સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો”

“પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો”

“પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો”

“જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો.” —માત્થી ૨૬:૪૧.

ઈસુના જીવનની ઘડીઓ ગણાઈ રહી છે. થોડા જ સમયમાં તેમના દુશ્મનો તેમને પકડી લેશે અને થાંભલા પર લટકાવીને મારી નાખશે. ઈસુનું દિલ ચિંતામાં ડૂબી ગયું હતું. તેમને ખબર હતી કે પોતે જે કંઈ કરે એનાથી ક્યાં તો તેમના પિતા યહોવાહનું નામ બદનામ થશે, અથવા તો તેમનું નામ રોશન થશે. સર્વ મનુષ્યોના જીવનનો આધાર તેમના પર હતો. ઈસુ આટલા બધા ટેન્શનમાં હતા ત્યારે, તેમણે શું કર્યું?

ઈસુ પોતાના શિષ્યો સાથે ગેથસેમાને બાગમાં ગયા, જ્યાં તેઓ અવાર-નવાર જતા. શિષ્યો એક જગ્યાએ બેઠા. ઈસુ થોડે દૂર જઈને ઘૂંટણે પડીને યહોવાહને દિલ ખોલીને પ્રાર્થના કરવા લાગ્યા. તેમણે ત્રણ ત્રણ વાર કાલાવાલા કર્યા. શા માટે? ઈસુ તો શક્તિશાળી હતા, તેમનામાં કોઈ પાપ ન હતું. છતાંય, તેમને ખબર હતી કે ફક્ત યહોવાહના સાથથી જ આ પરીક્ષણોમાં પોતે ટકી શકશે.—માત્થી ૨૬:૩૬-૪૪.

ઈસુની માફક, આપણા પર પણ ટેન્શન આવે છે અને ઘણી મુસીબતો સહન કરવી પડે છે. શેતાનની જેમ તેના દુષ્ટ જગતની ટીક .. ટીક .. ટીક .. ઘડીઓ ગણાઈ રહી છે. એટલે શેતાન આપણને તેની સાથે મોતના મોંમાં ખેંચી જવા આકાશ-પાતાળ એક કરી રહ્યો છે. તેથી, આપણે સમજી-વિચારીને દરેક પગલું ભરવાની જરૂર છે. આપણે દિલોજાનથી યહોવાહને ચાહીએ છીએ. આપણે દરેક એ પણ જાણીએ છીએ કે યહોવાહ આપણું ભલું જ ચાહે છે. એટલે જ તેમણે આપણને આ દુનિયાની લાખો નિરાશામાં નવી દુનિયાની આશા આપી છે. તો પછી, ચાલો આપણે બધા જીવનના છેલ્લા શ્વાસ સુધી યહોવાહને જ વળગી રહીએ. (માત્થી ૨૪:૧૩) પણ એ એટલું સહેલું નથી. આપણે યહોવાહને છોડી દઈએ એ માટે શેતાન આપણા પર જાત-જાતની કસોટી લાવે છે. એની સામે જીત મેળવવા આપણે શું કરી શકીએ?

ઈસુને ખબર હતી કે પોતાના મિત્રોને અનેક તકલીફો સહેવી પડશે. એટલે જ તેમણે કહ્યું: “જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો.” (માત્થી ૨૬:૪૧) એ સલાહ આજે આપણને કઈ રીતે મદદ કરી શકે? આપણા પર કેવાં પરીક્ષણો આવી શકે? આપણે કઈ રીતે ‘જાગતા રહેવાનું’ છે? ચાલો આપણે જોઈએ.

આપણા પર કેવી કસોટીઓ આવી શકે?

શેતાન ચાલાક શિકારી છે. તે આપણને ‘ફાંદામાં ફસાવવા’ માગે છે. (૨ તીમોથી ૨:૨૬) તે ખાસ કરીને યહોવાહના ભક્તોને ફસાવવા માગે છે. (૧ પીતર ૫:૮; પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭) શું તે આપણને જીવથી મારવા માગે છે? ના, કેમ કે તે જાણે છે કે યહોવાહની ભક્તિમાં આપણો જીવ જાય, તોપણ યહોવાહ આપણને પાછા જીવતા કરશે. એ તો તેની હાર કહેવાય.—લુક ૨૦:૩૭, ૩૮.

