સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧

શાંત રહો અને યહોવા પર ભરોસો રાખો

શાંત રહો અને યહોવા પર ભરોસો રાખો

૨૦૨૧નું આપણું વાર્ષિક વચન: ‘શાંત રહો અને ભરોસો રાખો તો તમે બળવાન થશો.’ —યશા. ૩૦:૧૫, NWT.

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

ઝલક *

૧. દાઊદ રાજાની જેમ આપણને કયો સવાલ થઈ શકે?

સુખચેનથી જીવવું કોને ન ગમે, બધાને ગમે. કોઈને ચિંતામાં ડૂબેલા રહેવું ગમતું નથી. પણ અમુક વાર આપણે ચિંતાઓનાં વાદળોથી ઘેરાઈ જઈએ છીએ. આપણા મનમાં પણ દાઊદ રાજાની જેમ આ સવાલ થઈ શકે: ‘આખો દિવસ મારા હૃદયમાં દુઃખી થઈને ક્યાં સુધી હું વિચાર્યા કરીશ?’—ગીત. ૧૩:૨.

૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આ દુનિયામાં ચિંતાઓ તો રહેવાની જ, આપણે એનાથી બચી શકતા નથી. પણ અમુક હદે એને ઓછી જરૂર કરી શકીએ છીએ. આ લેખમાં જોઈશું કે કયા કારણોને લીધે ચિંતા થઈ શકે. પછી એવી છ રીતો વિશે ચર્ચા કરીશું, જેનાથી આપણને મુશ્કેલીમાં મન શાંત રાખવા મદદ મળી શકે.

ચિંતાઓનાં કારણો

૩. (ક) આપણે કઈ બાબતોને લીધે ચિંતામાં ડૂબી શકીએ છીએ? (ખ) શું આપણે એ ચિંતા દૂર કરી શકીએ?

આપણે ઘણી બાબતોને લીધે ચિંતામાં ડૂબી શકીએ છીએ. જેમ કે, રોટી, કપડાં અને મકાનના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આપણી આસપાસ ગુનાઓ વધી રહ્યા છે. આપણી સાથે કામ કરનારા કે સાથે ભણનારા આપણને ખોટાં કે ગંદાં કામ કરવા અવારનવાર લલચાવે છે. પણ અમુક ચિંતાઓ દૂર કરવી આપણા હાથ બહારની વાત હોય છે. કારણ કે આપણે દુષ્ટ દુનિયામાં જીવીએ છીએ, જ્યાં લોકો ઈશ્વરના વિચારો પ્રમાણે ચાલતા નથી. એટલે આપણે એવી મુશ્કેલીઓ સહેવી પડે છે. આ દુનિયાનો દેવ શેતાન જાણે છે કે અમુક લોકો ‘દુનિયાની ચિંતાને’ લીધે યહોવાને ભજશે નહિ. (માથ. ૧૩:૨૨; ૧ યોહા. ૫:૧૯) એટલે સમજી શકાય કે મુશ્કેલીઓને લીધે આપણું જીવન ચિંતાઓથી ભરેલું છે.

૪. આપણે ચિંતાઓથી ઘેરાઈ જઈએ ત્યારે શું થઈ શકે?

આપણે કદાચ ચિંતાઓથી એટલા ઘેરાઈ જઈએ કે રાત-દિવસ એનો જ વિચાર કરીએ. દાખલા તરીકે, ગુજરાન ચલાવવા પૈસા ક્યાંથી આવશે એવી ચિંતા થાય. અથવા બીમારીને લીધે કામ પર ન જઈ શકીએ ત્યારે નોકરી છૂટી જવાનો ડર લાગે. અથવા ખોટું કરવાની લાલચ આવે ત્યારે ઈશ્વરને બેવફા બની જઈશું એવી ચિંતા થાય. ભાવિમાં જલદી જ શેતાન દુષ્ટ લોકો દ્વારા ઈશ્વરભક્તો પર હુમલો કરશે. એ સમયે શું કરીશું એવી આપણને ચિંતા થાય. આપણને કદાચ થાય, ‘શું એવી ચિંતાઓ કરવી ખોટું છે?’

૫. ઈસુનો કહેવાનો શું અર્થ હતો?

ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “ચિંતા કરવાનું બંધ કરો.” (માથ. ૬:૨૫) શું તેમનો કહેવાનો અર્થ એ હતો કે આપણે ક્યારેય ચિંતા ન કરવી જોઈએ? ના, એવું નથી. પહેલાંના સમયના અમુક ઈશ્વરભક્તોને પણ ચિંતા થતી હતી, તોપણ તેઓ પર યહોવાની કૃપા હતી. * (૧ રાજા. ૧૯:૪; ગીત. ૬:૩) ઈસુ તો કહેવા માંગતા હતા કે આપણે જીવનની વધુ પડતી ચિંતા ન કરવી જોઈએ. જો વધુ ચિંતા કરીશું તો યહોવાની સેવા પરથી આપણું ધ્યાન હટી જશે. તો પછી વધુ પડતી ચિંતા ન કરવા આપણે શું કરી શકીએ?—“ કઈ રીતે કરી શકીએ?” બૉક્સ જુઓ.

મન શાંત રાખવાની છ રીતો

ફકરો ૬ જુઓ *

૬. ફિલિપીઓ ૪:૬, ૭ પ્રમાણે શું કરવાથી મનની શાંતિ મળશે?

() પ્રાર્થના કરતા રહીએ. તમે કોઈ મુશ્કેલીને લીધે ચિંતામાં હો, ત્યારે યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો. (૧ પીત. ૫:૭) યહોવા તમારી પ્રાર્થના જરૂર સાંભળશે અને તમને “ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે,” એ મળશે. (ફિલિપીઓ ૪:૬, ૭ વાંચો.) યહોવા તમને પવિત્ર શક્તિ આપશે જેથી મુશ્કેલીઓમાં પણ તમને મનની શાંતિ મળશે.—ગલા. ૫:૨૨.

૭. પ્રાર્થના કરતી વખતે શું યાદ રાખવું જોઈએ?

યહોવા આગળ આપણું દિલ ઠાલવી દઈએ. તેમને આપણી મુશ્કેલી જણાવીએ અને એના વિશે આપણને કેવું લાગે છે એ પણ કહીએ. તેમની પાસે મદદ માંગીએ કે એ મુશ્કેલીનો હલ લાવવા સમજશક્તિ આપે અને એ પ્રમાણે કરવા તાકાત આપે. જો મુશ્કેલીનો હલ લાવવો હાથ બહારની વાત હોય, તો એ ચિંતાઓમાં ડૂબી ન જવા યહોવાને આજીજી કરીએ. પછી જોઈ શકીશું કે તે એનો જવાબ કઈ રીતે આપે છે. ભલે આપણને તરત જવાબ ન મળે તોપણ પડતું ન મૂકીએ. આપણે પ્રાર્થના કરતા રહીએ. યહોવા ચાહે છે કે આપણે પ્રાર્થનામાં દિલ ઠાલવી દઈએ. તે ઇચ્છે છે કે આપણે પ્રાર્થનામાં લાગુ રહીએ.—લુક ૧૧:૮-૧૦.

૮. બીજા શેના વિશે આપણે પ્રાર્થના કરી શકીએ?

યહોવાને ચિંતાઓ વિશે જણાવીએ ત્યારે, તેમણે આપેલા આશીર્વાદો માટે આભાર માનવાનું ભૂલીએ નહિ. અઘરા સંજોગોમાં પણ તેમણે આપણને આશીર્વાદો આપ્યા છે. અમુક વાર લાગણીઓને શબ્દોમાં કહેવું અઘરું લાગે છે. એવા સમયે શું કરી શકીએ? જો આપણે પ્રાર્થનામાં એટલું જ કહીએ કે “યહોવા, મદદ કરો!” તોપણ તે એ સાંભળશે.—૨ કાળ. ૧૮:૩૧; રોમ. ૮:૨૬.

ફકરો ૯ જુઓ *

૯. યહુદાના લોકોએ કોની આગળ મદદનો હાથ લંબાવવાનો હતો?

