બૉક્સ ૧૪-ક
હઝકિયેલના મંદિરના દર્શનમાંથી શું શીખ્યા?
યહોવાની ભક્તિ ઊંચી જગ્યાએ કરવામાં આવી અને એનું રક્ષણ કરવામાં આવ્યું
દર્શનનું મંદિર “ખૂબ ઊંચા પર્વત” (૧) પર હતું. શું આપણે જીવનમાં યહોવાની ભક્તિ સૌથી પહેલા રાખીએ છીએ અને શું એને સૌથી મહત્ત્વની ગણીએ છીએ?
મંદિરની ચારે બાજુની દીવાલ (૨). મંદિર એક મોટી ખુલ્લી જગ્યા (૩) વચ્ચે હતું. આપણને એમાંથી શું શીખવા મળે છે? એ જ કે આપણે એકદમ સાવધ રહેવું જોઈએ કે કોઈ પણ રીતે યહોવાની ભક્તિ અશુદ્ધ ન થાય. હઝકિયેલ ૪૨:૨૦ કહે છે, “પવિત્ર જગ્યા” અને ‘લોકો માટેની જગ્યા’ વચ્ચે એક દીવાલ હતી. અહીં ‘લોકો માટેની જગ્યા’ શું બતાવે છે? એ લોકોનાં રોજબરોજનાં કામોને બતાવે છે. જો એવાં કામોને યહોવાની ભક્તિથી દૂર રાખવાનું કહેવામાં આવે છે, તો પછી ખોટાં કામો તો એનાથી ચોક્કસ દૂર રાખવાં જ જોઈએ. આપણે દુનિયામાં ચાલી રહેલાં નીચ, ગંદાં કામોનો એક ડાઘ પણ પોતાને લાગવા ન દઈએ.
કાયમ માટેના આશીર્વાદો
મંદિરના પવિત્ર સ્થાનમાંથી પાણીની એક ધારા નીકળે છે. એ વહેતી વહેતી ધસમસતી નદીમાં ફેરવાઈ જાય છે. એનું પાણી જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં જીવન લાવે છે. એ પાણી જમીન એટલી સારી બનાવે છે કે ત્યાં પુષ્કળ અનાજ પાકે છે (૪). એ આશીર્વાદો વિશે આ પુસ્તકના ૧૯મા પ્રકરણમાં વધારે બતાવવામાં આવશે.
બધા માટે એકસરખાં ધોરણો
બહારના ઊંચા ઊંચા દરવાજા (૫) અને અંદરના ઊંચા ઊંચા દરવાજા (૯) પરથી આપણે શું શીખી શકીએ? યહોવાએ પોતાની ભક્તિ કરનારા લોકો માટે ઊંચાં ધોરણો બેસાડ્યાં છે. ધ્યાન આપો કે બહારના અને અંદરના દરવાજાનું માપ એકસરખું છે. એનાથી આપણે શીખીએ છીએ કે યહોવાએ પોતાના બધા ભક્તો માટે એકસરખાં ધોરણો બેસાડ્યાં છે. એ ખરાં ધોરણો બધાએ પાળવાનાં છે, પછી ભલે એ મંડળના કોઈ જવાબદાર ભાઈ હોય કે બીજું કોઈ.
યહોવાની મેજ પરથી ભોજન
ભોજનખંડો (૮) પરથી આપણને શું શીખવા મળે છે? અગાઉના જમાનામાં લોકો જે બલિદાનો લાવતા હતા, એમાંનાં અમુક બલિદાનોમાંથી તેઓ પોતે પણ ખાઈ શકતા હતા. એમ કરીને તેઓ જાણે યહોવા સાથે ખાતા હતા. આજે આપણે ભવ્ય મંદિરમાં ભક્તિ કરીએ છીએ. ત્યાં આપણે બલિદાન ચઢાવતા નથી, કેમ કે “એક બલિદાન” આપી દેવામાં આવ્યું છે. (હિબ્રૂ. ૧૦:૧૨) પણ આપણે સ્તુતિનું અર્પણ ચોક્કસ ચઢાવીએ છીએ.—હિબ્રૂ. ૧૩:૧૫.
ઈશ્વરનું પાકું વચન
મંદિરનું જે બરાબર માપ આપવામાં આવ્યું છે, એની એકેએક વાત સમજવી આપણને અઘરી લાગી શકે. પણ એ માહિતી એક મહત્ત્વની વાત શીખવે છે. મંદિરનું માપ ચોક્કસ હતું. એ બદલી શકાય એમ ન હતું. એવી જ રીતે, યહોવાએ આપેલું આ વચન ચોક્કસ પૂરું થશે કે શુદ્ધ ભક્તિ ફરી શરૂ થશે. હઝકિયેલે મંદિરના દર્શનમાં માણસોને જોયા હતા, એવું કંઈ જણાવ્યું નથી. પણ તેમણે એ તો લખ્યું છે કે યહોવાએ યાજકો, આગેવાનો અને લોકોને કડક સલાહ આપી હતી. એનાથી આપણને શીખવા મળે છે કે યહોવાના બધા ભક્તોએ તેમનાં ખરાં ધોરણો પાળવા જોઈએ.