સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૬૩

પ્રેરિતોને ઈસુ મહત્ત્વની સલાહ આપે છે

પ્રેરિતોને ઈસુ મહત્ત્વની સલાહ આપે છે

માથ્થી ૧૮:૬-૨૦ માર્ક ૯:૩૮-૫૦ લુક ૯:૪૯, ૫૦

  • ઠોકર ન ખવડાવવા વિશે ઈસુ સલાહ આપે છે

  • જો ભાઈ પાપ કરે તો શું કરવું?

ઈસુએ થોડી વાર પહેલાં દાખલો આપીને બતાવ્યું હતું કે શિષ્યોનું વલણ કેવું હોવું જોઈએ. તેઓએ બાળકો જેવાં બનવું જોઈએ, જેઓ નમ્ર હોય છે અને માન-મોભાની કંઈ પડી હોતી નથી. શિષ્યો ‘ઈસુના નામે આવા બાળકનો સ્વીકાર કરે તો, ઈસુનો પણ સ્વીકાર કરે છે.’—માથ્થી ૧૮:૫.

થોડા વખત પહેલાં જ પ્રેરિતોએ દલીલ કરી હતી કે તેમનામાં સૌથી મોટું કોણ છે. એટલે, તેઓએ ઈસુના એ શબ્દોમાં રહેલો ઠપકો જોયો હશે. હવે, પ્રેરિત યોહાને હમણાં બનેલા બીજા એક બનાવ વિશે કહ્યું: “એક માણસને તમારા નામે દુષ્ટ દૂતોને કાઢતા અમે જોયો અને અમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, કેમ કે તે આપણામાંનો એક નથી.”—લુક ૯:૪૯.

શું યોહાનને એવું હતું કે સાજા કરવાનો અને દુષ્ટ દૂતોને કાઢવાનો અધિકાર ફક્ત પ્રેરિતોને જ અપાયો હતો? જો એમ હોય, તો એ યહુદી માણસ કઈ રીતે દુષ્ટ દૂતોને કાઢવામાં સફળ થયો હતો? યોહાનને લાગ્યું કે એ માણસે એવા ચમત્કારો ન કરવા જોઈએ, કેમ કે તે ઈસુ અને તેમના પ્રેરિતો સાથે ન હતો.

ઈસુએ જે કહ્યું, એનાથી યોહાનને નવાઈ લાગી: “તેને રોકવાનો પ્રયત્ન કરતા નહિ, કેમ કે એવું કોઈ નથી જે મારા નામે શક્તિશાળી કામો કરે અને તરત જ મારા વિશે કંઈ ખરાબ બોલે. કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણી સાથે છે. અને તમે ખ્રિસ્તના છો એટલા માટે જો કોઈ તમને પ્યાલો પાણી પાય, તો હું તમને સાચે જ કહું છું કે, તે કોઈ પણ રીતે પોતાનો બદલો મેળવ્યા વગર રહેશે નહિ.”—માર્ક ૯:૩૯-૪૧.

જોકે, એ માણસ ઈસુના પક્ષે હતો, એ બતાવવા તેમની સાથે હોવાની કોઈ જરૂર ન હતી. ખ્રિસ્તી મંડળ હજુ સુધી બન્યું ન હતું. તે માણસ ઈસુ સાથે ન હતો, એનો અર્થ એવો ન થાય કે તે વિરોધી હતો અથવા જૂઠા ધર્મને ફેલાવનાર હતો. દેખીતું છે કે તેને ઈસુમાં શ્રદ્ધા હતી. ઈસુએ જે કહ્યું એ બતાવતું હતું કે તે માણસને ચોક્કસ બદલો મળશે.

પરંતુ, પ્રેરિતોનાં વાણી-વર્તનથી જો એ માણસે ઠોકર ખાધી હોત, તો ખરાબ પરિણામ આવ્યું હોત. ઈસુએ કહ્યું: “જે કોઈ શ્રદ્ધા રાખનારા આ નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવે છે, તેના માટે એ વધારે સારું થશે કે, તેને ગળે ઘંટીનો મોટો પથ્થર બાંધીને દરિયામાં નાખવામાં આવે.” (માર્ક ૯:૪૨) પછી, ઈસુએ કહ્યું કે તેમના શિષ્યોને હાથ, પગ કે આંખ જેવાં કીમતી અંગો ઠોકર ખવડાવે તો, એને પણ દૂર કરવાં જોઈએ. એ અંગો સાથે ગેહેન્‍નામાં (હિન્‍નોમની ખીણમાં) નંખાવાને બદલે, એના વગર ઈશ્વરના રાજ્યમાં જવું વધારે સારું છે. કદાચ પ્રેરિતોએ યરૂશાલેમ નજીક એ ખીણ જોઈ હશે, જ્યાં કચરો બાળવામાં આવતો. તેથી, તેઓ હંમેશ માટેનો નાશ કેવો હોય છે એ સમજ્યા હશે.