() પોતાની નહિ પણ યહોવાની બુદ્ધિ પર આધાર રાખીએ. ઈશ્વરભક્ત યશાયાના સમયમાં યહુદાના લોકોને ડર હતો કે આશ્શૂરના લોકો તેઓ પર હુમલો કરશે અને તેઓને ગુલામ બનાવશે. એટલે યહુદાના લોકોએ ઇજિપ્ત પાસે મદદનો હાથ લંબાવ્યો. (યશા. ૩૦:૧, ૨) યહોવાએ ચેતવણી આપી કે જો તેઓ ઇજિપ્ત પર ભરોસો રાખશે તો તેઓએ ખરાબ પરિણામ ભોગવવું પડશે. (યશા. ૩૦:૭, ૧૨, ૧૩) યશાયા દ્વારા તેમણે લોકોને જણાવ્યું કે મદદ માટે તેઓએ યહોવા આગળ હાથ લંબાવવાનો હતો. યહોવાએ કહ્યું હતું: ‘શાંત રહો અને ભરોસો રાખો તો તમે બળવાન થશો.’—યશા. ૩૦:૧૫ખ, NWT.

૧૦. આપણે કેવા સંજોગોમાં યહોવા પર ભરોસો રાખી શકીએ?

૧૦ કેવા સંજોગોમાં આપણે યહોવા પર ભરોસો રાખવાની જરૂર પડે? કદાચ તમને સારા પગારવાળી નોકરી મળે. પણ એ માટે તમારે વધારે કલાક કામ કરવું પડે. એટલે તમે પ્રચાર અને સભામાં વધુ સમય આપી ન શકો. અથવા નોકરીની જગ્યાએ કોઈ આવીને તમને કહે કે તે તમને પસંદ કરે છે. પણ તે વ્યક્તિ યહોવાની સાક્ષી નથી. અથવા કુટુંબનું કોઈ સભ્ય જેને તમે ખૂબ પ્રેમ કરો છો, તે આવીને કહે કે ‘તું પસંદ કર, કા હું કા યહોવા.’ ખરો નિર્ણય લેવો સહેલું નથી પણ દરેક સંજોગોમાં યહોવા તમને જરૂરી માર્ગદર્શન આપશે. (માથ. ૬:૩૩; ૧૦:૩૭; ૧ કોરીં. ૭:૩૯) પણ સવાલ એ છે કે શું તમે યહોવા પર ભરોસો રાખશો અને તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલશો?

ફકરો ૧૧ જુઓ *

૧૧. મુશ્કેલીઓમાં મન શાંત રાખવા બાઇબલના કયા અહેવાલથી મદદ મળે છે?

૧૧ () સારા અને ખરાબ દાખલામાંથી શીખીએ. બાઇબલમાં એવા ઘણા અહેવાલો છે, જે બતાવે છે કે મન શાંત રાખવું અને યહોવા પર ભરોસો રાખવો કેટલું જરૂરી છે. એ અહેવાલોનો અભ્યાસ કરો ત્યારે ધ્યાન આપો કે વિરોધ હોવા છતાં ઈશ્વરભક્તોને મન શાંત રાખવા ક્યાંથી મદદ મળી. દાખલા તરીકે, યહુદી ન્યાયસભાએ પ્રેરિતોને પ્રચાર ન કરવાનો આદેશ આપ્યો ત્યારે તેઓ ડર્યા નહિ. તેઓએ તો હિંમતથી કહ્યું: “અમારા રાજા તો ઈશ્વર છે, એટલે માણસોના બદલે અમે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.” (પ્રે.કા. ૫:૨૯) પ્રેરિતોને ઘણો માર મારવામાં આવ્યો તોપણ તેઓ ડર્યા નહિ. કારણ કે તેઓ જાણતા હતા કે યહોવા તેઓની પડખે છે અને તેઓથી ખુશ છે. એટલે તેઓ ખુશખબર ફેલાવતા રહ્યા. (પ્રે.કા. ૫:૪૦-૪૨) ઈશ્વરભક્ત સ્તેફનનો વિચાર કરો. વિરોધીઓએ તેમને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે જીવનની છેલ્લી ઘડીઓમાં પણ તેમનું મન શાંત હતું. અરે, તેમનો “ચહેરો દૂતના ચહેરા જેવો દેખાતો હતો.” (પ્રે.કા. ૬:૧૨-૧૫) તે પોતાનું મન શાંત રાખી શક્યા, કારણ કે તેમને ખબર હતી કે યહોવાની કૃપા તેમના પર છે.

