સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ એક

“એ જ ઈશ્વર પરનો પ્રેમ છે”

“એ જ ઈશ્વર પરનો પ્રેમ છે”

“આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે અને તેમની આજ્ઞાઓ ભારે નથી.”—૧ યોહાન ૫:૩.

૧, ૨. તમે કેમ યહોવાને પ્રેમ કરો છો?

શું તમે યહોવા ઈશ્વરને પ્રેમ કરો છો? જો તમે યહોવાની જ ભક્તિ કરવા જીવન અર્પી દીધું હોય, તો તમે જરાય અચકાયા વગર કહેશો, હા! યહોવાની ભક્તિ જ આપણું જીવન છે. આપણા દિલમાંથી તેમના માટે પ્રેમ ઊભરાય છે, કેમ કે પહેલા યહોવાએ આપણા પર પ્રેમ વરસાવ્યો હતો. બાઇબલ કહે છે કે ‘આપણે યહોવા પર પ્રેમ રાખીએ છીએ, કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.’—૧ યોહાન ૪:૧૯.

યહોવાનો પ્રેમ આપણને બધી બાજુ જોવા મળે છે. તેમણે સુંદર પૃથ્વી એવી રીતે રચી, જેથી આપણે એમાં સુખેથી રહી શકીએ. તે આપણને જીવન-જરૂરી બધી ચીજો પૂરી પાડે છે. (માથ્થી ૫:૪૩-૪૮) ખાસ કરીને તે ભક્તિની આપણી ભૂખ મટાડે છે. એ માટે તેમણે બાઇબલ આપ્યું છે. વળી તે આપણને પ્રાર્થના કરવા ઉત્તેજન આપે છે. તેમનું વચન છે કે તે આપણી પ્રાર્થનાઓ જરૂર સાંભળશે અને તેમની પવિત્ર શક્તિ આપીને મદદ કરશે. (ગીતશાસ્ત્ર ૬૫:૨; લૂક ૧૧:૧૩) અરે, તેમણે પોતાના સૌથી વહાલા દીકરાનું જીવન પણ આપી દીધું, જેથી આપણે પાપ અને મરણના બંધનમાંથી આઝાદ થઈ શકીએ! એમાં યહોવાના મહાન પ્રેમની સાબિતી જોવા મળે છે.—યોહાન ૩:૧૬; રોમનો ૫:૮.

૩. (ક) યહોવાના પ્રેમમાં ટકી રહેવા આપણે પોતે શું કરવાની જરૂર છે? (ખ) આપણને કયો સવાલ થઈ શકે? એનો જવાબ ક્યાંથી મળે છે?

યહોવા ચાહે છે કે આપણે કાયમ તેમના પ્રેમમાંથી લાભ મેળવતા રહીએ. તેમના પ્રેમનો લાભ લેવો કે નહિ, એ આપણા પર આધાર રાખે છે. બાઇબલ આપણને અરજ કરે છે કે ‘અનંતજીવનને માટે ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.’ (યહૂદા ૨૧) ‘ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો,’ એટલે કે તેમના પ્રેમમાં ટકી રહો, તેમના પ્રેમની છાયામાં રહો. એમ કરવા આપણે પોતે કંઈક કરવાની જરૂર છે, નક્કર પુરાવા આપવાની જરૂર છે કે આપણે ઈશ્વરને કેટલો પ્રેમ કરીએ છીએ. પણ તમને થશે કે ‘યહોવાને મારો પ્રેમ બતાવવા હું શું કરું?’ એનો જવાબ યોહાનના આ શબ્દોમાં મળે છે: “આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે અને તેમની આજ્ઞાઓ ભારે નથી.” (૧ યોહાન ૫:૩) યહોવા પર દિલથી પ્રેમ રાખવા આ કલમ સમજવી બહુ મહત્ત્વની છે. એટલે ચાલો હવે આપણે એના પર વિચાર કરીએ.

“એ જ ઈશ્વર પરનો પ્રેમ છે”

૪, ૫. તમારા દિલમાં યહોવા માટેનો પ્રેમ કેવી રીતે જાગી ઊઠ્યો?

