સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૭૦

જન્મથી આંધળા માણસને ઈસુ સાજો કરે છે

જન્મથી આંધળા માણસને ઈસુ સાજો કરે છે

યોહાન ૯:૧-૧૮

  • જન્મથી આંધળો ભિખારી સાજો કરાય છે

ઈસુ સાબ્બાથના દિવસે હજુ યરૂશાલેમમાં હતા. તે પોતાના શિષ્યો સાથે શહેરમાં ચાલતા હતા ત્યારે, તેઓએ જન્મથી આંધળા એક ભિખારીને જોયો. શિષ્યોએ ઈસુને પૂછ્યું: “ગુરુજી, કોના પાપને લીધે આ માણસ આંધળો જન્મ્યો? તેના કે તેનાં માબાપના?”—યોહાન ૯:૨.

શિષ્યો જાણતા હતા કે આગલા જન્મ જેવું કંઈ ન હતું, જેમાં આ માણસે કોઈ પાપ કર્યું હોય. પણ, તેઓને કદાચ સવાલ થયો હશે કે શું માના પેટમાં કોઈ વ્યક્તિ પાપ કરી શકે? ઈસુએ જવાબ આપ્યો: “આ માણસે કે તેનાં માબાપે પાપ કર્યું નથી, પણ લોકો ઈશ્વરનાં કામો જોઈ શકે એ માટે તેના કિસ્સામાં આવું થયું છે.” (યોહાન ૯:૩) એટલે, આ માણસે કે તેનાં માબાપે કોઈ ભૂલ અથવા પાપ કર્યું ન હતું, જેના લીધે તે આંધળો જન્મ્યો હોય. એ તો આદમના પાપનું પરિણામ હતું, જેના લીધે બધા મનુષ્યો અપૂર્ણ જન્મે છે અને અંધાપા જેવી ખોડખાંપણ રહી જાય છે. એ માણસના અંધાપાને લીધે ઈશ્વરની શક્તિથી ચમત્કાર કરવાની ઈસુને તક મળી, જેમ અગાઉ પણ બીમાર લોકોને સાજા કર્યા હતા.

ઈસુએ ભાર મૂક્યો કે એવાં કામો જલદી જ કરવાં જોઈએ. તેમણે કહ્યું: “જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી મને મોકલનારનાં કામો આપણે કરવા જોઈએ; રાત આવશે ત્યારે કોઈ માણસ કામ કરી શકશે નહિ. હું દુનિયામાં છું ત્યાં સુધી, હું દુનિયાનો પ્રકાશ છું.” (યોહાન ૯:૪, ૫) જલદી જ મરણ તેમને કબરના અંધકારમાં ધકેલી દેશે, જ્યાં તે કંઈ કરી નહિ શકે. એ સમય સુધી તે દુનિયાનો પ્રકાશ હતા.

શું ઈસુએ આંધળા માણસને સાજો કર્યો? કઈ રીતે? ઈસુ જમીન પર થૂંક્યા અને માટીનો લેપ બનાવીને આંધળા માણસની આંખો પર લગાડ્યો. પછી, તેને કહ્યું: “જા, શિલોઆહ કુંડમાં ધોઈ નાખ.” (યોહાન ૯:૭) એ માણસે એમ જ કર્યું અને તે દેખતો થયો! જીવનમાં પહેલી વાર બધું જોવાથી તે કેટલો ખુશ થઈ ગયો હશે!

આ આંધળા માણસને ઓળખતા અડોશ-પડોશના લોકોને એ માનવામાં જ આવતું ન હતું! તેઓએ પૂછ્યું: “શું આ એ જ માણસ નથી જે બેસીને ભીખ માંગતો હતો?” અમુકે કહ્યું: “આ એ જ છે.” બીજાઓ માની ન શક્યા, એટલે કહ્યું: “ના, એ તો તેના જેવો દેખાય છે.” એ માણસે કહ્યું: “હું એ જ છું.”—યોહાન ૯:૮, ૯.

તેથી, તેઓએ એ માણસને પૂછ્યું: “તો પછી, તું કેવી રીતે દેખતો થયો?” તેણે જવાબ આપ્યો: “ઈસુ નામના માણસે લેપ બનાવ્યો અને મારી આંખો પર લગાડ્યો અને મને કહ્યું, ‘શિલોઆહ જા અને ધોઈ નાખ.’ એટલે, હું ગયો અને આંખો ધોઈ નાખી અને હું દેખતો થયો.” એ સાંભળીને તેઓએ તેને પૂછ્યું: “એ માણસ ક્યાં છે?” તેણે કહ્યું: “મને નથી ખબર.”—યોહાન ૯:૧૦-૧૨.

લોકો એ માણસને ફરોશીઓ પાસે લઈ ગયા; તેઓ પણ જાણવા માંગતા હતા કે તે કઈ રીતે દેખતો થયો. એ માણસે તેઓને જણાવ્યું: “તેમણે મારી આંખો પર લેપ લગાડ્યો અને મેં આંખો ધોઈ અને હવે હું જોઈ શકું છું.” એ સાંભળીને ફરોશીઓએ સાજા થયેલા ભિખારી સાથે ખુશી મનાવવી જોઈતી હતી. એના બદલે, તેઓમાંના અમુક તો ઈસુનો વાંક કાઢવા લાગ્યા. તેઓએ દાવો કર્યો: “એ માણસ ઈશ્વર પાસેથી નથી આવ્યો, કેમ કે તે સાબ્બાથ પાળતો નથી.” બીજાઓએ કહ્યું: “જો કોઈ માણસ પાપી હોય તો આવા ચમત્કારો કઈ રીતે કરી શકે?” (યોહાન ૯:૧૫, ૧૬) આમ, તેઓમાં અંદરોઅંદર ફૂટ પડી.

આવા મતભેદો જોઈને, તેઓ દેખતા થયેલા માણસ તરફ ફરીને પૂછવા લાગ્યા: “તેણે તને દેખતો કર્યો હતો, તો પછી તેના વિશે તારું શું કહેવું છે?” એ માણસને ઈસુ વિશે જરાય શંકા ન હોવાથી, તેણે કહ્યું: “તે પ્રબોધક છે!”—યોહાન ૯:૧૭.

યહુદીઓ એ માનવા તૈયાર ન હતા. તેઓ કદાચ એવું વિચારતા હતા કે આ માણસ અને ઈસુએ મળીને લોકોને ઉલ્લું બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. આનો ઉકેલ લાવવા તેઓએ ભિખારીનાં માબાપને બોલાવીને પૂછવાનું નક્કી કર્યું કે તેઓનો દીકરો ખરેખર આંધળો હતો કે કેમ.