમ કરું છું.”’ જલદી જ, ગ્રેહામને સભાઓમાં માઇક્રોફોન સંભાળવાની સોંપણી મળી અને એ સોંપણી મળવાથી તે ઘણા ખુશ થયા હતા. વડીલ ભાઈએ જણાવ્યું: ‘ગ્રેહામના દાખલામાંથી મને શીખવા મળ્યું કે જ્યારે એક વ્યક્તિ શિસ્ત સ્વીકારીને પોતાને ઈશ્વર આગળ નમ્ર કરે છે, ત્યારે તેના પર અઢળક આશીર્વાદો વરસે છે.’

શિસ્ત આપવામાં ઈશ્વર અને ખ્રિસ્તને અનુસરીએ

૧૫. લોકોના દિલને અસર કરે એવી શિસ્ત આપવા માટે આપણે શું કરી શકીએ?

૧૫ જો આપણે એક સારા શિક્ષક બનવા માંગતા હોઈએ, તો પહેલા એક સારા વિદ્યાર્થી બનવું જોઈએ. (૧ તિમો. ૪:૧૫, ૧૬) એવી જ રીતે, જો બીજાઓને શિસ્ત આપવામાં યહોવા તમારો ઉપયોગ કરતા હોય, તો તમારે નમ્ર રહેવું જોઈએ અને યહોવાના માર્ગદર્શનને દિલથી સ્વીકારવું જોઈએ. જ્યારે બીજાઓના ધ્યાનમાં આવશે કે તમે નમ્ર છો, ત્યારે તેઓ તમને માન આપશે. તેમ જ, તમારી પાસેથી સલાહ કે શિસ્ત સ્વીકારવી તેઓ માટે સહેલું બનશે. એ વિશે આપણે ઈસુના ઉદાહરણ પરથી શીખી શકીએ છીએ.

૧૬. યોગ્ય શિસ્ત અને અસરકારક શિક્ષણ વિશે ઈસુ પાસેથી આપણે શું શીખી શકીએ?

૧૬ ઈસુએ હંમેશાં પોતાના પિતાની આજ્ઞાઓ પાળી. અરે, અઘરા સંજોગોમાં પણ. (માથ. ૨૬:૩૯) પોતાની પાસે જે શિક્ષણ અને ડહાપણ હતું, એનો શ્રેય તેમણે પિતાને આપ્યો. (યોહા. ૫:૧૯, ૩૦) હંમેશાં પોતાના પિતાનું કહ્યું કરતા હોવાથી તે એક દયાળુ શિક્ષક બની શક્યા હતા. નેક લોકો તેમનો સાથ મેળવીને આનંદ અનુભવતા હતા. (લુક ૪:૨૨ વાંચો.) ઈસુના પ્રેમાળ શબ્દોથી નિરાશ અને ઉદાસ થયેલા લોકોને હિંમત મળતી હતી. (માથ. ૧૨:૨૦) સૌથી મોટું કોણ છે એ વિશે તેમના શિષ્યો દલીલો કરતા હતા ત્યારે, ઈસુ ચિડાઈ ગયા નહિ પણ પ્રેમથી શિષ્યોને સુધાર્યા.—માર્ક ૯:૩૩-૩૭; લુક ૨૨:૨૪-૨૭.

૧૭. મંડળની સારી સંભાળ રાખવા વડીલોએ કયા ગુણો કેળવવા જોઈએ?

૧૭ બાઇબલ આધારિત શિસ્ત આપતી વખતે વડીલોએ ખ્રિસ્તને અનુસરવું જોઈએ. એમ કરીને તેઓ બતાવી આપશે કે પોતે ઈશ્વર અને તેમના દીકરા દ્વારા દોરાવા માંગે છે. પ્રેરિત પીતરે લખ્યું કે, “ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો, જે તમને સોંપાયેલું છે. દેખરેખ રાખનારની જેમ સેવા કરો, ફરજ પડ્યાથી નહિ, પણ ખુશીથી ઈશ્વર આગળ એમ કરો; બેઇમાનીથી પડાવી લેવાની લાલચથી નહિ, પણ ઉત્સાહથી કરો. જેઓ ઈશ્વરની સંપત્તિ છે તેઓ પર હુકમ ન ચલાવો, પણ ટોળા માટે ઉદાહરણ બેસાડો.” (૧ પીત. ૫:૨-૪) જે વડીલો ઈશ્વર અને ખ્રિસ્તને આધીન રહે છે, તેઓને તો આશીર્વાદ મળે છે. સાથે સાથે, મંડળનાં ભાઈ-બહેનોને પણ આશીર્વાદ મળે છે.—યશા. ૩૨:૧, ૨, ૧૭, ૧૮.