૧૨. સતાવણી આવે ત્યારે ૧ પીતર ૩:૧૪ અને ૪:૧૪ કઈ રીતે આપણને ખુશ રહેવા મદદ કરી શકે?

૧૨ પ્રેરિતોને પૂરો ભરોસો હતો કે યહોવા તેઓની સાથે છે, કેમ કે યહોવાએ જ તેઓને ચમત્કાર કરવાની શક્તિ આપી હતી. (પ્રે.કા. ૫:૧૨-૧૬; ૬:૮) ભલે યહોવા આજે આપણને ચમત્કાર કરવાની શક્તિ આપતા નથી, પણ તે ચોક્કસ આપણી સાથે છે. બાઇબલ દ્વારા તેમણે ખાતરી આપી છે કે ખરા માર્ગે ચાલવાને લીધે સહન કરીએ છીએ ત્યારે, તેમની કૃપા આપણા પર હોય છે. એટલું જ નહીં તે સહન કરવા પવિત્ર શક્તિ પણ આપે છે. (૧ પીતર ૩:૧૪; ૪:૧૪ વાંચો.) એટલે એવી ચિંતા ન કરીએ કે ભાવિમાં આપણને સતાવવામાં આવે ત્યારે શું કરીશું. એના બદલે યહોવા પર ભરોસો મજબૂત કરીએ કે ગમે એવા સંજોગોમાંથી તે આપણને બચાવી શકે છે. આપણે પણ પ્રથમ સદીના શિષ્યોની જેમ ઈસુના આ વચન પર ભરોસો રાખવો જોઈએ: “હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા બધા વિરોધીઓ ભેગા મળીને પણ એનો સામનો કે વિરોધ કરી શકશે નહિ.” તેમણે એવી ખાતરી પણ આપી, “ધીરજથી સહન કરવાને લીધે, તમે તમારું જીવન બચાવશો.” (લુક ૨૧:૧૨-૧૯) ભૂલીએ નહિ કે યહોવા પોતાના દરેક ભક્તોની નાનામાં નાની માહિતી પણ યાદ રાખે છે. એટલે કોઈ વફાદાર ભક્ત ગુજરી જાય ત્યારે તે તેને પાછો ઉઠાડી શકે છે.

૧૩. બાઇબલમાં જણાવેલા ખરાબ દાખલાઓ પર ધ્યાન આપવાથી આપણને શું ફાયદો થશે?

૧૩ બાઇબલમાં એવા લોકોનો પણ દાખલો આપ્યો છે, જેઓએ અઘરા સંજોગોમાં મન શાંત ન રાખ્યું અને યહોવા પર ભરોસો ન રાખ્યો. આપણે તેઓ વિશે પણ શીખવાની જરૂર છે, જેથી આપણે તેઓ જેવી ભૂલો ન કરીએ. યહુદાના રાજા આસાનો દાખલો જોઈએ. તેણે રાજ કરવાનું શરૂ કર્યું ત્યારે એક મોટી સેના યહુદા પર હુમલો કરવા આવી. એ સમયે આસાએ યહોવા પર ભરોસો રાખ્યો અને યહોવાએ તેને મોટી જીત અપાવી. (૨ કાળ. ૧૪:૯-૧૨) અમુક વર્ષો પછી ઇઝરાયેલનો રાજા બાશા એક નાની અમથી સેના લઈને આસા સામે લડવા આવ્યો. આ વખતે આસાએ યહોવા પર ભરોસો ન રાખ્યો. અરે, તેણે તો પૈસા આપીને સીરિયાના લોકો આગળ મદદની ભીખ માંગી. (૨ કાળ. ૧૬:૧-૩) તે વૃદ્ધ થયો ત્યારે એક મોટી બીમારીમાં સપડાયો તોપણ, તેણે યહોવા પાસે મદદ ન માંગી.—૨ કાળ. ૧૬:૧૨.

૧૪. આસાની ભૂલ પરથી આપણે શું શીખી શકીએ?