ઈસુએ ચેતવણી આપી: ‘ધ્યાન રાખજો કે આ નાનાઓમાંના એકને તમે ધિક્કારો નહિ, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના દૂતો હંમેશાં મારા પિતાના મોં આગળ ઊભા રહે છે.’ આ ‘નાનાઓ’ તેમના પિતા માટે કેટલા મૂલ્યવાન છે? ઈસુએ જણાવ્યું કે એક માણસ પાસે ૧૦૦ ઘેટાં હતાં. પણ, એક ખોવાઈ ગયું ત્યારે, તે ૯૯ ઘેટાં મૂકીને ખોવાયેલા એક ઘેટાને શોધવા ગયો. તેને એ મળ્યું ત્યારે, ૯૯ ઘેટાં માટે તે જેટલો ખુશ હતો એના કરતાં વધારે ખુશ થયો. ઈસુએ આગળ કહ્યું: “મારા સ્વર્ગમાંના પિતાને જરાય પસંદ નથી કે આ નાનાઓમાંનું કોઈ એક પણ નાશ પામે.”—માથ્થી ૧૮:૧૦, ૧૪.

પ્રેરિતોએ પોતાનામાં મોટું કોણ એ વિશે દલીલ કરી હતી. ઈસુએ કદાચ એ ધ્યાનમાં રાખીને તેઓને અરજ કરી: “તમે સ્વાદવાળા મીઠા જેવા બનો. એમ કરીને તમે એકબીજા સાથે શાંતિ જાળવી રાખશો.” (માર્ક ૯:૫૦) મીઠું ખોરાકને બગડતા અટકાવે છે તેમ, જો આપણામાં મીઠા જેવા ગુણ હશે, તો બીજાઓ સાથે સારો સંબંધ જાળવી રાખી શકીશું. તેમ જ, દલીલ કરવાને બદલે શાંતિ જાળવી રાખવા મદદ મળશે.—કોલોસીઓ ૪:૬.

અમુક વાર થતી મોટી તકરારને કઈ રીતે હલ કરવી, એ વિશે ઈસુએ જણાવ્યું: “જો તારો ભાઈ તારી વિરુદ્ધ કંઈ પાપ કરે, તો જા અને એકાંતમાં તેને તેની ભૂલ જણાવ. જો તે સાંભળે તો તેં તારા ભાઈને જીતી લીધો છે.” પણ, તે ન સાંભળે તો? ઈસુએ સલાહ આપી: “તારી સાથે બીજા એક કે બેને લઈ જા, જેથી બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી દરેક વાત સાબિત થઈ શકે.” એનાથી પણ ઉકેલ ન આવે તો, “મંડળને” એટલે કે જવાબદાર વડીલોને જણાવવું, જેથી તેઓ નિર્ણય લઈ શકે. જો તે હજુ પણ ન સાંભળે તો? “તેને દુનિયાના માણસ અને કર ઉઘરાવનાર જેવો ગણવો,” જેની સાથે યહુદીઓ કોઈ સંબંધ રાખતા ન હતા.—માથ્થી ૧૮:૧૫-૧૭.

મંડળના વડીલોએ બાઇબલને વળગી રહેવું જોઈએ. જો તેઓને જાણવા મળે કે વ્યક્તિએ પાપ કર્યું છે અને તેને શિસ્તની જરૂર છે, તો તેઓનો ન્યાય ‘સ્વર્ગમાં પહેલેથી બંધાયેલો હશે.’ પણ, તેઓને જાણવા મળે કે તે નિર્દોષ છે તો, તેઓનો ન્યાય ‘સ્વર્ગમાં પહેલેથી છોડાયેલો હશે.’ મંડળની ગોઠવણ શરૂ થયા પછી આ માર્ગદર્શન મદદરૂપ સાબિત થવાનું હતું. આવી મહત્ત્વની ચર્ચા વિશે ઈસુએ કહ્યું: “જ્યાં પણ મારા નામમાં બે કે ત્રણ જણ ભેગા થાય છે, ત્યાં હું તેઓની વચમાં છું.”—માથ્થી ૧૮:૧૮-૨૦.