સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૩

મનદુઃખ થવું—“ફરિયાદ કરવાનું કારણ હોય”

મનદુઃખ થવું—“ફરિયાદ કરવાનું કારણ હોય”

“મંડળના એક બહેને મારા પર પૈસા ચોરવાનો ખોટો આરોપ મૂક્યો. મંડળનાં ભાઈ-બહેનોને ખબર પડી ત્યારે, અમુકે મારો તો અમુકે એ બહેનનો પક્ષ લીધો. આખરે, એ બહેને મને જણાવ્યું કે મેં ચોરી નહોતી કરી. તેમણે મારી માફી માંગી. પણ, મને થયું કે તેમના લીધે મારે જે સહન કરવું પડ્‌યું એ માટે હું કદી તેમને માફ નહિ કરું.”—લિન્ડા.

લિન્ડાને સાથી ઈશ્વરભક્તે ઠેસ પહોંચાડી હતી. શું તમે પણ લિન્ડા જેવું અનુભવો છો? દુઃખની વાત છે કે, અમુકને બીજા ઈશ્વરભક્તોના વર્તનથી એટલું દુઃખ લાગ્યું છે કે, એની અસર તેમની ભક્તિ પર પડી છે. શું તમારા કિસ્સામાં પણ એવું છે?

શું ઈશ્વરના પ્રેમથી કોઈ ‘આપણને જુદા પાડી શકે’?

સ્વાભાવિક છે કે, સાથી ઈશ્વરભક્તે દુઃખ પહોંચાડ્‌યું હોય તો, તેને માફી આપવી મુશ્કેલ લાગી શકે. જોકે, યહોવાના ભક્તોએ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. (યોહાન ૧૩:૩૪, ૩૫) કોઈ ભાઈ કે બહેને આપણને દુઃખ પહોંચાડ્‌યું હોય તો, આપણે નિરાશ થઈ શકીએ અને એ દુઃખ સહેવું અઘરું લાગી શકે.—ગીતશાસ્ત્ર ૫૫:૧૨.

બાઇબલ જણાવે છે કે, એવા સંજોગો આવે છે, જ્યારે ભાઈ કે બહેનને બીજાની વિરુદ્ધ “ફરિયાદ કરવાનું કારણ હોય.” (કોલોસી ૩:૧૩, NW) પરંતુ, આપણી સાથે એવું બને ત્યારે, એનો સામનો કરવો અઘરો લાગી શકે. આપણને ક્યાંથી મદદ મળી શકે? ચાલો, બાઇબલના ત્રણ સિદ્ધાંતનો વિચાર કરીએ:

યહોવા બધું જ જાણે છે. તે બધું જ જુએ છે. આપણે અન્યાય સહન કરતા હોઈએ તો, એ પણ યહોવા જુએ છે. (હિબ્રૂ ૪:૧૩) આપણું દુઃખ જોઈને યહોવા પણ દુઃખી થાય છે. (યશાયા ૬૩:૯) “વિપત્તિ કે વેદના” કે પછી કોઈ ઈશ્વરભક્ત કે કોઈ વસ્તુ આપણને ઈશ્વરના પ્રેમથી ‘જુદા પાડે’ એવું તે ક્યારેય થવા નહિ દે. (રોમનો ૮:૩૫, ૩૮, ૩૯) તેથી, કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણને યહોવાથી જુદા પાડે એવું ન થવા દઈએ.

માફી આપવી એટલે ખોટી બાબત ચલાવી લેવી નહિ. ખોટું કરનારને માફ કરવાનો આવો અર્થ થતો નથી: આપણે તેના કાર્યને નજીવું ગણીએ છીએ, ચલાવી લઈએ છીએ, બહાનાં શોધીએ છીએ કે ટેકો આપીએ છીએ. યાદ રાખો કે, યહોવા ક્યારેય પાપને ચલાવી લેતા નથી. પણ, કારણ હોય તો માફી આપે છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨, ૧૩; હબાક્કૂક ૧:૧૩) તે ચાહે છે કે આપણે તેમનું અનુકરણ કરીએ. એટલે, તે ઉત્તેજન આપે છે કે આપણે બીજાઓને માફ કરીએ. યહોવા ‘હંમેશાં ગુસ્સો રાખતા નથી.’—ગીતશાસ્ત્ર ૧૦૩:૯; માથ્થી ૬:૧૪.

મનમાં ખાર ન રાખવાથી આપણને લાભ થાય છે. કઈ રીતે? કલ્પના કરો કે, તમે એક નાનો પથ્થર ઉઠાવો છો. અને લાંબો હાથ રાખીને એને પકડી રાખો છો. કદાચ થોડોક સમય એને પકડી રાખવાથી બહુ તકલીફ નહિ પડે. પણ, લાંબો સમય પકડી રાખશો તો? કેટલી વાર સુધી એને પકડી રાખી શકશો? શું થોડી મિનિટો? એક કલાક? કે એનાથી વધારે? એમાં કોઈ શંકા નથી કે, તમારો હાથ દુખવા લાગશે. જોકે, પથ્થરનું વજન એટલું જ રહે છે. પણ, જેટલો વધારે સમય એને પકડી રાખશો, એટલો વધારે એનો ભાર લાગવા માંડશે. ખાર ભરી રાખવા વિશે પણ એવું જ છે. ભલેને નાની બાબતમાં મનદુઃખ થયું હોય, પણ મનમાં વધારે સમય કડવાશ ભરી રાખવાથી આપણને જ નુકસાન થશે. એટલે જ, મનમાં ખાર ભરી ન રાખવા યહોવા આપણને ઉત્તેજન આપે છે. સાચે જ, જતું કરવું આપણા જ ભલા માટે છે.—નીતિવચનો ૧૧:૧૭.

મનમાં ખાર ન રાખવાથી આપણને લાભ થાય છે

“યહોવાએ મારી સાથે વાત કરી હોય એવું મને લાગ્યું”

લિન્ડાને મનમાં ખાર ભરી ન રાખવા કઈ બાબતે મદદ કરી? તેણે બીજી બાબતોની સાથે માફી આપવા વિશે બાઇબલના સિદ્ધાંતો પર મનન કર્યું. (ગીતશાસ્ત્ર ૧૩૦:૩, ૪) આપણે બીજાઓને માફ કરીએ છીએ ત્યારે, યહોવા પણ આપણને માફ કરે છે, એ વાતની લિન્ડા પર ઊંડી અસર થઈ. (એફેસી ૪:૩૨–૫:૨) પોતાની લાગણીઓ જણાવતા તે કહે છે: “યહોવાએ મારી સાથે વાત કરી હોય એવું મને લાગ્યું.”

સમય જતાં, લિન્ડાએ મનમાં ભરી રાખેલો ખાર કાઢી નાંખ્યો. તેણે પેલાં બહેનને પૂરા દિલથી માફ કર્યા. હવે, એ બહેન લિન્ડાનાં ખાસ બહેનપણી છે. લિન્ડાએ યહોવાની ભક્તિ ચાલુ રાખી. ખાતરી રાખજો કે, તમે એમ કરી શકો માટે યહોવા તમને પણ મદદ કરવા ચાહે છે.