પ્રકટીકરણ ૧૧:૧-૧૯

  • બે સાક્ષીઓ (૧-૧૩)

    • ૧,૨૬૦ દિવસ સુધી તાટ પહેરીને ભવિષ્યવાણી કરવી ()

    • મારી નાખવામાં આવ્યા પણ દફનાવવામાં આવ્યા નહિ (૭-૧૦)

    • સાડા ત્રણ દિવસ પછી સજીવન કરવામાં આવ્યા (૧૧, ૧૨)

  • બીજી આફત પૂરી થઈ, ત્રીજી આવી રહી છે (૧૪)

  • સાતમું રણશિંગડું (૧૫-૧૯)

    • આપણા પ્રભુ અને તેમના ખ્રિસ્તનું રાજ્ય (૧૫)

    • પૃથ્વીનો નાશ કરનારાઓનો નાશ કરવામાં આવશે (૧૮)

૧૧  અને મને લાકડી* જેવી બરુની સોટી આપવામાં આવી અને કહેવામાં આવ્યું: “ઊભો થા અને ઈશ્વરના મંદિરનું* અને વેદીનું માપ લે અને ત્યાં ઉપાસના કરતા લોકોની ગણતરી કર. ૨  પરંતુ, મંદિરની બહારના આંગણાને છોડી દે અને એનું માપ લઈશ નહિ, કારણ કે એ બીજી પ્રજાઓને આપવામાં આવ્યું છે અને તેઓ પવિત્ર શહેરને ૪૨ મહિનાઓ સુધી પગ નીચે ખૂંદશે. ૩  હું મારા બે સાક્ષીઓને મોકલીશ અને તેઓ ૧,૨૬૦ દિવસ સુધી તાટ પહેરીને ભવિષ્યવાણી કરશે.” ૪  તેઓ તો પૃથ્વીના માલિક આગળ ઊભા રહેનાર જૈતૂનનાં બે ઝાડ અને બે દીવીઓ છે. ૫  જો કોઈ તેઓને નુકસાન કરવા ચાહે, તો તેઓના મોંમાંથી અગ્‍નિ નીકળે છે અને તેઓના દુશ્મનોને ભરખી જાય છે. જો કોઈ તેઓને નુકસાન કરશે, તો તે આ રીતે માર્યો જશે. ૬  તેઓ પાસે આકાશ* બંધ કરવાનો અધિકાર છે, જેથી તેઓ ભવિષ્યવાણી કરે એ દિવસોમાં વરસાદ પડે નહિ; અને તેઓ પાસે પાણીને લોહીમાં ફેરવી નાખવાનો અધિકાર છે અને જેટલી વાર ચાહે એટલી વાર પૃથ્વી પર દરેક પ્રકારની આફત લાવવાનો તેઓ પાસે અધિકાર છે. ૭  તેઓ સાક્ષી આપવાનું પૂરું કરશે ત્યારે, અનંત ઊંડાણમાંથી બહાર આવનાર જંગલી જાનવર તેઓ સાથે લડાઈ કરશે અને તેઓને હરાવશે અને તેઓને મારી નાખશે. ૮  તેઓની લાશો મોટા શહેરના મુખ્ય રસ્તા પર પડી રહેશે, જે સાંકેતિક રીતે સદોમ અને ઇજિપ્ત* કહેવાય છે; ત્યાં તેઓના પ્રભુને પણ વધસ્તંભે* ચડાવવામાં આવ્યા હતા. ૯  પ્રજાઓના, કુળોના, બોલીઓના* અને દેશોના લોકો તેઓની લાશો સાડા ત્રણ દિવસ સુધી જોશે અને એ લોકો તેઓની લાશોને કબરમાં મૂકવા નહિ દે. ૧૦  અને પૃથ્વી પર રહેનારાઓ તેઓના મૃત્યુને લીધે આનંદ કરશે અને ઉજવણી કરશે અને એકબીજાને ભેટો મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પર રહેનારાઓને પીડા આપી હતી. ૧૧  સાડા ત્રણ દિવસ પછી, ઈશ્વર તરફથી એ બે સાક્ષીઓને જીવન-શક્તિ મળી અને તેઓ ઊભા થયા અને જેઓએ તેઓને જોયા, તેઓ પર ભય છવાઈ ગયો. ૧૨  અને આકાશમાંથી મોટો અવાજ તેઓને આમ કહેતો સંભળાયો: “અહીં ઉપર આવો.” અને તેઓ વાદળમાં ઉપર આકાશમાં ચઢી ગયા અને તેઓના દુશ્મનોએ તેઓને જોયા.* ૧૩  એ ઘડીએ મોટો ધરતીકંપ થયો અને શહેરનો દસમો ભાગ પડી ગયો; અને ધરતીકંપને લીધે ૭,૦૦૦ લોકો મરણ પામ્યા અને બાકીના ખૂબ ડરી ગયા અને સ્વર્ગના ઈશ્વરને મહિમા આપવા લાગ્યા. ૧૪  બીજી આફત પૂરી થઈ. જુઓ! ત્રીજી આફત જલદી જ આવી રહી છે. ૧૫  સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું. અને સ્વર્ગમાં મોટા અવાજો થયા જે કહેતા હતા: “દુનિયાનું રાજ્ય આપણા પ્રભુ અને તેમના ખ્રિસ્તનું રાજ્ય થયું છે અને તે સદાસર્વકાળ રાજા તરીકે રાજ કરશે.” ૧૬  અને ૨૪ વડીલો જેઓ ઈશ્વર આગળ પોતાના રાજ્યાસન પર બેઠા હતા, તેઓ ઘૂંટણે પડ્યા અને ઈશ્વરની ઉપાસના કરી ૧૭  અને કહ્યું: “યહોવા* ઈશ્વર, સર્વશક્તિમાન, જે છે અને જે હતા; તમારો અમે આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી મહાન શક્તિનો ઉપયોગ કર્યો છે અને રાજા તરીકે રાજ કરવાનું શરૂ કર્યું છે. ૧૮  પરંતુ, પ્રજાઓ રોષે ભરાઈ અને તમારો ક્રોધ જાહેર થયો; અને મરણ પામેલા લોકોનો ન્યાય કરવાનો તથા તમારા સેવકો, એટલે કે પ્રબોધકોને અને પવિત્ર લોકોને, તમારા નામનો ડર રાખનારાઓને, નાના-મોટાને બદલો આપવાનો તથા જેઓ પૃથ્વીનો નાશ કરે છે તેઓનો નાશ કરવાનો નક્કી કરેલો સમય આવ્યો છે.” ૧૯  અને સ્વર્ગમાં ઈશ્વરનું મંદિર* ખોલવામાં આવ્યું અને મંદિરમાં તેમનો કરારકોશ દેખાયો. વીજળીના ચમકારાઓ, અવાજો, ગર્જનાઓ, ધરતીકંપ અને મોટા કરા દેખાયા.

ફૂટનોટ

અથવા, “માપવાની લાકડી.”
એટલે કે, મંદિરની વચ્ચેની ઇમારત, જેમાં પવિત્ર અને પરમ પવિત્ર સ્થાનનો સમાવેશ થાય છે.
અથવા, “સ્વર્ગ.”
અથવા, “મિસર.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ભાષાઓના.”
અથવા, “જોઈ રહ્યા હતા.”
શબ્દસૂચિ જુઓ.
એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.