સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૨

ચિંતા થવી—‘ચારેબાજુથી દબાણ’

ચિંતા થવી—‘ચારેબાજુથી દબાણ’

“લગ્‍નના ૨૫ વર્ષ પછી મારા છૂટાછેડા થયા. મારાં બાળકોએ સત્ય છોડી દીધું. મારી તબિયત ઘણી બગડી ગઈ. પછી, હું નિરાશ થઈ ગઈ, સાવ ભાંગી પડી. તેમ જ, મને થયું કે મારાથી હવે બહુ સહન નહિ થાય. મેં સભામાં જવાનું બંધ કરી દીધું અને યહોવાની ભક્તિમાં સાવ ઠંડી પડી ગઈ.”—જૂન.

દરેકને ચિંતા થાય છે. ઈશ્વરભક્તોને પણ થાય છે. એક ઈશ્વરભક્તે લખ્યું: ‘મારા હૃદયમાં પુષ્કળ ચિંતા થાય છે.’ (ગીતશાસ્ત્ર ૯૪:૧૯) ઈસુએ પણ કહ્યું હતું કે, અંતના સમયમાં ‘જીવનની ચિંતાઓʼના કારણે યહોવાની ભક્તિ કરવી મુશ્કેલ બનશે. (લુક ૨૧:૩૪) તમારા વિશે શું? શું તમને પૈસાની તંગી, કુટુંબની મુશ્કેલીઓ અથવા તંદુરસ્તીની ચિંતા છે? એ સહેવા યહોવા કઈ રીતે મદદ કરી શકે?

“પરાક્રમની અધિકતા”

આપણે પોતાની જાતે ચિંતાનો સામનો કરી શકતા નથી. પ્રેરિત પાઊલે લખ્યું કે, ‘ચારેબાજુથી અમારા પર દબાણ છે, ગૂંચવાયેલા, નીચે પટકાયેલા છીએ.’ તોપણ, તેમણે આમ કહ્યું: “અમે દબાઈ ગયેલા નથી” અને “નાશ પામેલા નથી.” આપણને ચિંતા સહેવા ક્યાંથી મદદ મળશે? સર્વશક્તિમાન ઈશ્વર, યહોવા આપણને “પરાક્રમની અધિકતા” એટલે કે સહન કરવાની શક્તિ આપે છે.—૨ કોરીંથી ૪:૭-૯.

વિચાર કરો કે, પાછલાં વર્ષોમાં તમને કઈ રીતે “પરાક્રમની અધિકતા” મળી હતી. શું તમને યાદ છે કે, ઉત્તેજન આપતા પ્રવચનથી યહોવા માટેનો તમારો પ્રેમ વધ્યો હતો? બીજાઓને ન્યાયી નવી દુનિયાની આશા વિશે શીખવવાથી, યહોવાના વચનમાં શું તમારી શ્રદ્ધા વધી હતી? સભાઓમાં જવાથી અને બીજાઓને આપણી માન્યતાઓ વિશે જણાવવાથી જીવનની ચિંતાઓ સહન કરવા હિંમત તથા મનની શાંતિ મળે છે. આમ, યહોવાની સેવા આપણે પૂરા દિલથી કરી શકીએ છીએ.

“અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે”

તમને કદાચ થશે કે, યહોવાની ભક્તિ સિવાય જીવનમાં ઘણું બધું કરવાનું હોય છે. જેમ કે, યહોવા ચાહે છે કે, રાજ્યને પ્રથમ રાખીએ અને ભક્તિને લગતી પ્રવૃત્તિઓમાં લાગુ રહીએ. (માથ્થી ૬:૩૩; લુક ૧૩:૨૪) બની શકે કે, કુટુંબીજનો કે સાથે કામ કરનારનો વિરોધ, બગડતી તબિયત અથવા કુટુંબની મુશ્કેલીને લીધે તમે વધારે કરી શકતા ન હો. અથવા નોકરી તમારો સમય અને શક્તિ ખાઈ જતી હોય, જેના લીધે તમે મંડળનાં કામો કરી શકતા ન હો. ઓછા સમય અને શક્તિમાં ઘણા બધા કામ કરવાના હોવાથી તમને ખૂબ ચિંતા થઈ શકે. કદાચ તમને થાય કે, યહોવા તમારી પાસેથી વધારે પડતી આશા રાખે છે.

યાદ રાખો કે યહોવા તમને સમજે છે. યહોવા ક્યારેય તમારી શક્તિ ઉપરાંત માંગતા નથી. તેમ જ, તે જાણે છે કે શારીરિક અને લાગણીમય રીતે નબળી પડી ગયેલી વ્યક્તિને સાજી થતા વાર લાગે છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪.

