માર્ક ૧૬:૧-૮

  • ઈસુ સજીવન કરાયા (૧-૮)

૧૬  સાબ્બાથ પૂરો થયો ત્યારે મરિયમ માગદાલેણ, યાકૂબની મા મરિયમ અને શલોમીએ સુગંધી દ્રવ્યો* ખરીદ્યાં, જેથી કબરે જઈને ઈસુના શબને લગાડે. ૨  અઠવાડિયાના પહેલા દિવસે વહેલી સવારે, સૂર્ય ઊગ્યો ત્યારે તેઓ કબર પાસે આવી. ૩  તેઓ એકબીજાને કહેતી હતી: “આપણા માટે કબરના મુખ પરથી પથ્થર કોણ ગબડાવશે?” ૪  પણ, જ્યારે તેઓએ જોયું, તો જુઓ, પથ્થર ઘણો મોટો હોવા છતાં એને ગબડાવી દેવામાં આવ્યો હતો. ૫  તેઓ કબરમાં દાખલ થઈ ત્યારે, તેઓએ સફેદ ઝભ્ભો પહેરેલા યુવાન માણસને જમણી બાજુ બેઠેલો જોયો અને તેઓ ચોંકી ગઈ. ૬  તેણે તેઓને કહ્યું: “ચોંકી ન જાઓ. તમે નાઝરેથના ઈસુને શોધો છો જેમને વધસ્તંભે ચડાવવામાં આવ્યા હતા. તેમને તો મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે. તે અહીં નથી. જુઓ! તેઓએ તેમને મૂક્યા હતા એ જગ્યા આ રહી. ૭  પણ જાઓ, તેમના શિષ્યોને અને પીતરને જણાવો કે, ‘ઈસુ તમારી આગળ ગાલીલમાં જાય છે. તેમણે તમને જણાવ્યું હતું એમ, તમે તેમને ત્યાં જોશો.’” ૮  તેથી, તેઓ બહાર આવી ત્યારે ડરથી ધ્રૂજતી અને દંગ રહી ગયેલી હતી અને તેઓ કબર પાસેથી ભાગી. તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ, કેમ કે તેઓ ગભરાયેલી હતી.*

ફૂટનોટ

દફન માટે શબને તૈયાર કરવા વપરાતા પાઉડર અથવા પાંદડાં અને તેલ.
જૂની ભરોસાપાત્ર હસ્તપ્રતો પ્રમાણે માર્કની ખુશખબર આઠમી કલમના શબ્દોથી પૂરી થાય છે.