માથ્થી ૧૭:૧-૨૭

  • ઈસુનું રૂપાંતર (૧-૧૩)

  • રાઈના દાણા જેટલી શ્રદ્ધા (૧૪-૨૧)

  • ઈસુના મરણ વિશે ફરીથી જણાવાયું (૨૨, ૨૩)

  • માછલીના મોંમાંથી મળેલા સિક્કામાંથી કર ભરવો (૨૪-૨૭)

૧૭  ઈસુ છ દિવસ પછી, પીતર, યાકૂબ અને તેના ભાઈ યોહાનને લઈને ઊંચા પહાડ પર ગયા, જ્યાં તેઓ સિવાય બીજું કોઈ ન હતું. ૨  અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું; તેમનો ચહેરો સૂર્યની જેમ પ્રકાશવા લાગ્યો અને તેમનો ઝભ્ભો પ્રકાશની જેમ ઝળહળવા લાગ્યો.* ૩  અને જુઓ! ત્યાં તેઓએ મુસા અને એલિયાને ઈસુ સાથે વાત કરતા જોયા. ૪  એટલે, પીતરે ઈસુને કહ્યું: “પ્રભુ, આપણે અહીં રહીએ એ સારું છે. તમે ચાહો તો હું અહીં ત્રણ તંબુ ઊભા કરી દઉં; એક તમારા માટે, એક મુસા માટે અને એક એલિયા માટે.” ૫  તે હજુ બોલતો હતો એટલામાં જુઓ! એક સફેદ વાદળું તેઓ પર છવાઈ ગયું; અને જુઓ! એ વાદળમાંથી અવાજ આવ્યો કે, “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે; તેનું સાંભળો.” ૬  એ સાંભળીને શિષ્યો ઊંધા મોઢે પડ્યા અને ઘણા ગભરાઈ ગયા. ૭  પછી, ઈસુ પાસે આવ્યા અને તેઓને અડકીને કહ્યું: “ઊભા થાઓ અને ડરો નહિ.” ૮  તેઓએ નજર ઊંચી કરી ત્યારે, ઈસુ સિવાય બીજું કોઈ દેખાયું નહિ. ૯  પહાડ પરથી ઊતરતી વખતે ઈસુએ તેઓને આજ્ઞા કરી: “માણસના દીકરાને મરણમાંથી ઉઠાડવામાં આવે ત્યાં સુધી આ દર્શન વિશે કોઈને કહેતા નહિ.” ૧૦  ત્યારે શિષ્યોએ ઈસુને સવાલ કર્યો: “તો પછી, શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પહેલા આવવું જરૂરી છે?” ૧૧  જવાબમાં તેમણે કહ્યું: “એલિયા ચોક્કસ આવે છે અને બધું ફરીથી સરખું કરશે. ૧૨  તેમ છતાં, હું તમને કહું છું કે એલિયા આવી ચૂક્યા છે અને તેઓએ તેમને ઓળખ્યા નહિ, પણ તેઓએ તેમની સાથે મન ફાવે એવું વર્તન કર્યું. એ જ રીતે, તેઓના હાથે માણસના દીકરાએ પણ સહેવું પડશે.” ૧૩  એટલે, શિષ્યોને સમજ પડી કે તે યોહાન બાપ્તિસ્મા આપનારની વાત કરતા હતા. ૧૪  જ્યારે તેઓ ટોળા પાસે પહોંચ્યા, ત્યારે એક માણસ ઈસુ પાસે આવ્યો અને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું: ૧૫  “ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો, કેમ કે તેને ખેંચ* આવે છે અને તેની હાલત ઘણી ખરાબ છે. તે ઘણી વાર આગમાં અને ઘણી વાર પાણીમાં પડી જાય છે. ૧૬  હું તેને તમારા શિષ્યો પાસે લાવ્યો, પણ તેઓ સાજો કરી શક્યા નહિ.” ૧૭  ઈસુએ જવાબ આપતા કહ્યું: “ઓ શ્રદ્ધા વગરની આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? હું ક્યાં સુધી તમને સહન કરીશ? છોકરાને અહીં મારી પાસે લાવો.” ૧૮  પછી, ઈસુએ દુષ્ટ દૂતને ધમકાવ્યો, એટલે છોકરામાંથી તે નીકળી ગયો અને એ ઘડીથી છોકરો સાજો થયો. ૧૯  ત્યારે શિષ્યો ઈસુ પાસે એકાંતમાં આવીને પૂછવા લાગ્યા: “અમે શા માટે એને કાઢી ન શક્યા?” ૨૦  તેમણે તેઓને કહ્યું: “તમારામાં શ્રદ્ધા ઓછી છે એટલા માટે. પણ, હું તમને સાચે જ કહું છું: જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પહાડને કહેશો કે ‘અહીંથી ત્યાં ખસી જા,’ તો એ ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.” ૨૧  * ૨૨  તેઓ ગાલીલમાં ભેગા થયા હતા ત્યારે, ઈસુએ તેઓને કહ્યું: “માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે; ૨૩  અને તેઓ તેને મારી નાખશે અને ત્રીજા દિવસે તેને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” અને શિષ્યો બહુ જ દુઃખી થયા. ૨૪  તેઓ કાપરનાહુમમાં આવ્યા ત્યારે, મંદિરનો કર* ઉઘરાવનારા માણસો પીતર પાસે આવ્યા અને પૂછ્યું: “શું તમારા ગુરુ મંદિરનો કર ભરે છે?” ૨૫  પીતરે કહ્યું: “હા.” જોકે, તે ઘરમાં ગયો અને કંઈ કહે એ પહેલાં ઈસુએ પૂછ્યું: “સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર* મેળવે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી?” ૨૬  જ્યારે તેણે કહ્યું કે, “પારકાઓ પાસેથી” ત્યારે ઈસુએ તેને કહ્યું: “તો પછી, દીકરાઓ કર ભરવાથી મુક્ત છે. ૨૭  પણ, આપણે નથી ચાહતા કે તેઓ ઠોકર ખાય; એટલે તું સરોવરે જા, ગલ નાખ અને જે માછલી પહેલી પકડાય એ લઈ લે; તું એનું મોં ખોલીશ ત્યારે, તને ચાંદીનો સિક્કો* મળશે. તું એ લે અને તેઓને મારા અને તારા માટે કર આપ.”

ફૂટનોટ

અથવા, “સફેદ થયો.”
આને “ફેફરાંની બીમારી” કહેવાય છે.
આ કલમ અમુક બાઇબલ અનુવાદોમાં મળી આવે છે, પણ બીજી મહત્ત્વની અનેક પ્રાચીન ગ્રીક હસ્તપ્રતોમાં આ કલમ જોવા મળતી નથી.
મૂળ અર્થ, “બે ડ્રાક્મા.” શબ્દસૂચિમાં “ડ્રાક્મા” જુઓ.
દેખીતું છે કે અહીંયા દરેક વ્યક્તિ પર નંખાયેલા કરની વાત થાય છે.
મૂળ અર્થ, “સ્ટેટર સિક્કો,” જે ચાર ડ્રાક્મા બરાબર હતો.