સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૨

બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૨

બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૨

“તારા પોતાના પર અને તારા શિક્ષણ પર સતત ધ્યાન રાખજે.”—૧ તિમો. ૪:૧૬.

ગીત ૧૪૩ અંધકારમાં એક દીવો

ઝલક *

૧. શા પરથી કહી શકાય કે શિષ્ય બનાવવાનું કામ એ જીવન બચાવનારું કામ છે?

શિષ્ય બનાવવાનું કામ એ જીવન બચાવનારું કામ છે. એવું આપણે કઈ રીતે કહી શકીએ? માથ્થી ૨૮:૧૯, ૨૦માં ઈસુએ આજ્ઞા આપી હતી: ‘જાઓ, શિષ્યો બનાવો અને તેઓને બાપ્તિસ્મા આપો.’ બાપ્તિસ્મા લેવું કેમ મહત્ત્વનું છે? કારણ કે બાપ્તિસ્મા લેવાથી જ એક વ્યક્તિનું જીવન બચી શકે છે. બાપ્તિસ્મા લેનાર વ્યક્તિએ શ્રદ્ધા રાખવી જોઈએ કે ઈસુના મરણથી જ હંમેશ માટેના જીવનની આશા મળી છે. તેને એ વાતનો ભરોસો હોવો જોઈએ કે ઈસુને સજીવન કરવામાં આવ્યા છે. એટલે પ્રેરિત પીતરે સાથી ભાઈઓને કહ્યું કે ‘ઈસુ ખ્રિસ્તને સજીવન કરવામાં આવ્યા એના દ્વારા બાપ્તિસ્મા તમને હમણાં બચાવી રહ્યું છે.’ (૧ પીત. ૩:૨૧) જ્યારે એક વ્યક્તિ બાપ્તિસ્મા લે છે, ત્યારે તેને હંમેશ માટેના જીવનની આશા મળે છે.

૨. બીજો તિમોથી ૪:૧, ૨માં જણાવ્યા પ્રમાણે આપણામાં કઈ આવડત હોવી જોઈએ?

શિષ્ય બનાવવાનું કામ કરવા આપણામાં ‘શીખવવાની આવડત’ હોવી જોઈએ. (૨ તિમોથી ૪:૧, ૨ વાંચો.) શા માટે? કારણ કે ઈસુએ આજ્ઞા આપી હતી, ‘જાઓ, શિષ્યો બનાવો અને તેઓને બાપ્તિસ્મા આપો.’ પ્રેરિત પાઊલે પણ કહ્યું હતું કે એ કામને “વળગી રહે, કેમ કે એમ કરવાથી તું પોતાને અને તારા સાંભળનારાને બચાવી લઈશ.” એ કારણને લીધે જ તેમણે કહ્યું હતું, “તારા શિક્ષણ પર સતત ધ્યાન રાખજે.” (૧ તિમો. ૪:૧૬) જો આપણે લોકોને શિષ્ય બનાવવા માંગતા હોઈએ, તો તેઓને સારી રીતે શીખવવું જોઈએ. એ માટે આપણે શીખવવાની આવડત કેળવવી જોઈએ.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આપણે લાખો લોકોને બાઇબલનું સત્ય શીખવીએ છીએ. અગાઉના લેખમાં જોઈ ગયા તેમ આપણે ચાહીએ છીએ કે, વધુને વધુ લોકો બાપ્તિસ્મા લઈને ઈસુ ખ્રિસ્તના શિષ્યો બને. આ લેખમાં જોઈશું કે બીજી કઈ પાંચ રીતોથી આપણે વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરી શકીએ.

બાઇબલનો ઉપયોગ કરીએ

શીખવતી વખતે બાઇબલનો સારો ઉપયોગ કરી શકીએ માટે અનુભવી ભાઈ-બહેનોની મદદ માંગીએ (ફકરા ૪-૬ જુઓ) *

૪. બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આપણે કેમ બહુ બોલબોલ ન કરવું જોઈએ? (ફૂટનોટ પણ જુઓ.)