તે આપણો જીવ નહિ, પણ ગમે તેમ કરીને આપણી શ્રદ્ધા ઝૂંટવી લેવા માગે છે! તે તમને યહોવાહની ભક્તિ કરતા રોકવા માંગે છે. શેતાન ચાહે છે કે આપણે પ્રચારમાં ન જઈએ, સારા સંસ્કાર ન પાળીએ, પણ તેના જેવા થઈએ. આમ, શેતાનની જીત થશે! (એફેસી ૬:૧૧-૧૩) એટલે ‘પરીક્ષણ કરનાર’ શેતાન અનેક રીતોએ આપણી કસોટી કરે છે.—માત્થી ૪:૩.

શેતાન ‘દુષ્ટ ચાલાકીઓ’ અજમાવે છે. (એફેસી ૬:૧૧, પ્રેમસંદેશ) તે આપણને ધન-દોલત કે મોજશોખથી લલચાવે છે. તે આપણને ગભરાવે છે, મનમાં શંકાના બી વાવે છે. પરંતુ, તેની બીજી એક દુષ્ટ ચાલાકી છે, નિરાશા. શેતાન જાણે છે કે નિરાશ વ્યક્તિનું મન સહેલાઈથી ડોલી જઈ શકે છે. (નીતિવચનો ૨૪:૧૦) તેથી, આપણે જાણે “કચડાઈ” ગયા હોઈએ, ત્યારે તે આપણી નિરાશાનો લાભ લઈને પરીક્ષણ લાવે છે.—ગીતશાસ્ત્ર ૩૮:૮.

આપણા સમયમાં નિરાશ થવાના અનેક કારણો છે. આજે આપણામાંનું કોણ નિરાશ નથી થતું? (શા માટે આપણે નિરાશામાં ડૂબી જઈએ છીએ? બૉક્સ જુઓ.) પણ આપણે નિરાશામાં જ ડૂબેલા રહીશું તો, આપણી ભક્તિનો દીપ ધીરે ધીરે બુઝાઈ જઈ શકે છે. કઈ રીતે? જો આપણે નિરાશ હોઈએ, તો શું આપણને બાઇબલ વાંચવાની અને એના પર વિચાર કરવાની હોંશ થાય છે? જો આપણે થાકીને લોથપોથ થઈ ગયા હોઈએ, તો શું આપણને મિટિંગમાં અને પ્રચારમાં જવાનું મન થશે? ના. પણ શેતાન એવું જ ચાહે છે. આપણે થાકીને હારી ન જઈએ કેમ કે આ દુનિયાનો અંત ખૂબ નજીક છે! (લુક ૨૧:૩૪-૩૬) એને બદલે, યહોવાહની ભક્તિ માટે એકેએક તકનો ઉપયોગ કરીએ! (એફેસી ૫:૧૫, ૧૬) આપણા પર બીજી કસોટીઓ આવી પડે ત્યારે શું? યહોવાહ આપણને કઈ રીતે મદદ કરે છે?

“પ્રાર્થના કરો”

દિલથી પ્રાર્થના કરીને યહોવાહની શક્તિ માગો. ઈસુને માથે ચિંતાનો ભાર હતો ત્યારે શું કર્યું હતું? તેમણે યહોવાહને ખૂબ કાલાવાલા કર્યા. પ્રાર્થના કરતી વખતે, “તેનો પરસેવો ભોંય પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.” (લુક ૨૨:૪૪) જરા વિચાર કરો, ઈસુ તો ઘણા જ શક્તિશાળી હતા. તે શેતાનની રગેરગ જાણતા હતા. તે જાણતા હતા કે શેતાન યહોવાહના ભક્તોને કઈ રીતે સતાવતો હતો. તેમ છતાં, તેમણે પોતાની શક્તિમાં નહિ, પણ યહોવાહ પર પૂરો ભરોસો રાખ્યો. જો ઈસુ જેવા ઈસુએ એમ કર્યું હોય, તો આપણને યહોવાહના સાથની કેટલી બધી જરૂર છે!—૧ પીતર ૨:૨૧.

