સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૪

અંત આવે એ પહેલાં મિત્રો સાથે ગાઢ સંબંધ કેળવીએ

અંત આવે એ પહેલાં મિત્રો સાથે ગાઢ સંબંધ કેળવીએ

“મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે.”—નીતિ. ૧૭:૧૭.

ગીત ૫૩ સંપીને રહીએ

ઝલક *

“મહાન વિપત્તિ” વખતે આપણને પાકા મિત્રોની જરૂર પડશે (ફકરો ૨ જુઓ) *

૧-૨. આપણને મુશ્કેલીઓનો સામનો કરવા ક્યાંથી મદદ મળી શકે?

આપણે ‘છેલ્લા દિવસોના’ અંતમાં જીવીએ છીએ. એટલે આપણા પર મુશ્કેલીઓનું મોજું આવી શકે. (૨ તિમો. ૩:૧) ચાલો પશ્ચિમ આફ્રિકાના એક દેશ વિશે જોઈએ. ચૂંટણી પછી ત્યાં ખૂબ હિંસા થઈ હતી. છએક મહિનાઓ સુધી ભાઈ-બહેનો ઘણા કપરા સંજોગોમાં હતા. કેમ કે આસપાસ બધા લોકો લડી રહ્યા હતા. ભાઈ-બહેનો કઈ રીતે એ મુશ્કેલીનો સામનો કરી શક્યાં? તેઓ એવાં ભાઈ-બહેનોને ત્યાં રહ્યાં, જેઓનું ઘર સલામત વિસ્તારમાં હતું. એક ભાઈએ કહ્યું: ‘મને ખુશી છે કે એવા સંજોગોમાં પણ મિત્રો મારી સાથે હતા. અમે એકબીજાની હિંમત બંધાવતા હતા.’

જો હમણાં આપણી પાસે પ્રેમાળ મિત્રો હશે, તો “મહાન વિપત્તિ” શરૂ થશે ત્યારે તેઓનું મહત્ત્વ સમજાશે. (પ્રકટી. ૭:૧૪) એટલે ખૂબ જરૂરી છે કે હમણાં જ મિત્રો સાથે દોસ્તી કેળવીએ. (૧ પીતર ૪:૭, ૮ વાંચો.) આપણે યિર્મેયાના દાખલા પરથી ઘણું શીખી શકીએ છીએ. યરૂશાલેમનો વિનાશ થવાનો હતો. એવા અઘરા સંજોગો માટે તૈયાર થવા તેમના પાકા મિત્રોએ તેમને ઘણી મદદ કરી હતી. * આપણે કઈ રીતે યિર્મેયાને પગલે ચાલી શકીએ?

યિર્મેયાના દાખલા પરથી શીખીએ

૩. (ક) યિર્મેયાએ કેવા સંજોગોનો સામનો કરવો પડ્યો? (ખ) યિર્મેયાએ પોતાના મદદનીશ બારૂખને શું જણાવ્યું? એનું કેવું પરિણામ આવ્યું?

યિર્મેયા ચાલીસેક વર્ષ એવા લોકો વચ્ચે રહ્યા, જેઓ યહોવાને વફાદાર ન હતા. એ લોકોમાં તેમના પડોશીઓ અને કદાચ તેમના વતન અનાથોથનાં અમુક સગાં-વહાલાં હતાં. (યિર્મે. ૧૧:૨૧; ૧૨:૬) તેમ છતાં, તે એકલા એકલા રહ્યા નહિ. તેમણે પોતાની લાગણીઓ બારૂખને જણાવી, જે તેમના મદદનીશ હતા. આપણે પણ તેમની લાગણીઓ વિશે જાણીએ છીએ, કારણ કે બાઇબલમાં એ વિશે લખવામાં આવ્યું છે. (યિર્મે. ૮:૨૧; ૯:૧; ૨૦:૧૪-૧૮; ૪૫:૧) યિર્મેયાના જીવનની એકેએક ઘટનાઓ વિશે બારૂખે લખ્યું. એ દરમિયાન તેઓનાં દિલમાં એકબીજા માટે પ્રેમ અને માન વધ્યાં હશે. વિચારો કે, બારૂખ અને યિર્મેયા વચ્ચેનો સંબંધ કેટલો મજબૂત થયો હશે!—યિર્મે. ૨૦:૧, ૨; ૨૬:૭-૧૧.

