ગલાતીઓ ૨:૧-૨૧
૨ ત્યાર બાદ, ૧૪ વર્ષ પછી હું બાર્નાબાસ સાથે ફરી યરૂશાલેમ ગયો, તિતસને પણ મારી સાથે લેતો ગયો.
૨ પ્રભુએ મને પ્રગટ કર્યું હતું એટલે હું ત્યાં ગયો અને બીજી પ્રજાઓને હું જે ખુશખબર જાહેર કરું છું એ મેં ભાઈઓને જણાવી. જોકે, ફક્ત આગળ પડતા ભાઈઓને મેં એ જણાવી, જેથી હું ખાતરી કરી શકું કે હું નકામો દોડતો નથી કે નકામો દોડ્યો નથી.
૩ અને મારી સાથે આવેલો તિતસ ગ્રીક હતો, તોપણ તેને સુન્નત* કરાવવાની ફરજ પાડવામાં આવી નહિ.
૪ પરંતુ, એ મુદ્દો ઢોંગી ભાઈઓને લીધે ઊભો થયો, જેઓ છૂપી રીતે અંદર આવી ગયા છે; તેઓ એ કારણે આવ્યા કે આપણે ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં હોવાથી જે આઝાદીનો આનંદ માણીએ છીએ એની જાસૂસી કરે; તેઓ આપણને પૂરી રીતે ગુલામ બનાવવા માંગતા હતા;
૫ અમે તેઓને આધીન થયા નહિ, ના, એક ઘડી* પણ નહિ, જેથી ખુશખબરમાં જે સત્ય છે એ હંમેશાં તમારી સાથે રહે.
૬ હકીકતમાં, જેઓ મહત્ત્વના ગણાય છે, તેઓ પાસેથી મને કોઈ નવી વાત જાણવા મળી નથી. હા, પહેલાં તેઓ જે કંઈ પણ હતા એનાથી મને કોઈ ફરક પડતો નથી, કેમ કે ઈશ્વર માણસનો બહારનો દેખાવ જોતા નથી.
૭ એના બદલે, જ્યારે તેઓએ જોયું કે સુન્નત થયેલા લોકો માટે જેમ પીતરને ખુશખબર આપવામાં આવી હતી, તેમ સુન્નત ન થયેલા લોકો માટે મને ખુશખબર આપવામાં આવી છે,
૮ (કેમ કે જેમણે પીતરને સુન્નત થયેલા લોકો માટે પ્રેરિત બનવાનો અધિકાર આપ્યો, તેમણે મને પણ બીજી પ્રજાઓ માટે પ્રેરિત બનવાનો અધિકાર આપ્યો છે)
૯ અને મંડળના સ્તંભ ગણાતા યાકૂબ અને કેફાસ* અને યોહાને જ્યારે પારખ્યું કે મને અપાર કૃપા આપવામાં આવી છે, ત્યારે તેઓ મારી સાથે અને બાર્નાબાસ સાથે હાથ મિલાવીને સહમત* થયા કે અમે બીજી પ્રજાઓ પાસે જઈએ અને તેઓ સુન્નત થયેલાઓ પાસે જાય.
૧૦ તેઓએ ફક્ત એટલું જ કહ્યું કે અમે ગરીબોને ધ્યાનમાં રાખીએ અને મેં પણ એમ કરવાનો દિલથી પ્રયત્ન કર્યો છે.
૧૧ જોકે, કેફાસ* અંત્યોખ આવ્યો ત્યારે મેં તેનો મોં પર વિરોધ કર્યો,* કેમ કે તે જે કરતો હતો એ એકદમ ખોટું હતું.*
૧૨ યાકૂબ પાસેથી અમુક માણસો આવ્યા એ પહેલાં, કેફાસ બીજી પ્રજાના લોકો સાથે ખાતો હતો; પરંતુ, તેઓ આવ્યા ત્યારે, સુન્નતને ટેકો આપતા લોકોથી ડરીને તેણે એમ કરવાનું બંધ કર્યું અને તેઓથી દૂર દૂર રહેવા લાગ્યો.