આપણને બાઇબલની વાતો ગમે છે. એટલે આપણે લાંબો સમય એ વિશે વાત કરી શકીએ છીએ. પણ બીજાઓને શીખવતી વખતે આપણે પોતે જ બહુ બોલબોલ ન કરવું જોઈએ. ભલે પછી એ ચોકીબુરજ અભ્યાસ હોય, મંડળનો બાઇબલ અભ્યાસ હોય કે પછી કોઈના ઘરે બાઇબલ અભ્યાસ ચલાવતા હોય. અભ્યાસ ચલાવનારે બાઇબલને બોલવા દેવું જોઈએ. આપણી પાસે બાઇબલની કોઈ કલમ કે વિષય પર સારી જાણકારી હોય. પણ એ બધી જ માહિતી આપણે એકસાથે જણાવી દેવી ન જોઈએ. * (યોહા. ૧૬:૧૨) યાદ કરો તમે બાપ્તિસ્મા લીધું ત્યારે તમારી પાસે બાઇબલનું ફક્ત મૂળ શિક્ષણ હતું. (હિબ્રૂ. ૬:૧) પણ હવે તમે બાઇબલ વિશે ઘણું બધું જાણો છો. એ શીખતા તમને ઘણાં વર્ષો લાગ્યા હશે. ખરું ને! એટલે વિદ્યાર્થીને બધું એકસાથે શીખવવાનો પ્રયત્ન કરશો નહિ.

૫. (ક) પહેલો થેસ્સાલોનિકીઓ ૨:૧૩ પ્રમાણે વિદ્યાર્થીને કઈ વાત ખબર હોવી જોઈએ? (ખ) વિદ્યાર્થીને બાઇબલ વિશે વાત કરવા કઈ રીતે ઉત્તેજન આપી શકીએ?

આપણે જે કંઈ શીખવીએ છીએ એ બાઇબલમાંથી શીખવીએ છીએ. આપણે ચાહીએ છીએ કે એ વાત વિદ્યાર્થીને ખબર હોય. (૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩ વાંચો.) એવું આપણે કઈ રીતે કરી શકીએ. બાઇબલની બધી જ કલમો તમે ન સમજાવો. પણ અમુક કલમો વિદ્યાર્થીને પણ સમજાવવાનું કહો. એ રીતે તમે તેને બાઇબલ વિશે વાત કરવાનું ઉત્તેજન આપી શકો. બાઇબલમાં જે લખ્યું છે એ પ્રમાણે કરવા તેને મદદ કરો. બાઇબલની કોઈ કલમ વાંચ્યા પછી એ વિશે તેને નાના નાના સવાલો પૂછો. તેના જવાબ પરથી તમે જોઈ શકશો કે એ વિશે તે શું વિચારે છે. (લુક ૧૦:૨૫-૨૮) તમે આવા સવાલો પૂછી શકો: “આ કલમમાં તમને યહોવાનો કયો ગુણ જોવા મળ્યો?” “બાઇબલની આ વાત માનવાથી તમને કયો ફાયદો થયો?” “હમણાં તમે જે શીખ્યા એ વિશે તમને કેવું લાગ્યું?” (નીતિ. ૨૦:૫) વિદ્યાર્થીને કેટલું આવડે છે એ મહત્ત્વનું નથી. પણ તેને જે આવડે છે, એ પ્રમાણે તે કેટલું કરે છે એ વધારે મહત્ત્વનું છે.

૬. શા માટે બાઇબલ અભ્યાસમાં અનુભવી ભાઈ કે બહેનને લઈ જવા જોઈએ?

શું તમે બાઇબલ અભ્યાસમાં કોઈ અનુભવી ભાઈ કે બહેનને લઈ જાઓ છો? જો એમ હોય તો તમે કઈ રીતે બાઇબલ અભ્યાસ ચલાવ્યો, એ વિશે તેમને પૂછી શકો. તમે બાઇબલનો કેવો ઉપયોગ કર્યો એ વિશે તેમના વિચારો જાણી શકો. જો તમે શીખવવાની આવડત વધારે કેળવવા માંગતા હો, તો અનુભવી ભાઈ-બહેનોની નમ્રતાથી મદદ લો. (પ્રેરિતોનાં કાર્યો ૧૮:૨૪-૨૬ સરખાવો.) વિદ્યાર્થી જે શીખે છે એ સારી રીતે સમજે છે કે નહિ, એના વિશે અનુભવી ભાઈ-બહેનોને પૂછો. જો તમે એકાદ અઠવાડિયા માટે બહાર જવાના હો, તો એ ભાઈ કે બહેનને અભ્યાસ ચલાવવાનું કહી શકો. એનાથી અભ્યાસ ચાલુ રહેશે અને વિદ્યાર્થી સમજી શકશે કે અભ્યાસ કરવો કેટલું મહત્ત્વનું છે. એવું ન વિચારો કે એ અભ્યાસ તમે ચલાવો છો એટલે બીજા કોઈ એ અભ્યાસ ન ચલાવી શકે. સૌથી મહત્ત્વનું એ છે કે વિદ્યાર્થી સારી રીતે શીખે અને આગળ વધે.