૧૦ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે ‘પ્રાર્થના કરતા રહો.’ ઈસુ જાણતા હતા કે આપણને યહોવાહની ભક્તિ કરવાની હોંશ તો ઘણી છે, પણ સહેલાઈથી હારી જઈએ છીએ. (માત્થી ૨૬:૪૧) ખરું કે ઈસુમાં કોઈ પાપ ન હતું. (૧ પીતર ૨:૨૨) પણ તે જાણતા હતા કે પોતાના શિષ્યો આદમનાં સંતાન છે. તેઓમાં પાપનો ડાઘ છે. તેથી, કોઈ પણ પરીક્ષણમાં તેઓને વધારે મદદની જરૂર હતી. (રૂમી ૭:૨૧-૨૪) ઈસુએ કહ્યું કે કોઈ પણ મુસીબતોનો સામનો કરવા પ્રાર્થના કરતા રહો. (માત્થી ૬:૧૩) પણ આપણને કઈ રીતે ખાતરી થઈ શકે કે યહોવાહ આપણી પ્રાર્થના સાંભળે છે? (ગીતશાસ્ત્ર ૬૫:૨) ચાલો આપણે જોઈએ.

૧૧ પ્રથમ તો યહોવાહ આપણને શેતાનની ચાલાકીઓ વિષે ચેતવણી આપે છે. કલ્પના કરો કે શેતાનની લાલચો રસ્તા પર નાના-મોટા ખાડા જેવી છે. જો તમે અંધારામાં ખાડો ન જુઓ, તો ઠોકર ખાઈને એમાં પડશો. પરંતુ, યહોવાહ બાઇબલ અને એને લગતા પુસ્તક-પુસ્તિકાઓ દ્વારા જાણે રસ્તા પર પ્રકાશ ફેંકે છે. જેથી આપણે જીવનમાં આવતા ખાડા જોઈ શકીએ અને પડી ન જઈએ. યહોવાહ સંમેલનો દ્વારા પણ આપણને શેતાનની ચાલાકીઓ વિષે ચેતવણી આપે છે. જેમ કે, શેતાન ચાહે છે કે આપણે માણસોની બીક રાખીએ. તે ચાહે છે કે આપણે લાજ-શરમ બાજુએ મૂકી દઈએ. તે ધન-દોલતની જાળ બિછાવે છે. (નીતિવચનો ૨૯:૨૫; ૧ કોરીંથી ૧૦:૮-૧૧; ૧ તીમોથી ૬:૯, ૧૦) પણ આપણે કેટલા ખુશ છીએ કે યહોવાહ આપણને ડગલે ને પગલે ચેતવણી આપે છે. (૨ કોરીંથી ૨:૧૧) આમ, યહોવાહ આપણી પ્રાર્થનાના જવાબમાં માર્ગદર્શન આપે છે.

૧૨ યહોવાહ આપણને શક્તિ પણ આપે છે. બાઇબલ કહે છે: ‘યહોવાહ તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.’ (૧ કોરીંથી ૧૦:૧૩) આપણી શ્રદ્ધા કોરી ખાય એવું પરીક્ષણ યહોવાહ કદી આવવા દેશે નહિ. પણ યહોવાહ કઈ રીતે “છૂટકાનો માર્ગ” ખોલે છે? તે આપણને પુષ્કળ મદદ કરે છે. (લુક ૧૧:૧૩) યહોવાહ આપણને એવી કલમો યાદ કરાવે છે, જે હિંમત આપી શકે. તેમના માર્ગદર્શનથી આપણે સમજી-વિચારીને સારા નિર્ણયો પણ લઈ શકીશું. (યોહાન ૧૪:૨૬; યાકૂબ ૧:૫, ૬) યહોવાહની શક્તિથી આપણે ખોટા વિચારોને જડમૂળથી કાઢી નાખીને, અનમોલ મોતી જેવા ગુણો કેળવીશું. (ગલાતી ૫:૨૨, ૨૩) યહોવાહની પ્રેરણાથી બીજા ભક્તો પણ આપણને ‘દિલાસો’ અને સાથ આપશે. (કોલોસી ૪:૧૧) તો પછી, ચાલો આપણે સુખ-દુઃખમાં યહોવાહને પ્રાર્થના કરતા રહીએ.

પરીક્ષણો માટે તૈયાર રહો

૧૩ યહોવાહના ભક્તોએ કસોટી માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. યહોવાહે કદીયે એવું કહ્યું નથી કે આ શેતાનની દુનિયામાં પોતાના ભક્તો પર દુઃખ નહિ આવે. બાઇબલ જણાવે છે કે પહેલાના જમાનામાં પણ અનેક ઈશ્વરભક્તોએ બીમારી, ગરીબી અને નિરાશા સહન કરી હતી.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૧; ૨ કોરીંથી ૮:૧, ૨; ૧ થેસ્સાલોનીકી ૫:૧૪; ૧ તીમોથી ૫:૨૩.