૧૪ શરૂઆતમાં જ્યારે આસા પર મુસીબતો આવી ત્યારે તેણે યહોવા પર ભરોસો રાખ્યો અને તેમની પાસે મદદ માંગી. પણ પછી બીજી એક મુસીબત આવી ત્યારે તેણે યહોવા પર ભરોસો રાખવાને બદલે પોતાની અક્કલ પર આધાર રાખ્યો. આસાને કદાચ લાગ્યું હશે કે અરામના (સિરિયાના) લોકો પાસે મદદ માંગીને તેણે સમજદારીનું કામ કર્યું છે. પણ તેની એ યોજના એકદમ નિષ્ફળ ગઈ. યહોવાએ પોતાના એક પ્રબોધક દ્વારા આસાને કહ્યું: “અરામના રાજા પર તેં ભરોસો રાખ્યો છે ને તેં પોતાના ઈશ્વર યહોવા પર ભરોસો રાખ્યો નથી, માટે અરામના રાજાનું સૈન્ય તારા હાથમાંથી છટકી ગયું છે.” (૨ કાળ. ૧૬:૭) આસાની એ ભૂલ પરથી આપણે શું શીખી શકીએ? આપણે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે “મને યહોવાની સલાહની કોઈ જરૂર નથી. હું મારી મુશ્કેલીઓનો હલ જાતે શોધી કાઢીશ.” ના, આપણે બાઇબલમાંથી માર્ગદર્શન શોધવું જોઈએ. આપણે અચાનક કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે પણ, મન શાંત રાખીએ અને યહોવા પર ભરોસો કરીએ. તે ચોક્કસ આપણને યોગ્ય નિર્ણય લેવા મદદ કરશે.

ફકરો ૧૫ જુઓ *

૧૫. બાઇબલ વાંચતી વખતે આપણે શું કરી શકીએ?

૧૫ () બાઇબલની કલમો મોઢે કરીએ. બાઇબલમાં ઘણી કલમો છે, જે મન શાંત રાખવા અને યહોવા પર ભરોસો રાખવા મદદ કરે છે. એટલે બાઇબલ વાંચો ત્યારે એવી કલમો યાદ રાખવાની કોશિશ કરો. એ માટે તમે એને મોટેથી વાંચો કે લખી લો. પછી અવારનવાર એને વાંચતા રહો. યહોશુઆને આજ્ઞા મળી હતી કે નિયમના પુસ્તક પર મનન કરે એટલે કે એને ધીમા અવાજે વાંચે. એ સૂચનોને લીધે તે ડર્યા વગર આવનાર સંજોગોનો સામનો કરી શક્યા. (યહો. ૧:૮, ૯) આજે પણ આપણા જીવનમાં ઘણા અઘરા સંજોગો આવે છે. એવા સમયે મન શાંત રાખવા અને ડર્યા વગર એનો સામનો કરવા એવી ઘણી કલમો આપણને મદદ કરી શકે.—ગીત. ૨૭:૧-૩; નીતિ. ૩:૨૫, ૨૬.

ફકરો ૧૬ જુઓ *

૧૬. યહોવા મંડળ દ્વારા કઈ રીતે આપણને મન શાંત રાખવા અને તેમના પર ભરોસો રાખવા મદદ કરે છે?

૧૬ () ભાઈ-બહેનો સાથે હળીએ-મળીએ. યહોવા પોતાના લોકો દ્વારા તમને મન શાંત રાખવા અને તેમના પર ભરોસો રાખવા મદદ કરે છે. સભામાં આપણને પ્રવચનો, બીજાઓના જવાબો અને ભાઈ-બહેનો સાથે વાત કરવાથી ઉત્તેજન મળે છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) મંડળના ખાસ દોસ્તો આગળ દિલ ખોલીને વાત કરીએ છીએ ત્યારે આપણને હિંમત મળે છે. દોસ્તના “માયાળુ શબ્દો” તમારી ચિંતાઓ ઓછી કરશે અને તમારા દિલને ઠંડક વળશે.—નીતિ. ૧૨:૨૫.

ફકરો ૧૭ જુઓ *

૧૭. હિબ્રૂઓ ૬:૧૯ પ્રમાણે નવી દુનિયાની આશા આપણને કઈ રીતે અડગ રહેવા મદદ કરે છે?

