ગલાતીઓ ૪:૧-૩૧

  • હવેથી દાસો નહિ, પણ દીકરાઓ (૧-૭)

  • ગલાતીઓ માટે પાઊલની ચિંતા (૮-૨૦)

  • હાગાર અને સારાહ: બે કરાર (૨૧-૩૧)

    • સ્વર્ગનું યરૂશાલેમ, આપણી માતા આઝાદ છે (૨૬)

 હવે, હું કહું છું કે વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી તેનામાં અને દાસમાં કોઈ ફરક નથી, પછી ભલેને તે બધી વસ્તુઓનો માલિક હોય. ૨  પણ, તેના પિતાએ અગાઉથી નક્કી કરેલો દિવસ ન આવે ત્યાં સુધી, તે દેખરેખ રાખનારાઓને અને કારભારીઓને આધીન રહે છે. ૩  એવી જ રીતે, આપણે પણ બાળકો હતાં ત્યારે દુનિયાના રીતરિવાજોના ગુલામ હતા. ૪  પરંતુ, નક્કી કરેલો સમય પૂરો થયો ત્યારે, ઈશ્વરે પોતાના દીકરાને મોકલ્યા, જે સ્ત્રીથી જન્મ્યા અને નિયમશાસ્ત્રને આધીન થયા; ૫  આમ, જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને ખરીદીને તે છોડાવી શકે, જેથી આપણને ઈશ્વરના દીકરાઓ તરીકે દત્તક લેવામાં આવે. ૬  હવે, તમે દીકરાઓ હોવાથી ઈશ્વરે તેમના દીકરાને આપેલી પવિત્ર શક્તિ તમારા હૃદયોમાં આપી અને એ શક્તિ પોકારે છે: “અબ્બા,* પિતા!” ૭  હવેથી તમે ગુલામ નથી, પણ ઈશ્વરના દીકરા છો; જો તમે દીકરા છો, તો ઈશ્વરે તમને વારસ પણ બનાવ્યા છે. ૮  જ્યારે તમે ઈશ્વરને જાણતા ન હતા, ત્યારે જેઓ ખરેખર દેવો નથી, તેઓના ગુલામ હતા. ૯  પરંતુ, હવે તમે ઈશ્વરને ઓળખતા થયા છો અથવા ખરું જોતાં ઈશ્વર તમને ઓળખે છે. તો પછી, તમે શા માટે દુનિયાના નબળા અને નકામા રીતરિવાજો તરફ પાછા ફરી રહ્યા છો અને ફરીથી એના દાસ બનવા માંગો છો? ૧૦  તમે ધ્યાન રાખીને દિવસો, મહિનાઓ, ઋતુઓ* અને વર્ષો પાળો છો. ૧૧  મને તમારા વિશે ચિંતા થાય છે કે મેં તમારા માટે કરેલી મહેનત નકામી તો નહિ જાય ને. ૧૨  ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે મારા જેવા બનો, કેમ કે પહેલાં હું પણ તમારા જેવો હતો. તમે મારી સાથે કોઈ ખરાબ વર્તન કર્યું નથી. ૧૩  પરંતુ, તમે જાણો છો કે તમને ખુશખબર જણાવવાની પહેલી તક મને મારી બીમારીને લીધે મળી હતી. ૧૪  મારી બીમારી તમારા માટે કસોટી હતી, છતાં તમે મારી સાથે તિરસ્કાર કે નફરતથી વર્ત્યા નહિ;* પરંતુ, હું ઈશ્વરનો દૂત હોઉં અથવા ખ્રિસ્ત ઈસુ હોઉં એમ તમે મારો આવકાર કર્યો. ૧૫  તમારી એ ખુશી ક્યાં ગઈ? હું સાક્ષી પૂરું છું કે જો શક્ય હોત, તો તમે તમારી આંખો કાઢીને મને આપી દીધી હોત. ૧૬  તો પછી, તમને સત્ય કહેવાને લીધે શું હું તમારો દુશ્મન