૧૪ શેતાન આપણા પર એક પછી એક પરીક્ષણ લાવે છે. આપણને પૈસાની તંગી, સતાવણી, અથવા ડિપ્રેશન કે કોઈ બીજી બીમારી વગેરે તકલીફો આવી શકે. યહોવાહ એ બધાથી આપણને બચાવી લેતા નથી. નહિ તો શેતાન તેમના પર બીજા અનેક તહોમતો મૂકશે. (નીતિવચનો ૨૭:૧૧) એટલે યહોવાહ હમણાં શેતાનને હાથે આપણી કસોટી, અરે મોત પણ થવા દે છે.—યોહાન ૧૬:૨.

૧૫ આવા પરીક્ષણોમાં યહોવાહ આપણને છોડી દેતા નથી. જો આપણે તેમના પર પૂરી શ્રદ્ધા રાખીએ, તો તે આપણને ગમે એવી સતાવણી સહન કરવાની હિંમત આપશે. (નીતિવચનો ૩:૫, ૬) આપણી શ્રદ્ધાનો દીવો ઝળહળતો રાખવા, યહોવાહે આપણને બાઇબલ આપ્યું છે. તેમનો પવિત્ર આત્મા અને તેમનું સંગઠન આપણને દોરવણી આપે છે. આપણે કદી પણ તેમનો હાથ ન છોડીએ. ભલે શેતાન આપણી જીવનદોરી કાપી નાખે, તોપણ યહોવાહ આપણને પાછા જીવન આપશે. (હેબ્રી ૧૧:૬) આપણે યહોવાહનો હાથ પકડી રાખીશું તો, જલદી જ તે આપણી હરેક તમન્‍ના પૂરી કરશે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.

દુઃખોનું કારણ યાદ રાખીએ

૧૬ યહોવાહ શા માટે દુઃખો ચાલવા દે છે? આપણા પર દુઃખો આવી પડે ત્યારે, કદાચ આપણી શ્રદ્ધાની નાવ ડોલવા લાગે. પણ આપણે યાદ રાખીએ કે બધા દુઃખોની શરૂઆત શેતાને જ કરી છે. તે માનવા તૈયાર ન હતો કે યહોવાહ વિશ્વના માલિક છે. તે માને છે કે આપણે સ્વાર્થને લીધે યહોવાહને ભજીએ છીએ. (અયૂબ ૧:૮-૧૧; ૨:૩, ૪) યહોવાહ ન્યાયના ઈશ્વર છે. તેમણે શેતાનને જવાબ આપવા આ બધું ચાલવા દીધું છે. પણ વિચારો કે આ ફેંસલાનું પરિણામ શું આવ્યું?

૧૭ યહોવાહની ધીરજને લીધે અનેક લોકો સત્ય શીખી શક્યા છે. અરે, ઈસુની કુરબાનીથી આપણે પાપ અને મરણમાંથી બચી શકીએ છીએ. (યોહાન ૩:૧૬) ખરેખર, યહોવાહ આપણને કેટલો પ્રેમ કરે છે! આપણે પણ થોડું સહન કરીએ, જેથી બીજા લોકોનું જીવન બચે. યહોવાહ જે કંઈ કરે, તે આપણા ભલા માટે જ છે. જેમ આકાશ જમીનથી ઊંચું છે, તેમ તેમના વિચારો બધાના વિચારોથી ઊંચા છે. (યશાયાહ ૫૫:૯) યહોવાહ કોઈનો અન્યાય કરતા નથી. (રૂમી ૯:૧૪-૨૪) યહોવાહ જરૂર હોય એનાથી એક પલ પણ વધારે દુઃખો ચાલવા નહિ દે. તે કાયમ માટે સાબિત કરશે કે શેતાનની રગેરગમાં જૂઠાણું જ વહે છે!

