સાચી માહિતી ક્યાંથી મળી શકે?
સાચી માહિતી આપણો જીવ બચાવી શકે છે. ચાલો આપણે જોઈએ કે, આપણા જીવન પર આ સવાલના જવાબની કેવી અસર થાય છે: ચેપી રોગો કઈ રીતે ફેલાય છે?
હજારો વર્ષો સુધી કોઈની પાસે એ સવાલનો જવાબ ન હતો. એટલે ચેપી રોગોને લીધે લાખો ને લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમય જતાં, વૈજ્ઞાનિકોને ખરી માહિતી હાથ લાગી. તેઓએ જણાવ્યું કે, મોટા ભાગે બૅક્ટેરિયા કે વાયરસ જેવા જીવાણુઓને લીધે રોગો થાય છે. આ ખરી માહિતીને લીધે ઘણા લોકોને એ રોગોથી બચવા અને સારવાર લેવા મદદ મળી. પરિણામે, અબજો લોકો પહેલાં કરતાં લાંબું અને તંદુરસ્ત જીવન જીવી શકે છે.
નીચે જણાવેલા બીજા મહત્ત્વના સવાલો વિશે શું?
-
ઈશ્વર કોણ છે?
-
ઈસુ ખ્રિસ્ત કોણ છે?
-
ઈશ્વરનું રાજ્ય શું છે?
-
આપણું ભાવિ કેવું છે?
લાખો લોકોને એ સવાલોના જવાબ મળ્યા છે. એનાથી તેઓનું જીવન સુધર્યું છે. તમને પણ એ સવાલોના જવાબથી લાભ થશે.
શું સાચી માહિતી મળી શકે?
તમને કદાચ થાય, ‘આજે સાચી માહિતી ક્યાંથી મળી શકે?’ દિવસે ને દિવસે સાચી માહિતી મેળવવી મુશ્કેલ થતી જાય છે. એવું કેમ?
આજે ઘણા લોકોને સરકારો, વેપારી દુનિયા, મીડિયા કે સમાચારો પરથી ભરોસો ઊઠી ગયો છે. કારણ કે, તેઓ વાતોમાં મીઠું-મરચું ઉમેરે છે, પૂરી હકીકત જણાવતા નથી. જૂઠાણાંને સાચું હોય એ રીતે રજૂ કરે છે. તેઓએ સત્ય પર પડદો પાડી દીધો છે. એટલે, લોકો જૂઠી વાતો સાંભળે છે ત્યારે, તેઓ માટે સાચી અને જૂઠી માહિતી વચ્ચેનો ફરક સમજવો મુશ્કેલ બની જાય છે. આજે ભરોસો તોડવો અને હકીકતોને મારી-મચકોડીને રજૂ કરવાનું ચલણ જોરમાં છે. એટલે લોકોને સાચી માહિતી પણ જૂઠી લાગે છે.
આવી મુશ્કેલીઓ હોવા છતાં પણ આપણે જીવનને લગતા મહત્ત્વના સવાલોના ખરા જવાબ મેળવી શકીએ છીએ. કઈ રીતે? જેમ રોજિંદા જીવનમાં ઊભા થતા સવાલોના જવાબ તમે શોધો છો, તેમ એને પણ શોધી શકો.
સાચી માહિતી મેળવવા તમે શું કરો છો?
અમુક હદે આપણે દરરોજ કોઈ ને કોઈ સવાલનો જવાબ શોધીએ છીએ. જેસિકાનો દાખલો લો. તે કહે છે: ‘મારી દીકરીને સીંગદાણાંથી સખત ઍલર્જી છે. અરે, સીંગનો નાનો અંશ પણ તેનો જીવ લઈ શકે છે.’ એટલે, ખાવાની કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા જેસિકા જુએ છે કે, એ તેની દીકરીને માફક આવશે કે કેમ. તે આગળ જણાવે છે: ‘પહેલા, હું ખાવાની કોઈ પણ વસ્તુ પર લખેલી સામગ્રી વિશેની માહિતી ધ્યાનથી વાંચું છું. એ પછી પણ હું પૂરી તપાસ કરું છું. એ બનાવનાર કંપનીનો સંપર્ક કરીને ખાતરી કરું છું કે ભૂલથી સીંગનો કોઈ અંશ તો નથી ને. એટલું જ નહિ, હું ભરોસાપાત્ર લોકો સાથે વાત કરું છું કે જે વસ્તુ ખરીદું છું, એનાથી નુકસાન તો નહિ થાય ને.’
કદાચ જેસિકાની જેમ તમારે એટલી તપાસ કરવાની જરૂર ન પડે. પણ, તેમની જેમ આ પગલાં ભરવાથી તમારા સવાલોના જવાબ મેળવી શકો:
-
પૂરી માહિતી મેળવો
-
સંશોધન કરો
-
ભરોસાપાત્ર જગ્યાએથી માહિતી મેળવો
આ જ રીત વાપરીને તમે મહત્ત્વના સવાલોના જવાબ પણ મેળવી શકો. ચાલો જોઈએ.
સાચી માહિતી આપતું અજોડ પુસ્તક
જીવનના મહત્ત્વના સવાલોના જવાબો જાણવા, જેસિકાએ એવી જ તપાસ કરી હતી, જે તેણે દીકરીની ઍલર્જી ટાળવા માટે કરી હતી. તે કહે છે: ‘ધ્યાન દઈને વાંચવાથી અને સંશોધન કરવાથી હું બાઇબલમાંથી સત્યનો ખજાનો શોધી શકી છું.’ જેસિકાની જેમ લાખો લોકોને નીચે જણાવેલા મહત્ત્વના સવાલોના જવાબ બાઇબલમાંથી મળ્યા છે:
-
જીવનનો હેતુ શું છે?
-
મરણ પછી આપણું શું થાય છે?
-
આટલા બધા દુઃખો શા માટે?
-
દુઃખો દૂર કરવા ઈશ્વર શું કરી રહ્યા છે?
-
કુટુંબ કઈ રીતે સુખી થઈ શકે?
તમે આ અને એવા બીજા અનેક સવાલોના સાચા જવાબ બાઇબલ વાંચીને અને www.pr418.com/gu પર વધારે સંશોધન કરીને મેળવી શકો.