ઉત્સાહ અને ભરોસાથી બોલીએ

વિદ્યાર્થી બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાનું શીખી શકે માટે બીજાં ભાઈ-બહેનોના અનુભવ જણાવીએ (ફકરા ૭-૯ જુઓ) *

૭. વિદ્યાર્થી જે શીખી રહ્યો છે એ તેના દિલ સુધી પહોંચે માટે શું કરવું જોઈએ?

તમે કેટલા ઉત્સાહ અને ભરોસાથી બાઇબલનું શિક્ષણ શીખવી રહ્યા છો, એ તમારા વિદ્યાર્થીને દેખાય આવવું જોઈએ. (૧ થેસ્સા. ૧:૫) એનાથી તે જે શીખી રહ્યો છે એ તેના દિલ સુધી પહોંચશે. જો શક્ય હોય તો બાઇબલ સિદ્ધાંતો પાળવાથી તમને કેવા ફાયદા થયા એ તેને જણાવો. એનાથી તે સમજી શકશે કે બાઇબલ સિદ્ધાંતો પાળવાથી તેને પણ ફાયદા થશે.

૮. (ક) વિદ્યાર્થીને મદદ કરવા તમે બીજું શું કરી શકો? (ખ) તમારે શા માટે એમ કરવું જોઈએ?

અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીને એવાં ભાઈ-બહેનોના અનુભવો જણાવો, જેઓએ તેના જેવી જ મુશ્કેલીઓનો સામનો કર્યો હોય. તમારા મંડળમાં એવા ભાઈ કે બહેન હોય તો, તેમને તમારા અભ્યાસમાં સાથે લઈ જાઓ. અથવા તેના દિલને સ્પર્શે એવો અનુભવ jw.org પર “પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” શૃંખલામાંથી બતાવી શકો. * એવા લેખો અને વીડિયોથી વિદ્યાર્થી જોઈ શકશે કે બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી જીવનમાં સુખી થઈ શકાય છે.

૯. વિદ્યાર્થી જે શીખે છે એ પોતાના કુટુંબ અને મિત્રોને જણાવે એવું ઉત્તેજન આપવા તમે શું કરી શકો?

વિદ્યાર્થીએ લગ્‍ન કરેલા હોય તો શું તેનો જીવનસાથી પણ અભ્યાસ કરે છે? જો ન કરતો હોય તો તેને પણ અભ્યાસમાં જોડાવા આમંત્રણ આપો. વિદ્યાર્થી જે શીખી રહ્યો છે, એ પોતાના કુટુંબ અને મિત્રોને જણાવે એવું તેને ઉત્તેજન આપો. (યોહા. ૧:૪૦-૪૫) તમે તેને પૂછી શકો: “તમે જે શીખો છો એ કુટુંબનાં સભ્યોને કઈ રીતે સમજાવશો? તમે જે શીખો છો એ સાબિત કરવા તમારા મિત્રને કઈ કલમ બતાવશો?” એ રીતે તમે વિદ્યાર્થીને શિક્ષક બનવા તાલીમ આપો છો. પછી તે બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક બનશે ત્યારે મંડળનાં ભાઈ-બહેનો સાથે પ્રચારકામ કરી શકશે. તમે વિદ્યાર્થીને પૂછી શકો કે તેના સગા-વહાલાઓમાંથી કોઈને બાઇબલ વિશે વધુ જાણવું છે. જો તે નામ આપે તો તરત જ એ વ્યક્તિને મળવા જાઓ અને બાઇબલ અભ્યાસ વિશે પૂછો. પછી એ વ્યક્તિને બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો બતાવો. *

મંડળનાં ભાઈ-બહેનો સાથે તેની દોસ્તી કરાવીએ

મંડળનાં ભાઈ-બહેનો સાથે તેની દોસ્તી કરાવીએ (ફકરા ૧૦-૧૧ જુઓ) *

૧૦. પહેલો થેસ્સાલોનિકીઓ ૨:૭, ૮ પ્રમાણે તમે કઈ રીતે પાઊલના પગલે ચાલી શકો?

