સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હિંમત હારશો નહિ!

હિંમત હારશો નહિ!

ફૈજલભાઈના પત્ની ગુજરી ગયા. એના એકાદ વર્ષ પછી તેમને હૃદયનું મોટું ઑપરેશન કરાવવું પડ્યું. તે કહે છે: “હું અયૂબનું પુસ્તક વાંચું છું તેમ જોઈ શકું છું કે, યહોવાએ કેમ એ પુસ્તકને બાઇબલમાં સામેલ કર્યું છે. આપણા જેવા સંજોગોમાંથી ગુજરેલા લોકોના અનુભવો એમાં છે. તેઓ આપણા જેવું જ અનુભવતા હતા એ જાણીને દુઃખ હળવું થાય છે. સાચે જ, એનાથી જીવન જીવવા ખૂબ હિંમત મળે છે.”

ટારશા નાની હતી ત્યારે તેની મમ્મી ગુજરી ગઈ. તે કહે છે: “હું ઈશ્વર વિશે વધારે જાણવા લાગી તેમ, જોઈ શકી કે જીવન અનમોલ ભેટ છે. તેમણે સુંદર આશા આપી છે. એનાથી હું ગમે એવી મુશ્કેલીમાં પણ આનંદ જાળવી રાખું છું. યહોવા રોજ આપણી સંભાળ રાખે છે અને ગમે એવી મુશ્કેલીમાં ટકાવી રાખે છે.”

અગાઉના લેખોમાં જોયું તેમ, કોઈ વાર જીવનમાં એવા બનાવો બને જેનાથી જીવન અઘરું બની જાય. આપણે જાણે જીવનથી હારી જઈએ. એવું લાગે કે કોઈને આપણી પડી નથી, આ બોજો ક્યાં સુધી ઊંચકીને ફરીશું? પણ હિંમત ન હારો. ઈશ્વર તમારી સાથે છે. તે તમારું દુઃખ, તમારી પીડા જાણે છે. તેમની નજરે તમે અમૂલ્ય છો.

ગીતશાસ્ત્ર ૮૬ના લેખકને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હતી. તેમણે કહ્યું: ‘મારા સંકટને દિવસે હું તમને પોકાર કરીશ, કેમ કે તમે મને ઉત્તર દેશો.’ (ગીતશાસ્ત્ર ૮૬:૭) કદાચ તમને થશે, ‘“મારા સંકટને દિવસે” ઈશ્વર કઈ રીતે મને ઉત્તર આપશે?’

ખરું કે, ઈશ્વર તમારી મુશ્કેલીઓને કદાચ તરત જ દૂર નહિ કરે. પણ બાઇબલમાં આપેલાં તેમનાં વચનો તમને એ દુઃખ સહેવા મદદ કરશે અને મનની શાંતિ આપશે. આ વચનનો વિચાર કરો: ‘કંઈ ચિંતા ન કરો, પણ બધી બાબતમાં પ્રાર્થના અને વિનંતી સાથે આભાર માનતા, તમારી અરજો ઈશ્વરને જણાવો. ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ તમારા હૃદયો અને તમારા વિચારોનું રક્ષણ કરશે.’ (ફિલિપીઓ ૪:૬, ૭, ફૂટનોટ) હવે પછી જણાવેલાં ઈશ્વરનાં વચનો પર ધ્યાન આપો. એનાથી ખાતરી મળે છે કે ઈશ્વર સાચે જ આપણા બધાની પ્રેમથી સંભાળ રાખે છે.

ઈશ્વરની નજરમાં તમે કીમતી છો

‘એકે ચકલી ઈશ્વરની નજર બહાર રહેતી નથી. ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો.’લુક ૧૨:૬, ૭, ફૂટનોટ.

