સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

સોગંદ લેવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

સોગંદ એટલે કે ‘કોઈ વાત સાચી છે એ બતાવવા જાહેરમાં સમ ખાવા અથવા કંઈ કરવાનું પાક્કું વચન આપવું. મોટા ભાગે ઈશ્વરને સાક્ષી રાખીને સોગંદ લેવામાં આવે છે.’ સોગંદ લખીને અથવા બોલીને લેવામાં આવે છે.

અમુક લોકોને લાગે છે કે સોગંદ ન ખાવા જોઈએ. તેઓ એવું માને છે, કેમ કે ઈસુએ કહ્યું હતું: ‘કદી સમ ન ખાઓ. તમારી “હા” એટલે હા અને “ના” એટલે ના હોય, કેમ કે એનાથી વધારે જે કહેવામાં આવે છે એ શેતાન તરફથી છે.’ (માથ. ૫:૩૩-૩૭) ઈસુ જાણતા હતા કે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ઇઝરાયેલીઓએ અમુક સંજોગોમાં સમ ખાવાના હતા. તેમ જ અમુક ઈશ્વરભક્તોએ પણ સમ ખાધા હતા. (ઉત. ૧૪:૨૨, ૨૩; નિર્ગ. ૨૨:૧૦, ૧૧) ઈસુને એ પણ ખબર હતી કે યહોવાએ પણ સમ ખાધા હતા. (હિબ્રૂ. ૬:૧૩-૧૭) એટલે ઈસુ એવું કહેવા માંગતા ન હતા કે સમ અથવા સોગંદ ન ખાવા જોઈએ. તે તો એવું કહેવા માંગતા હતા કે વગર કામના કે નાની નાની વાતમાં સમ ન ખાવા જોઈએ. આપણે જે વચન આપીએ એ પૂરું કરવું જ જોઈએ. યહોવા પણ એ જ ચાહે છે કે આપણે વચન પાળીએ.

જો આપણને સોગંદ લેવાનું કહેવામાં આવે તો શું કરવું જોઈએ? સૌથી પહેલા વિચારીએ કે જે વચન આપીશું એ પૂરું કરી શકીશું કે નહિ. જો ખાતરી ન હોય તો સોગંદ લેવાનું ટાળવું જોઈએ. બાઇબલમાં જણાવ્યું છે: “તું માનતા લઈને એને પૂરી ન કરે, એના કરતાં તું કોઈ માનતા જ ન લે એ વધારે સારું.” (સભા. ૫:૫) બીજું શું કરવું જોઈએ? સોગંદને લગતા બાઇબલના અમુક સિદ્ધાંતો પર વિચાર કરીએ. પછી બાઇબલથી કેળવાયેલાં અંતઃકરણ પ્રમાણે નિર્ણય લઈએ. સોગંદ લેવા કે નહિ એ વિશે ચાલો અમુક બાઇબલ સિદ્ધાંતો જોઈએ.

અમુક સોગંદ ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ નથી. દાખલા તરીકે, યહોવાના સાક્ષીઓ લગ્‍ન વખતે સોગંદ લે છે. યહોવા અને બીજા લોકોની સામે વર અને કન્યા વચન આપે છે કે તેઓ જીવશે ત્યાં સુધી પ્રેમથી એકબીજાની સંભાળ રાખશે અને ઊંડો આદર આપશે. (લગ્‍ન વખતે બીજા લોકો એવા બેઠા શબ્દો કદાચ ન વાપરે, પણ તેઓ ઈશ્વર આગળ તો સોગંદ લે છે.) પછી તેઓ પતિ-પત્ની ગણાય છે. આખું જીવન તેઓએ એ બંધન નિભાવવું જોઈએ. (ઉત. ૨:૨૪; ૧ કોરીં. ૭:૩૯) લગ્‍નનું વચન યોગ્ય અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે છે.

અમુક સોગંદ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે નથી. દેશને બચાવવા સેનામાં ભરતી થવા સોગંદ લેવાનું કહેવામાં આવે તો, એક ઈશ્વરભક્ત એવા સોગંદ નહિ લે. અથવા ઈશ્વર પરની શ્રદ્ધા છોડી દેવાનું કહેવામાં આવે તો, તે એવા સોગંદ પણ નહિ લે. એમ કરશે તો તે ઈશ્વરની આજ્ઞા તોડશે. ઈશ્વરભક્તો દુનિયાનાં લડાઈ- ઝગડા અને વાદવિવાદમાં ભાગ લેતા નથી કેમ કે તેઓ “દુનિયાના નથી.”—યોહા. ૧૫:૧૯; યશા. ૨:૪; યાકૂ. ૧:૨૭.