૧૦ આપણે વિદ્યાર્થીની સંભાળ રાખવી જોઈએ. ભાવિમાં તેઓ પણ આપણા ભાઈ કે બહેન બની શકે છે. (૧ થેસ્સાલોનિકીઓ ૨:૭, ૮ વાંચો.) દુનિયાના મિત્રો છોડવા અને યહોવાની ભક્તિ માટે જરૂરી ફેરફારો કરવા, તેઓ માટે સહેલું હોતું નથી. મંડળમાં મિત્રો બનાવવા તેઓને મદદ કરો. તમે પણ તેઓના પાકા મિત્ર બનો. અભ્યાસ સિવાય પણ તેઓ સાથે હળોમળો. તમે કોઈ વાર ફોન કે મૅસેજ કરી શકો અથવા તેઓના ઘરે જઈ શકો. એમ કરશો તો તેઓ જોઈ શકશે કે તમને તેઓની ચિંતા છે.

૧૧. શિક્ષકે વિદ્યાર્થી સાથે મંડળનાં ભાઈ-બહેનોની ઓળખાણ કેમ કરાવવી જોઈએ?

૧૧ એવું કહેવામાં આવે છે કે “બાળકનો ઉછેર કરવામાં આખા ગામનો હાથ હોય છે.” એવી જ રીતે “એક વ્યક્તિને શિષ્ય બનાવવામાં આખા મંડળનો હાથ હોય છે.” એક સારો શિક્ષક વિદ્યાર્થી સાથે મંડળનાં ભાઈ-બહેનોની ઓળખાણ કરાવશે. એમ કરવાથી તે ભાઈ-બહેનો સાથે હળી-મળી શકશે. ભાઈ-બહેનો તેને યહોવાની નજીક આવવા મદદ કરશે. જો તેના જીવનમાં મુશ્કેલીઓ આવે તો તેઓ તેને હિંમત આપશે. આપણે ચાહીએ છીએ કે ભાઈ-બહેનો સાથે તે સારો સંબંધ કેળવે અને તેઓને પોતાના સમજે. એમ કરવાથી તે દુનિયાના મિત્રો સાથે હળવા-મળવાનું છોડી શકશે. (નીતિ. ૧૩:૨૦) તેના જૂના મિત્રો તેની સાથે દોસ્તી તોડી નાખે ત્યારે તે દુઃખી નહિ થાય. કારણ કે હવે તેને મંડળમાં મિત્રો મળી ગયા છે.—માર્ક ૧૦:૨૯, ૩૦; ૧ પીત. ૪:૪.

સમર્પણ અને બાપ્તિસ્મા વિશે વાત કરીએ

વિદ્યાર્થી એક પછી એક પગલાં ભરશે ત્યારે બાપ્તિસ્મા સુધી પહોંચી શકશે (ફકરા ૧૨-૧૩ જુઓ)

૧૨. આપણે કેમ વિદ્યાર્થી સાથે સમયે સમયે સમર્પણ અને બાપ્તિસ્મા વિશે વાત કરવી જોઈએ?

૧૨ સમર્પણ અને બાપ્તિસ્મા ખૂબ મહત્ત્વનું છે. એ વિશે આપણે વિદ્યાર્થી સાથે સમયે સમયે વાત કરવી જોઈએ. તે બાપ્તિસ્મા લઈને ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બને, એટલે આપણે તેની સાથે અભ્યાસ કરીએ છીએ. વિદ્યાર્થી અમુક મહિનાઓથી બાઇબલ અભ્યાસ કરતો હોય અને સભામાં આવતો હોય, તો તેને શું સમજાય જવું જોઈએ? એ જ કે, આપણે ચાહીએ છીએ કે તે યહોવાનો એક સાક્ષી બને, એટલે આપણે તેની સાથે અભ્યાસ કરીએ છીએ.

