સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૫૫

ઈસુના શબ્દોથી ઘણાને આઘાત લાગે છે

ઈસુના શબ્દોથી ઘણાને આઘાત લાગે છે

યોહાન ૬:૪૮-૭૧

  • ઈસુ પોતાનું માંસ ખાવાનું અને લોહી પીવાનું કહે છે

  • ઘણા ઠોકર ખાય છે અને તેમનો સાથ છોડી દે છે

ઈસુ કાપરનાહુમના સભાસ્થાનમાં શીખવતા હતા કે પોતે સ્વર્ગમાંથી આવેલી રોટલી છે. ગાલીલ સરોવરની પૂર્વ તરફથી આવેલા આ એ જ લોકો હતા, જેઓને ઈસુએ રોટલીઓ અને માછલીઓથી જમાડ્યા હતા. ઈસુએ તેઓને શીખવવાનું ચાલુ રાખ્યું.

ઈસુએ કહ્યું: “તમારા બાપદાદાઓએ વેરાન પ્રદેશમાં માન્‍ના ખાધું અને છતાં તેઓ મરણ પામ્યા.” તેમણે આગળ સમજાવતા કહ્યું: “સ્વર્ગમાંથી નીચે આવેલી જીવનની રોટલી હું છું. જો કોઈ આ રોટલી ખાય તો તે હંમેશાં જીવશે; અને ખરું જોતાં, એ રોટલી મારું શરીર છે અને દુનિયાના લોકોને જીવન મળે માટે હું એ આપીશ.”—યોહાન ૬:૪૮-૫૧.

ઈસવીસન ૩૦ની વસંત ૠતુમાં ઈસુએ નિકોદેમસને કહ્યું હતું કે ઈશ્વરે દુનિયા પર એટલો બધો પ્રેમ કર્યો કે પોતાના દીકરાને ઉદ્ધાર કરનાર તરીકે મોકલ્યા. ઈસુએ ભાર મૂક્યો કે પોતે જે બલિદાન આપવાના હતા, એમાં શ્રદ્ધા રાખવાની જરૂર હતી; એ તેમનું માંસ ખાવા બરાબર હતું. હંમેશ માટેનું જીવન મેળવવાનો એ જ રસ્તો હતો.

પરંતુ, ઈસુની સાથે લોકો સહમત થયા નહિ. તેઓ પૂછવા લાગ્યા: “આ માણસ પોતાનું શરીર આપણને ખાવા માટે કઈ રીતે આપી શકે?” (યોહાન ૬:૫૨) ઈસુ સમજાવવા ચાહતા હતા કે તેઓએ સાચે જ શરીર ખાવાનું ન હતું, પણ એનો અર્થ સમજવાનો હતો. તેમણે પછી જે કહ્યું, એનાથી એ સાબિત થયું:

“તમે માણસના દીકરાનું માંસ નહિ ખાઓ અને તેનું લોહી નહિ પીઓ, તો તમને જીવન મળશે નહિ. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને હંમેશ માટેનું જીવન મળશે, . . . કેમ કે મારું માંસ એ અસલ ખોરાક છે અને મારું લોહી એ અસલ પીણું છે. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તે મારી સાથે એકતામાં રહે છે.”—યોહાન ૬:૫૩-૫૬.

કલ્પના કરો કે એ શબ્દોથી યહુદીઓને કેટલો આઘાત લાગ્યો હશે! તેઓએ વિચાર્યું હશે કે ઈસુ તેઓને મનુષ્યનું માંસ ખાઈને કે લોહી પીને ઈશ્વરનો નિયમ તોડવાનું કહેતા હતા. (ઉત્પત્તિ ૯:૪; લેવીય ૧૭:૧૦, ૧૧) પણ, ઈસુ કંઈ ખરેખર માંસ ખાવાની કે લોહી પીવાની વાત કરતા ન હતા. ઈસુ ભાવિમાં પોતાના સંપૂર્ણ માનવ શરીરનું બલિદાન આપીને પોતાનું લોહી વહેવડાવવાના હતા. તેમણે જણાવ્યું કે જે કોઈ હંમેશ માટેનું જીવન મેળવવા માંગે, તેણે એ બલિદાનમાં શ્રદ્ધા રાખવી પડશે. તેમ છતાં, ઈસુના ઘણા શિષ્યો પણ એ વાત સમજ્યા નહિ. કેટલાકે કહ્યું: “આ વાત ગળે ઉતારવી અઘરી છે; આવું કોણ સાંભળી શકે?”—યોહાન ૬:૬૦.

ઈસુને ખબર પડી કે પોતાના અમુક શિષ્યો કચકચ કરતા હતા. તેથી, તેમણે પૂછ્યું: “શું એનાથી તમે ઠોકર ખાઓ છો? તો પછી, માણસનો દીકરો જ્યાંથી આવ્યો હતો, ત્યાં તેને પાછો ચડતા તમે જોશો ત્યારે શું થશે? . . . મેં તમને જે વાતો કહી છે એ પવિત્ર શક્તિથી છે અને એ જીવન આપે છે. પરંતુ, તમારામાંના અમુક એવા છે, જેઓ ભરોસો મૂકતા નથી.” એ સાંભળીને ઘણા શિષ્યો જતા રહ્યા અને તેમને પગલે ચાલવાનું છોડી દીધું.—યોહાન ૬:૬૧-૬૪.

એટલે, ઈસુએ પોતાના ૧૨ પ્રેરિતોને પૂછ્યું: “શું તમે પણ જતા રહેવા ચાહો છો?” પીતરે જવાબ આપ્યો: “પ્રભુ, અમે કોની પાસે જઈએ? હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે. અમે માનીએ છીએ અને એ જાણી ગયા છીએ કે તમે જ ઈશ્વરના પવિત્ર સેવક છો.” (યોહાન ૬:૬૭-૬૯) વફાદારી બતાવતા કેવા જોરદાર શબ્દો! ખરું કે, ઈસુ એ વિષય પર જે શીખવતા હતા, એની પીતર અને બીજા શિષ્યોને પણ પૂરી સમજણ પડી ન હતી.

પીતરના જવાબથી ઈસુ ખુશ થયા હોવા છતાં તેમણે કહ્યું: “શું મેં તમને બારને પસંદ કર્યા નથી? તોપણ, તમારામાંનો એક નિંદા કરનાર છે.” (યોહાન ૬:૭૦) ઈસુ અહીં યહુદા ઇસ્કારિયોતની વાત કરતા હતા. એ સમયે ઈસુને ખબર પડી હોય શકે કે યહુદા ખોટા માર્ગે જઈ રહ્યો છે.

જોકે, ઈસુને એ વાતનો ચોક્કસ સંતોષ હતો કે પીતર અને બીજા પ્રેરિતોએ તેમને પગલે ચાલવાનું છોડ્યું ન હતું; તેમ જ, ઈસુ કરતા હતા એ જીવન બચાવવાનું કામ પડતું મૂક્યું ન હતું.