અમુક સોગંદ લેવા કે નહિ એ આપણાં અંતઃકરણ પ્રમાણે નક્કી કરી શકીએ. એ નિર્ણય લેવા આપણે ઈસુની આ સલાહ પર ધ્યાન આપીએ: “જે સમ્રાટનું છે એ સમ્રાટને અને જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”—લૂક ૨૦:૨૫.

દાખલા તરીકે, એક ઈશ્વરભક્ત કોઈ દેશનો નાગરિક બનવા અથવા પાસપોર્ટ લેવા માટે અરજી કરે છે. તેને જાણવા મળે કે એ માટે તેણે વફાદારીની શપથ લેવી પડશે. એ શપથ લેવાથી યહોવાની કોઈ આજ્ઞા તૂટતી હોય, તો તે પોતાના અંતઃકરણના આધારે એ શપથ નહિ લે. બની શકે કે સરકાર તેને શપથના શબ્દોમાં અમુક ફેરફાર કરવાની છૂટ આપે, જેથી તેનું અંતઃકરણ ડંખે નહિ.

એક ઈશ્વરભક્ત વફાદારીની શપથમાં થોડો ફેરફાર કરીને શપથ લેવાનું નક્કી કરી શકે. એમ કરીને તે રોમનો ૧૩:૧નો આ સિદ્ધાંત પાળે છે: “આપણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું જોઈએ.” યહોવા પણ ઇચ્છે છે કે શક્ય હોય ત્યાં સુધી આપણે અધિકારીઓનું માનીએ. એટલે એક ઈશ્વરભક્તને લાગે કે એવી શપથ લેવામાં કંઈ ખોટું નથી.

આપણે અંતઃકરણ પ્રમાણે નક્કી કરવું જોઈએ કે સોગંદ લેતા વખતે કોઈ વસ્તુનો ઉપયોગ અથવા હાથના હાવભાવ કરીશું કે નહિ. પહેલાંના રોમન અને સિથિયન લોકો તલવાર પકડીને સોગંદ લેતા હતા. તેઓ માનતા કે એ તો યુદ્ધના દેવનું પ્રતીક છે, એટલે જે વ્યક્તિ સમ ખાય છે તે સાચું બોલે છે. ગ્રીક લોકો આકાશ તરફ હાથ રાખીને સમ ખાતા હતા. તેઓ માનતા કે એક દિવ્ય શક્તિ છે જે બધાને જુએ છે. લોકો જે કંઈ બોલતા અને કરતા એનો એને હિસાબ આપવો પડતો.

ઈશ્વરભક્તો ક્યારેય દેશના પ્રતીકો, જે યહોવાની ભક્તિની વિરુદ્ધ છે, એના પર હાથ મૂકીને અથવા એને હાથમાં લઈને શપથ નહિ લે. પણ જો અદાલતમાં આપણને બાઇબલ પર હાથ મૂકીને શપથ લેવાનું કહેવામાં આવે તો શું કરીશું? એવા સમયે આપણે કદાચ એ શપથ લેવાનું નક્કી કરી શકીએ. બાઇબલમાં ઘણા ઈશ્વરભક્તોના કિસ્સા છે, જેઓએ હાથના હાવભાવ કરીને શપથ લીધી હતી. (ઉત. ૨૪:૨, ૩, ૯; ૪૭:૨૯-૩૧) યાદ રાખીએ કે એમ કરીને આપણે ઈશ્વર આગળ સાચું બોલવાના સોગંદ લઈએ છીએ. એટલે કોઈ પણ સવાલ પૂછવામાં આવે ત્યારે આપણે સાચો જવાબ આપવા તૈયાર રહેવું જોઈએ.

ઈશ્વર સાથેનો આપણો સંબંધ ખૂબ જ કીમતી છે. એટલે આપણે કોઈ પણ સોગંદ લેતા પહેલાં પ્રાર્થના કરવી જોઈએ. આપણે એવા કોઈ પણ સોગંદ નહિ લઈએ જેનાથી આપણું દિલ ડંખે અથવા બાઇબલનો કોઈ સિદ્ધાંત તૂટે. જો આપણે સોગંદ લઈએ તો એને પૂરી રીતે પાળવા જોઈએ.—૧ પિત. ૨:૧૨.