દાખલા તરીકે, યહોવાએ જે રીતે એલીયા પ્રબોધકને મદદ કરી હતી એનો વિચાર કરો. એક સમયે એલીયા ખૂબ જ નિરાશ થઈ ગયા અને ડરીને અરણ્યમાં ભાગી ગયા. એ સમયે શું યહોવાએ તેમને ઠપકો આપ્યો અને પોતાની સોંપણીમાં પાછા આવવા હુકમ કર્યો? ના. એલીયાને જગાડવા અને ખોરાક આપવા યહોવાએ બે વાર પોતાના દૂતને મોકલ્યા. તોપણ, ૪૦ દિવસ પછી એલીયા ઘણા ચિંતાતુર અને ડરી ગયેલા હતા. યહોવાએ તેમને મદદ કરવા બીજું શું કર્યું? સૌ પ્રથમ, યહોવાએ બતાવ્યું કે તે એલીયાનું રક્ષણ કરી શકે છે. બીજું, યહોવાએ ‘કોમળ અવાજે’ એલીયાને દિલાસો આપ્યો. છેલ્લે, યહોવાએ જણાવ્યું કે, એવા બીજા હજારો લોકો છે જેઓ વિશ્વાસુ રીતે તેમની ભક્તિ કરી રહ્યા છે. એ પછી, એલીયાએ પૂરા ઉત્સાહથી લોકોને ઈશ્વરનો સંદેશો જણાવ્યો. (૧ રાજાઓ ૧૯:૧-૧૯) એમાંથી શું શીખવા મળે છે? એલીયા ચિંતાઓથી ઘેરાયેલા હતા ત્યારે, યહોવા તેમની સાથે ધીરજ અને દયાથી વર્ત્યા. યહોવા આજે પણ બદલાયા નથી. એ જ રીતે, તે આપણી કાળજી રાખે છે.

યહોવાની ભક્તિમાં તમે કેટલું કરી શકો છો એનો વિચાર કરો ત્યારે, વાજબી બનો. એમ ન વિચારો કે, પહેલાં કેટલું કરતા હતા અને હવે સાવ ઓછું કરો છો! ચાલો એક દાખલો જોઈએ. એક દોડવીર ઘણા મહિનાઓ કે વર્ષો સુધી દોડવાનું બંધ કરી દે છે. હવે, તે તરત જ પહેલાં જેવું દોડી નહિ શકે. પોતાની તાકાત અને ધીરજ મેળવવા તે નાના નાના ધ્યેયો બાંધશે. યહોવાના ભક્તો પણ એક દોડવીર જેવા છે. તેઓ ચોક્કસ ધ્યેય રાખે છે અને એ રીતે પોતાને તાલીમ આપે છે. (૧ કોરીંથી ૯:૨૪-૨૭) તેથી, યહોવાની ભક્તિમાં એવો ધ્યેય રાખો જે તમે હમણાં પૂરો કરી શકો. જેમ કે, તમે મંડળની સભામાં જવાનો ધ્યેય રાખી શકો. એ ધ્યેયને પૂરો કરવા યહોવા પાસે મદદ માંગો. ઈશ્વરની ભક્તિમાં તમે મક્કમ બનશો તેમ, ‘અનુભવ કરશો’ અને ‘જોઈ’ શકશો કે, “યહોવા ઉત્તમ છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૮) યાદ રાખો કે, યહોવાને પ્રેમ બતાવવા તમે જે કંઈ કરો છો, એ તેમની નજરમાં મૂલ્યવાન છે. પછી, ભલેને એ તમને નાનું લાગે.—લુક ૨૧:૧-૪.

યહોવા ક્યારેય તમારી શક્તિ ઉપરાંત માંગતા નથી

“મને જરૂરી ઉત્તેજન મળ્યું”

યહોવાએ કઈ રીતે બહેન જૂનને પાછા આવવા મદદ કરી? તે જણાવે છે: “મદદ માટે હું યહોવાને સતત પ્રાર્થના કરતી. એક વખતે, મારા શહેરમાં થનાર સંમેલન વિશે મારી વહુએ મને જણાવ્યું. મેં એ સંમેલનમાં જવાનું નક્કી કર્યું. યહોવાના લોકો પાસે પાછા ફરવાની લાગણી કેટલી અદ્‍ભુત હતી! એ સંમેલનથી મને જરૂરી ઉત્તેજન મળ્યું. હવે, હું ફરીથી ખુશી ખુશી યહોવાની ભક્તિ કરું છું. મારે જીવનમાં હજુ ઘણું કરવાનું છે. હું જાણું છું કે, મને ભાઈ-બહેનોની મદદની જરૂર છે અને મારે તેઓની મદદ સ્વીકારવી જોઈએ. હું ઈશ્વરની આભારી છું કે, તેમણે મને પાછા આવવાની તક આપી.”