યોહાને ‘ઈશ્વર પરના પ્રેમ’ વિષે લખ્યું ત્યારે, તે યહોવા માટેના આપણા પ્રેમની વાત કરતા હતા. શું તમને એ સમય યાદ છે, જ્યારે તમારા દિલમાં યહોવા માટે પ્રેમ જાગી ઊઠ્યો હતો?

યહોવાને જીવન અર્પીને બાપ્તિસ્મા લઈએ ત્યારે, આપણે પ્રેમથી તેમની આજ્ઞાઓ પાળવાનું શરૂ કરીએ છીએ

એ દિવસો યાદ કરો જ્યારે તમે યહોવા વિષે શીખવાનું શરૂ કર્યું. તમે શીખ્યા કે પૃથ્વી અને મનુષ્ય માટે યહોવાનો મકસદ શું હતો અને ભાવિમાં તે શું કરવાના છે. એનાથી તમને યહોવામાં શ્રદ્ધા જાગી. તમે સમજ્યા કે આદમના પાપની અસર હોવાથી, ખરા ઈશ્વર સાથે જન્મથી જ આપણો કોઈ સંબંધ ન હતો. પણ ઈસુ દ્વારા યહોવાએ એવો માર્ગ ખુલ્લો કર્યો, જેથી આદમે ગુમાવેલા આશીર્વાદો આપણને પાછા મળે. અનંતજીવનનો આશીર્વાદ મળે. (માથ્થી ૨૦:૨૮; રોમનો ૫:૧૨, ૧૮) તમે એ પણ સમજ્યા કે આપણા માટે યહોવાએ પોતાના સૌથી વહાલા દીકરાને કુરબાન કરી દીધો. કેવો મહાન પ્રેમ! આ બધું જાણીને તમારા દિલમાં યહોવા માટે પ્રેમ જાગી ઊઠ્યો.—૧ યોહાન ૪:૯, ૧૦.

૬. (ક) ખરો પ્રેમ કેવી રીતે દેખાઈ આવે છે? (ખ) યહોવા પરના પ્રેમને લીધે તમે કયાં પગલાં લીધાં છે?

જોકે, આ તો યહોવા માટેના તમારા પ્રેમની શરૂઆત હતી. પરંતુ, ખરો પ્રેમ ફક્ત લાગણી કે શબ્દોથી જ વ્યક્ત થતો નથી. ‘હું યહોવાને ખૂબ ચાહું છું,’ એમ કહેવાથી જ પ્રેમ દેખાઈ આવતો નથી. યહોવા પરનો ખરો પ્રેમ તો આપણાં વાણી-વર્તનમાં અને જીવનના દરેક પાસાંમાં દેખાઈ આવશે, જેમ યહોવા પરની શ્રદ્ધા આપણાં કાર્યોમાં દેખાઈ આવે છે. બાઇબલ કહે છે, “જેમ પ્રાણ વગરનો દેહ મરેલો છે, તેમ કાર્યો વગરની શ્રદ્ધા પણ મરેલી છે.” (યાકોબ ૨:૨૬, સંપૂર્ણ) તમે કોઈને દિલથી ચાહતા હો તો, તેમના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જશો. એ જ રીતે, જ્યારે યહોવા પરનો પ્રેમ તમારા દિલમાં જાગ્યો, ત્યારે તમે તેમના કહેવા પ્રમાણે કંઈ પણ કરવા તૈયાર થયા. શું તમે બાપ્તિસ્મા લીધું છે? જો લીધું હોય તો તમે સૌથી મહત્ત્વનું પગલું ભર્યું છે. યહોવા પરના પ્રેમ અને ભક્તિભાવને લીધે તમે તેમની ઇચ્છા પ્રમાણે જીવવાનો નિર્ણય લીધો. એ નિર્ણય જાહેર કરવા તમે બાપ્તિસ્મા લીધું. (રોમનો ૧૪:૭, ૮) હવે એ નિર્ણય પ્રમાણે જીવવા તમે શું કરશો? એના વિષે યોહાન આગળ જણાવે છે. ચાલો જોઈએ.

“આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ”

૭. યહોવાએ આપેલી અમુક આજ્ઞાઓ કઈ છે? એ આજ્ઞાઓ પાળવા તમે શું કરશો?

