સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૭

જ્યોતિષીઓ ઈસુને મળવા આવે છે

જ્યોતિષીઓ ઈસુને મળવા આવે છે

માથ્થી ૨:૧-૧૨

  • જ્યોતિષીઓ એક “તારા” પાછળ ચાલતાં ચાલતાં યરૂશાલેમ અને પછી ઈસુ પાસે આવે છે

પૂર્વ બાજુથી અમુક માણસો આવ્યા. તેઓ જ્યોતિષીઓ હતા, જેઓ તારાનો અભ્યાસ કરતા હતા; તેઓનો દાવો હતો કે એના પરથી લોકોના જીવનમાં બનનારા બનાવોનું રહસ્ય તેઓ જણાવી શકે છે. (યશાયા ૪૭:૧૩) પૂર્વમાં પોતાના વતનમાં તેઓએ એક “તારો” જોયો હતો, જેની પાછળ પાછળ સેંકડો કિલોમીટર સુધી દૂર આવ્યા હતા; જોકે, તારો પહેલા તેઓને બેથલેહેમ નહિ, પણ યરૂશાલેમ લઈ ગયો.

જ્યોતિષીઓએ ત્યાં પહોંચીને પૂછ્યું: “યહુદીઓના જે રાજાનો જન્મ થયો છે તે ક્યાં છે? કેમ કે અમે પૂર્વમાં હતા ત્યારે તેનો તારો જોયો હતો. એટલે, અમે તેને નમન કરવા આવ્યા છીએ.”—માથ્થી ૨:૧, ૨.

યરૂશાલેમમાં હેરોદ રાજાએ એ સાંભળ્યું અને તે ગભરાયો. એટલે, તેણે મુખ્ય યાજકો અને બીજા ધર્મગુરુઓને બોલાવ્યા અને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવાનો છે. શાસ્ત્રવચનો પરથી તેઓએ તેને કહ્યું કે, “બેથલેહેમમાં.” (માથ્થી ૨:૫; મીખાહ ૫:૨) એ સાંભળીને હેરોદે જ્યોતિષીઓને ચોરીછૂપીથી બોલાવ્યા અને કહ્યું: “જાઓ અને એ બાળકની સારી રીતે શોધખોળ કરો; જ્યારે તમને એ મળી જાય ત્યારે મને જણાવજો, જેથી હું પણ જઈને તેને નમન કરું.” (માથ્થી ૨:૮) જોકે, હેરોદ તો બાળકને મારી નાખવા માટે શોધતો હતો!

જ્યોતિષીઓ ત્યાંથી નીકળ્યા ત્યારે, એક અનોખો બનાવ બન્યો. તેઓ પૂર્વમાં હતા ત્યારે જે “તારો” જોયો હતો, એ તેઓની આગળ આગળ જવા લાગ્યો. દેખીતું હતું કે આ કંઈ સામાન્ય તારો ન હતો, પણ ખાસ તેઓને દોરી જવા માટે હતો. એ તારાની પાછળ પાછળ તેઓ ગયા; એ તારો છેક યુસફ અને મરિયમના ઘર ઉપર આવીને અટક્યો, જ્યાં તેઓ પોતાના નાના દીકરા સાથે રહેતા હતા.

જ્યોતિષીઓ ઘરની અંદર ગયા ત્યારે, તેઓએ મરિયમને પોતાના દીકરા ઈસુ સાથે જોઈ. તેઓએ બાળક આગળ ઘૂંટણે પડીને નમન કર્યું અને તેને સોનું, લોબાન અને સુગંધી પદાર્થની ભેટો આપી. પછી, તેઓ હેરોદ પાસે જવાનું વિચારતા હતા; એવામાં ઈશ્વરે તેઓને સપનામાં ચેતવણી આપી કે એમ ન કરે. એટલે, તેઓ બીજા રસ્તેથી પોતાના દેશ ચાલ્યા ગયા.

જ્યોતિષીઓ માટે “તારો” કોણે મોકલ્યો હશે? તમને શું લાગે છે? યાદ કરો, એ તારો તેઓને સીધો બેથલેહેમમાં ઈસુ પાસે લઈ ન ગયો. એના બદલે, એ તેઓને યરૂશાલેમ લઈ ગયો. ત્યાં તેઓ હેરોદ રાજાને મળ્યા, જે ઈસુને મારી નાખવા માંગતો હતો. હેરોદે તો ઈસુને મારી જ નાખ્યા હોત, પણ ઈશ્વર વચ્ચે પડ્યા અને જ્યોતિષીઓને ચેતવણી આપી કે ઈસુ ક્યાં છે એ વિશે તેને ન જણાવે. સાફ દેખાઈ આવે છે કે ઈશ્વરના દુશ્મન, શેતાનની ઇચ્છા ઈસુને મારી નાખવાની હતી અને એમ કરવા તેણે એ તારો વાપર્યો હતો.