૪. યહોવાએ યિર્મેયાને કઈ સોંપણી આપી હતી? એ કામથી યિર્મેયા અને બારૂખ વચ્ચેની મિત્રતા કઈ રીતે ગાઢ થઈ?

વર્ષો સુધી યિર્મેયાએ હિંમતથી ઇઝરાયેલીઓને જણાવ્યું કે યરૂશાલેમની કેવી હાલત થશે. (યિર્મે. ૨૫:૩) લોકો પસ્તાવો કરે માટે યહોવા તેઓને ચેતવણી આપવા માંગતા હતા. એ માટે યહોવાએ યિર્મેયાને એ ચેતવણીઓ વીંટા પર લખી લેવાનું કહ્યું. (યિર્મે. ૩૬:૧-૪) ઈશ્વરે સોંપેલું કામ યિર્મેયા અને બારૂખે ખભેખભા મિલાવીને કર્યું હતું. એ કામ ઘણા મહિનાઓ સુધી ચાલ્યું હશે. એ વખતે તેઓ વચ્ચે એવી ઘણી વાતચીત થઈ હશે, જેનાથી તેઓની શ્રદ્ધા મજબૂત થઈ.

૫. બારૂખે કઈ રીતે યિર્મેયા સાથેની મિત્રતા નિભાવી?

તેઓએ વીંટો લખવાનું પૂરું કર્યું. પછી બારૂખે એ વીંટાની માહિતી લોકોને જણાવવાની હતી. યિર્મેયાએ ભરોસો રાખવાનો હતો કે બારૂખ એ માહિતી લોકોને ચોક્કસ જણાવશે. (યિર્મે. ૩૬:૫, ૬) એ કામ કરવામાં ઘણું જોખમ હતું પણ બારૂખે હિંમતથી એ પૂરું કર્યું. મંદિર બહાર લોકો આગળ બારૂખે વીંટામાંથી સંદેશો વાંચી સંભળાવ્યો. જરા વિચારો, એ જાણીને યિર્મેયાને બારૂખ પર કેટલો ગર્વ થયો હશે! (યિર્મે. ૩૬:૮-૧૦) બારૂખે જે કર્યું એ વિશે યહુદાના સરદારોને જાણવા મળ્યું. એટલે તેઓએ બારૂખને હુકમ કર્યો કે તેઓને પણ વીંટામાંથી સંદેશો વાંચી સંભળાવે. (યિર્મે. ૩૬:૧૪, ૧૫) સરદારોએ યિર્મેયાના શબ્દો યહોયાકીમ રાજાને જણાવવાનું નક્કી કર્યું. સરદારોને બારૂખની ચિંતા થઈ એટલે તેઓએ બારૂખને કહ્યું: ‘જા, તું તથા યિર્મેયા બંને સંતાઈ જાઓ. અને તમે ક્યાં છો, એ કોઈને ખબર પડે નહિ.’ (યિર્મે. ૩૬:૧૬-૧૯) કેટલી સારી સલાહ!

૬. વિરોધ થયો ત્યારે યિર્મેયા અને બારૂખે શું કર્યું?

યિર્મેયાના શબ્દો સાંભળીને યહોયાકીમ રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો. તેણે વીંટો બાળી નાખ્યો. યિર્મેયા અને બારૂખને પકડી લાવવાનો તેણે હુકમ કર્યો. એનાથી યિર્મેયા ડર્યા નહિ. યિર્મેયાએ બીજો વીંટો લીધો અને બારૂખને આપ્યો. ‘યહુદાહના રાજા યહોયાકીમે જે વીંટો અગ્‍નિમાં બાળી નાખ્યો હતો,’ એ વીંટાનો સંદેશો બારૂખે ફરીથી બીજા વીંટામાં લખ્યો.—યિર્મે. ૩૬:૨૬-૨૮, ૩૨.