યોહાન કહે છે કે યહોવાને ખરો પ્રેમ બતાવવા ‘આપણે તેમની આજ્ઞાઓ પાળીએ.’ તેમણે બાઇબલમાં અમુક સ્પષ્ટ આજ્ઞાઓ આપી છે. જેમ કે, દારૂડિયા ન બનો. વ્યભિચાર ન કરો. મૂર્તિપૂજા ન કરો. ચોરી ન કરો. જૂઠું ન બોલો. (૧ કરિંથી ૫:૧૧; ૬:૧૮; ૧૦:૧૪; એફેસી ૪:૨૮; કલોસી ૩:૯) યહોવાની આ આજ્ઞાઓ પાળવા માટે આપણે બાઇબલમાં આપેલાં ઊંચાં ધોરણો પ્રમાણે જીવવું જોઈએ.

૮, ૯. જો એવા સંજોગો ઊભા થાય જેમાં સ્પષ્ટ નિયમો ન હોય તો કઈ રીતે યહોવાની ઇચ્છા પારખી શકીએ? દાખલો આપીને સમજાવો.

યહોવાને પ્રેમ બતાવવા તેમણે આપેલી આજ્ઞાઓ આપણે પાળવી જ જોઈએ. પણ દરરોજ એવા ઘણા સંજોગો ઊભા થાય છે, જેમાં યહોવાએ કોઈ ખાસ આજ્ઞા કે નિયમો આપ્યા નથી. તે આપણને જીવનની દરેક બાબતોમાં નિયમોથી બાંધી દેતા નથી. એવા સંજોગોમાં આપણે પોતે નક્કી કરવું પડે કે શું કરવું, શું ન કરવું. પણ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે યહોવાની નજરમાં કયો નિર્ણય બરાબર હશે? આપણે બાઇબલમાંથી શીખીએ તેમ, ખબર પડશે કે યહોવાને શું ગમે છે અને તેમને શાનાથી નફરત છે. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦; નીતિવચનો ૬:૧૬-૧૯) આપણે એ પણ પારખી શકીશું કે યહોવાને કેવા સ્વભાવની વ્યક્તિ ગમે છે. યહોવા વિષે વધારે શીખીએ તેમ, આપણો સ્વભાવ તેમના જેવો થશે. એનાથી આપણે સારા નિર્ણયો લઈ શકીશું અને ખોટાં કામોથી દૂર રહીશું. ભલે અમુક સંજોગોમાં સ્પષ્ટ નિયમો ન હોય, તોપણ આપણે પારખી શકીશું કે ‘યહોવાની ઇચ્છા શી છે.’—એફેસી ૫:૧૭.

એક દાખલો લઈએ. બાઇબલમાં એવા કોઈ નિયમ નથી કે મારામારી, ખૂનખરાબી કે પછી અશ્લીલતા બતાવતી ફિલ્મો કે ટીવી કાર્યક્રમો ન જોવા. ભલે એવા કોઈ નિયમ નથી, પણ આપણને ખબર છે કે આવી ફિલ્મો કે કાર્યક્રમો વિષે યહોવાને કેવું લાગે છે. બાઇબલ સાફ શબ્દોમાં કહે છે કે જુલમ અને હિંસા ચાહનારાઓને યહોવા ધિક્કારે છે. (ગીતશાસ્ત્ર ૧૧:૫) બાઇબલ એમ પણ જણાવે છે કે ‘ઈશ્વર વ્યભિચારીઓનો ન્યાય કરશે.’ (હિબ્રૂ ૧૩:૪) આવી કલમો પર વિચાર કરવાથી આપણને યહોવાનું માર્ગદર્શન જોવા મળે છે. આજે બૂરાઈથી ખદબદતા મનોરંજનની કોઈ કમી નથી. આવા મનોરંજનને ફિલ્મો, ટીવી કે ઇન્ટરનેટ એ રીતે રજૂ કરે છે કે જાણે એમાં કશું જ ખોટું નથી. * પણ આપણે આવા મનોરંજનથી દૂર રહીએ ત્યારે યહોવા ખુશ થાય છે.

૧૦, ૧૧. આપણે શા માટે યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ?