૧૩. વિદ્યાર્થી બાપ્તિસ્મા તરફ આગળ વધવા એક પછી એક કયા પગલાં ભરે છે?

૧૩ એક પછી એક પગલાં ભરીને વિદ્યાર્થી બાપ્તિસ્મા લેવા તરફ આગળ વધી શકે છે. (યોહા. ૩:૧૬; ૧૭:૩) સૌથી પહેલા વિદ્યાર્થી યહોવાને ઓળખવા લાગે છે. તેમને પ્રેમ કરવાનું શીખે છે અને તેમનામાં શ્રદ્ધા મૂકે છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫; યાકૂ. ૪:૮) પછી તેનો યહોવા સાથે અને ભાઈ-બહેનો સાથે સંબંધ કેળવાય છે. સમય જતાં, તે ખોટી આદતો છોડી દે છે અને પોતાનાં પાપોનો પસ્તાવો કરે છે. (પ્રે.કા. ૩:૧૯) તેની શ્રદ્ધા વધે તેમ તે બીજાઓને પણ બાઇબલ વિશે જણાવે છે. (૨ કોરીં. ૪:૧૩) પછી તે સમર્પણ કરે છે અને બાપ્તિસ્મા લઈને એ જાહેર કરે છે. (૧ પીત. ૩:૨૧; ૪:૨) બાપ્તિસ્માનો દિવસ બધા માટે ખુશીનો દિવસ હોય છે. જ્યારે તે બાપ્તિસ્મા તરફ એક પછી એક પગલાં ભરે, ત્યારે દિલથી તેના વખાણ કરો. યહોવાની સેવામાં આગળ વધવાનું તેને ઉત્તેજન આપતા રહો.

વિદ્યાર્થી કેવું કરે છે એનું સમયે સમયે ધ્યાન રાખીએ

૧૪. વિદ્યાર્થી કેવું કરે છે એ કઈ રીતે જાણી શકીએ?

૧૪ વિદ્યાર્થી સમર્પણ કરીને બાપ્તિસ્મા લે એ માટે આપણે ધીરજ રાખવી પડશે. આપણે એ પણ જાણવું પડશે કે તેના દિલમાં યહોવાની સેવા કરવાની ઇચ્છા છે કે નહિ. શું તે ઈસુની આજ્ઞા પાળવાનો પ્રયત્ન કરે છે? કે પછી ફક્ત બાઇબલની વાતો જાણવામાં જ તેને રસ છે?

૧૫. વિદ્યાર્થી કેવું કરે છે એ જાણવા આપણે શું કરવું જોઈએ?

૧૫ વિદ્યાર્થી કેવું કરે છે એનું સમયે સમયે ધ્યાન રાખીએ. દાખલા તરીકે, શું તે કદી જણાવે છે કે તેને યહોવા વિશે કેવું લાગે છે? શું તે યહોવાને પ્રાર્થના કરે છે? (ગીત. ૧૧૬:૧, ૨) શું તેને બાઇબલ વાંચવાનું ગમે છે? (ગીત. ૧૧૯:૯૭) શું તે સભામાં નિયમિત આવે છે? (ગીત. ૨૨:૨૨) શું તેણે જરૂરી ફેરફારો કર્યા છે? (ગીત. ૧૧૯:૧૧૨) જે શીખે છે એ શું તે પોતાના કુટુંબ અને મિત્રોને જણાવે છે? (ગીત. ૯:૧) સૌથી મહત્ત્વનું તો, શું તે યહોવાનો સાક્ષી બનવા માંગે છે? (ગીત. ૪૦:૮) જો તેણે એમાંનું કંઈ પણ કર્યું ન હોય, તો એ વિશે જાણવાનો પ્રયત્ન કરો. પછી તેની સાથે દિલ ખોલીને પ્રેમથી વાત કરો. *

૧૬. કેવા વિદ્યાર્થીનો અભ્યાસ બંધ કરી દેવો જોઈએ?