૭. યિર્મેયા અને બારૂખે સાથે મળીને કામ કર્યું એનું કેવું પરિણામ આવ્યું હશે?

જે લોકોએ સાથે મળીને કસોટીનો સામનો કર્યો હોય, તેઓ વચ્ચે પાકો નાતો બંધાય છે. બીજો વીંટો લખવા યિર્મેયા અને બારૂખે સાથે મળીને કામ કર્યું. એનાથી તેઓ એકબીજાને સારી રીતે ઓળખી શક્યા હશે અને પાકા મિત્રો બન્યા હશે. એ બંને વફાદાર ભક્તો પાસેથી આપણે શું શીખી શકીએ?

મિત્રોને દિલની વાત જણાવીએ

૮. પાકી મિત્રતા કેળવવી કેમ અઘરું લાગે છે? પાકી મિત્રતા કેળવવા શું કરતા રહેવું જોઈએ?

બની શકે કે, કોઈએ અગાઉ દુઃખ પહોંચાડ્યું હોવાથી આપણને માઠું લાગ્યું છે. હવે આપણને બીજાઓ સાથે દિલ ખોલીને વાત કરવી અઘરું લાગે છે. (નીતિ. ૧૮:૧૯, ૨૪) કે પછી આપણને લાગે કે આપણી પાસે એટલાં સમય-શક્તિ નથી કે પાકી મિત્રતા કેળવી શકીએ. પણ એવું નથી. આપણે પાકા મિત્રો બનાવી શકીએ છીએ. જો આપણે ચાહતા હોઈએ કે અઘરા સંજોગોમાં ભાઈ-બહેનોનો સાથ મળે તો શું કરવું જોઈએ? આપણે હમણાં તેઓની સાથે પાકી મિત્રતા કેળવવી જોઈએ. એની એક મહત્ત્વની રીત છે, તેઓને આપણા વિચારો જણાવીએ, આપણું દિલ ઠાલવીએ.—૧ પીત. ૧:૨૨.

૯. (ક) ઈસુએ કઈ રીતે બતાવ્યું કે પોતાના મિત્રો પર તેમને ભરોસો છે? (ખ) દિલ ખોલીને વાતચીત કરવાથી કઈ રીતે મિત્રતા પાકી થાય છે? દાખલો આપો.

ઈસુએ કંઈ પણ છુપાવ્યા વગર દિલ ખોલીને મિત્રો સાથે વાત કરી હતી. આમ તેમણે બતાવ્યું કે પોતાના મિત્રો પર તેમને ભરોસો છે. (યોહા. ૧૫:૧૫) ઈસુની જેમ આપણે પણ મિત્રોને આપણાં સુખ-દુઃખ અને ચિંતાઓ વિશે જણાવી શકીએ. બીજાઓ પોતાની લાગણીઓ જણાવે ત્યારે ધ્યાનથી સાંભળીએ. આપણને જાણવા મળશે કે મિત્રનાં કેટલાંક વિચારો, લાગણીઓ અને ધ્યેયો આપણા જેવાં જ છે. ચાલો ૨૯ વર્ષનાં સીન્ડીબેનનો દાખલો જોઈએ. તેમણે મેરી-લુઈસબેનને મિત્ર બનાવ્યા. તે ૬૭ વર્ષનાં છે અને પાયોનિયર છે. તેઓ સાથે મળીને દર ગુરુવારે પ્રચારમાં જાય છે. કેટલાય વિષયો પર તેઓ દિલ ખોલીને વાત કરે છે. સીન્ડીબેન કહે છે: ‘મિત્રો સાથે વાતચીત કરવાનું મને બહુ ગમે છે. એનાથી હું તેઓને સારી રીતે ઓળખી શકું છું, તેઓની લાગણીઓ સમજી શકું છું.’ જ્યાં વાતચીતની કળીઓ ખીલી હશે, ત્યાં મિત્રતાનાં ફૂલો મહેકી ઊઠશે. સીન્ડીબેનની જેમ તમે પણ ખુલ્લા દિલથી બીજાઓ સાથે વાતચીત કરવા પહેલ કરશો તો, તમારી મિત્રતા પાકી થશે.—નીતિ. ૨૭:૯.

