પ્રકટીકરણ ૯:૧-૨૧

  • પાંચમું રણશિંગડું (૧-૧૧)

  • એક આફત પૂરી થઈ, બીજી બે આવી રહી છે (૧૨)

  • છઠ્ઠું રણશિંગડું (૧૩-૨૧)

 પાંચમા દૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું. અને આકાશમાંથી પૃથ્વી પર પડેલો તારો મેં જોયો અને તેને અનંત ઊંડાણની ચાવી આપવામાં આવી. ૨  તેણે અનંત ઊંડાણ ખોલ્યું અને મોટી ભઠ્ઠીમાંથી ધુમાડો નીકળતો હોય તેમ, એમાંથી ધુમાડો ઉપર ચઢ્યો અને એ ધુમાડાને લીધે સૂર્ય પર તથા હવામાં અંધારું છવાઈ ગયું. ૩  અને એ ધુમાડામાંથી તીડો બહાર પૃથ્વી પર આવ્યા અને પૃથ્વીના વીંછીઓની પાસે જેવી શક્તિ છે, એવી શક્તિ તીડોને પણ આપવામાં આવી. ૪  તેઓને કહેવામાં આવ્યું કે પૃથ્વીની કોઈ પણ વનસ્પતિ કે લીલોતરી કે ઝાડને નહિ, પણ જેઓના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને જ નુકસાન પહોંચાડે. ૫  અને તીડોને રજા આપવામાં આવી કે તેઓને મારી ન નાખે પણ પાંચ મહિના સુધી તેઓને રિબાવે; જેમ વીંછી વ્યક્તિને ડંખ મારે અને વેદના થાય એવી લોકોની વેદના હતી. ૬  એ દિવસોમાં લોકો મોત માંગશે, છતાં કોઈ પણ રીતે એ પામશે નહિ અને મરવા માટે તડપશે, છતાં મરણ તેઓથી દૂર ભાગશે. ૭  તીડોનો દેખાવ યુદ્ધ માટે તૈયાર ઘોડાઓના જેવો હતો; સોનાના મુગટો જેવું કંઈક તેઓના માથા પર હતું અને તેઓના ચહેરા માણસના ચહેરા જેવા હતા, ૮  પણ તેઓના વાળ સ્ત્રીઓના વાળ જેવા હતા. અને તેઓના દાંત સિંહોના દાંત જેવા હતા ૯  અને તેઓની છાતીનું બખતર લોઢાના બખતર જેવું હતું. અને તેઓની પાંખોનો અવાજ, યુદ્ધ માટે ધસમસતા ઘોડાના રથોના અવાજ જેવો હતો. ૧૦  વધુમાં, તેઓને વીંછીઓ જેવી ડંખવાળી પૂંછડીઓ હતી અને એ પૂંછડીઓમાં લોકોને પાંચ મહિના સુધી પીડા આપવાની શક્તિ હતી. ૧૧  અનંત ઊંડાણનો દૂત તેઓ પર રાજા છે. હિબ્રૂ ભાષામાં તેનું નામ અબદ્દોન* છે, પણ ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન* છે. ૧૨  એક આફત પૂરી થઈ. જુઓ! એ બાબતો પછી બીજી બે આફતો આવી રહી છે. ૧૩  છઠ્ઠા દૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું. અને ઈશ્વર આગળની સોનાની વેદીના શિંગડાંમાંથી મેં એક અવાજ સાંભળ્યો, ૧૪  જે રણશિંગડાવાળા છઠ્ઠા દૂતને આમ કહેતો હતો: “મહાન નદી યુફ્રેટિસ* પર બાંધેલા ચાર દૂતોને છૂટા કર.” ૧૫  અને આ ઘડી અને દિવસ અને મહિના અને વર્ષ માટે તૈયાર કરેલા ચાર દૂતોને ત્રીજા ભાગના લોકોને મારી નાખવા છૂટા કરવામાં આવ્યા. ૧૬  સૈન્યોના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડ હતી. મેં તેઓની સંખ્યા સાંભળી. ૧૭  અને ઘોડાઓ અને તેઓના પર બેઠેલાઓને મેં દર્શનમાં જોયા: તેઓના છાતીના બખતર આગ જેવા લાલચોળ અને ઘાટા ભૂરા તથા ગંધકના જેવા પીળા હતા અને ઘોડાઓના માથા સિંહોના માથા જેવા હતા અને તેઓના મોંમાંથી આગ, ધુમાડો અને ગંધક નીકળતા હતા. ૧૮  આ ત્રણ આફતો એટલે કે, તેઓના મોંમાંથી નીકળતા અગ્‍નિ, ધુમાડા અને ગંધકને લીધે ત્રીજા ભાગના લોકો માર્યા ગયા. ૧૯  ઘોડાઓની શક્તિ તેઓના મોંમાં તથા તેઓની પૂંછડીઓમાં છે, કેમ કે તેઓની પૂંછડીઓ સાપના જેવી છે અને પૂંછડીઓને માથા છે અને એના દ્વારા તેઓ નુકસાન કરે છે. ૨૦  પરંતુ, બાકીના લોકો જેઓ આફતોથી નાશ પામ્યા ન હતા, તેઓએ પોતાના હાથનાં કામોને લીધે પસ્તાવો કર્યો નહિ; તેઓએ દુષ્ટ દૂતોને અને સોનાની, ચાંદીની, તાંબાની, પથ્થરની અને લાકડાની મૂર્તિઓ જે જોઈ કે સાંભળી કે ચાલી નથી શકતી, તેઓને ભજવાનું છોડ્યું નહિ. ૨૧  અને તેઓએ કરેલાં ખૂન કે મેલીવિદ્યા કે વ્યભિચાર* કે ચોરી માટે પસ્તાવો કર્યો નહિ.

ફૂટનોટ

અર્થ થાય, “વિનાશ.”
અર્થ થાય, “વિનાશ કરનાર.”
અથવા, “ફ્રાત.”
શબ્દસૂચિ જુઓ.