૧૦ આપણે શા માટે યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ? શા માટે દરરોજ તેમના કહેવા પ્રમાણે જીવીએ છીએ? એવું નથી કે યહોવાની આજ્ઞા તોડવાથી થતી સજાનો ડર છે અથવા એનાથી થતા નુકસાનની ચિંતા છે. (ગલાતી ૬:૭) યહોવા આપણા પિતા છે, આપણા સર્જનહાર છે. આપણે તેમને દિલથી ચાહીએ છીએ એટલે તેમના કહેવા પ્રમાણે જ જીવવું છે. જેમ બાળક તેના પપ્પાનું દિલ ખુશ કરવા બધું જ કરશે, તેમ આપણે પણ યહોવાનું દિલ હરખાઈ ઊઠે એ પ્રમાણે જીવવા માગીએ છીએ. (ગીતશાસ્ત્ર ૫:૧૨) એ પ્રમાણે જીવવાથી આપણને જે ખુશી અને સંતોષ મળે છે, એ બીજા કશાથી મળતા નથી. ખાસ તો, ‘યહોવાની કૃપા’ આપણા પર રહે છે.—નીતિવચનો ૧૨:૨.

૧૧ આપણે યહોવાની અમુક જ આજ્ઞાઓ પાળીએ કે પછી મન મારીને આજ્ઞાઓ પાળીએ એવું પણ નથી. * આપણે એવું પણ નથી વિચારતા કે ‘યહોવા મારે માટે કંઈ કરે તો જ આજ્ઞા પાળું.’ એને બદલે, આપણે દિલથી તેમનું કહેવું માનીએ છીએ. (રોમનો ૬:૧૭) આપણને પણ આ ભક્ત જેવું લાગે છે, જેમણે યહોવાને કહ્યું: “તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ; તેઓ પર મેં પ્રેમ કર્યો છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૪૭) એટલે આપણે પૂરા દિલથી, કોઈ બદલાની આશા વગર યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ. તે એના હકદાર છે અને ચાહે છે કે આપણે તેમની આજ્ઞાઓ પૂરા દિલથી પાળીએ. (પુનર્નિયમ ૧૨:૩૨) નૂહનો દાખલો લો. યહોવા પરની અડગ શ્રદ્ધા અને પ્રેમને લીધે આખી જિંદગી તે તેમના કહેવા પ્રમાણે જીવ્યા. બાઇબલ કહે છે કે ‘ઈશ્વરે નૂહને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે જ તેમણે કર્યું.’ આપણા વિષે પણ એવું જ કહેવામાં આવે તો કેવું સારું!—ઉત્પત્તિ ૬:૨૨.

૧૨. આપણે કેવી રીતે યહોવાનું હૃદય ખુશ કરી શકીએ?

૧૨ આપણે રાજીખુશીથી યહોવાની આજ્ઞાઓ પાળીએ ત્યારે તેમને કેવું લાગે છે? બાઇબલ કહે છે કે એનાથી યહોવાનું ‘હૃદય આનંદ પામે’ છે. (નીતિવચનો ૨૭:૧૧) પણ શું આપણે આજ્ઞાઓ પાળીને સાચે જ વિશ્વના માલિક યહોવાનું હૃદય ખુશ કરી શકીએ? હા, કેમ નહિ! યહોવાએ આપણું સર્જન એવી રીતે કર્યું છે કે આપણે પોતે નિર્ણય લઈ શકીએ છીએ. આપણે પોતાની મરજીના માલિક છીએ. યહોવાનું કહેવું માનવું કે ન માનવું, એ આપણા હાથમાં છે. (પુનર્નિયમ ૩૦:૧૫, ૧૬, ૧૯, ૨૦) યહોવા માટેના પ્રેમને લીધે આપણે રાજીખુશીથી તેમનું કહેવું માનીએ ત્યારે, તેમનું હૈયું આનંદથી છલકાઈ ઊઠે છે. (નીતિવચનો ૧૧:૨૦) આમ, આપણે જીવનનો સૌથી સારો માર્ગ પસંદ કરીએ છીએ.