થઈ ગયો છું? ૧૭  અમુક લોકો તમને જીતી લેવા પૂરા જોશથી પ્રયત્ન કરે છે, પણ સારા ઇરાદાથી નહિ. તેઓ તમને મારાથી દૂર લઈ જવા માંગે છે, જેથી તમે તેઓની પાછળ પાછળ જવા આતુર થાઓ. ૧૮  જોકે, સારા ઇરાદાથી કોઈ તમને જીતી લેવા પ્રયત્ન કરે તો એ સારું છે. હું તમારી સાથે હાજર હોઉં ત્યારે જ નહિ, પણ હર વખત એમ થાય. ૧૯  મારાં બાળકો, જ્યાં સુધી તમે ખ્રિસ્ત જેવા ગુણો ન બતાવો, ત્યાં સુધી તમારા માટે મને પ્રસૂતિની પીડા જેવી પીડા ફરીથી થાય છે. ૨૦  આ ઘડીએ હું તમારી સાથે હોત તો કેવું સારું! તો હું તમારી સાથે પ્રેમથી વાત કરી શક્યો હોત, કેમ કે મને ખબર નથી પડતી કે તમને શું થઈ ગયું છે. ૨૧  ઓ નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલવા માંગનારાઓ, મને જણાવો, નિયમશાસ્ત્ર જે કહે છે એ શું તમે નથી સાંભળતા? ૨૨  દાખલા તરીકે, એમ લખેલું છે કે ઈબ્રાહીમને બે દીકરા હતા, એક દાસીથી અને બીજો આઝાદ સ્ત્રીથી;* ૨૩  દાસીથી જન્મેલો દીકરો હકીકતમાં કુદરતી રીતે થયો અને આઝાદ સ્ત્રીથી જન્મેલો દીકરો વચન દ્વારા થયો. ૨૪  આ બનાવોનો એક અર્થ રહેલો છે; આ સ્ત્રીઓ બે કરારને રજૂ કરે છે, એક સિનાઈ પહાડ પર કરવામાં આવ્યો, જે ગુલામી માટે બાળકો પેદા કરે છે અને એ હાગાર છે. ૨૫  હવે, હાગારનો અર્થ સિનાઈ પહાડ થાય, જે અરબસ્તાનમાં છે અને હાગાર હાલના યરૂશાલેમને રજૂ કરે છે, કેમ કે એ પોતાનાં બાળકો સાથે ગુલામીમાં છે. ૨૬  પરંતુ, સ્વર્ગનું યરૂશાલેમ આઝાદ છે અને એ આપણી માતા છે. ૨૭  કેમ કે લખેલું છે: “હે વાંઝણી સ્ત્રી, તેં બાળકને જન્મ આપ્યો નથી એટલે આનંદ કર; હે સ્ત્રી, પ્રસૂતિની પીડા ભોગવી ન હોવાથી તું ખુશીથી પોકાર કર; કેમ કે જે સ્ત્રી પાસે પતિ છે તેના કરતાં, જે સ્ત્રીને છોડી દેવામાં આવી છે તેનાં બાળકો વધારે છે.” ૨૮  હવે ભાઈઓ, જેમ ઇસહાક હતો, તેમ વચન પ્રમાણે તમે બાળકો છો. ૨૯  પણ જેમ કુદરતી રીતે જન્મેલો દીકરો, પવિત્ર શક્તિથી જન્મેલા દીકરાની સતાવણી કરવા લાગ્યો, એવું હમણાં પણ થાય છે. ૩૦  જોકે, શાસ્ત્રવચન શું કહે છે? “દાસી અને તેના દીકરાને કાઢી મૂક, કેમ કે દાસીનો દીકરો કદી આઝાદ સ્ત્રીના દીકરા સાથે વારસ થશે નહિ.” ૩૧  તેથી ભાઈઓ, આપણે દાસીનાં નહિ, પણ આઝાદ સ્ત્રીનાં બાળકો છીએ.

ફૂટનોટ

અરામિક શબ્દ, જેનો અર્થ થાય, “ઓ પિતા!”
એટલે કે, તહેવારો માટે અલગ કરેલા સમયો.
અથવા, “મારા પર થૂંક્યા નહિ.”
એનો અર્થ, “દાસી નથી એવી સ્ત્રી.”