સાથે મળીને ખુશખબર ફેલાવીએ

પાકા મિત્રો સાથે મળીને ખુશખબર ફેલાવે છે (ફકરો ૧૦ જુઓ)

૧૦. નીતિવચનો ૨૭:૧૭ પ્રમાણે ભાઈ-બહેનો સાથે ખભેખભા મિલાવીને કામ કરીશું તો શું થશે?

૧૦ યિર્મેયા અને બારૂખની જેમ આપણે પણ ભાઈ-બહેનો સાથે ખભેખભા મિલાવીને કામ કરવું જોઈએ. તેમ જ, તેઓના સારા ગુણો પર ધ્યાન આપવું જોઈએ. જો એમ કરીશું, તો આપણે તેઓ પાસેથી ઘણું શીખી શકીશું અને તેઓની નજીક જઈ શકીશું. (નીતિવચનો ૨૭:૧૭ વાંચો.) આનો વિચાર કરો: તમે પ્રચારમાં ગયા છો. તમારો મિત્ર હિંમતથી સાક્ષી આપી રહ્યો છે કે પછી પૂરા દિલથી યહોવા અને તેમના હેતુઓ વિશે વાત કરી રહ્યો છે. એ જોઈને તમને કેવું લાગશે? તમારા દિલમાં મિત્ર માટેનો પ્રેમ વધશે, ખરું ને!

૧૧-૧૨. મિત્રતાનું બંધન કઈ રીતે મજબૂત થઈ શકે? દાખલો આપો.

૧૧ પ્રચારમાં સાથે કામ કરવાથી એકબીજા માટે પ્રેમ વધે છે. ચાલો એના બે દાખલા જોઈએ. એડલાઇન ૨૩ વર્ષની છે. કેન્ડીસ તેની બહેનપણી છે. જે વિસ્તારમાં ઓછો પ્રચાર થયો છે, ત્યાં જઈને સેવા આપવા વિશે તેઓએ ચર્ચા કરી. એડલાઇન જણાવે છે: ‘અમે પૂરા ઉત્સાહથી ખુશખબર ફેલાવવા માંગતા હતા. એ કામમાં અમે વધારે ખુશી મેળવવા માંગતા હતા. યહોવાની સેવામાં અમે બનતું બધું કરી શકીએ માટે અમને ઉત્તેજનની જરૂર હતી.’ એકબીજા સાથે કામ કરવાથી તેઓને કેવો ફાયદો થયો? એડલાઇન કહે છે: ‘દિવસ કેવો રહ્યો એ વિશે અમે રાતે બેસીને વાતો કરતા. લોકો સાથે થયેલી વાતચીતમાં કઈ બાબત અમારા દિલને સ્પર્શી ગઈ એની ચર્ચા કરતા. એ પણ વાત કરતા કે ખુશખબર ફેલાવવાના કામમાં યહોવાએ કઈ રીતે માર્ગદર્શન આપ્યું. એવી વાતચીત અમને ખૂબ ગમતી. એનાથી અમે એકબીજાને વધારે સારી રીતે ઓળખી શક્યા.’

૧૨ લેયલાબેન અને મેરીએનબેન ફ્રાંસનાં છે. તેઓ બંને કુંવારાં છે. ખુશખબર ફેલાવવા તેઓ પાંચ અઠવાડિયાં માટે બાન્ગુઈ ગયાં. એ મધ્ય આફ્રિકા પ્રજાસત્તાકની રાજધાની છે. એ ઘણું ભરચક શહેર છે. લેયલાબેન કહે છે: ‘અમારે ઘણી તકલીફો સહેવી પડી. અમે એકબીજાને ઊંડો પ્રેમ કરતા અને ખુલ્લા દિલે વાત કરતા. એનાથી અમારી મિત્રતા ગાઢ બની. મેં જોયું કે મેરીએન બહુ જલદી નવા સંજોગોમાં પોતાને ઢાળી શકતી હતી. તેને લોકો માટે પ્રેમ હતો અને તેને સેવાકાર્ય માટે ઉત્સાહ હતો. એનાથી હું તેનો વધારે આદર કરવા લાગી.’ એવા મિત્રો મેળવવા જરૂરી નથી કે બીજા દેશમાં જવું જ પડે, તમે જ્યાં રહો છો ત્યાં પણ મિત્રો બનાવી શકો. કોઈ ભાઈ કે બહેન સાથે પ્રચારમાં જાઓ ત્યારે, તેમને સારી રીતે ઓળખવાની તમને તક મળે છે. એટલું જ નહિ, તેમની સાથેની તમારી મિત્રતાનું બંધન પણ મજબૂત થાય છે.