“તેમની આજ્ઞાઓ ભારે નથી”

૧૩, ૧૪. શા માટે યહોવાની “આજ્ઞાઓ ભારે નથી”? દાખલો આપી સમજાવો.

૧૩ યહોવાની આજ્ઞાઓ વિષે યોહાન આગળ કહે છે: “તેમની આજ્ઞાઓ ભારે નથી.” (૧ યોહાન ૫:૩) સંપૂર્ણ બાઇબલમાં એનું આમ ભાષાંતર થયું છે, ‘તેમની આજ્ઞાઓ કંઈ બોજરૂપ નથી.’ * આ શબ્દોથી કેટલી હિંમત મળે છે! યહોવાની આજ્ઞાઓ ગેરવાજબી નથી, એ કોઈ જુલમ પણ નથી. તેમના નિયમો જરાય ભારે નથી, એ આપણા જેવા અપૂર્ણ લોકો પણ પાળી શકે છે.

૧૪ એ સમજવા એક દાખલો લઈએ. તમારો જિગરી દોસ્ત બીજે રહેવા જવાનો છે. ઘરનો સામાન ત્યાં લઈ જવા તે તમારી મદદ માંગે છે. અમુક ચીજ-વસ્તુઓ એવી છે, જે એક જણ ઊંચકી શકે. પણ ભારે સામાન ઉપાડવા બે વ્યક્તિની જરૂર છે. શું તમારો મિત્ર તમારી પાસે ભારે સામાન ઉચકાવશે? ના, કેમ કે તે નથી ચાહતો કે તમારા શરીરને કંઈ નુકસાન થાય. તે જાણે છે કે તમે કેટલું ઊંચકી શકશો. એ જ રીતે ઈશ્વર યહોવા એવી આજ્ઞાઓ નહિ આપે, જે પાળવી આપણા ગજા બહારની વાત હોય. (પુનર્નિયમ ૩૦:૧૧-૧૪) યહોવા આપણા પર એવો ભારે બોજો કદી પણ નહિ નાખે, કેમ કે તે “આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.”—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪.

૧૫. આપણને કેમ ભરોસો છે કે યહોવાની આજ્ઞાઓ આપણા ભલા માટે જ છે?

૧૫ યહોવાની આજ્ઞાઓ જરાય ભારે નથી. એ તો આપણા જ ભલા માટે છે. (યશાયા ૪૮:૧૭) એટલે જ મૂસાએ ઇઝરાયલીઓને આમ જણાવ્યું હતું: ‘આપણા હંમેશના લાભ માટે આ બધી વિધિઓ પાળવાની અને યહોવા આપણા ઈશ્વરનો ડર રાખવાની યહોવાએ આજ્ઞા આપી કે જેમ આજ છીએ તેમ, તે આપણને બચાવી રાખે.’ (પુનર્નિયમ ૬:૨૪) આજે પણ યહોવા આપણા ભલા માટે જ નિયમો આપે છે. એનાથી હમણાં અને નવી દુનિયામાં પણ આશીર્વાદો મળશે. યહોવા જેવું સારું માર્ગદર્શન બીજું કોઈ આપી ન શકે, કેમ કે તેમની પાસે અપાર જ્ઞાન અને ડહાપણ છે. (રોમનો ૧૧:૩૩) આપણા પર પ્રેમ હોવાથી યહોવા આજ્ઞાઓ આપે છે. તે પ્રેમના સાગર છે. તે જે કંઈ કહે કે કરે, એમાં પ્રેમ જ નીતરે છે.—૧ યોહાન ૪:૮.

૧૬. શેતાની દુનિયા અને આદમના પાપની અસર હોવા છતાં, આપણે કેવી રીતે યહોવાના માર્ગમાં ચાલતા રહી શકીએ?

