પ્રકટીકરણ ૧૪:૧-૨૦

  • ઘેટું અને ૧,૪૪,૦૦૦ લોકો (૧-૫)

  • ત્રણ દૂતો પાસેથી સંદેશા (૬-૧૨)

    • ખુશખબર સાથે આકાશમાં ઊડતો દૂત (૬, ૭)

  • ખ્રિસ્તને લીધે મરણ પામનારા સુખી છે (૧૩)

  • પૃથ્વીની બે કાપણી (૧૪-૨૦)

૧૪  પછી મેં જોયું તો જુઓ! સિયોન પહાડ પર ઘેટું ઊભું હતું અને તેની સાથે ૧,૪૪,૦૦૦ લોકો હતા, જેઓના કપાળ પર ઘેટાનું નામ અને તેના પિતાનું નામ લખેલું હતું. ૨  મેં સ્વર્ગમાંથી એક અવાજ સાંભળ્યો, જે ધસમસતા પાણીના ઘુઘવાટ જેવો અને મોટી ગર્જના જેવો હતો; મેં જે અવાજ સાંભળ્યો, એ ગાનારાઓના અવાજ જેવો હતો, જેઓ સાથે સાથે પોતાની વીણા પણ વગાડતા હતા. ૩  તેઓ રાજ્યાસન આગળ અને ચાર કરૂબો આગળ અને વડીલો આગળ નવું લાગતું એક ગીત ગાય છે; પૃથ્વી પરથી ખરીદવામાં આવ્યા છે, એ ૧,૪૪,૦૦૦ સિવાય બીજું કોઈ આ ગીત શીખી શક્યું નહિ. ૪  તેઓએ સ્ત્રીઓ સાથે સંબંધ ન બાંધીને પોતાને શુદ્ધ રાખ્યા છે; હકીકતમાં, તેઓ કુંવારા છે. ઘેટું જ્યાં પણ જાય છે, ત્યાં તેઓ તેની પાછળ પાછળ જાય છે. તેઓ ઈશ્વર અને ઘેટા માટે માણસોમાંથી ખરીદેલાં પ્રથમ ફળ છે ૫  અને તેઓ કદી અસત્ય બોલ્યા નથી; તેઓ કલંક વગરના છે. ૬  પછી, મેં બીજા એક દૂતને આકાશમાં ઊડતો જોયો અને પૃથ્વી પર રહેનારાઓ એટલે કે દરેક દેશ, કુળ, બોલી* અને પ્રજાને જાહેર કરવા, તેની પાસે હંમેશાં ટકનારી ખુશખબર હતી. ૭  તે મોટા અવાજે કહેતો હતો: “ઈશ્વરનો ડર રાખો અને તેમને મહિમા આપો, કેમ કે તે ન્યાય કરે એ સમય આવી ગયો છે; તેથી જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને પાણીનાં ઝરણાઓ* ઉત્પન્‍ન કર્યાં છે, તેમની ભક્તિ કરો.” ૮  એ પછી, બીજા દૂતે આવીને કહ્યું: “એ પડ્યું છે! મહાન બાબેલોન પડ્યું છે, જેણે પોતાના વ્યભિચારની* વાસનાનો* દ્રાક્ષદારૂ સર્વ પ્રજાઓને પીવડાવ્યો છે!” ૯  તેઓ પછી ત્રીજા દૂતે આવીને મોટા અવાજે કહ્યું: “જો જંગલી જાનવર અને એની મૂર્તિની કોઈ ઉપાસના કરે અને પોતાના કપાળ પર કે હાથ પર એની છાપ લે, ૧૦  તો તે ઈશ્વરના ક્રોધના દ્રાક્ષદારૂમાંથી પણ પીશે, જે ભેળસેળ કર્યા વગર તેમના ક્રોધના પ્યાલામાં રેડવામાં આવ્યો છે અને તેને પવિત્ર દૂતો તથા ઘેટાની નજર સામે અગ્‍નિ અને ગંધકથી રિબાવવામાં આવશે. ૧૧  અને તેઓને પીડા આપતો અગ્‍નિનો ધુમાડો હંમેશાં ઉપર ચઢ્યા કરે છે; અને જેઓએ જંગલી જાનવર