મિત્રોના સારા ગુણો પર ધ્યાન આપીએ અને માફ કરીએ

૧૩. મિત્રો સાથે મળીને કામ કરવાથી અમુક વાર કયો પડકાર આવી શકે?

૧૩ મિત્રો સાથે મળીને કામ કરવાથી અમુક વાર કયો પડકાર આવી શકે? તેઓના સારા ગુણોની સાથે સાથે આપણે તેઓની ભૂલો પણ જોઈ શકીએ છીએ. એ પડકારનો સામનો કરવા ચાલો યિર્મેયાનો દાખલો ફરીથી જોઈએ. તેમણે બીજાઓનાં સારા ગુણો જોયા અને તેઓની ભૂલો માફ કરી. એ માટે યિર્મેયાને ક્યાંથી મદદ મળી?

૧૪. યિર્મેયાને યહોવા વિશે શું શીખવા મળ્યું? એનાથી તેમને કેવી મદદ મળી?

૧૪ યિર્મેયાનું પુસ્તક યિર્મેયાએ પોતે લખ્યું હતું. તેમણે પહેલો રાજાઓ અને બીજો રાજાઓનાં પુસ્તકો પણ લખ્યા હોય શકે. એ કામથી તે જોઈ શક્યા કે યહોવા કઈ રીતે પાપી માણસોને દયા બતાવે છે. દાખલા તરીકે, આહાબ રાજાએ ખરાબ કામો માટે પસ્તાવો કર્યો ત્યારે, યહોવાએ એક વાતનું ધ્યાન રાખ્યું. યહોવાએ આહાબના જીવન દરમિયાન તેમના આખા કુટુંબનો નાશ થવા દીધો નહિ. આમ, આહાબે કોઈનું મોત જોવું પડ્યું નહિ. યિર્મેયા એ વાત જાણતા હતા. (૧ રાજા. ૨૧:૨૭-૨૯) તે એ પણ જાણતા હતા કે મનાશ્શાએ આહાબ કરતાં પણ વધારે ખરાબ કામો કર્યાં હતાં, જેનાથી યહોવા ગુસ્સે થયા હતા. તેમ છતાં, યહોવાએ મનાશ્શાને માફ કર્યો કારણ કે તેણે પસ્તાવો કર્યો હતો. (૨ રાજા. ૨૧:૧૬, ૧૭; ૨ કાળ. ૩૩:૧૦-૧૩) એ અહેવાલોમાંથી યિર્મેયાને ઈશ્વરની ધીરજ અને દયા જોવા મળી. એનાથી યિર્મેયાને શીખવા મળ્યું કે પોતાના મિત્રોને પણ એવી જ ધીરજ અને દયા બતાવવી જોઈએ.—ગીત. ૧૦૩:૮, ૯.

૧૫. યહોવાની જેમ યિર્મેયાએ કઈ રીતે ધીરજ બતાવી?

૧૫ થોડા સમય માટે બારૂખનું ધ્યાન સોંપણીમાંથી ફંટાઈ ગયું હતું. એ વખતે યિર્મેયાએ તેમને કઈ રીતે મદદ કરી? તેમણે એમ ન ધારી લીધું કે બારૂખ તો હવે બદલાશે જ નહિ. પણ યિર્મેયાએ બારૂખને મદદ કરી. યહોવાએ બારૂખ માટે પ્રેમથી સંદેશો આપ્યો પણ એ સાફ શબ્દોમાં હતો, જે યિર્મેયાએ બારૂખને જણાવ્યો. (યિર્મે. ૪૫:૧-૫) એ અહેવાલ પરથી આપણે શું શીખી શકીએ?