૧૬ જોકે, એવું નથી કે યહોવાની આજ્ઞાઓ પાળવામાં કોઈ તકલીફ નહિ પડે. આ દુનિયાનો રંગ ન લાગે માટે આપણે ચેતીને ચાલવું પડશે, કેમ કે “આખું જગત તે દુષ્ટની [શેતાનની] સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) તેમ જ, આપણે આદમથી મળેલા પાપની અસર સામે પણ લડવાનું છે. એ અસરને લીધે આપણું મન યહોવાની આજ્ઞાઓ તોડવા તરફ વધારે ઢળેલું રહે છે. (રોમનો ૭:૨૧-૨૫) પણ આપણે યહોવા પર પ્રેમ રાખીશું તો, જરૂર આપણા પ્રેમની જીત થશે. ‘તેમની આજ્ઞાઓ પાળવા’ બનતી કોશિશ કરીશું તો, તે જરૂર આપણને આશીર્વાદ આપશે; તે પોતાની શક્તિ આપશે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૨) એ શક્તિની મદદથી આપણે યહોવા જેવા અનમોલ ગુણો કેળવી શકીશું, જે તેમના માર્ગે ચાલતા રહેવા મદદ કરશે.—ગલાતી ૫:૨૨, ૨૩.

૧૭, ૧૮. (ક) આ પુસ્તકમાં આપણે શાના વિષે શીખીશું અને શું ધ્યાનમાં રાખીશું? (ખ) હવે પછીના પ્રકરણમાં આપણે શાના વિષે શીખીશું?

૧૭ આ પુસ્તકમાં આપણે યહોવાના સિદ્ધાંતો અને ધોરણો વિષે શીખીશું. ઉપરાંત, અમુક સંજોગોમાં યહોવાની ઇચ્છા પારખવા શું કરવું એ પણ જોઈશું. એ શીખતી વખતે ધ્યાનમાં રાખીએ કે યહોવા કદીયે તેમના નિયમો અને સિદ્ધાંતો પાળવા આપણને બળજબરી કરતા નથી. તે ચાહે છે કે આપણે રાજીખુશીથી તેમનું કહેવું માનીએ. યહોવા આપણને જે કંઈ કરવા કહે, એ આપણા જ ભલા માટે છે. એનાથી હમણાં તો પુષ્કળ આશીર્વાદ મળે જ છે, ભાવિમાં પણ અમર જીવનનો આશીર્વાદ રહેલો છે. ચાલો આપણે યહોવાની આજ્ઞાઓ પૂરા દિલથી પાળીએ અને બતાવીએ કે તેમના પર કેટલો બધો પ્રેમ છે. આ સુંદર મોકો જવા ન દઈએ!

૧૮ જીવનમાં ખરું-ખોટું પારખવા યહોવાએ આપણને અંતઃકરણની ભેટ આપી છે. એમાં પણ તેમનો પ્રેમ જોવા મળે છે. અંતઃકરણ આપણને ખરા માર્ગે દોરે, એ માટે એને સારી રીતે કેળવવાની જરૂર છે. એના વિષે હવે પછીના પ્રકરણમાં જોઈશું.

^ ફકરો. 9 કેવી રીતે સારું મનોરંજન પસંદ કરવું, એ વિષે આ પુસ્તકનું છઠ્ઠું પ્રકરણ જુઓ.

^ ફકરો. 11 શેતાનના દૂતોએ પણ મન મારીને આજ્ઞા પાળવી પડે છે. લોકોને હેરાન કરતા ખરાબ દૂતોને ઈસુએ રોક્યા ત્યારે તેઓને ગમ્યું નહિ. પણ ઈસુ કોણ છે એ જાણતા હોવાથી તેઓએ તેમનું કહેવું માનવું જ પડ્યું.—માર્ક ૧:૨૭; ૫:૭-૧૩.

^ ફકરો. 13 “ભારે” કે “બોજરૂપ” માટેના ગ્રીક શબ્દનું માથ્થી ૨૩:૪માં ‘ભારે બોજો’ ભાષાંતર થયું છે. એમાં શાસ્ત્રીઓ અને ફરોશીઓએ જે રીત-રિવાજો અને નિયમોનો બોજો લોકોના માથે નાખ્યો હતો એની વાત થાય છે. પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦માં એ ગ્રીક શબ્દ “ક્રૂર” તરીકે ભાષાંતર થયો છે. એ એવા ક્રૂર લોકોની વાત કરે છે, જેઓ યહોવાની ભક્તિ છોડીને ઈશ્વરભક્તો વિષે ‘અવળી વાતો બોલે છે’ અને લોકોને ભમાવે છે.