યહોવાહને વળગી રહો

૧૮ જો આપણે યહોવાહને દિલથી વળગી રહીશું, તો તેમનાથી દૂર થવાનો સવાલ જ નથી. આપણે કદી ન ભૂલીએ કે શેતાન કોઈ પણ રીતે આપણી શ્રદ્ધા ઝૂંટવી લેવા માગે છે. તે આપણા મનમાં એવું ઠસાવવા માંગે છે, કે ‘અંત ક્યારે આવશે કોને ખબર?’ કે પછી ‘આવશે કે કેમ?’ ‘પ્રચાર કરવાનો કે બાઇબલ પ્રમાણે જીવવાનો કોઈ ફાયદો નથી.’ પણ જરાય છેતરાશો નહિ, શેતાન “જૂઠો, અને જૂઠાનો બાપ છે”! (યોહાન ૮:૪૪) આજે જ મનમાં ગાંઠ વાળો કે તમે એ ધોખેબાજની “સામા” થશો. યહોવાહે હકીકતમાં જે કર્યું છે, એ કદી ન ભૂલો. બાઇબલ કહે છે: “દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૭, ૮) પણ આપણે કઈ રીતે યહોવાહની પાસે રહી શકીએ?

૧૯ આપણે યહોવાહ પર પૂરી શ્રદ્ધા રાખીએ. તેમને દિલ ખોલીને પ્રાર્થના કરીએ. પછી તે આપણને રસ્તો બતાવશે. તે કદી આપણને છોડશે નહિ. (૧ યોહાન ૫:૧૪) યહોવાહના માર્ગમાં ચાલશો તેમ, તમારી શ્રદ્ધા વધતી જશે. બાઇબલ વાંચીને, એના પર વિચાર કરવાથી, યહોવાહ પરનો તમારો પ્રેમ ફૂલની જેમ ખીલી ઊઠશે. (ગીતશાસ્ત્ર ૧૯:૧૪) પછી પહાડ જેવી મુસીબતોનો પણ તમે સામનો કરી શકશો.—૧ યોહાન ૫:૩.

૨૦ યહોવાહને વળગી રહેવાની સાથે સાથે, આપણે તેમના ભક્તોની સંગત પણ રાખવી જ જોઈએ. એની ચર્ચા આપણે હવે કરીશું.

વિચાર કરો

• ઈસુને માથે ચિંતાનો ભાર હતો ત્યારે તેમણે શું કર્યું? પોતાના શિષ્યોને તેમણે શું કહ્યું? (૧-૪ ફકરા)

• શેતાન શા માટે યહોવાહના ભક્તોને ફસાવે છે? તે કઈ રીતોએ તેઓને લલચાવે છે? (૫-૮ ફકરા)

• શેતાનના ફાંદામાં ન ફસાવા આપણે શા માટે પ્રાર્થના કરવી જોઈએ? (૯-૧૨ ફકરા) આપણે કસોટીઓ માટે કેમ તૈયાર રહેવું જોઈએ? (૧૩-૧૫ ફકરા) શા માટે દુઃખો પડે છે? (૧૬-૧૭ ફકરા) શા માટે યહોવાહની ‘પાસે રહેવું’ જોઈએ? (૧૮-૨૦ ફકરા)

[પાન ૨૫ પર બોક્સ]

શા માટે આપણે નિરાશામાં ડૂબી જઈએ છીએ?

તબિયત કે ઘડપણ. તબિયત નરમ-ગરમ રહેતી હોય કે ઘડપણ આવે ત્યારે, આપણે નિરાશ થઈએ છીએ. એનું કારણ કે યહોવાહની વધારે સેવા કરી શકતા નથી.—હેબ્રી ૬:૧૦.

નિરાશા. પ્રચારમાં જલદી કોઈ સાંભળે નહિ તો, આપણે નિરાશ થઈએ છીએ.—નીતિવચનો ૧૩:૧૨.

‘મારી કોને પડી છે?’ જો વર્ષોથી લોકોએ આપણને નીચા પાડ્યા હોય, તો લાગી શકે કે આપણે સાવ નકામા છીએ.—૧ યોહાન ૩:૧૯, ૨૦.

મનદુઃખ થવું. ઘણા સભામાં અને પ્રચારમાં જવાનું બંધ કરે છે કેમ કે કોઈ ભાઈ-બહેને તેઓનું મન દુઃખી કર્યું હોય શકે.—લુક ૧૭:૧.

કસોટી. લોકો મશ્કરી કરે, વિરોધ કરે અને સતાવે પણ ખરા.—૨ તીમોથી ૩:૧૨; ૨ પીતર ૩:૩, ૪.

[પાન ૨૬ પર ચિત્ર]

ઈસુએ અરજ કરી કે લાલચની સામે લડવા ‘પ્રાર્થના કરો’