૧૬ વિદ્યાર્થી સાથે અભ્યાસ ચાલુ રાખવો કે નહિ એ વિશે સમયે સમયે તપાસ કરતા રહો. તમે આ સવાલોનો વિચાર કરી શકો: “શું તે અભ્યાસની તૈયારી કરવાનું ચૂકી જાય છે? શું તેનામાં હજુ પણ ખરાબ આદતો છે? શું તે હજી જૂઠા ધર્મનો સભ્ય છે?” જો એ સવાલોના જવાબો હા હોય, તો એનો અર્થ એ કે તેની સાથે અભ્યાસ કરવાનો કોઈ ફાયદો નથી. એ તો જાણે એના જેવું છે કે આપણે એવી વ્યક્તિને તરતા શીખવી રહ્યા છીએ જેને પલળવું ગમતું નથી. જે શીખે છે એની વિદ્યાર્થી કદર કરતો ન હોય અને જરૂરી ફેરફારો કરતો ન હોય તો, તેનો અભ્યાસ બંધ કરી દેવો જોઈએ.

૧૭. પહેલો તિમોથી ૪:૧૬ પ્રમાણે એક શિક્ષકે શું કરવું જોઈએ?

૧૭ આપણે વિદ્યાર્થી સાથે સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. તે બાપ્તિસ્મા તરફ આગળ વધે એ માટે મદદ કરવી જોઈએ. તો ચાલો આપણે શીખવતી વખતે બાઇબલનો સારો ઉપયોગ કરીએ. તેઓ સાથે ઉત્સાહ અને પૂરા ભરોસાથી વાત કરીએ. મંડળનાં ભાઈ-બહેનો સાથે તેની દોસ્તી કરાવીએ. તેની સાથે સમર્પણ અને બાપ્તિસ્મા વિશે વાત કરીએ. તે કેવું કરે છે એનું સમયે સમયે ધ્યાન રાખીએ. (આપેલું આ બૉક્સ જુઓ: “ વિદ્યાર્થી બાપ્તિસ્મા તરફ આગળ વધે માટે શિક્ષકે શું કરવું જોઈએ.”) કેટલી ખુશીની વાત છે કે આપણે જીવન બચાવનારું કામ કરીએ છીએ. ચાલો આપણે એ કામ કરવા તનતોડ મહેનત કરીએ. આપણો વિદ્યાર્થી બાપ્તિસ્મા તરફ આગળ વધે માટે તેને મદદ કરીએ.

ગીત ૧૩૯ યહોવા તમને સાચવી રાખે

^ ફકરો. 5 લોકોને બાઇબલ શીખવવાનો યહોવાએ આપણને લહાવો આપ્યો છે. યહોવાને પસંદ છે એવું વિચારવા અને કામ કરવા તેઓને આપણે મદદ કરી શકીએ છીએ. આ લેખમાં જોઈશું કે આપણી શીખવવાની આવડત સુધારવા શું કરી શકીએ.

^ ફકરો. 4 સપ્ટેમ્બર ૨૦૧૬ની જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકાનો આ લેખ જુઓ: “બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આમ કરવાનું ટાળો.

^ ફકરો. 8 અમારા વિશે > યહોવાના સાક્ષીઓના અનુભવો જુઓ.

^ ફકરો. 9 JW લાઇબ્રેરી પર મીડિયા > સભાઓ અને સેવાકાર્ય > સેવાકાર્ય માટે મદદ પર જાઓ.

^ ફકરો. 77 ચિત્રની સમજ: અભ્યાસ પછી અનુભવી બહેન અભ્યાસ ચલાવનાર બહેનને જણાવે છે કે અભ્યાસ દરમિયાન આપણે બહુ બોલબોલ ન કરવું જોઈએ.

^ ફકરો. 79 ચિત્રની સમજ: અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી શીખી રહી છે કે તે કઈ રીતે સારી પત્ની બની શકે. પછીથી તે એ વાત પોતાના પતિને જણાવે છે.

^ ફકરો. 81 ચિત્રની સમજ: વિદ્યાર્થી અને તેના પતિ, જે બહેનને પ્રાર્થનાઘરમાં મળ્યા હતા તેમના ઘરે ગયાં છે. તેઓ ખુશીથી એકબીજા સાથે વાત કરી રહ્યાં છે.