જરા વિચાર કરો: માણસોની નજરમાં ચકલીની કોઈ વિસાત નથી. પણ, ઈશ્વરની નજરમાં છે. એકેય ચકલી તેમની નજર બહાર જતી નથી. નાનામાં નાની ચકલી પણ ઈશ્વરની નજરમાં કીમતી છે. મનુષ્યો તો ઈશ્વર માટે એનાથીયે વધારે કીમતી છે. ધરતી પર મનુષ્ય ઈશ્વરનું સૌથી અજોડ સર્જન છે. ઈશ્વરે મનુષ્યને “પોતાના સ્વરૂપ” પ્રમાણે બનાવ્યો છે. એટલે આપણે તેમના જેવા ગુણો કેળવી શકીએ છીએ અને બતાવી શકીએ છીએ.—ઉત્પત્તિ ૧:૨૬, ૨૭.

‘હે યહોવા, તમે મારી પરીક્ષા કરી છે, અને તમે મને ઓળખો છો. તમે મારો વિચાર સમજો છો. મને પારખો અને મારા વિચારો જાણી લો.’ગીતશાસ્ત્ર ૧૩૯:૧, ૨, ૨૩.

જરા વિચાર કરો: ઈશ્વર તમને સારી રીતે ઓળખે છે. તે તમારી ઊંડી લાગણીઓ ને ચિંતાઓ જાણે છે. કદાચ બીજાઓ તમારી મુશ્કેલીઓ કે ચિંતાઓ ન સમજે, પણ ઈશ્વર સમજે છે. તે તમને પ્રેમ કરે છે, તમને મદદ કરવા માંગે છે. એટલે હિંમત હારશો નહિ.

ઈશ્વર તમને મદદ કરશે, રાહ બતાવશે

‘હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, અને મારા પોકારને તમારી પાસે આવવા દો. મારા ભણી કાન ધરો. હું વિનંતી કરું એ દિવસે તમે મને વહેલો ઉત્તર આપો. તે લાચારની પ્રાર્થના પર ધ્યાન આપશે.’ગીતશાસ્ત્ર ૧૦૨:૧, ૨, ૧૭.

જરા વિચાર કરો: મનુષ્યો પર દુઃખ આવી પડ્યું ત્યારથી જ તેઓએ વહાવેલાં એકેએક આંસુઓની યહોવાએ નોંધ રાખી છે. (ગીતશાસ્ત્ર ૫૬:૮) તમારાં આંસુઓની પણ. ઈશ્વર તમારી દરેક મુશ્કેલીઓ સમજે છે. તમારાં આંસુઓ તેમના ધ્યાન બહાર નથી. તમે તેમના માટે ખૂબ અનમોલ છો.

‘આમતેમ જોઈશ મા, કેમ કે હું તારો ઈશ્વર છું; હું તને બળવાન કરીશ; હું તને સહાય કરીશ. હું યહોવા તારો ઈશ્વર તને કહું છું, કે તું બીશ મા; હું તને સહાય કરીશ.’યશાયા ૪૧:૧૦, ૧૩.

જરા વિચાર કરો: ઈશ્વર તમને મદદ કરવા તૈયાર છે. તમે પડી જાઓ ત્યારે તે તમને ઊભા કરશે.

ઈશ્વર આપે છે સુંદર જીવનની આશા

“ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ તે હંમેશ માટેનું જીવન મેળવે.”યોહાન ૩: ૧૬.

જરા વિચાર કરો: ઈશ્વર તમને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે તમારા માટે તેમણે પોતાના દીકરા ઈસુનું બલિદાન આપ્યું. આ બલિદાનને લીધે તમને હંમેશ માટે ખુશહાલ જીવનની આશા મળે છે. *

ભલે તમારા જીવનમાં કોઈ પણ આફત આવે, હિંમત હારશો નહિ! ઈશ્વરે બાઇબલમાં સુંદર ભાવિનું વચન આપ્યું છે. એના વિશે શીખો. એ તમારું જીવન ઉલ્લાસથી ભરી દેશે અને ગમે એવી મુશ્કેલીઓ સહેવા હિંમત આપશે.

^ ઈસુના બલિદાન માટે કદર બતાવવા આપણે શું કરી શકીએ? એ વિશે જાણવા www.pr418.com/gu પર જાઓ અને આ વીડિયો જુઓ: ઈસુના મરણને યાદ કરીએ. સાહિત્ય > વીડિયો > સભાઓ અને સેવાકાર્ય વિભાગ જુઓ.