ગલાતીઓ ૫:૧-૨૬
૫ એ આઝાદીનો આનંદ માણવા ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે. તેથી, તમારી આઝાદી ગુમાવશો નહિ અને ફરીથી ગુલામીની ઝૂંસરી નીચે જોડાશો નહિ.
૨ જુઓ! હું પાઊલ તમને જણાવું છું કે જો તમે સુન્નત કરાવો, તો ખ્રિસ્તથી તમને કંઈ લાભ થશે નહિ.
૩ સુન્નત કરાવનાર દરેક માણસને હું ફરી યાદ અપાવું છું કે તે આખું નિયમશાસ્ત્ર પાળવાની ફરજ નીચે આવે છે.
૪ જો તમે નિયમશાસ્ત્ર પ્રમાણે નેક જાહેર થવાનો પ્રયત્ન કરતા હો, તો તમે ખ્રિસ્તથી અલગ થયા છો; તમારા પરથી તેમની અપાર કૃપા જતી રહી છે.
૫ આપણે ઈશ્વરની નજરમાં નેક ગણાવાની રાહ જોઈએ છીએ, જે ફક્ત પવિત્ર શક્તિ અને આપણી શ્રદ્ધાથી શક્ય છે.
૬ કેમ કે ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં રહેવા માટે સુન્નત કરાવવી કે ન કરાવવી એનું કોઈ મહત્ત્વ નથી, પણ પ્રેમથી પ્રેરાયેલી શ્રદ્ધાનું મહત્ત્વ છે.
૭ તમે સારી રીતે દોડતા હતા, તો પછી સત્યને માર્ગે ચાલતા રહેવાથી તમને કોણે રોક્યા?
૮ તમને બોલાવનાર ઈશ્વર પાસેથી એવી સમજણ આવતી નથી.
૯ થોડું ખમીર* બાંધેલા આખા લોટને ફુલાવે છે.
૧૦ ખ્રિસ્ત સાથે એકતામાં રહેનારાઓ, તમારા વિશે મને ખાતરી છે કે તમે મારી સાથે સહમત થશો; પરંતુ, જે કોઈ તમારા માટે મુસીબતો ઊભી કરે છે, ભલે એ ગમે તે હોય, તેની સજા તેને જરૂર મળશે.
૧૧ ભાઈઓ, જો હું અત્યાર સુધી સુન્નત વિશે પ્રચાર કરતો હોઉં, તો હજુ મારી સતાવણી કેમ થાય છે? જો હું એવો પ્રચાર કરતો હોઉં, તો વધસ્તંભ ઠોકર ખાવાનું કોઈ કારણ બનતો નથી.
૧૨ હું ચાહું છું કે જે માણસો તમને ભમાવે છે, તેઓ પોતાનું જ અંગ કાપી નાખે.*
૧૩ ભાઈઓ, તમને આઝાદ થવા બોલાવ્યા હતા; શરીરની પાપી ઇચ્છાઓ સંતોષવા આ આઝાદીનો ઉપયોગ ન કરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.
૧૪ કેમ કે આખું નિયમશાસ્ત્ર આ એક આજ્ઞામાં પૂરું થાય છે,* જે કહે છે: “તું જેવો પોતાના પર એવો તારા પડોશી* પર પ્રેમ રાખ.”
૧૫ પણ, જો તમે એકબીજાને કરડવાનું અને ફાડી ખાવાનું ચાલુ રાખશો, તો ધ્યાન રાખો કે તમે એકબીજાનો નાશ ન કરી બેસો.
૧૬ પણ હું કહું છું, પવિત્ર શક્તિથી ચાલતા રહો અને તમે પાપી શરીરની ઇચ્છા પ્રમાણે જરાય ચાલશો નહિ.
૧૭ કેમ કે પાપી શરીરની ઇચ્છાઓ પવિત્ર શક્તિ વિરુદ્ધ અને પવિત્ર શક્તિ શરીરની ઇચ્છાઓ વિરુદ્ધ છે; એ બંને એકબીજાની વિરુદ્ધ છે, એટલે તમે જે કરવા ચાહો છો એ તમે કરતા નથી.
૧૮ જો તમે પવિત્ર શક્તિથી ચાલતા હો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી.
૧૯ હવે, શરીરનાં કામો તો સાફ દેખાઈ આવે છે: વ્યભિચાર,* અશુદ્ધતા, બેશરમ કામો,*
૨૦ મૂર્તિપૂજા, મેલીવિદ્યા,* વેરભાવ, ઝઘડા, ઈર્ષા, અતિશય ગુસ્સો, મતભેદ, ભાગલા પાડવા, પક્ષ પાડવા,
૨૧ અદેખાઈ, દારૂડિયાપણું, બેફામ મિજબાનીઓ અને એનાં જેવાં કામો. જેમ મેં અગાઉ પણ તમને ચેતવ્યા હતા, તેમ હું તમને એનાં વિશે ફરીથી ચેતવું છું કે જેઓ એવાં કામો કરે છે, તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.
૨૨ બીજી બાજુ, પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ* આ છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ,* કૃપા, ભલાઈ, શ્રદ્ધા,
૨૩ નમ્રતા અને સંયમ. એ બધા વિરુદ્ધ કોઈ નિયમ નથી.
૨૪ વધુમાં, જેઓ ખ્રિસ્ત ઈસુના છે, તેઓએ પોતાના શરીરને એની લાલસા અને ઇચ્છાઓ સાથે વધસ્તંભે જડી દીધું છે.
૨૫ જો આપણે પવિત્ર શક્તિ પ્રમાણે જીવતા હોઈએ, તો પવિત્ર શક્તિની દોરવણી પ્રમાણે ચાલતા પણ રહીએ.
૨૬ ચાલો, આપણે અહંકારી ન બનીએ, હરીફાઈ કરવા એકબીજાને ઉશ્કેરીએ નહિ અને એકબીજાની અદેખાઈ ન કરીએ.
ફૂટનોટ
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “પોતાની ખસી કરે; નપુંસક થાય,” એટલે કે, તેઓ જે નિયમનો પ્રચાર કરે છે, એ નિયમ પાળવાને લાયક ન રહે.
^ અથવા કદાચ, “એનો સાર છે.”
^ ‘પડોશી’ માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ ફક્ત બાજુમાં રહેનાર નહિ, કોઈ પણ વ્યક્તિ થઈ શકે.
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “જાદુટોણાં; જંતરમંતર.”
^ મૂળ અર્થ, “ફળ.”
^ અથવા, “સહનશીલતા.”