૧૮. (ક) માતા-પિતા પાસેથી યહોવા શાની અપેક્ષા રાખે છે? (ખ) માતા-પિતાને ઈશ્વર કઈ રીતે મદદ કરે છે?

૧૮ કુટુંબમાં શિસ્ત અને તાલીમ આપવા વિશે શું? કુટુંબના શિરને યહોવા કહે છે કે, “પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો નહિ. પરંતુ, યહોવા ચાહે છે તેમ તેઓને શિસ્ત અને શિખામણ આપીને ઉછેરતાં જાઓ.” (એફે. ૬:૪) શું શિસ્ત અને તાલીમ આપવી ખરેખર જરૂરી છે? નીતિવચનો ૧૯:૧૮ કહે છે: “આશા છે ત્યાં સુધી તારા દીકરાને શિક્ષા કર; અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ.” બાળકોને શિસ્ત આપવાની જવાબદારી યહોવાએ માતા-પિતાને આપી છે. જો તેઓ એમ ન કરે, તો તેઓએ યહોવાને એનો જવાબ આપવો પડશે! (૧ શમૂ. ૩:૧૨-૧૪) માતા-પિતા પ્રાર્થનામાં મદદ માંગે અને માર્ગદર્શન માટે બાઇબલ અને પવિત્ર શક્તિ પર આધાર રાખે છે ત્યારે, યહોવા તેઓને ડહાપણ અને શક્તિ આપે છે.—યાકૂબ ૧:૫ વાંચો.

હંમેશ માટે શાંતિમાં રહેવાનું કઈ રીતે શીખી શકીએ?

૧૯, ૨૦. (ક) આપણે યહોવાની શિસ્ત સ્વીકારીએ ત્યારે કેવા આશીર્વાદો મળે છે? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૯ જો યહોવાની શિસ્ત સ્વીકારીશું તથા યહોવા અને ઈસુની શિસ્ત આપવાની રીતને અનુસરીશું, તો ગણ્યા ગણાય નહિ એટલા આશીર્વાદો આપણને મળશે! આપણાં કુટુંબ અને મંડળમાં શાંતિ રહેશે અને દરેક વ્યક્તિ પ્રેમ, કાળજી અને રક્ષણનો અનુભવ કરશે. આપણને ભાવિમાં મળનાર શાંતિ અને ખુશીની આ તો બસ એક ઝલક જ છે! (ગીત. ૭૨:૭) યહોવાની શિસ્ત આપણને હમણાં તૈયાર કરી રહી છે. એનાથી આપણને બધાને ભાવિમાં પિતા યહોવાની છાયા તળે એક કુટુંબ તરીકે સંપ અને શાંતિમાં હંમેશ માટે જીવવા મદદ મળશે. (યશાયા ૧૧:૯ વાંચો.) એ વાત યાદ રાખવાથી આપણે શિસ્તને, યહોવાના પ્રેમની સાબિતી તરીકે જોઈ શકીશું.

૨૦ આપણે મંડળમાં અને કુટુંબમાં શિસ્ત કઈ રીતે કેળવી શકીએ, એ વિશે આવતા લેખમાં વધારે માહિતી જોઈશું. આપણે કઈ રીતે પોતાને શિસ્ત આપી શકીએ, એ વિશે પણ ચર્ચા કરીશું. આપણે એ પણ શીખીશું કે, શિસ્ત ન સ્વીકારવાથી કેવાં ખરાબ પરિણામો આવે છે.