૧૩ બાકીના યહુદીઓ પણ તેના જેવો ઢોંગ* કરવા લાગ્યા; અરે, બાર્નાબાસ પણ તેઓની અસરમાં આવીને ઢોંગ* કરવા લાગ્યો.
૧૪ પણ, મેં જોયું કે ખુશખબરના સત્ય પ્રમાણે તેઓ ચાલતા નથી ત્યારે, મેં એ બધાની સામે કેફાસને* કહ્યું: “તું પોતે યહુદી થઈને યહુદીની જેમ નહિ પણ બીજી પ્રજાનો હોય એમ જીવે છે. તો પછી, તું બીજી પ્રજાના લોકોને કઈ રીતે યહુદી રીતરિવાજો પ્રમાણે જીવવાની ફરજ પાડી શકે?”
૧૫ આપણે બીજી પ્રજાના પાપીઓ નથી, પણ જન્મથી યહુદીઓ છીએ.
૧૬ એટલે, આપણે જાણીએ છીએ કે માણસ નિયમશાસ્ત્રનાં* કામોથી નહિ, પણ ફક્ત ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાથી નેક ઠરે છે. આપણે ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા મૂકી છે, જેથી આપણે નિયમશાસ્ત્રનાં કામોથી નહિ, પણ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાથી નેક ઠરીએ, કેમ કે કોઈ પણ માણસ* નિયમશાસ્ત્રનાં કામોથી નેક ઠરશે નહિ.
૧૭ હવે, આપણે ખ્રિસ્ત દ્વારા નેક ઠરવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે, આપણને પણ પાપી ગણવામાં આવે તો, શું એનો અર્થ એમ થાય કે ખ્રિસ્ત પાપ કરવા પ્રેરે છે? બિલકુલ નહિ!
૧૮ જેને મેં પાડી નાખ્યું છે, એને જો હું પાછું બાંધું, તો હું નિયમ તોડનાર સાબિત થાઉં છું.
૧૯ કેમ કે નિયમશાસ્ત્ર દ્વારા હું નિયમશાસ્ત્ર માટે મરણ પામ્યો, જેથી હું ઈશ્વર માટે જીવતો થાઉં.
૨૦ મને ખ્રિસ્ત સાથે વધસ્તંભે* જડવામાં આવ્યો. હું હવેથી પોતાના માટે જીવતો નથી, પણ એવું જીવન જીવું છું, જે ખ્રિસ્ત સાથે એકતામાં છે.* હકીકતમાં, હમણાં હું જે જીવન જીવું છું એ ઈશ્વરના દીકરા પરની શ્રદ્ધાને લીધે જીવું છું, જેમણે મને પ્રેમ બતાવ્યો અને મારા માટે જીવ આપી દીધો.
૨૧ ઈશ્વરની અપાર કૃપાને હું નકારતો* નથી, કેમ કે જો માણસ નિયમશાસ્ત્રથી નેક ઠરતો હોય, તો ખ્રિસ્તનું મરણ નકામું છે.
ફૂટનોટ
^ શબ્દસૂચિ જુઓ.
^ મૂળ અર્થ, “એક કલાક.”
^ અથવા, “ભાગીદાર.”
^ અથવા, “સામો થયો.”
^ અથવા, “એમાં તે દોષિત ઠર્યો.”
^ અથવા, “ડોળ.”
^ અથવા, “ડોળ.”
^ શબ્દસૂચિ જુઓ.
^ મૂળ અર્થ, “દેહ.”
^ શબ્દસૂચિ જુઓ.
^ મૂળ અર્થ, “હવેથી હું પોતે જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે.”
^ અથવા, “બાજુએ હડસેલી દેતો.”