પ્રકટીકરણ ૨૦:૧-૧૫

  • શેતાનને ૧,૦૦૦ વર્ષ માટે બાંધવામાં આવ્યો (૧-૩)

  • ખ્રિસ્ત સાથે ૧,૦૦૦ વર્ષ સુધી રાજાઓ તરીકે રાજ (૪-૬)

  • શેતાનને છોડવામાં આવ્યો અને પછી તેનો નાશ કરવામાં આવ્યો (૭-૧૦)

  • મરણ પામેલા લોકોનો સફેદ રાજ્યાસન આગળ ન્યાય (૧૧-૧૫)

૨૦  અને મેં એક દૂતને સ્વર્ગમાંથી નીચે ઊતરતો જોયો. તેની પાસે અનંત ઊંડાણની ચાવી હતી અને તેના હાથમાં મોટી સાંકળ હતી. ૨  તેણે અજગરને, જૂનો સર્પ જેને નિંદા કરનાર શેતાન કહેવામાં આવે છે, તેને ૧,૦૦૦ વર્ષ માટે બાંધી દીધો. ૩  અને દૂતે તેને અનંત ઊંડાણમાં નાખ્યો અને એને બંધ કર્યું અને એના પર મહોર કરી, જેથી ૧,૦૦૦ વર્ષ પૂરાં ન થાય, ત્યાં સુધી તે પ્રજાઓને ખોટે માર્ગે દોરે નહિ. એ પછી, થોડા સમય માટે તેને છોડવામાં આવશે. ૪  મેં રાજ્યાસનો જોયાં અને જેઓ એના પર બેઠા હતા, તેઓને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો. હા, જેઓને ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે અને ઈશ્વર વિશે વાત કરવાને લીધે મારી નાખવામાં* આવ્યા હતા, તેઓને* મેં જોયા; તેઓએ જંગલી જાનવરની કે એની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર કે હાથ પર એની છાપ લીધી ન હતી. અને તેઓ જીવતા થયા અને ખ્રિસ્ત સાથે ૧,૦૦૦ વર્ષ સુધી રાજાઓ તરીકે રાજ કર્યું. ૫  મરણમાંથી જીવતા થવામાં તેઓ પહેલા છે. (મરણ પામેલા બાકીના લોકો ૧,૦૦૦ વર્ષ પૂરાં થતા સુધી જીવતા ન થયા.) ૬  મરણમાંથી જીવતા થવામાં જેઓ પહેલા છે, તેઓ સુખી અને પવિત્ર છે; તેઓ પર બીજા મરણનો કોઈ અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યાજકો બનશે અને ૧,૦૦૦ વર્ષ સુધી તેમની સાથે રાજાઓ તરીકે રાજ કરશે. ૭  હવે, ૧,૦૦૦ વર્ષ પૂરાં થતાની સાથે જ શેતાનને કેદમાંથી છોડવામાં આવશે ૮  અને તે પૃથ્વીના ચાર ખૂણાના દેશોને, હા, ગોગ અને માગોગને ખોટે માર્ગે દોરવા બહાર આવશે અને તેઓને યુદ્ધ માટે ભેગા કરશે. તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. ૯  અને તેઓ આખી પૃથ્વી પર ફેલાઈ ગયા અને પવિત્ર લોકોની છાવણીને તથા વહાલા શહેરને ઘેરી વળ્યા. પરંતુ, સ્વર્ગમાંથી આગ ઊતરી આવી અને તેઓને ભરખી ગઈ. ૧૦  તેઓને ખોટે માર્ગે દોરનાર શેતાનને અગ્‍નિ અને ગંધકના સરોવરમાં નાખી દેવામાં આવ્યો, જ્યાં જંગલી જાનવર અને જૂઠો પ્રબોધક પહેલેથી જ હતા; અને તેઓને દિવસ-રાત, સદાને માટે રિબાવવામાં* આવશે. ૧૧  મેં એક મોટું સફેદ રાજ્યાસન જોયું અને એના પર જે બેઠા હતા તેમને જોયા. તેમની આગળથી પૃથ્વી અને આકાશ નાસી ગયા અને તેઓ માટે કોઈ સ્થાન રહ્યું નહિ. ૧૨  અને મેં મરણ પામેલા લોકોને, નાના અને મોટાને, રાજ્યાસન આગળ ઊભેલા જોયા અને વીંટાઓ ખોલવામાં આવ્યા. પરંતુ, બીજો એક વીંટો ખોલવામાં આવ્યો; એ જીવનનો વીંટો હતો. મરણ પામેલા લોકોનાં કાર્યો મુજબ, વીંટામાં જે લખ્યું હતું એ પ્રમાણે તેઓનો ન્યાય કરવામાં આવ્યો. ૧૩  અને સમુદ્રે પોતાનામાં જેઓ મરણ પામ્યા હતા, તેઓને પાછા આપ્યા અને મરણે તથા કબરે* પોતાનામાં જેઓ મરણ પામ્યા હતા, તેઓને પાછા આપ્યા અને તેઓનાં કાર્યો પ્રમાણે તેઓ દરેકનો ન્યાય કરવામાં આવ્યો. ૧૪  અને મરણ તથા કબરને* અગ્‍નિના સરોવરમાં નાખી દેવામાં આવ્યાં. અગ્‍નિનું સરોવર એ જ બીજું મરણ છે. ૧૫  વધુમાં, જે કોઈનું પણ નામ જીવનના પુસ્તકમાં લખેલું ન મળ્યું, તે દરેકને અગ્‍નિના સરોવરમાં નાખી દેવામાં આવ્યા.

ફૂટનોટ

મૂળ અર્થ, “કુહાડીથી મારી નંખાયેલા.”
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
અથવા, “રોકી રાખવામાં; કેદમાં રાખવામાં.”
અથવા, “હાડેસ.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “હાડેસ.” શબ્દસૂચિ જુઓ.