પાકા મિત્રો એકબીજાને દિલથી માફ કરે છે (ફકરો ૧૬ જુઓ)

૧૬. નીતિવચનો ૧૭:૯ પ્રમાણે આપણે મિત્રતાનું બંધન નિભાવવા શું કરવું જોઈએ?

૧૬ આપણે એવી અપેક્ષા ન રાખીએ કે ભાઈ-બહેનો કદીયે ભૂલ નહિ કરે. એટલે એક વાર કોઈને મિત્ર બનાવ્યા પછી મિત્રતાનું બંધન નિભાવવા આપણે મહેનત કરીએ. જો મિત્રો ભૂલ કરે, તો તેઓને પ્રેમથી પણ સાફ શબ્દોમાં બાઇબલમાંથી સલાહ આપવી પડે. (ગીત. ૧૪૧:૫) જો તેઓ આપણા દિલને ઠેસ પહોંચાડે, તો તેઓને માફ કરીએ. એક વાર માફ કરી દીધા પછી એ વાત ક્યારેય યાદ ન કરીએ. તેઓની સામે પણ નહિ અને બીજાઓની સામે પણ નહિ. (નીતિવચનો ૧૭:૯ વાંચો. *) આ છેલ્લા દિવસોમાં ભાઈ-બહેનોની ભૂલો શોધવાને બદલે તેઓના સારા ગુણો પર ધ્યાન આપવું ખૂબ મહત્ત્વનું છે! એમ કરવાથી તેઓ સાથેની મિત્રતા મજબૂત થશે. મહાન વિપત્તિ વખતે આપણને એવા પાકા મિત્રોની ખૂબ જરૂર પડશે.

સાચો પ્રેમ બતાવીએ

૧૭. શાના પરથી કહી શકાય કે યિર્મેયા સાચા મિત્ર હતા?

૧૭ અઘરા સંજોગોમાં મિત્રોને સાથ આપીને યિર્મેયા પ્રબોધકે બતાવી આપ્યું કે તે એક સાચા મિત્ર છે. દાખલા તરીકે, રાજ દરબારમાં કામ કરનાર એબેદ-મેલેખે યિર્મેયાનો જીવ બચાવ્યો હતો. તેમણે યિર્મેયાને કાદવવાળા ટાંકામાંથી બહાર કાઢ્યા હતા. એબેદ-મેલેખને ડર હતો કે એ વિશે સરદારોને ખબર પડશે તો તેઓ તેમને નુકસાન પહોંચાડશે. યિર્મેયાને એ વિશે ખબર પડી ત્યારે તે હાથ પર હાથ ધરીને બેસી રહ્યા નહિ. તેમણે એવું ન વિચાર્યું કે તેમનો એ મિત્ર પોતાની જાતે તકલીફને હાથ ધરી લેશે. યિર્મેયાએ જેલમાં હોવા છતાં એબેદ-મેલેખને મદદ કરવા બનતું બધું કર્યું. યિર્મેયાએ તેમને યહોવાનું વચન જણાવ્યું, જેનાથી એબેદ-મેલેખને આશ્વાસન મળ્યું.—યિર્મે. ૩૮:૭-૧૩; ૩૯:૧૫-૧૮.

પાકા મિત્રો ભાઈ-બહેનોને જરૂર પડે ત્યારે મદદ કરે છે (ફકરો ૧૮ જુઓ)

૧૮. નીતિવચનો ૧૭:૧૭ પ્રમાણે આપણે કઈ રીતે મિત્રના કપરા સંજોગોમાં તેને મદદ કરી શકીએ?