૧૭ () આપણી આશાને મજબૂત પકડી રાખીએ. નવી દુનિયાની “આશા આપણા જીવન માટે લંગર જેવી છે.” ગમે એવી મુશ્કેલીઓ કે ચિંતાઓમાં પણ એ આપણને અડગ રહેવા મદદ કરે છે. (હિબ્રૂઓ ૬:૧૯ વાંચો.) યહોવાએ વચન આપ્યું છે કે ભાવિમાં એવું જીવન આપશે જ્યારે કોઈ ચિંતા જ નહિ હોય. એ આશા પર મનન કરીએ. (યશા. ૬૫:૧૭) જરા કલ્પના કરો કે તમે નવી દુનિયામાં છો. ચારે બાજુ શાંતિ જ શાંતિ છે. એ સમયે ના કોઈ ડર હશે, ના કોઈ ફિકર. (મીખા. ૪:૪) તમે નવી દુનિયા વિશે બીજાઓને જણાવો છો ત્યારે તમારી આશા વધારે મજબૂત થાય છે. એટલે પ્રચારકામમાં દિલ રેડી દો “જેથી અંત સુધી તમને આશાની પૂરેપૂરી ખાતરી રહે.”—હિબ્રૂ. ૬:૧૧.

૧૮. ભાવિમાં શું થશે? મુશ્કેલીઓનો સામનો કરવા આપણે શું કરી શકીએ?

૧૮ આ દુનિયાનો અંત નજીક આવતો જાય તેમ આપણી મુશ્કેલીઓ પણ વધતી જશે. એના લીધે કદાચ આપણને ચિંતા થાય. પણ ૨૦૨૧નું વાર્ષિક વચન મુશ્કેલીઓમાં મન શાંત રાખવા મદદ કરે છે. આપણે પોતાની તાકાત પર નહિ, પણ યહોવા પર ભરોસો રાખવો જોઈએ. તો ચાલો આપણા કાર્યોથી બતાવીએ કે યહોવાએ આપેલા આ વચન પર આપણને શ્રદ્ધા છે: “શાંત રહો અને ભરોસો રાખો તો તમે બળવાન થશો.”યશા. ૩૦:૧૫, NWT.

ગીત ૪૯ યહોવા છે સહારો

^ ફકરો. 5 આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે અને ભાવિમાં પણ આવશે, જેના લીધે આપણે ચિંતામાં ડૂબી જઈએ છીએ. ૨૦૨૧નું વાર્ષિક વચન આપણને યહોવા પર ભરોસો રાખવા મદદ કરે છે. આ લેખમાં જોઈશું કે વાર્ષિક વચનમાં આપેલી સલાહ કઈ રીતે આપણે લાગુ પાડી શકીએ.

^ ફકરો. 5 અમુક ભાઈ-બહેનો નાની નાની વાતોની ખૂબ ચિંતા કરે છે કે ગભરાઈ જાય છે. એ એક બીમારી છે. ઈસુ એવી બીમારીની વાત કરી રહ્યા ન હતા.

^ ફકરો. 63 ચિત્રની સમજ: (૧) એક બહેન દિવસમાં વારંવાર પોતાની ચિંતાઓ માટે પ્રાર્થના કરે છે.

^ ફકરો. 65 ચિત્રની સમજ: (૨) કામની જગ્યાએ રિસેસમાં તે સમજણ મેળવવા બાઇબલ વાંચે છે.

^ ફકરો. 67 ચિત્રની સમજ: (૩) બાઇબલમાં આપેલા સારા અને ખરાબ દાખલાઓ પર તે મનન કરે છે.

^ ફકરો. 69 ચિત્રની સમજ: (૪) ઉત્તેજન આપતી કલમોને મોઢે કરવા તે એને ફ્રિજ પર ચોંટાડે છે.

^ ફકરો. 71 ચિત્રની સમજ: (૫) તેને દોસ્તો સાથે પ્રચાર કરવાની મજા આવે છે.

^ ફકરો. 73 ચિત્રની સમજ: (૬) તે નવી દુનિયા વિશે વિચારીને પોતાની આશા મજબૂત કરે છે.