અને એની મૂર્તિની ઉપાસના કરી અને એના નામની છાપ લીધી, તેઓને દિવસ-રાત સતત પીડા આપવામાં આવે છે. ૧૨  અહીંયા પવિત્ર લોકોએ ધીરજ બતાવવાની જરૂર છે, જેઓ ઈશ્વરની આજ્ઞાઓ માને છે અને ઈસુમાં શ્રદ્ધા મૂકીને એને વળગી રહે છે.” ૧૩  અને મેં સ્વર્ગમાંથી એક અવાજને આમ કહેતો સાંભળ્યો, “લખ: હવે પછી જેઓ પ્રભુને લીધે મરશે, એ મરણ પામેલાઓ સુખી છે. હા, પવિત્ર શક્તિ કહે છે, તેઓએ જે કંઈ કર્યું છે એ તેઓ સાથે જ રહે છે, એટલે તેઓના સખત પરિશ્રમથી તેઓને આરામ કરવા દો.” ૧૪  પછી મેં જોયું, તો જુઓ! એક સફેદ વાદળ દેખાયું અને વાદળ પર બેઠેલી વ્યક્તિ માણસના દીકરા જેવી હતી; તેમના માથા પર સોનાનો મુગટ હતો અને તેમના હાથમાં ધારદાર દાતરડું હતું. ૧૫  બીજો એક દૂત મંદિરમાંથી* આવ્યો અને વાદળ પર જે બેઠા હતા, તેમને મોટા અવાજે બૂમ પાડીને કહ્યું: “તમારું દાતરડું ચલાવો અને કાપણી કરો, કેમ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ચૂકી હોવાથી, કાપણીનો સમય આવી ગયો છે.” ૧૬  વાદળ પર જે બેઠા હતા, તેમણે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું અને પૃથ્વીની ફસલ કાપવામાં આવી. ૧૭  અને જે મંદિર સ્વર્ગમાં છે, એમાંથી હજુ બીજો એક દૂત બહાર આવ્યો અને તેની પાસે પણ ધારદાર દાતરડું હતું. ૧૮  અને હજુ એક દૂત વેદી પાસેથી આવ્યો અને તેને અગ્‍નિ પર અધિકાર હતો. તેણે જેની પાસે ધારદાર દાતરડું હતું, એ દૂતને મોટા અવાજે આમ કહ્યું: “તારું ધારદાર દાતરડું ચલાવ અને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાં ભેગાં કર, કેમ કે એની દ્રાક્ષો પાકી ચૂકી છે.” ૧૯  તે દૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું અને પૃથ્વીની દ્રાક્ષોનાં ઝૂમખાં ભેગાં કર્યાં અને દૂતે એને ઈશ્વરના ક્રોધના મહાન દ્રાક્ષાકુંડમાં નાખ્યાં. ૨૦  અને શહેરની બહાર એને દ્રાક્ષાકુંડમાં ખૂંદવામાં આવ્યાં અને દ્રાક્ષાકુંડમાંથી એટલું લોહી નીકળ્યું કે એ ઘોડાઓની લગામ સુધી પહોંચ્યું અને આશરે ૨૯૬ કિલોમીટર* સુધી ફેલાયું.

ફૂટનોટ

અથવા, “ભાષા.”
અથવા, “ઝરાઓ.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ક્રોધનો.”
એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.
આશરે ૧૮૪ માઈલ. મૂળ અર્થ, “૧,૬૦૦ સ્ટેડિયા.” એક સ્ટેડિયમ ૧૮૫ મી. (૬૦૬.૯૫ ફૂટ) જેટલું થાય.