૧૮ આપણાં ભાઈ-બહેનો અલગ અલગ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ઘણાં ભાઈ-બહેનો ધરતીકંપ જેવી કુદરતી આફતોનો ભોગ બને છે. બીજાં ભાઈ-બહેનો યુદ્ધ જેવી આફતોનો શિકાર બને છે, જે માણસો તરફથી હોય છે. એવા સમયે આપણામાંથી અમુક તેઓને પોતાના ઘરમાં આશરો આપી શકે. બીજા અમુક તેઓને પૈસેટકે મદદ કરી શકે. પણ આપણે બધા તેઓ માટે યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ. કોઈ ભાઈ કે બહેન નિરાશ હોય ત્યારે તેઓને શું કહીશું કે શું કરીશું એ આપણને કદાચ ન સૂઝે. તોપણ આપણે તેઓને મદદ કરી શકીએ છીએ. જેમ કે, આપણે મિત્ર સાથે સમય પસાર કરી શકીએ. તે વાત કરે ત્યારે ધ્યાનથી સાંભળીએ. આપણી મનગમતી કલમ તેને જણાવી શકીએ, જેનાથી તેને દિલાસો મળશે. (યશા. ૫૦:૪) સૌથી મહત્ત્વનું તો એ છે કે, મિત્રના કપરા સંજોગોમાં તમે તેની પડખે ઊભા રહો છો.—નીતિવચનો ૧૭:૧૭ વાંચો. *

૧૯. હમણાં મિત્રતાને પાકી કરીશું તો ભાવિમાં કઈ રીતે મદદ મળશે?

૧૯ હમણાં ભાઈ-બહેનો સાથે મિત્રતાનું બંધન મજબૂત કરવાની મનમાં ગાંઠ વાળીએ. એને ક્યારેય તૂટવા ન દઈએ. આપણા દુશ્મનો જૂઠાણું ફેલાવીને આપણી વચ્ચે ભાગલા પાડવાની કોશિશ કરશે. આપણે એકબીજાની વિરુદ્ધ થઈ જઈએ માટે ભલે તેઓ લાખ પ્રયત્ન કરે, પણ તેઓની બધી મહેનત પાણીમાં જશે. તેઓ આપણા પ્રેમના બંધનને તોડી શકશે નહિ. તેઓ ગમે તે કરે, આપણી વચ્ચેની મિત્રતાને ઊની આંચ પણ નહિ આવે. આપણી મિત્રતા ફક્ત આ દુનિયાના અંત સુધી જ નહિ, પણ યુગોના યુગો સુધી રહેશે.

ગીત ૧૬ ઈશ્વરના રાજ્યમાં આશરો લો

^ ફકરો. 5 આ દુનિયાનો અંત નજીક આવી રહ્યો છે. એટલે ભાઈ-બહેનો સાથેનો સંબંધ મજબૂત કરવો ખૂબ જરૂરી છે. આ લેખમાં જોઈશું કે, યિર્મેયાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ. એ પણ જોઈશું કે, હમણાં મિત્રો સાથેનો સંબંધ મજબૂત કરીશું તો કસોટીમાં કઈ રીતે મદદ મળશે.

^ ફકરો. 2 યિર્મેયાના પુસ્તકમાં લખેલા બનાવો ક્રમ પ્રમાણે નથી.

^ ફકરો. 16 નીતિવચનો ૧૭:૯ (IBSI): પ્રેમ ભૂલોને વીસરી જાય છે, પણ ભૂલો વિશે બોલ્યા કરવાથી દિલોજાન મિત્રો વચ્ચે ફૂટ પડે છે.

^ ફકરો. 18 નીતિવચનો ૧૭:૧૭ (NW): મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને મુશ્કેલ સમયમાં તે ભાઈ બની જાય છે.

^ ફકરો. 59 ચિત્રની સમજ: આ ચિત્રથી જોવા મળે છે કે ભાવિમાં “મહાન વિપત્તિ” વખતે કેવા સંજોગો આવી શકે. અમુક ભાઈ-બહેનોએ એક ભાઈના ઘરે આશરો લીધો છે. મિત્રો હોવાથી તેઓ કસોટીના સમયમાં એકબીજાને દિલાસો આપી રહ્યાં છે. આ ત્રણ ચિત્રથી જોવા મળે છે કે મહાન વિપત્તિના ઘણા સમય પહેલાંથી એ ભાઈ-બહેનોએ એકબીજા સાથે ગાઢ મિત્રતા કેળવી હતી.